સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

ચારેબાજુ ભ્રષ્ટાચાર—શા માટે?

ચારેબાજુ ભ્રષ્ટાચાર—શા માટે?

ચારેબાજુ ભ્રષ્ટાચાર—શા માટે?

“તું કંઈ લાંચ ન લે; કેમકે લાંચ દેખતાને અંધા બનાવે છે, ને ન્યાયીઓના દાવાને ઊંધો વાળે છે.” —નિર્ગમન ૨૩:૮.

પાંત્રીસો વર્ષ પહેલાં, મુસાના નિયમમાં લાંચ લેવાની મનાઈ કરવામાં આવી હતી. છતાં, સદીઓથી ભ્રષ્ટાચારમાં વધારો થતો જોવા મળ્યો છે. વળી, કાયદાઓ પણ ભ્રષ્ટાચારને નાબૂદ કરવામાં સફળ થયા નથી. લાંચ આપવી અને લેવી એ દરરોજના જીવનનો ભાગ બની ગઈ છે, માટે કરોડો લોકોએ એનાં પરિણામો ભોગવવાં પડે છે.

ભ્રષ્ટાચાર આજે અલગ અલગ રીતે એટલો બધો વધી ગયો છે કે, એણે સમાજના પાયા હલાવી નાંખ્યા છે. કેટલાક દેશોમાં તો પરિસ્થિતિ એટલી બધી ખરાબ થઈ ગઈ છે કે, જ્યાં સુધી તમે લેવડ-દેવડની વાત ન કરો ત્યાં સુધી કંઈ કામ થતું નથી. જેમ કે પરીક્ષામાં પાસ થવા માટે લોકો પેપર તપાસનારને લાંચ આપતા હોય છે. તેમ જ લોકો વાહનનું લાઇસન્સ મેળવવા કે જમીન પોતાના નામે કરવાની હોય ત્યારે પણ લાંચ આપતા હોય છે. અરે, અદાલતમાં પણ લાંચ આપીને કેસ જીતી શકાય છે! પરિસ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ છે કે પેરિસના એક વકીલ, આર્રનો મોન્ટબર્‌ નારાજ થતા કહે છે, “ભ્રષ્ટાચાર એટલો ફેલાયેલો છે કે સામાન્ય લોકો એનાથી કંટાળી ગયા છે.”

વેપાર-ધંધામાં ખાસ કરીને ભ્રષ્ટાચારનો વધારો જોવા મળે છે. કેટલીક કંપનીઓ પોતાના નફાનો ત્રીજો ભાગ ભ્રષ્ટ રાજકીય અધિકારીઓને આપવા માટે અલગ રાખે છે. બ્રિટિશ સામયિક ધ ઇકોનોમીસ્ટના કહેવા પ્રમાણે, દર વર્ષે ૨૫ અબજ ડૉલરના હથિયારનો વેપાર કરવામાં આવે છે, જેમાં એ રકમના ૧૦ ટકા તેમની પાસેથી હથિયાર ખરીદનારાઓના ભ્રષ્ટ અધિકારીઓને લાંચ આપવા માટે અલગ રાખવામાં આવે છે. જેમ ભ્રષ્ટાચાર ઝડપથી વધી રહ્યો છે તેમ એનાં પરિણામો પણ બહું ખરાબ આવે છે. છેલ્લા દશ વર્ષમાં, વેપાર ધંધામાં એટલો બધો ભ્રષ્ટાચાર વધી ગયો છે કે જો તમારી લાગવગ ન હોય તો તમારાથી ધંધો કરી ન શકાય. વળી, તેઓ બીજા દેશોને પણ બરબાદ કરી શકે છે.

મોટા ભાગે ગરીબ લોકોને જ આ ભ્રષ્ટાચાર અને એનાથી થતું આર્થિક નુકશાન ભોગવવું પડે છે. કેમ કે તેઓ પાસે જો પૈસા જ ન હોય તો કેવી રીતે લાંચ આપી શકે? ધ ઈકોનોમિસ્ટએ સાદા શબ્દોમાં કહ્યું કે, “લાંચ એક પ્રકારનો જુલમ છે.” શું આ પ્રકારના જુલમનો કદી પણ અંત આવશે કે પછી એ જીવનનો એક ભાગ છે? એ પ્રશ્નનો જવાબ મેળવતા પહેલાં, પ્રથમ આપણે એ જાણવું જોઈએ કે ભ્રષ્ટાચારનું મૂળ કારણ શું છે.

ભ્રષ્ટાચાર પાછળ શું કારણ છે?

શા માટે લોકો પ્રમાણિક બનવાને બદલે ભ્રષ્ટ બનવાનું પસંદ કરે છે? પોતાને જોઈતી વસ્તુ મેળવવા માટે, કદાચ અમુક લોકો જાણીજોઈને એમ કરે છે જ્યારે બીજાઓને એમ કર્યા વગર છૂટકો ન હોય. વળી, ઘણી વખત લાંચ આપીને સજામાંથી છૂટવું સહેલું હોય છે. નેતાઓ, પોલીસો અને ન્યાયાધીશો ભ્રષ્ટાચાર પ્રત્યે આંખ આડા કાન કરતા હોય છે. એટલું જ નહિ પરંતુ તેઓ પોતે ભ્રષ્ટ હોય છે.

ભ્રષ્ટાચાર દિવસે દિવસે વધતો જઈને જીવનનો ભાગ બની ગયો છે. એકદમ ઓછી આવક ધરાવતા લોકોને થશે કે, તેઓ પાસે બીજો કોઈ ઉપાય જ નથી. જો તેઓ સુખેથી જીવવા ઇચ્છતા હોય તો, લાંચ તો લેવી જ પડે. ઘણા લોકો બળજબરી કરીને લાંચની આપ-લે કરતા હોય છે જેથી તેઓ સજામાંથી છૂટી શકે. પરંતુ, ફક્ત અમુક લોકો જ એનો વિરોધ કરતા હોય છે. આ વિષે રાજા સુલેમાને કહ્યું, “દુષ્ટ કામની વિરૂદ્ધ દંડની આજ્ઞા ત્વરાથી અમલમાં મુકાતી નથી તે માટે મનુષ્યોનું અંતઃકરણ ભૂંડું કરવામાં સંપૂર્ણ ચોટેલું છે.”—સભાશિક્ષક ૮:૧૧.

ભ્રષ્ટાચાર આગની જેમ ઝડપથી વધતો રહે છે એના મુખ્ય બે કારણો સ્વાર્થ અને લોભ છે. લોકો સ્વાર્થી હોવાથી ભ્રષ્ટ બને છે અને જુલમથી બીજા લોકોને દુઃખ પહોંચે ત્યારે તેઓ આંખ આડા કાન કરે છે. વળી, પોતાનું પેટ ભરાવાથી તેઓ કહે છે કે, એમાં કંઈ ખોટું નથી. તેઓ જેમ જેમ ધનવાન બનતા જાય છે તેમ વધુ ભ્રષ્ટ બને છે. સુલેમાને કહ્યું, “રૂપાનો લોભી રૂપાથી તૃપ્ત થશે નહિ; અને સમૃદ્ધિનો ભાવિક સમૃદ્ધિથી સંતોષ પામશે નહિ.” (સભાશિક્ષક ૫:૧૦) ચાલો માની લીધુ કે, પૈસા બનાવવા માટે લોભ કરવો પડે. પરંતુ, એનો અર્થ એવો થાય કે, હેરાફેરી કરવામાં આવે ત્યારે આંખ આડા કાન કરવા.

બીજી એક મહત્ત્વની બાબત વિષે આપણે ભૂલવું ન જોઈએ કે આ જગતનો અદૃશ્ય શાસક છે. એ શાસકને બાઇબલમાં શેતાન [ડેવિલ] તરીકે ઓળખવામાં આવ્યો છે. (૧ યોહાન ૫:૧૯; પ્રકટીકરણ ૧૨:૯) શેતાન પોતે ભ્રષ્ટાચારને પ્રોત્સાહન આપે છે. શેતાને સૌથી મોટા પ્રમાણમાં ઈસુ ખ્રિસ્તને પણ લાંચ આપવાનો પ્રયત્ન કર્યો હતો, એના વિષે બાઇબલમાં જોવા મળે છે. ‘જો તું પગે પડીને મારૂં ભજન કરે, તો હું તને આ સઘળાં રાજ્ય આપીશ.’—માત્થી ૪:૮, ૯.

છતાં, ઈસુ તેની લાલચમાં ફસાયા નહિ, અને તેમણે પોતાના શિષ્યોને પોતાનું અનુકરણ કરવાનું ઉત્તેજન આપ્યું. શું આજે ઈસુનું શિક્ષણ ભ્રષ્ટાચાર દૂર કરવા ઉપયોગી છે? હવે પછીનો લેખ એ વિષે ચર્ચા કરશે.