સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

ધિક્કારને દૂર કરતો એક માત્ર ઉપાય

ધિક્કારને દૂર કરતો એક માત્ર ઉપાય

ધિક્કારને દૂર કરતો એક માત્ર ઉપાય

“ભય વિના ધિક્કાર નથી . . . આપણને જેનો ભય હોય છે એને ધિક્કારીએ છીએ. તેથી જ્યાં ધિક્કાર છે, ત્યાં ભય હોય છે.”—સીરીલ કોન્‍નોલી, સાહિત્ય ટીકાકાર અને નિર્દેશક.

કેટલાક સમાજશાસ્ત્રીઓ માને છે કે મનુષ્યના લોહીમાં જ ધિક્કાર હોય છે. એક રાજકીય વૈજ્ઞાનિકે કહ્યું કે, એ તો મનુષ્યની રગેરગમાં ફેલાયેલો છે.

મનુષ્યનો અભ્યાસ કરનારાઓ પણ એવા નિષ્કર્ષ પર આવે એ સમજી શકાય એમ છે. તેઓ બાઇબલ તરફ ધ્યાન દોરતા બતાવે છે કે સ્ત્રી અને પુરુષો ‘પાપમાં’ જન્મે છે. (ગીતશાસ્ત્ર ૫૧:૫) એટલું જ નહિ, હજારો વર્ષ પહેલાં મનુષ્યના સર્જનહાર પરમેશ્વરે પોતે “જોયું કે માણસની ભૂંડાઇ પૃથ્વીમાં ઘણી થઇ, ને તેઓનાં હૃદયના વિચારની હરેક કલ્પના નિરંતર ભૂંડી જ છે.”—ઉત્પત્તિ ૬:૫.

મનુષ્યો પાપી અને સ્વાર્થી હોવાથી પક્ષપાત અને ભેદભાવ બતાવતા હોય છે. (પુનર્નિયમ ૩૨:૫) દુઃખદપણે, દુનિયાની કોઈ પણ માનવ સંસ્થા કે સરકાર ગમે તેટલો પ્રયત્ન કરે તોપણ માણસના હૃદયને બદલી શકે એમ નથી. વિદેશી ખબરપત્રી જોહાન મેકગેરીએ કહ્યું: “દુનિયાની સરકાર ગમે તેટલી સારી હોય તોપણ તેઓ બોસ્નિયા, સોમાલિયા, લાઇબીરિયા, કાશ્મીર કે કાઝકસની લડાઈઓ બંધ કરી શકે એમ નથી.”

આપણે એનો ઉપાય શોધવા લાગીએ એ પહેલાં એ જાણવાની જરૂર છે કે આટલા બધા ધિક્કાર પાછળ શું કારણ છે.

ભયના કારણે ધિક્કાર

ધિક્કાર ઘણા પ્રકારના હોય છે. લેખક એન્ડ્રુ સોલેવાને સરળ શબ્દમાં આમ કહ્યું: “બીકના કારણે ધિક્કાર હોય છે, અને ધિક્કારના કારણે અપમાન અનુભવાય છે; વળી સત્તા બતાવતો ધિક્કાર હોય છે અને સત્તા ન હોવાના કારણે થતો ધિક્કાર હોય છે; બદલો લેવાની ભાવના કે દુશ્મનાવટ હોય ત્યાં ધિક્કાર હોય છે. . . . અત્યાચાર કરનારાનો ધિક્કાર અને ભોગ બનનારનો ધિક્કાર હોય છે. ધીમે ધીમે વધતો ધિક્કાર હોય છે અને ઓછો થતો ધિક્કાર પણ હોય છે. એકદમ સળગી ઊઠતો ધિક્કાર હોય છે અને શાંત ધિક્કાર પણ હોય છે.”

નિઃશંક, આજે ધિક્કાર વધવા પાછળનું એક કારણ સમાજ અને આર્થિક પરિસ્થિતિ પણ છે. અમુક વિસ્તારોમાં, ખાસ કરીને જ્યાં થોડા જ અમીર લોકો રહેતા હોય ત્યાં ગરીબ અને અમીર વચ્ચે ઘણો ધિક્કાર તેમ જ ભેદભાવ જોવા મળે છે. વળી પરદેશીઓ સુખ-સુવિધાવાળું જીવન જીવતા હોય છે એના કારણે પણ ધિક્કાર જોવા મળે છે.

વળી, કેટલાકને એવું લાગી શકે કે, આ પરદેશીઓ ઓછા પગારમાં કામ કરશે જેથી તેઓ માટે નોકરી મેળવવું મુશ્કેલ બની જશે. વળી તેઓ ઘર કે જમીનના ભાવ ઘટી જવાનું કારણ બનશે. જોકે આ પ્રકારનો ભય યોગ્ય છે કે નહિ એ બીજી વાત છે. પરંતુ, વેપાર-ધંધામાં ખોટ આવવાના ભયથી અને જીવનધોરણ નીચું જવાના ભયથી ઘણાને અણગમો ઊભો થાય છે.

તો પછી, ધિક્કારને દૂર કરવાનું પહેલું પગથિયું કયું છે? એ છે વિચારોમાં પરિવર્તન લાવવું.

વિચારોમાં પરિવર્તન

જોહાન મેકગેરીએ અવલોક્યું કે, “લોકો પોતે જ પોતાનું વલણ બદલી શકે છે.” તો પછી કઈ રીતે લોકો પોતાનું વલણ બદલી શકે? અનુભવો બતાવે છે કે પરમેશ્વરનો શબ્દ, બાઇબલ લોકોને વલણ બદલવા સૌથી અસરકારક પ્રેરણા પૂરી પાડે છે. “કેમકે દેવનો શબ્દ જીવંત, સમર્થ તથા બેધારી તરવાર કરતાં પણ વિશેષ તીક્ષ્ણ છે, તે જીવ તથા આત્માને અને સાંધા તથા મજ્જાને જુદાં પાડે એટલે સુધી વીંધનારો છે, અને હૃદયના વિચારોને તથા ભાવનાઓને પારખનાર છે.”—હેબ્રી ૪:૧૨.

એ સાચું છે કે ભેદભાવ અને ધિક્કાર આપોઆપ કે રાતોરાત નાબૂદ થઈ શકતો નથી. પરંતુ એને નાબૂદ કરી શકાય છે. ઈસુ ખ્રિસ્ત લોકોના હૃદય અને મન પર ઊંડી અસર પહોંચાડી શક્યા, તેથી તેઓમાં બદલાણ આવ્યું હતું. આજે લાખો લોકોએ ઈસુ ખ્રિસ્તની આ સલાહ લાગુ પાડી છે: “તમે તમારા વૈરીઓ પર પ્રીતિ કરો, ને જેઓ તમારી પૂઠે લાગે છે તેઓને સારૂ પ્રાર્થના કરો.”—માત્થી ૫:૪૪.

માત્થી અગાઉ એક દાણી હતા તેથી યહુદીઓ તેમને ધિક્કારતા હતા. પરંતુ પછી તે ઈસુના શિક્ષણ પ્રમાણે ચાલતા હોવાથી, ઈસુના સૌથી ભરોસાપાત્ર મિત્રોમાંના એક બન્યા. (માત્થી ૯:૯; ૧૧:૧૯) એ ઉપરાંત ઈસુએ શુદ્ધ ભક્તિનો માર્ગ શરૂ કર્યો જેથી ત્યજાયેલા અને ધિક્કારવામાં આવેલા હજારો વિદેશીઓ એ અપનાવી શકે. (ગલાતી ૩:૨૮) એ સમયે આખા જગતમાંથી લોકો ખ્રિસ્તના અનુયાયીઓ બન્યા. (પ્રેરિતોનાં કૃત્યો ૧૦:૩૪, ૩૫) આ વ્યક્તિઓ તેઓના પ્રેમથી જાણીતા હતા. (યોહાન ૧૩:૩૫) ધિક્કારથી ભરાયેલા માણસોએ ઈસુના શિષ્ય સ્તેફનને પથ્થરે માર્યા ત્યારે, તેમના છેલ્લા શબ્દો આ પ્રમાણે હતા: “ઓ પ્રભુ, આ દોષ તેઓને માથે ન મૂક.” સ્તેફન તેમનો ધિક્કાર કરનારાઓનું ભલું ઇચ્છતા હતા.—પ્રેરિતોનાં કૃત્યો ૬:૮-૧૪; ૭:૫૪-૬૦.

આજે પણ સાચા ખ્રિસ્તીઓ ઈસુની સલાહ પ્રમાણે જીવે છે. તેઓ ફક્ત પોતાના ખ્રિસ્તી ભાઈઓને જ નહિ, પરંતુ તેઓને ધિક્કારનારા લોકો પર પણ પ્રેમ રાખે છે. (ગલાતી ૬:૧૦) તેઓ પોતાના હૃદયમાંથી ધિક્કાર કાઢી નાખવા સખત પ્રયત્ન કરે છે. વળી તેઓ જાણે છે કે, એક શક્તિશાળી વ્યક્તિ તેઓના હૃદયમાં ધિક્કારના બી વાવી શકે છે. તેથી, તેઓ ધિક્કારના બદલે પ્રેમના બી વાવવા સખત મહેનત કરે છે. હા, શાણા રાજા સુલેમાને કહ્યું તેમ, “દ્વેષથી ટંટા ઊભા થાય છે; પણ પ્રીતિ સર્વ અપરાધોને ઢાંકી દે છે.”—નીતિવચન ૧૦:૧૨.

પ્રેષિત યોહાને કહ્યું કે “જે કોઈ પોતાના ભાઈ પર દ્વેષ રાખે છે તે મનુષ્યઘાતક છે; અને તમે જાણો છો કે કોઈ મનુષ્યઘાતકમાં અનંતજીવન રહેતું નથી.” (૧ યોહાન ૩:૧૫) યહોવાહના સાક્ષીઓ પણ એ જ માને છે. તેથી, તેઓ સર્વ જાતિ, સંસ્કૃતિ અથવા કોઈ પણ ધર્મ અને દેશમાંથી આવતા લોકો સાથે હળીમળીને એક કુટુંબની માફક રહે છે.—સાથે આપેલું બૉક્સ જુઓ.

વેર-ઝેર નહિ હોય!

‘કદાચ’ તમે એમ કહી શકો કે ‘ફક્ત થોડા જ લોકો પોતાના હૃદયમાંથી ધિક્કારને દૂર કરી શક્યા છે. પરંતુ એનાથી કંઈ આખી પૃથ્વી પરથી ધિક્કાર એકદમ ઓછો થઈ જવાનો નથી.’ એ સાચુ છે કે તમારા હૃદયમાં ધિક્કાર ન હોય તોપણ, તમે એનો ભોગ બની શકો છો. તેથી આ મુશ્કેલીને જડમૂળથી દૂર કરવાનો ઇલાજ ફક્ત પરમેશ્વર પાસે જ હોવાથી, આપણે તેમની પાસે આશા રાખવી જોઈએ.

પરમેશ્વર જલદી જ આખી પૃથ્વી પરથી ધિક્કારનું નામનિશાન કાઢી નાખશે. એ તેમની સ્વર્ગીય સરકારના શાસન દરમિયાન બનશે, જેના વિષે ઈસુએ આપણને પ્રાર્થના કરતાં શીખવ્યું હતું: “ઓ આકાશમાંના અમારા બાપ, તારૂં નામ પવિત્ર મનાઓ; તારૂં રાજ્ય આવો; જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તારી ઇચ્છા પૂરી થાઓ.”—માત્થી ૬:૯, ૧૦.

એ પ્રાર્થના અનુસાર રાજ્ય આવશે ત્યારે ધિક્કારની પરિસ્થિતિ રહેશે નહિ. આજે ખોટી માહિતીના કારણે લોકો અજાણ હોય છે. પરંતુ ત્યારે એવું નહિ હોય, એના બદલે તેઓને પૂરતી માહિતી હશે, તેઓ સત્ય જાણનારા અને ન્યાયી હશે. ખરેખર, પરમેશ્વર ‘દરેક આંસુ લૂછી નાખશે. મરણ ફરીથી થનાર નથી તેમ જ શોક કે રૂદન કે દુઃખ ફરીથી થશે નહિ.’—પ્રકટીકરણ ૨૧:૧-૪.

એના કરતાં પણ સારા સમાચાર રહેલા છે! આજે આપણી પાસે એવા સચોટ પુરાવા છે કે, આપણે “છેલ્લા સમયમાં” જીવી રહ્યાં છીએ. વળી આપણે ખાતરી રાખી શકીએ કે, આ જગત પરથી જલદી જ દુષ્ટ પરિસ્થિતિ દૂર કરવામાં આવશે. (૨ તીમોથી ૩:૧-૫; માત્થી ૨૪:૩-૧૪) પરમેશ્વરે વચન આપેલા નવા જગતમાં, લોકો હળીમળીને રહેતા હશે કારણ કે લોકો પરમેશ્વરની ઇચ્છા પ્રમાણે જીવતા હશે.—લુક ૨૩:૪૩; ૨ પીતર ૩:૧૩.

પરંતુ તમારે એ સમય સુધી રાહ જોવાની જરૂર નથી. આ લેખ સાથે આપેલા અહેવાલ પ્રમાણે હકીકતમાં લોકો આજે હળીમળીને રહે છે. બતાવવામાં આવ્યું છે તેમ, હજારોના હૃદયમાં ધિક્કાર નહિ પણ ખ્રિસ્તી પ્રેમ જોવા મળે છે. આવો, તમે પણ તેઓમાંના એક ભાગ બનો!

[પાન ૫ પર બોક્સ]

“ઈ સુએ શું કર્યું હોત?”

જૂન ૧૯૯૮માં, ત્રણ ગોરાઓએ અમેરિકામાં રહેતા કાળા માણસ, જેમ્સ બર્ડ જુનિયર પર હુમલો કરી તેની ક્રૂર હત્યા કરી. પહેલા તેઓ તેને એકાંત જગ્યામાં લઈ ગયા અને ઢોર માર મારીને તેના પગ બાંધી દીધા. પછી ગાડી પાછળ બાંધીને પાંચ કિલોમીટર સુધી ઘસડી ગયા. છેવટે તે એક પાઈપ સાથે અથડાઈને મરણ પામ્યો. આ ૧૯૯૦ના દાયકામાં બનેલો સૌથી ભયંકર બનાવ હતો.

જેમ્સ બર્ડની ત્રણ બહેનો યહોવાહની સાક્ષી છે. આ ભયંકર બનાવ વિષે તેઓએ કેવું અનુભવ્યું? તેઓએ કહ્યું કે, “પોતાની પ્રિય વ્યક્તિ સાથે આવો ક્રૂર વ્યવહાર કરવામાં આવ્યો એનું દુઃખ અને ગુમાવવાની લાગણીનું વર્ણન કરવું ખૂબ મુશ્કેલ છે. આવી ક્રૂરતા આચરનારને શું કરવું જોઈએ? અમે દુશ્મનાવટ, કટુ વચનો કે બદલો લેવાનો વિચાર સુદ્ધાં અમારા મનમાં આવવા દીધો નહિ. કેમ કે અમે વિચાર્યું: ‘ઈસુએ શું કર્યું હોત? તે કેવી રીતે વર્ત્યા હોત?’ એનો પ્રત્યુત્તર સ્પષ્ટ હતો. તેમણે જરૂર શાંતિ અને આશાનો સંદેશો આપ્યો હોત.”

આ બહેનોને રૂમી ૧૨:૧૭-૧૯એ ધિક્કારની લાગણીઓ ન વિકસાવવા મદદ કરી. પ્રેષિત પાઊલે લખ્યું: “ભૂંડાઈને બદલે ભૂંડું ન કરો. . . . જો બની શકે, તો ગમે તેમ કરીને સઘળાં માણસોની સાથે હળીમળીને ચાલો. ઓ વહાલાઓ, તમે સામું વૈર ન વાળો, પણ દેવના કોપને સારૂ માર્ગ મૂકો; કેમકે લખેલું છે, કે પ્રભુ કહે છે, કે વૈર વાળવું એ મારૂં કામ છે; હું બદલો લઈશ.”

તેઓ આગળ કહે છે: “અમને આપણાં પ્રકાશનોમાં આપવામાં આવેલી બાબતો હજું પણ યાદ છે કે કોઈ વ્યક્તિ સાથે અન્યાય અને ભયંકર અપરાધ થાય ત્યારે એમ કહેવું કે ‘મેં તમને માફ કર્યા’ અને પછી ભૂલી જવું એ ઘણું જ અઘરું છે. કેમ કે એ સમયે મનમાં નફરત અને ગુસ્સાની આગ સળગતી હોય છે જે મન અને શરીર બંનેને નુકશાન પહોંચાડે છે. આથી ગુસ્સાને મનમાંથી કાઢી નાખીએ એ કેટલું સારું છે કેમ કે એનાથી સામેની વ્યક્તિને માફ કરવું સહેલું બને છે.” આમ, ધિક્કારને જડમૂળથી કાઢી નાખવામાં બાઇબલ કેવું અસરકારક સાબિત થયું!

[પાન ૬ પર બોક્સ]

દુશ્મનાવટ મિત્રતામાં ફેરવાઈ

તાજેતરનાં વર્ષોમાં, હજારો પરદેશીઓ કામ શોધવા ગ્રીસમાં આવ્યા છે. ત્યાં આર્થિક પરિસ્થિતિ ખૂબ જ કથળી ગઈ હોવાથી નોકરી મેળવવી અઘરું બની ગયું છે. તેથી રોજગાર મેળવવા સખત સંઘર્ષ કરવો પડે છે. પરિણામે, વિવિધ જાતિના લોકો વચ્ચે કટ્ટર દુશ્મનાવટ થઈ છે. એનું એક ઉદાહરણ, આલ્બેનિયા અને બલ્ગેરિયામાંથી આવેલા પરદેશીઓ છે. ગ્રીસના ઘણા વિસ્તારોમાં, આ બે વૃંદના લોકો વચ્ચે નોકરી મેળવવા તીવ્ર હરીફાઈ ચાલે છે.

ગ્રીસના પેલોપોન્‍નીસોસ રાજ્યમાં ઉત્તરપૂર્વે કિટો શહેર આવેલું છે. ત્યાં એક આલ્બેનિયન કુટુંબ અને બલ્ગેરિયન માણસે યહોવાહના સાક્ષીઓ સાથે બાઇબલ અભ્યાસ કરવાનું શરૂ કર્યું, પછી તેઓ એકબીજાને સારી રીતે ઓળખતા થયા. બાઇબલ સિદ્ધાંતોને જીવનમાં લાગુ પાડવાના કારણે આ બે વૃંદોમાંથી આવેલી આ વ્યક્તિઓ વચ્ચે વર્ષોથી ચાલતી દુશ્મનાવટ મિત્રતામાં પરિણમી. બલ્ગેરિઅન ઈવાને આલ્બેનિયન લૂલિસને પોતાના ઘર નજીક રહેઠાણ શોધવા માટે પણ મદદ કરી. આ બે કુટુંબો અવારનવાર એકબીજાની સાથે ખોરાક અને અમુક ભૌતિક વસ્તુઓની આપ-લે કરે છે. હવે તેઓ બંને યહોવાહના સાક્ષીઓના બાપ્તિસ્મા પામેલા ભાઈઓ છે અને સાથે સુસમાચારનો પ્રચાર કરે છે. નિઃશંક, આ બે ખ્રિસ્તીઓની મિત્રતા લોકોના ધ્યાન બહાર ગઈ નહિ.

[પાન ૭ પર ચિત્ર]

પરમેશ્વરના રાજ્યમાં પૃથ્વી પર કોઈ પ્રકારનો ધિક્કાર હશે નહિ