સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

વાચકો તરફથી પ્રશ્નો

વાચકો તરફથી પ્રશ્નો

વાચકો તરફથી પ્રશ્નો

શું લોહીમાંથી બનેલી કોઈ પણ દવા યહોવાહના સાક્ષીઓ સ્વીકારે છે?

એનો એક જ જવાબ છે કે, યહોવાહના સાક્ષીઓ કોઈ પણ પ્રકારે લોહી લેતા નથી. લોહી વિષે પરમેશ્વર યહોવાહનો નિયમ એકદમ સ્પષ્ટ છે, અને સંજોગો અનુસાર એમાં બાંધછોડ થઈ શકતી નથી. છતાં, આજે એના વિષે ઘણા નવા પ્રશ્નો ઊભા થયા છે. એનું કારણ એ છે કે, આજે લોહીના કણો છૂટા પાડી શકાય છે. તેથી, યહોવાહના સાક્ષી તરીકે તબીબી સારવારમાં એનો ઉપયોગ કરવાના ફક્ત લાભો અને ગેરલાભો જાણવા જ પૂરતા નથી. એના બદલે, તેમણે વિચારવું જોઈએ કે, એ વિષે બાઇબલ શું કહે છે, અને એનાથી યહોવાહ પરમેશ્વર સાથેની તેમની મિત્રતા પર કેવી અસર થશે?

જો કે એનો જવાબ એકદમ સાદો છે. પરંતુ, ચાલો આપણે એ મુદ્દા વિષે બાઇબલ, ઇતિહાસ અને તબીબી માહિતી તપાસીએ.

યહોવાહ દેવે આપણા પૂર્વજ નુહને કહ્યું હતું કે, લોહી પવિત્ર છે. (ઉત્પત્તિ ૯:૩, ૪) પછી, યહોવાહ પરમેશ્વરે ઈસ્રાએલને આપેલા નિયમોમાં પણ લોહીની પવિત્રતા વિષે જણાવ્યું: “ઇસ્રાએલના ઘરમાંનો, અથવા . . . પરદેશીઓમાંનો જે કોઇ માણસ કોઇ પણ જાતનું રક્ત ખાય, તે રક્ત ખાનાર માણસની વિરૂદ્ધ હું મારૂં મુખ રાખીશ.” વળી, જો કોઈ ઈસ્રાએલી દેવનો નિયમ તોડે તો તે બીજાઓને પણ અશુદ્ધ કરશે. તેથી દેવે કહ્યું: ‘હું તેના લોકો મધ્યેથી તેનો નાશ કરીશ.’ (લેવીય ૧૭:૧૦, હીન્દી ઓ.વી. બાઇબલ.) પછી, યરૂશાલેમમાં પ્રેષિતો અને વડીલોએ પણ ભાર મૂક્યો કે, આપણે ‘લોહીથી દૂર રહેવું જ જોઈએ.’ વ્યભિચાર તથા મૂર્તિપૂજાથી દૂર રહેવું જેટલું જરૂરી છે, એટલું જ એ મહત્ત્વનું છે.—પ્રેરિતોનાં કૃત્યો ૧૫:૨૮, ૨૯.

પ્રથમ સદીના ખ્રિસ્તીઓ માટે ‘દૂર રહેવાનો’ શું અર્થ હતો? એ જ કે તેઓ કોઈ પણ પ્રકારનું લોહી ખાતા નહિ, ભલે એ તાજું હોય કે થીજેલું. તેઓ ગૂંગળાવીને મારી નાખેલા કે જેમાંથી લોહી કાઢવામાં ન આવ્યું હોય એવા પ્રાણીનું માંસ પણ ખાતા નહિ. વળી, તેઓ લોહીથી બનાવેલો ખોરાક (બ્લડ સોસેજ) પણ ન ખાતા. આમ, કોઈ પણ રીતે લોહી ખાવાથી પરમેશ્વરના નિયમનો ભંગ થતો હતો.—૧ શમૂએલ ૧૪:૩૨, ૩૩.

પ્રાચીન સમયમાં મોટા ભાગના લોકોને લોહી ખાવા કે પીવામાં કંઈ પણ વાંધો ન હતો. આપણને એ ટર્ટુલિયનનાં લખાણો (બીજી અને ત્રીજી સદી) પરથી જોવા મળે છે. એ સમયે સાચા ખ્રિસ્તીઓ પર આરોપ મૂકવામાં આવ્યો હતો કે, તેઓ લોહીનો ઉપયોગ કરે છે. ટર્ટુલિયને એવી જાતિઓ વિષે લખ્યું, જેઓ સંધિ કે કરાર કરવા માટે લોહી પીતા હતા. તેમણે એ પણ લખ્યું કે, “અખાડામાં ગુનેગારો લડતા ત્યારે, [કેટલાક] લોહી તરસ્યા લોકો તેઓનું તાજું લોહી લઈ પીતા. . . . તેઓનું માનવું હતું કે, એ તાણ-આંચકીનો [એપીલેપ્સીનો] ઇલાજ હતો.”

જો કે એ બધું (ભલેને રોમના લોકો તંદુરસ્તી માટે એવું કરે, તોપણ) ખ્રિસ્તીઓને માન્ય ન હતું. તેથી, ટર્ટુલિયને લખ્યું: “અમે તો પ્રાણીઓના લોહીનો પણ ઉપયોગ કરતા નથી.” સાચા ખ્રિસ્તીઓની વફાદારી ચકાસવા રોમન લોકો તેઓને લોહીવાળો ખોરાક આપતા. ટર્ટુલિયન ઉમેરે છે: “હું હવે તમને જ પૂછું કે, તમને જ્યારે ખાતરી છે કે [સાચા ખ્રિસ્તીઓ] પ્રાણીઓના લોહીનો ઉપયોગ પણ કરતા નથી, તો પછી તમને લાગે છે કે તેઓ માણસના લોહીનો ઉપયોગ કરશે?”

આજે, ડૉક્ટર લોહી લેવાનું કહે તો, બહુ ઓછા લોકો વિચારશે કે પરમેશ્વરના નિયમો એ વિષે શું કહે છે? એમાં કોઈ શંકા નથી કે, યહોવાહના સાક્ષીઓ જીવવા ચાહે છે, પણ લોહી વિષે યહોવાહ દેવના નિયમને વધારે માન આપીએ છીએ. આજની તબીબી સારવાર વિષે શું?

બીજા વિશ્વયુદ્ધ પછી લોહીની આપ-લે ખૂબ જ સામાન્ય બની ગઈ છે. છતાં, યહોવાહના સાક્ષીઓ જાણતા હતા કે એ પરમેશ્વરના નિયમ વિરુદ્ધ છે, અને આજે પણ આપણે એ જ માનીએ છીએ. જો કે આજ સુધીમાં તબીબી સારવારમાં ઘણો સુધારો થયો છે. આજે, લોહીની આપ-લેમાં પૂર્ણ લોહી ચઢાવવામાં આવતું નથી, પણ એના મૂળ કણોમાંના એકની આપ-લે કરવામાં આવે છે: જેવા કે, (૧) રક્તકણો; (૨) શ્વેતકણો; (૩) ઠારકણો; (૪) પ્લાઝમા (સીરમ), રક્તરસ. દરદીની હાલત જોઈને ડૉક્ટર સૂચવે કે, તેને રક્તકણો, શ્વેતકણો, ઠારકણો અથવા પ્લાઝમા આપવામાં આવે. આમ, પૂર્ણ લોહીને બદલે, મુખ્ય રક્તકણો આપવાથી ફક્ત એક યુનિટમાંથી ઘણા દરદીઓને લાભ થાય છે. યહોવાહના સાક્ષીઓ માને છે કે, કોઈ પણ પ્રકારના, પૂર્ણ લોહીની કે આ ચાર મુખ્ય કણોની આપ-લે યહોવાહ દેવના નિયમની વિરુદ્ધ છે. જો કે બાઇબલ આધારિત સિદ્ધાંતોને વળગી રહેવાથી આપણને એઈડ્‌સ અને હૅપટાઈટિસ જેવા જીવલેણ રોગોથી રક્ષણ મળે છે.

છતાં, લોહીના મુખ્ય તત્ત્વો કરતાં વધારે તત્ત્વો છૂટા પાડી શકાતા હોવાથી, એ વિષે સવાલ ઊભા થાય છે. છૂટા પાડેલા એ તત્ત્વોનો કઈ રીતે ઉપયોગ કરવામાં આવે છે? એ લેવા કે નહિ એનો નિર્ણય કર્યા પહેલાં, એક ખ્રિસ્તીએ કઈ કઈ બાબતો વિચારવી જોઈએ?

લોહી અજોડ છે. લગભગ ૯૦ ટકા પાણી ધરાવતા પ્લાઝમામાં પણ અગણિત હોર્મોન્સ, કુત્રિમ ક્ષાર, પાચક રસ, અને પૌષ્ટિક તત્ત્વો, જેમાં ખનિજ અને ખાંડ હોય છે. પ્લાઝમામાં આલ્બુમિન નામનું પ્રોટીન, લોહી થીજાવતા અને રોગ સામે લડત આપતા તત્ત્વો હોય છે. આજે તો પ્લાઝમામાંથી પ્રોટીન પણ અલગ કરીને એનો ઉપયોગ થાય છે. દાખલા તરીકે, હિમોફિલીઆના દરદીને રક્તગંઠન કરવા ઘટક આઠ આપવામાં આવે છે. જો દરદીને અમુક પ્રકારના રોગમાં ડૉક્ટર ગામા ગ્લોબ્યુલિન ઈંજેક્શન લેવાની ભલામણ કરશે, જે એવા લોકોના રક્ત પ્લાઝમાથી બનેલું હોય છે, જેઓ એની સામે લડત આપી શકે છે. બીજા પ્લાઝમા પ્રોટીનને પણ તબીબી રીતે વાપરવામાં આવે છે. પરંતુ, ઉપર આપેલું ઉદાહરણ બતાવે છે કે કઈ રીતે રક્તના કણોમાંથી (પ્લાઝમામાંથી) પણ બીજા ઘટકો અલગ કરવામાં આવે છે. *

જેમ રક્ત પ્લાઝમા લોહીના કણોનો મૂળ એક ભાગ છે, તેમ મુખ્ય કણોના (રક્તકણો, શ્વેતકણો અને ઠારકણોના) પણ બીજા ઘટકો છૂટા પાડી શકાય. દાખલા તરીકે, શ્વેતકણો ઇન્ટરફેરોન્સ અને ઇન્ટરલ્યુકિન્સથી બનેલા હોય છે, જેનો ઉપયોગ કેન્સર જેવા રોગો મટાડવા થાય છે. શરીરના કોઈ ભાગને ઇજા થઈ હોય ત્યારે, સાજા થવા માટે ઠારકણોમાંથી અમુક કણોનો ઉપયોગ કરવામાં આવે છે. વળી, એવી દવાઓ બનાવવામાં આવી રહી છે, જેની (શરૂઆત) લોહીના મૂળ તત્ત્વોના ઘટકમાંથી બનાવવામાં આવે છે. એવી સારવારમાં મુખ્ય તત્ત્વોની આપ-લે થતી નથી; પરંતુ, સામાન્ય રીતે એના નાના ઘટકો સમાયેલા હોય છે. શું ખ્રિસ્તી તરીકે આપણે એનો ઉપયોગ કરવો જોઈએ? બાઇબલ એ વિષે વિગતવાર જણાવતું નથી. તેથી, દરેક ખ્રિસ્તીએ પોતે યહોવાહ દેવ સમક્ષ પોતાનું અંતઃકરણ ચોખ્ખું રાખી શકે, એવો નિર્ણય લેવો જોઈએ.

અમુક વ્યક્તિ લોહીમાંથી બનાવેલી કોઈ જ દવા (ભલેને નાના અંશમાંથી બનાવેલી હોય છતાં,) ટૂંક સમય માટે પણ લેતા નથી. ‘લોહીથી દૂર રહેવાના’ દેવના નિયમને તેઓ એ રીતે પાળે છે. વળી, તેઓ ઈસ્રાએલીઓને આપેલો એ નિયમ પણ સમજે છે કે, શરીરમાંથી એક વાર લોહી બહાર નીકળે, પછી એ ઢોળી દેવું જોઈએ. (પુનર્નિયમ ૧૨:૨૨-૨૪) એ કેમ મહત્ત્વનું છે? એનું કારણ એ કે ગામા ગ્લોબ્યુલિન, રક્તગંઠન કરતા ઘટકો જેવી દવાઓ બનાવવા લોહી લઈને છૂટું પાડવું પડે છે. તેથી, અમુક ખ્રિસ્તીઓ જેમ પૂર્ણ લોહી કે એના ચાર મુખ્ય રક્તકણો લેતા નથી તેમ, એનો પણ નકાર કરે છે. તેઓએ પોતાના હૃદયથી એ મક્કમ નિર્ણય લીધો હોવાથી તેમના નિર્ણયને માન આપવું જોઈએ.

કોઈ યહોવાહના સાક્ષીના વિચારો જુદા પણ હોય શકે. તેઓ પણ પૂર્ણ લોહી અથવા રક્ત પ્લાઝમા, રક્તકણો, શ્વેતકણો અને ઠારકણોની આપ-લે કરવા તૈયાર નથી. છતાં, તેઓ કદાચ એવી દવા લેવા તૈયાર હશે જે લોહીના મુખ્ય તત્ત્વોના નાના ઘટકમાંથી બનાવામાં આવી હોય. જો કે એમાં પણ અલગ મંતવ્યો હોય શકે. એક ખ્રિસ્તી ગામા ગ્લોબ્યુલિન ઈંજેક્શન લેવાનું પસંદ કરશે, પણ રક્તકણો કે શ્વેતકણોમાંથી બનાવેલું ઈંજેક્શન ન પણ લે. પરંતુ, આખરે કોઈક ખ્રિસ્તી શા માટે અમુક નજેવા રક્ત ઘટકો લેવાનું પસંદ કરે પણ ખરા?

જૂન ૧, ૧૯૯૦, ચોકીબુરજ (અંગ્રેજી)માં “વાચકો તરફથી પ્રશ્નો” લેખમાં બતાવવામાં આવ્યું હતું કે, પ્લાઝમા પ્રોટીન (કણો) સગર્ભા સ્ત્રીના લોહીમાંથી તેના પોતાના ગર્ભના અલગ લોહી તંત્રમાં જાય છે. આમ, માતામાંથી બાળકના શરીરમાં ઇમ્યુનોગ્લોબ્યુલિન જાય છે જે તેને રોગથી અત્યંત જરૂરી રક્ષણ પૂરું પાડે છે. તેમ જ, ગર્ભમાં રહેલા બાળકના રક્તકણોનું આયુષ્ય પૂરું થાય છે ત્યારે, ઑક્સિજન પૂરું પાડતો ભાગ છૂટો પડે છે. એમાંનો મહત્ત્વનો ભાગ બિલિરૂબિન બને છે, જે પછી ઓર પસાર કરીને માતાના શરીરમાંથી નીકળતા કચરા સાથે નીકળી જાય છે. કેટલાક ખ્રિસ્તીઓ એવું માને છે કે, લોહીના કણો કુદરતી રીતે માતામાંથી એના ગર્ભના અલગ લોહી તંત્રમાં જઈ શકે છે. તેથી, તેઓ પણ રક્ત પ્લાઝમા કે રક્તકોષોમાંથી થતી સારવાર લઈ શકે છે.

શું મંતવ્ય અને અંતઃકરણ પ્રમાણેના નિર્ણયો અલગ હોવાનો અર્થ એ થાય કે, એ એટલી મહત્ત્વની બાબત નથી? જરાય નહિ. એ ગંભીર બાબત છે. છતાં, એ સમજી શકાય એમ છે. જો કે આ લેખ સ્પષ્ટ બતાવે છે કે, યહોવાહના સાક્ષીઓ પૂર્ણ લોહી તથા એમાંથી લીધેલા મુખ્ય તત્ત્વોની આપ-લે નકારે છે. બાઇબલ ખ્રિસ્તીઓને માર્ગદર્શન આપે છે કે, તેઓએ ‘મૂર્તિઓને અર્પણ કરેલી વસ્તુઓથી, લોહીથી, તથા વ્યભિચારથી દૂર રહેવું.’ (પ્રેરિતોનાં કૃત્યો ૧૫:૨૯) તેમ જ, લોહીના મુખ્ય તત્ત્વોના અમુક ઘટકોમાંથી બનેલી દવાની સારવાર લેવી કે ન લેવી એ વિષે દરેક ખ્રિસ્તીએ સમજી વિચારીને, પ્રાર્થનાપૂર્વક પોતે નિર્ણય લેવાનો છે.

ઘણા લોકો લોહી અને એમાંથી બનાવેલી દવાઓ તાત્કાલિક લાભ માટે લેવા તૈયાર હોય છે, પછી ભલેને એવા ઉપચારથી સમય જતાં નુકસાન પણ થાય, જે લોહી વિષે સાચું છે. સાચા ખ્રિસ્તીઓ માત્ર પોતાના વિષે જ વિચારતા નથી, પણ પરમેશ્વર યહોવાહ સાથેના સંબંધને જીવનમાં પ્રથમ મૂકે છે. તેથી, યહોવાહના સાક્ષીઓ તબીબી સારવારની કદર કરે છે, અને એના લાભો અને ગેરલાભો વિષે સમજી વિચારીને નિર્ણય લે છે. પરંતુ, જ્યારે લોહી અથવા લોહીમાંથી બનાવેલી દવાની સારવાર લેવાની વાત આવે ત્યારે, તેઓ પરમેશ્વરનું કહેવું સાંભળે છે, અને તેમની સાથેના સંબંધને મહત્ત્વ આપે છે.—ગીતશાસ્ત્ર ૩૬:૯.

એક ખ્રિસ્તી માટે આવો વિશ્વાસ કેટલો આશીર્વાદરૂપ છે. ગીતકર્તાએ ખરું જ કહ્યું છે: “યહોવાહ દેવ સૂર્ય તથા ઢાલ છે; યહોવાહ કૃપા તથા ગૌરવ આપશે; ન્યાયથી વર્તનારને માટે તે કંઈ પણ સારૂં વાનું રોકી રાખશે નહિ. હે . . . યહોવાહ, જે માણસ તારા પર ભરોસો રાખે છે, તેને ધન્ય છે.”—ગીતશાસ્ત્ર ૮૪:૧૧, ૧૨.

[ફુટનોટ]

^ ચોકીબુરજ (અંગ્રેજી) જૂન ૧૫, ૧૯૭૮ અને ઑક્ટોબર ૧, ૧૯૯૪ જુઓ. અગાઉના સમયમાં, લોહીના અમુક તત્ત્વોની જરૂર પડતી ત્યારે તેઓ લોહીમાંથી એ લેતા. પરંતુ, આજે દવા બનાવનારી ફેક્ટરીઓ લોહી વગર દવાઓ બનાવે છે. જેથી એનો લોહીના ઘટકોને બદલે ઉપયોગ થઈ શકે.

[પાન ૩૦ પર બોક્સ]

ડૉક્ટરને કેવા પ્રશ્નો પૂછવા જોઈએ?

તમારે કોઈ ઓપરેશન કે એવી સારવાર કરાવવી પડે, જેમાં લોહીથી બનાવેલી દવાનો સમાવેશ થતો હોય તો, આમ પૂછો:

શું મને સારવાર આપનાર બધા જ તબીબી વ્યક્તિઓ જાણે છે કે, યહોવાહના સાક્ષી તરીકે, કોઈ પણ સંજોગોમાં હું લોહીની (પૂર્ણ લોહી, રક્તકણો, શ્વેતકણો, ઠારકણો, કે રક્ત પ્લાઝમાની) આપ-લે કરીશ નહિ?

જો રક્ત પ્લાઝમા, રક્ત કે શ્વેતકણો, અથવા ઠારકણોમાંથી બનાવેલી કોઈ દવા લેવાનું કહેવામાં આવે તો આમ પૂછો:

શું આ દવામાં લોહીના ચાર મુખ્ય તત્ત્વોમાંથી એકનો પણ સમાવેશ થાય છે? એમ હોય તો, મને સમજાવશો કે, એ કઈ રીતે બનાવાઈ છે?

લોહીમાંથી બનેલી એ દવા કેટલા પ્રમાણમાં આપવામાં આવશે, અને કઈ રીતે આપવામાં આવશે?

જો મારું અંતઃકરણ એ નાનો ભાગ લેવા દે તો, એમાં કયાં જોખમો રહેલાં છે?

જો મારું અંતઃકરણ એમ કરવાની ના પાડે તો, બીજી કઈ સારવાર આપી શકાય?

આ બાબત વિષે વિચારીને હું તમને ક્યારે મારો નિર્ણય જણાવી શકું?