સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

શસ્ત્ર બનાવવાના કાર્યથી જીવન બચાવવાનું કાર્ય

શસ્ત્ર બનાવવાના કાર્યથી જીવન બચાવવાનું કાર્ય

મારો અનુભવ

શસ્ત્ર બનાવવાના કાર્યથી જીવન બચાવવાનું કાર્ય

ઈસીડોરસ ઈસ્માઈલીડીસના જણાવ્યા પ્રમાણે

હું ઘૂંટણે પડીને ખૂબ રડ્યો અને પ્રાર્થના કરી: “હે પરમેશ્વર, હવે હું આ શસ્ત્રો બનાવવાનું કામ કરી શકતો નથી. મેં બીજી નોકરી શોધવાનો ઘણો પ્રયત્ન કર્યો પરંતુ હજુ મને મળી નથી. આવતી કાલે હું મારી નોકરીમાં રાજીનામું આપવાનો છું. હે યહોવાહ પરમેશ્વર, મારા ચાર બાળકોને ભૂખે ન મરવા દેતા.” પરંતુ અચાનક હું કઈ રીતે આવા નિર્ણય પર આવ્યો? ચાલો હું તમને જણાવું.

મા રો જન્મ ૧૯૩૨માં ઉત્તર ગ્રીસના ડ્રામા શહેરમાં થયો હતો. મારું જીવન શાંતિદાયક અને સીધુ સાદું હતું. પપ્પા મારા ભવિષ્ય વિષે મને સતત માર્ગદર્શન આપતા હતા. તે મને અમેરિકામાં શિક્ષણ લેવાનું ઉત્તેજન આપતા હતા. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન ગ્રીસને લૂંટી લેવામાં આવ્યું હતું. એ સમયે ગ્રીસના રહેવાસીઓ આમ કહેતા હતા: “તમે અમારી માલમિલકત લૂંટી શકો છો પરંતુ અમારા વિચારો ઝૂંટવી શકતા નથી.” તેથી મેં ઉચ્ચ શિક્ષણ લઈને એવું કંઈક પ્રાપ્ત કરવાનો નિર્ણય કર્યો કે જેને કોઈ છીનવી ન શકે.

નાનપણથી જ હું ગ્રીક ઑર્થોડૉક્સ ચર્ચના અલગ અલગ જૂથોમાં જોડાયો હતો. ત્યાં અમને ખતરનાક પંથોથી દૂર રહેવાનું કહેવામાં આવ્યું હતું. મને બરાબર યાદ છે કે ખાસ કરીને યહોવાહના સાક્ષીઓના જૂથથી દૂર રહેવાનું કહેવામાં આવ્યું હતું. અને એમ પણ કહ્યું હતું કે તેઓ ઈસુ ખ્રિસ્ત વિરુદ્ધ છે.

વર્ષ ૧૯૫૩માં હું ઍથેન્સની ટેકનિકલ કૉલેજમાં સ્નાતક થયો. પછી નોકરી મેળવવા અને સાથે સાથે આગળ ભણવા હું જર્મની ગયો. પરંતુ મને નોકરી મળી નહિ તેથી હું બીજા દેશોમાં ગયો. થોડાં અઠવાડિયાં પછી બેલ્જિયમ બંદરે મને ખબર પડી કે મારી પાસે બિલકુલ પૈસા નથી. મને બરાબર યાદ છે કે હું ચર્ચમાં બેસીને ખૂબ રડ્યો હતો. મેં પ્રાર્થના કરી કે પરમેશ્વર મને અમેરિકા જવા મદદ કરશે તો, હું ભૌતિક બાબતો પાછળ પડવાને બદલે શિક્ષણ મેળવીશ. અને એક સારા ખ્રિસ્તી તથા સારા નાગરિક બનવાનો પ્રયત્ન કરીશ. અંતે, હું ૧૯૫૭માં અમેરિકા આવ્યો.

અમેરિકામાં નવું જીવન

અમેરિકામાં ત્યાંની ભાષા ન જાણતા હોય અને પૈસા ન હોય એવા પરદેશીઓ માટે જીવન ખૂબ મુશ્કેલીભર્યું હતું. હું રાત્રે બે નોકરી કરતો હતો અને દિવસે કૉલેજ જવા માટે સંઘર્ષ કરતો હતો. આખરે, મેં લૉસ ઍન્જલસની યુનિવર્સિટી ઑફ કેલિફોર્નિયામાં ભૌતિકશાસ્ત્રમાં બી.એસ.સી કર્યું. પપ્પાના સતત ઉત્તેજનને કારણે હું તકલીફ વેઠીને પણ ભણ્યો.

લગભગ આ સમય દરમિયાન હું એકાટેરીની નામની સુંદર ગ્રીક છોકરીને મળ્યો. અમે ૧૯૬૪માં લગ્‍ન કર્યું. ત્રણ વર્ષ પછી અમારો પ્રથમ દીકરો જન્મ્યો, અને પછી ચાર વર્ષમાં બે દીકરા તથા એક દીકરી થઈ. તેથી કુટુંબ સંભાળવું અને સાથે સાથે યુનિવર્સિટીમાં અભ્યાસ કરવો મારા માટે એક પડકાર હતો.

હું સનીવેલ, કૅલિફૉર્નિયામાં યુ.એસ. વાયુદળની મિસાઈલ બનાવવાની કંપનીમાં કામ કરતો હતો. હું એજીના અને એપોલો જેવા ઘણા પ્રોજૅક્ટમાં સંડોવાયેલો હતો. એપોલો ૮ અને ૧૧ના મિશન પર મેં પુરસ્કાર પણ મેળવ્યા હતા. હું લશ્કરના જુદા જુદા પ્રોજૅક્ટમાં ગહનપણે સંડોવાયેલો હતો, એની સાથે મેં મારું શિક્ષણ પણ ચાલું રાખ્યું. એ સમયે મારી પાસે પ્રેમાળ પત્ની, ચાર સુંદર બાળકો, પ્રતિષ્ઠાવાળી નોકરી અને એક સરસ ઘર હતું, તેથી હું વિચારતો હતો કે હું ઘણો સુખી છું.

સત્યનો સંપર્ક

વર્ષ ૧૯૬૭ની શરૂઆતમાં હું મારી કંપનીમાં નોકરી કરતા નમ્ર અને માયાળુ જિમને મળ્યો. જિમ હસમુખો હતો, રિસેસમાં અમે બંને સાથે કૉફી પીતા હતા. મારી સાથે સત્યના સંદેશાના સહભાગી થવા તે આ તકનો ઉપયોગ કરતો હતો. એક દિવસે તેણે મને કહ્યું કે તે યહોવાહના સાક્ષીઓ સાથે બાઇબલનો અભ્યાસ કરે છે.

એ સાંભળીને મને ખૂબ જ આઘાત લાગ્યો. આવી સારી વ્યક્તિ કઈ રીતે ખ્રિસ્તનો વિરોધ કરતા ધાર્મિક જૂથમાં સંડોવાઈ? તેમ છતાં જિમ મારામાં જે વ્યક્તિગત રસ લેતો હતો એનાથી હું પ્રભાવિત હતો. તે દરરોજ અલગ અલગ વિષય પર મારી સાથે વાત કરતો હતો. દાખલા તરીકે, એક દિવસ તે મારી ઑફિસમાં આવ્યો અને મને કહ્યું: “ધ વૉચટાવરમાં કૌટુંબિક જીવનને કઈ રીતે દૃઢ બનાવવું એ વિષે લેખ આવ્યો છે. એને ઘરે લઈ જા અને તારી પત્ની સાથે વાંચજે.” મેં તેને કહ્યું કે હું એ લેખ વાંચીશ, પરંતુ મેં ટોયલેટમાં જઈને એ સામયિકના નાના નાના ટુકડા કરીને કચરા ડબ્બામાં ફેંકી દીધા.

ત્રણ વર્ષ સુધી જિમે મને જે સામયિક તથા પુસ્તક આપ્યા એ હું ફાડી નાખતો હતો. યહોવાહના સાક્ષીઓ પ્રત્યે મને પૂર્વગ્રહ હતો છતાં હું જિમ સાથે મિત્રતા રાખવા ઇચ્છતો હતો. તેથી મેં વિચાર્યું કે તે જે કહે એ સાંભળું અને પછી તરત જ મનમાંથી કાઢી નાખું.

તેમ છતાં, એ ચર્ચાઓથી મને સમજાયું કે હું જે માનતો અને કરતો હતો એ બાઇબલ આધારિત ન હતું. મને એ પણ સમજાયું કે ત્રૈક્ય, નર્કાગ્‍નિ અને અમર આત્માનું શિક્ષણ શાસ્ત્રીય ન હતું. (સભાશિક્ષક ૯:૧૦; હઝકીએલ ૧૮:૪; યોહાન ૨૦:૧૭) હું ચુસ્ત ગ્રીક ઑર્થોડૉક્સ હતો તેથી મેં જિમને બતાવ્યું નહિ કે તે ખરો છે. પરંતુ તે હંમેશા બાઇબલનો ઉપયોગ કરતો હતો, ક્યારેય તેણે પોતાનો વ્યક્તિગત અભિપ્રાય આપ્યો ન હતો. આખરે, મને સમજણ પડી કે બાઇબલનો એ કીમતી સંદેશો મારા માટે છે.

મારામાં આવેલા બદલાણથી મારી પત્નીને તરત ખબર પડી કે મને કંઈક થયું છે. તેથી તેણે મને પૂછ્યું કે શું તમે તમારા યહોવાહના સાક્ષી મિત્ર સાથે વાત કરો છો? મેં હા પાડી ત્યારે તેણે કહ્યું: “આપણે હવે બીજા કોઈ પણ ચર્ચમાં જઈશું પણ યહોવાહના સાક્ષીઓ સાથે નહિ જોડાઈએ.” તેમ છતાં, સમય જતા અમે સાક્ષીઓની સભાઓમાં નિયમિત હાજરી આપવા લાગ્યા.

કઠિન નિર્ણય

હું બાઇબલ અભ્યાસ કરતો હતો ત્યારે દેવના સેવક યશાયાહના શબ્દો મારા ધ્યાનમાં આવ્યા: “તેઓ પોતાની તરવારોને ટીપીને કોશો, અને પોતાના ભાલાઓનાં ધારિયાં બનાવશે; પ્રજાઓ એકબીજીની વિરૂદ્ધ તરવાર ઉગામશે નહિ, અને તેઓ ફરીથી યુદ્ધકળા શીખશે નહિ.” (યશાયાહ ૨:૪) મેં મારી જાતને પ્રશ્ન પૂછ્યો કે ‘યહોવાહના એક સેવક તરીકે હું કઈ રીતે શસ્ત્રો બનાવવાનું કામ કરી શકું?’ (ગીતશાસ્ત્ર ૪૬:૯) છેવટે મેં મારી નોકરી બદલવાનો નિર્ણય કર્યો.

આ નિર્ણય લેવો મારા માટે એક પડકાર હતો. મારી મોભાદાર નોકરી હતી. અને મેં શિક્ષણ તથા નોકરી મેળવવા ખૂબ સંઘર્ષ કર્યો હતો. છેવટે યહોવાહ પ્રત્યેના પ્રેમને લીધે મેં તેમની ઇચ્છા મુજબ કરવાનો નિર્ણય લીધો અને મારી નોકરી છોડી દીધી.—માત્થી ૭:૨૧.

મેં વૉશિંગ્ટન, સિઍટલની એક કંપનીમાં નોકરી કરવાનો નિર્ણય કર્યો. જલદી જ મને ખબર પડી કે અહીંયા પણ મારું કામ યશાયાહ ૨:૪ના સુમેળમાં નથી. ફરીથી મારું અંતઃકરણ મને ડંખવા લાગ્યું. અને મને ખબર પડી કે હું મારી નોકરી પૂરા હૃદયથી કરી શકતો નથી.—૧ પીતર ૩:૨૧.

અમારે જીવનમાં ઘણાં મહત્ત્વનાં બદલાણો કરવાના હતા. છ મહિનાની અંદર અમે અમારી જીવનઢબ બદલી નાખી અને કૌટુંબિક ખર્ચ અડધો કરી નાખ્યો. પછી અમે અમારું કીમતી ઘર વેચી નાખ્યું અને ડેન્વર, ક્લોરાડોમાં એક નાનું ઘર લીધું. હવે હું નોકરીમાંથી રાજીનામું આપવા માટે તૈયાર હતો. મેં રાજીનામાનો પત્ર ટાઈપ કર્યો. એ રાત્રે, બાળકો સૂઈ ગયા પછી, મેં અને મારી પત્નીએ અગાઉ જણાવ્યા પ્રમાણે ઘૂંટણે પડીને યહોવાહને પ્રાર્થના કરી.

એક મહિનામાં જ અમે ડેન્વર રહેવા ગયા, અને બે જ સપ્તાહ પછી, જુલાઈ ૧૯૭૫માં હું તથા મારી પત્ની બાપ્તિસ્મા પામ્યા. છ મહિના સુધી હું નોકરી શોધી શક્યો નહિ અને ધીરે ધીરે અમારી બચત પણ ખલાસ થતી હતી. સાતમા મહિને અમે દર મહિને તો ખર્ચ કરતા એટલી રકમ પણ રહી નહિ. તેથી હું કોઈ પણ નાની-મોટી નોકરીની શોધમાં હતો, અચાનક મને એંજિનિયર તરીકેની નોકરી મળી. મારી અગાઉની નોકરી કરતાં મને અડધો પગાર મળતો હતો. તેમ છતાં, યહોવાહ પાસે મેં જે માગ્યું એના કરતાં એ વધારે હતું. મેં આધ્યાત્મિક બાબતોને પ્રથમ સ્થાન આપ્યું એના માટે હું કેટલો ખુશ હતો!—માત્થી ૬:૩૩.

બાળકોને સત્યમાં ઉછેરવા

એ સમયે હું અને મારી પત્ની અમારાં ચાર બાળકોને પરમેશ્વરનાં ધોરણો પ્રમાણે ઉછેરવામાં વ્યસ્ત હતા. યહોવાહની મદદથી અમે અમારાં બાળકોને પરિપક્વ ખ્રિસ્તીઓ બનતા અને પોતાનું જીવન રાજ્ય પ્રચારકાર્યના મહત્ત્વના કામમાં અર્પણ કરતા જોયા. અમારા ત્રણેય દીકરાં, ક્રિસ્ટોસ, લેક્સ અને ગ્રીગોરી સેવકાઈ તાલીમ શાળામાં સ્નાતક થઈને હવે જુદી જુદી જગ્યાએ પ્રવાસી નિરીક્ષક તરીકે સેવા આપે છે. અમારી દીકરી ટુલા ન્યૂયૉર્કમાં યહોવાહના સાક્ષીઓના મુખ્ય મથકમાં સ્વયંસેવક તરીકે કામ કરે છે. તેઓ સારી સારી નોકરીની ઑફર તરછોડીને યહોવાહની સેવા કરવા જોડાયા એ કારણે અમને ખૂબ આનંદ થયો.

ઘણા લોકોએ અમને પૂછ્યું કે આ રીતે સફળતાપૂર્વક બાળકોને ઉછેરવાનું રહસ્ય શું છે? ખરેખર એવું કોઈ જ રહસ્ય ન હતું. અમે તો તેઓને હૃદયથી યહોવાહ અને પડોશીને પ્રેમ કરતા જ શીખવ્યું હતું. (પુનર્નિયમ ૬:૬, ૭; માત્થી ૨૨:૩૭-૩૯) બાળકો એ પણ શીખ્યાં કે આપણે યહોવાહ દેવને પ્રેમ કરીએ છીએ એમ કહેવું જ પૂરતું નથી, પરંતુ એ આપણાં કાર્યોથી બતાવવું જોઈએ.

સપ્તાહમાં એક દિવસ અને સામાન્ય રીતે શનિવારે અમે કુટુંબ સહિત પ્રચારકાર્યમાં જતા હતા. સોમવારે સાંજે જમ્યા પછી અમે નિયમિત રીતે કૌટુંબિક અભ્યાસ કરતા હતા. અને અમે બધા બાળકો સાથે વ્યક્તિગત બાઇબલ અભ્યાસ પણ કરતા હતા. બાળકો નાના હતા ત્યારે અમે સપ્તાહમાં અનેક વાર ટૂંકો અભ્યાસ કરતા હતા. પછી તેઓ મોટા થતા ગયા તેમ, સપ્તાહમાં અમે એક જ લાંબો અભ્યાસ કરતા હતા. આ અભ્યાસ દરમિયાન બાળકો તેઓની સમસ્યાઓની મુક્તપણે ચર્ચા કરતા હતા.

અમે કુટુંબમાં મનોરંજનનો પણ આનંદ માણતા હતા. અમે વાજિંત્રો વગાડતા અને બધાં બાળકો પોતાનું મનગમતું ગીત ગાતા હતા. કેટલીક વાર અમે બીજાં કુટુંબોને અમારા ઘરે આમંત્રણ આપતા હતા. અમે કુટુંબ સાથે ભેગા ફરવા પણ જતા હતા. એક વખત અમે કૉલરાડો ઉચ્ચપ્રદેશમાં બે સપ્તાહ રહીને સ્થાનિક મંડળો સાથે પ્રચારકાર્યમાં સહભાગી થયા હતા. બાળકોએ મહાસંમેલનોમાં અલગ અલગ વિભાગોમાં જે કામ કર્યું હતું અને જુદી જુદી જગ્યાઓએ રાજ્યગૃહ બાંધકામમાં મદદ કરી હતી એને તેઓ હજુ પણ યાદ કરે છે. અમે ગ્રીસમાં અમારાં સંબંધીઓને મળવા બાળકોને લઈ ગયા ત્યારે તેઓ ઘણા સાક્ષીઓને મળી શક્યા, જેઓ પોતાના વિશ્વાસમાં અડગ રહેવાને લીધે જેલમાં હતા. એની બાળકો પર ઊંડી અસર પડી અને તેઓને સત્યમાં મક્કમ અને હિંમતવાન રહેવાની મદદ મળી.

તોપણ, અમુક વાર બાળકોએ ગેરવર્તણૂક બતાવી અથવા ખોટી સંગતની પસંદગી કરી હતી. સમસ્યાઓ ઊભી થતી ત્યારે અમુક બાબતોમાં અમે કડક રહ્યા. અને અમને ‘પ્રભુના શિક્ષણે’ બાઇબલ પ્રમાણે બાબતો થાળે પાડવા મદદ કરી.—એફેસી ૬:૪; ૨ તીમોથી ૩:૧૬, ૧૭.

મારા જીવનનો સૌથી આનંદિત સમય

અમારાં બાળકો પૂરા-સમયના સેવાકાર્યમાં જોડાયા પછી, મેં અને મારી પત્નીએ જીવન બચાવવાના કાર્યમાં કઈ રીતે સહભાગી થઈ શકીએ એ વિષે ગંભીરપણે વિચાર્યું. વર્ષ ૧૯૯૪માં મેં સ્વૈચ્છિક નિવૃત્તિ લઈ લીધી, પછી અમે બંનેએ સાથે નિયમિત પાયોનિયર કાર્ય શરૂ કર્યું. અમે સ્થાનિક કૉલેજ અને યુનિવર્સિટીઓમાં પ્રચાર કરતા હતા, જ્યાં અમે વિદ્યાર્થીઓને સાક્ષી આપી અને અમુક સાથે બાઇબલ અભ્યાસ પણ કર્યો. હું તેઓની મુશ્કેલીઓને હલ કરી શકતો હતો કારણ કે થોડાં વર્ષો પહેલા મેં પણ એ પરિસ્થિતિનો સામનો કર્યો હતો. મેં તેઓને યહોવાહ વિષે શીખવા મદદ કરવામાં સફળતા મેળવી હતી. ઇજિપ્ત, ઇથિયોપિયા, ચિલી, ચીન, તુર્કસ્તાન, થાયલૅંડ, બોલિવિયા, બ્રાઝિલ, અને મૅક્સિકોના વિદ્યાર્થીઓ સાથે અભ્યાસ કરવાનો કેવો આનંદ હતો! મેં ટેલિફોન સાક્ષીકાર્યનો પણ આનંદ માણ્યો હતો અને ખાસ કરીને મારા દેશની ભાષા બોલનાર સાથે.

ઉંમર વધવાથી અને મારા ગ્રીક ઉચ્ચારણોને કારણે હવે હું તકલીફ અનુભવું છું છતાં, હું હંમેશા મારી વર્તણૂક દેવના સેવક યશાયાહ જેવી રાખું છું, “હું આ રહ્યો; મને મોકલ.” (યશાયાહ ૬:૮) અમને, છ કરતાં પણ વધારે વ્યક્તિઓને યહોવાહ પરમેશ્વરને પોતાનું સમર્પણ કરવા મદદ કરવાનો લહાવો મળ્યો છે. ચોક્કસ, એ સૌથી વધારે આનંદિત સમય હતો.

એક સમયે મારું જીવન સાથી માનવોને મારી નાખતાં શસ્ત્રો બનાવવાનું હતું. પરંતુ યહોવાહ દેવની અપાત્ર કૃપાને કારણે હું અને મારું કુટુંબ તેમના સેવક બની શક્યા. હવે યહોવાહ અમારો ઉપયોગ લોકોને બગીચામય પૃથ્વી પર હંમેશ માટેનું જીવન જીવવાનો સંદેશો આપવા કરે છે. મેં લીધેલા પડકારમય નિર્ણયોનો વિચાર કરું છું ત્યારે મને માલાખી ૩:૧૦ના શબ્દો યાદ આવે છે, જે કહે છે: “મારૂં પારખું તો લઈ જુઓ, કે હું તમારે સારૂ આકાશની બારીઓ ખોલી નાખીને સમાવેશ કરવાને પૂરતી જગા નહિ હોય, એટલો બધો આશીર્વાદ તમારા પર મોકલી દઉં છું કે નહિ! એવું સૈન્યોનો દેવ યહોવાહ કહે છે.” સાચે જ યહોવાહે એમ જ કર્યું છે અને અત્યારે અમે સંતુષ્ટ છીએ.

[પાન ૨૭ પર બોક્સ/ચિત્ર]

ક્રિસ્ટોસ: મારાં માબાપ યહોવાહ પરમેશ્વરને પૂરા જીવથી વફાદાર રહ્યાં અને માબાપ તરીકેની જવાબદારી પૂરી કરી એ માટે હું તેઓની કદર કરું છું. કુટુંબ તરીકે અમે બધુ ભેગા મળીને કર્યું હતું, પ્રચારકાર્યમાં અને ફરવા પણ અમે સાથે જતા હતા. મારાં માબાપ બીજી બાબતોને પ્રથમ સ્થાન આપી શકતા હતા છતાં, તેઓ સેવાકાર્ય પર વધારે ધ્યાન આપવા સાદું જીવન જીવ્યા. આજે હું યહોવાહની પૂરા સમયની સેવામાં પરોવાયેલો છું ત્યારે પોતાને સૌથી સુખી સમજું છું.

[પાન ૨૭ પર બોક્સ/ચિત્ર]

લેક્સ: મારા પપ્પા ઢોંગી લોકોને ધિક્કારતા હતા. તે હંમેશા કુટુંબમાં સારું ઉદાહરણ બેસાડવાનો પ્રયત્ન કરતા હતા. તે વારંવાર અમને કહેતા: “યહોવાહને તમારું જીવન સમર્પણ કરવાનો અર્થ તમારા જીવનમાં કંઈક અર્થપૂર્ણ કામ કર્યું થાય છે. તમે જે કંઈ આપો એ યહોવાહ પરમેશ્વરને સ્વેચ્છાથી આપો. તો જ સાચા ખ્રિસ્તી કહેવાશો.” આ શબ્દો મને યહોવાહને સમર્પણ કરવા અને મારા પપ્પાના ઉદાહરણને અનુસરવાનું યાદ અપાવે છે.

[પાન ૨૮ પર બોક્સ/ચિત્ર]

ગ્રીગોરી: મારાં માબાપે મને સેવાકાર્ય માટે જે ઉત્તેજન આપ્યું એના કરતાં પણ વધારે હું તેઓએ બેસાડેલા ઉદાહરણથી અને યહોવાહની સેવામાં તેઓ જે આનંદ માણતા હતા એ જોઈને પૂરા-સમયની સેવામાં જોડાવા પ્રેરાયો. એણે મને ગમે એવા સંજોગોમાં પણ ચિંતાઓને બાજુ પર મૂકીને સેવાકાર્ય કરવા ઉત્તેજન આપ્યું. સેવાકાર્યમાં જાતે મહેનત કરીને આનંદ મેળવવા મારાં માબાપે મદદ કરી એ માટે હું તેઓનો આભાર માનું છું.

[પાન ૨૮ પર બોક્સ/ચિત્ર]

ટુલા: મારાં માબાપ હંમેશા એ પર ભાર મૂકતા કે યહોવાહ સાથેનો આપણો સંબંધ સૌથી કીમતી છે જેને આપણે હંમેશા રાખી શકીએ છીએ. આપણે યહોવાહને સૌથી સારું આપીને હંમેશા ખુશ રહી શકીએ છીએ અને એમાં જ આપણું ભલું છે. તેઓના કારણે અમે યહોવાહને સાચી રીતે ઓળખી શક્યા. શુદ્ધ અંતઃકરણ રાખીને યહોવાહને ખુશ કરવાનો અનુભવ અવર્ણનીય છે.

[પાન ૨૫ પર ચિત્ર]

વર્ષ ૧૯૫૧માં હું સૈનિક હતો ત્યારે

[પાન ૨૫ પર ચિત્ર]

એકાટેરીની સાથે ૧૯૬૬માં

[પાન ૨૬ પર ચિત્ર]

વર્ષ ૧૯૯૬માં મારા કુટુંબ સાથે: (ડાબેથી જમણે, ઉપર) ગ્રીગોરી, ક્રિસ્ટોસ, ટુલા; (નીચે) લેક્સ, એકાટેરીની અને હું