સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

વાંચન અને અભ્યાસ માટે સમય કાઢો

વાંચન અને અભ્યાસ માટે સમય કાઢો

વાંચન અને અભ્યાસ માટે સમય કાઢો

“સમયનો સદુપયોગ કરો, કેમકે દહાડા ભૂંડા છે.”—એફેસી ૫:૧૬.

૧. શા માટે સમયનો સદુપયોગ કરવો જોઈએ, અને એ આપણા વિષે શું બતાવશે?

 “સમયનો સદુપયોગ કરો,” એમ કહેવામાં આવે છે. કોઈ પણ કામ કરવાનું હોય, એનો નક્કી સમય ગોઠવી, સમયનો સારો ઉપયોગ કરીએ તો, ઘણું કરી શકાશે. રાજા સુલેમાને લખ્યું: “પૃથ્વી ઉપર દરેક બાબતને માટે ઋતુ, અને દરેક પ્રયોજનને માટે વખત હોય છે.” (સભાશિક્ષક ૩:૧) આપણને બધાને સરખો જ સમય હોય છે; એનો કઈ રીતે ઉપયોગ કરવો એ આપણા પર રહેલું છે. આપણા જીવનમાં જેને પ્રથમ મૂકીએ, અને જેને વધારે સમય આપીએ, એના પરથી દેખાઈ આવશે કે આપણને શું ગમે છે.—માત્થી ૬:૨૧.

૨. (ક) ઈસુએ પહાડ પરના પ્રવચનમાં આત્મિક જરૂરિયાત વિષે શું કહ્યું? (ખ) પોતાને વિષે શું તપાસવું જોઈએ?

જીવવા માટે આપણે ખાવા અને ઊંઘવાનો સમય કાઢવો જ પડે છે. પરંતુ, આત્મિક જરૂરિયાતો વિષે શું? આપણે જાણીએ છીએ કે, એ માટે પણ કંઈક કરવું જ જોઈએ. ઈસુએ પહાડ પરના પ્રવચનમાં કહ્યું: “પોતાની આત્મિક જરુરિયાત જાણનાર લોકોને ધન્ય છે.” (માત્થી ૫:૩, પ્રેમસંદેશ) તેથી, “વિશ્વાસુ તથા બુદ્ધિમાન ચાકર” વારંવાર યાદ દેવડાવે છે કે, બાઇબલ વાંચન અને અભ્યાસ માટે સમય કાઢવો ખૂબ જ જરૂરી છે. (માત્થી ૨૪:૪૫) બાઇબલ વાંચન અને અભ્યાસ ખૂબ જરૂરી છે, એ તમને ખબર હોય શકે. પરંતુ તમને લાગે કે, મારી પાસે સમય જ ક્યાં છે. એમ હોય તો, ચાલો આપણે જોઈએ કે બાઇબલ વાંચન, અભ્યાસ અને મનન માટે કઈ રીતે સમય કાઢી શકાય.

“સમયનો સદુપયોગ કરો”

૩, ૪. (ક) સમયના સદુપયોગ વિષે પ્રેષિત પાઊલે કઈ સલાહ આપી, અને એમાં શું સમાયેલું છે? (ખ) “સમયનો સદુપયોગ કરો” એવી પાઊલની સલાહનો શું અર્થ થાય છે?

આપણે જે સમયમાં જીવીએ છીએ, એ ધ્યાનમાં લેતાં, પ્રેષિત પાઊલની સલાહ પ્રમાણે ચાલીએ: “કાળજીપૂર્વક સંભાળ રાખો કે તમે નિર્બુદ્ધની પેઠે નહિ, પણ ડાહ્યા માણસની પેઠે, ચાલો; સમયનો સદુપયોગ કરો, કેમકે દહાડા ભૂંડા છે. એ માટે અણસમજુ ન થાઓ, પણ પ્રભુની ઇચ્છા શી છે તે સમજો.” (એફેસી ૫:૧૫-૧૭) આ સલાહમાં આપણા જીવનના દરેક પાસાંનો સમાવેશ થાય છે. એટલે કે, પ્રાર્થના, અભ્યાસ, સભાઓ તથા પૂરેપૂરી રીતે “રાજ્યના સુસમાચાર” પ્રચાર કરવો.—માત્થી ૨૪:૧૪; ૨૮:૧૯, ૨૦.

આજે ઘણા યહોવાહના સેવકોને બાઇબલ વાંચન અને અભ્યાસ માટે સમય કાઢવો અઘરું લાગે છે. એ સાચું છે કે, આપણે દિવસના કલાક વધારી શકતા નથી, એટલે પાઊલની સલાહનો અર્થ કંઈક જુદો જ હોવો જોઈએ. “સમયનો સદુપયોગ કરો,” એનો ગ્રીકમાં એવો અર્થ થાય કે, એકના ભોગે બીજાને માટે સમય કાઢવો. ડબલ્યુ. ઈ. વાઇન પોતાની એક ડિક્શનરીમાં આ અર્થ આપે છે: “દરેક તકનો પૂરો લાભ લો, કારણ કે વીતી ગયેલો સમય ક્યારેય પાછો આવતો નથી.” તેથી, આપણે બાઇબલ વાંચવા અને અભ્યાસ કરવા કઈ રીતે સમયનો સદુપયોગ કરી શકીએ?

મહત્ત્વનું કામ પ્રથમ મૂકો

૫. શા માટે અને કઈ રીતે આપણે ‘જે શ્રેષ્ઠ છે તે પારખી લઈએ’?

આપણને બીજા બધા કામ સિવાય આત્મિક જવાબદારી પણ હોય છે. યહોવાહના સેવક તરીકે, આપણે ‘પ્રભુના કામમાં સદા મચ્યા’ રહેવાનું છે. (૧ કોરીંથી ૧૫:૫૮) તેથી, પ્રેષિત પાઊલે ફિલિપીના ભાઈઓને કહ્યું કે, “જે શ્રેષ્ઠ છે તે તમે પારખી લો.” (ફિલિપી ૧:૧૦) બીજા શબ્દોમાં, જે મહત્ત્વનું છે તે પ્રથમ મૂકો. આપણે હંમેશા યહોવાહ પરમેશ્વરની સેવા પ્રથમ રાખીએ. (માત્થી ૬:૩૧-૩૩) છતાં, આપણી ભક્તિને લગતી બાબતોમાં પણ સમતોલન જરૂરી છે. આપણી સેવામાં આપણે કઈ રીતે સમય વાપરીએ છીએ? સરકીટ નિરીક્ષકોનું કહેવું છે કે, ‘જે શ્રેષ્ઠ છે તે પારખી લેવામાં,’ આપણે બાઇબલ વાંચન અને એનો અભ્યાસ કરવા પર વધારે ધ્યાન આપવાની જરૂર છે.

૬. નોકરી-ધંધો કે ઘરકામમાંથી સમય કાઢવા શું કરવું જોઈએ?

આપણે જોયું તેમ, સમયનો સદુપયોગ કરવાનો અર્થ થાય કે, “દરેક તકનો પૂરો લાભ લેવો.” તેથી, બાઇબલ વાંચન અને અભ્યાસ કરવો હોય પણ થતો ન હોય તો, આપણે પોતે તપાસવાની જરૂર છે કે, સમય ક્યાં સરકી જાય છે. નોકરી કે ધંધો આપણો વધુ પડતો સમય અને શક્તિ લઈ લેતા હોય તો, એ વિષે યહોવાહને પ્રાર્થના કરો. (ગીતશાસ્ત્ર ૫૫:૨૨) કદાચ આપણે એવા ફેરફારો કરી શકીશું, જેનાથી યહોવાહની ભક્તિને લગતી મહત્ત્વની બાબતો માટે આપણને વધારે સમય મળે, જેમાં બાઇબલ વાંચન અને અભ્યાસનો સમાવેશ થાય છે. એમ કહેવાય છે કે સ્ત્રીનું કામ કદી ખૂટતું નથી. તેથી, બહેનોએ પણ જે મહત્ત્વનું છે, એ પ્રથમ મૂકતા શીખવું જોઈએ. જેથી, બાઇબલ વાંચન અને અભ્યાસ કરવા ચોક્કસ સમય કાઢી શકે.

૭, ૮. (ક) વાંચન અને અભ્યાસ કરવા કઈ રીતે સમયનો સદુપયોગ કરી શકીએ? (ખ) મનોરંજનનો હેતુ શું છે, અને એ યાદ રાખવાથી આપણને કઈ રીતે મદદ મળશે?

આપણે સર્વ બિનજરૂરી કામોમાં વપરાતા સમયનો ઉપયોગ અભ્યાસ માટે કરી શકીએ. આપણે પોતાને આ પૂછી શકીએ: ‘હું છાપું કે દુન્યવી મેગેઝીનો વાંચવામાં, ટીવી જોવામાં, સંગીત સાંભળવામાં કે વિડીયોની રમતો રમવામાં કેટલો સમય ગાળું છું? શું હું બાઇબલ વાંચવા કરતાં વધારે સમય કૉમ્પ્યુટર વાપરવામાં ગાળું છું?’ પાઊલ કહે છે કે, “અણસમજુ ન થાઓ, પણ પ્રભુ [યહોવાહ]ની ઇચ્છા શી છે તે સમજો.” (એફેસી ૫:૧૬, ૧૭) ઘણા ભાઈ-બહેનો ટીવી ઘણું જોતા હોય છે. તેથી, તેઓ પાસે બાઇબલ વાંચન અને અભ્યાસ માટે પૂરતો સમય હોતો નથી.—ગીતશાસ્ત્ર ૧૦૧:૩; ૧૧૯:૩૭, ૪૭, ૪૮.

કોઈ કહેશે કે, આપણે આરામની પણ જરૂર હોય છે, હંમેશા અભ્યાસ કરી શકાય નહિ. એ ખરું છે. પરંતુ, કેમ નહિ કે આપણે બાઇબલ વાંચન અને અભ્યાસ કરવા, તથા આરામ કે મનોરંજન પાછળ જે સમય કાઢીએ છીએ, એ સરખાવીએ? એ પરિણામ આઘાત આપી શકે. જો કે મનોરંજન અને આરામની જરૂર છે, પણ એ જ બધુ નથી. એનો હેતુ આપણને તાજગી આપવાનો છે, જેથી આપણે આત્મિક કાર્યમાં વધારે ભાગ લઈ શકીએ. પરંતુ, ઘણા ટીવી કાર્યક્રમ અને વિડીયોની રમતો થકવી નાખે છે. જ્યારે કે બાઇબલનું વાંચન અને અભ્યાસ તાજગી આપે છે.—ગીતશાસ્ત્ર ૧૯:૭, ૮.

અમુક ઉદાહરણો

૯. દરરોજ શાસ્ત્રવચનો તપાસવાં—૧૯૯૯ની સલાહથી કયા લાભ થશે?

દરરોજ શાસ્ત્રવચનો તપાસવાં, ૧૯૯૯ની પુસ્તિકા શરૂઆતમાં આમ કહે છે: ‘દરરોજ સવારે આ પુસ્તિકામાંથી શાસ્ત્રવચન અને ટીકા વિચારવાથી ઘણો લાભ થશે. તમે લાગશે કે જાણે મહાન શિક્ષક, યહોવાહ પોતાનાં શિક્ષણથી તમને જગાડે છે. એક ભવિષ્યવાણી જણાવે છે કે, દરરોજ સવારે ઈસુ ખ્રિસ્ત જાણે યહોવાહ પરમેશ્વરના શિક્ષણથી લાભ લે છે: “તે [યહોવાહ] દર સવારે મને જાગૃત કરે છે, તે મારા કાનને જાગૃત કરે છે કે હું ભણેલાની પેઠે સાંભળું.” એવા શિક્ષણે ઈસુને “ભણેલાની જીભ આપી.” જેથી, તે ‘થાકેલાઓને શબ્દથી આશ્વાસન આપે.’ (યશા. ૩૦:૨૦; ૫૦:૪; માત્થી ૧૧:૨૮-૩૦) દરરોજ સવારે પરમેશ્વરના વચનો વાંચીને સલાહ લેવાથી, ફક્ત તમને જ મુશ્કેલીઓ સહન કરવા મદદ નહિ મળે, પણ બીજાને મદદ કરવા તમને “ભણેલાની જીભ” મળશે.” *

૧૦. અમુક જણ બાઇબલ વાંચન અને અભ્યાસ માટે કઈ રીતે સમય કાઢે છે, અને કયા લાભો થાય છે?

૧૦ એ સલાહ પ્રમાણે, ઘણા ભાઈ-બહેનો દરરોજ સવારે શાસ્ત્રવચન અને ટીકા વાંચ્યા પછી બાઇબલ વાંચન અથવા અભ્યાસ કરે છે. ફ્રાંસની એક પાયોનિયર બહેન વર્ષોથી દરરોજ સવારે વહેલા ઊઠીને ૩૦ મિનિટ બાઇબલ વાંચન કરે છે. એ બહેન વર્ષોથી કઈ રીતે આમ કરી શક્યા? તે કહે છે: “મને બાઇબલ વાંચવાની હોંશ છે, અને ભલે ગમે એ થાય, હું ગોઠવેલા સમયને વળગી રહું છું!” આપણે ભલે ગમે એ સમય પસંદ કરીએ, મહત્ત્વનું એ છે કે, એને વળગી રહીએ. ભાઈ રેના મીકા, યુરોપ અને ઉત્તર આફ્રિકામાં ૪૦ વર્ષોથી પાયોનિયર સેવા કરી રહ્યા છે. તે કહે છે: “વર્ષ ૧૯૫૦થી મારો ધ્યેય છે કે દર વર્ષે આખું બાઇબલ વાંચી જવું. હું હમણાં સુધી ૪૯ વખત એમ કરી શક્યો છું. હું માનું છું કે, ઉત્પન્‍નકર્તા સાથે મિત્રતા જાળવી રાખવા એ ખૂબ જ અગત્યનું છે. બાઇબલ પર મનન કરવાથી હું યહોવાહનો ન્યાય અને તેમના બીજા ગુણો સારી રીતે સમજી શક્યો છું, જે મને ખૂબ જ હિંમત આપે છે.” *

“યોગ્ય સમયે અન્‍ન”

૧૧, ૧૨. (ક) ‘વિશ્વાસુ કારભારી’ કયું “અન્‍ન” પૂરું પાડે છે? (ખ) કઈ રીતે યોગ્ય સમયે “અન્‍ન,” પરમેશ્વરનું જ્ઞાન આપવામાં આવે છે?

૧૧ નિયમિત રીતે ખાવાથી આપણે તંદુરસ્ત રહીએ છીએ તેમ, નિયમિત બાઇબલ વાંચન અને અભ્યાસથી આપણે વિશ્વાસમાં દૃઢ રહીશું. લુકના પુસ્તકમાં ઈસુ કહે છે: “જેને તેનો ધણી પોતાનાં ઘરનાંઓને યોગ્ય સમયે અન્‍ન આપવા સારૂ પોતાના ઘર પર ઠરાવશે એવો વિશ્વાસુ તથા શાણો કારભારી કોણ છે?” (લુક ૧૨:૪૨) લગભગ ૧૨૦ વર્ષોથી, ચોકીબુરજ અને બાઇબલ આધારિત બીજા પ્રકાશનો દ્વારા “યોગ્ય સમયે અન્‍ન,” પરમેશ્વરનું જ્ઞાન પૂરું પાડવામાં આવી રહ્યું છે.

૧૨ “યોગ્ય સમયે” શબ્દોની નોંધ લો. યોગ્ય સમયે, આપણા “મહાન ઉત્પન્‍નકર્તા” યહોવાહ, પોતાના પુત્ર અને ચાકર વર્ગ દ્વારા પોતાના લોકોને માન્યતાઓ અને આચરણો વિષે દોરવણી આપે છે. એ જાણે કે “તમે જમણી તરફ કે ડાબી તરફ ફરો, ત્યારે તમારા કાનો તમારી પછવાડેથી એવી વાત આવતી સાંભળશે, કે માર્ગ આ છે, તે પર તમે ચાલો.” (યશાયાહ ૩૦:૨૦, ૨૧) વળી, આપણે બાઇબલ અને એના પરના પ્રકાશનો ધ્યાનથી વાંચીએ ત્યારે, એવું લાગે છે કે, ‘એ સલાહ-સૂચનો તો મને જ લાગુ પડે છે.’ ખરું, યોગ્ય સમયે આપણને પરમેશ્વરની સલાહ અને દોરવણી મળે છે, જેથી આપણે લાલચનો સામનો કરીએ અને ખરા નિર્ણય લઈએ.

અભ્યાસની સારી ટેવ રાખો

૧૩. પરમેશ્વરનું જ્ઞાન લેવાની ખોટી ટેવો કઈ છે?

૧૩ યોગ્ય સમયે મળતા પરમેશ્વરના જ્ઞાનનો પૂરો લાભ લેવા, આપણે અભ્યાસની સારી ટેવ પાડવી જોઈએ. તેથી, નિયમિત બાઇબલ વાંચન અને અભ્યાસનો સમય નક્કી કરીને એને વળગી રહો. કેટલાક લોકો સારી રીતે જમવાને બદલે મન ફાવે એ ખાય છે, અથવા તો ભોજન લેવાનું જ ચૂકી જાય છે. શું તમને નિયમિત રીતે યહોવાહનું જ્ઞાન લઈને, ઊંડો અભ્યાસ કરવાની ટેવ છે, કે પછી કાળજીથી તૈયાર કરવામાં આવેલાં પ્રકાશનો તમે ફક્ત ઉપરછલ્લી રીતે જ વાંચો છો? પરમેશ્વરનું જ્ઞાન લેવાની સારી ટેવ ન હોવાથી, કેટલાક વિશ્વાસમાં નબળા પડી ગયા છે, કેટલાક તો સાવ વિશ્વાસ ગુમાવી બેઠા છે.—૧ તીમોથી ૧:૧૯; ૪:૧૫, ૧૬.

૧૪. જાણીતી માહિતીનો પણ શા માટે કાળજીથી અભ્યાસ કરવો જોઈએ?

૧૪ કેટલાકને એમ લાગે કે તેઓને બાઇબલના મૂળ સિદ્ધાંતો ખબર છે, અને દરેક લેખમાં કંઈ નવું જાણવા મળતું નથી. તેથી તેઓને ઊંડો અભ્યાસ કરવાની કે દરેક સભાઓમાં જવાની જરૂર જણાતી નથી. છતાં, બાઇબલ બતાવે છે કે આપણે શીખ્યા હોય, એ યાદ કરાવવું જરૂરી છે. (ગીતશાસ્ત્ર ૧૧૯:૯૫, ૯૯; ૨ પીતર ૩:૧; યહુદા ૫) એક રસોઈયો જેમ મસાલો વાપરીને જુદી જુદી રીતે સ્વાદિષ્ટ વાનગી બનાવે, એમ ચાકર વર્ગ પણ આપણા ભલા માટે પરમેશ્વરનું જ્ઞાન જુદી જુદી રીતે પૂરું પાડે છે. કેટલાક લેખો એવા હોય શકે, જેના પર વારંવાર ચર્ચા થઈ હોય. છતાં, એમાં એવા ઘણા મુદ્દાઓ છે, જે આપણે ચૂકી જવા માંગતા નથી. ખરેખર, આપણે એનો અભ્યાસ કરવા જેટલી મહેનત કરીશું, એટલો જ લાભ આપણે મેળવીશું.

વાંચન અને અભ્યાસથી થતા લાભો

૧૫. બાઇબલ વાંચન અને અભ્યાસ કઈ રીતે આપણને પરમેશ્વરના વધારે સારા સેવક બનાવશે?

૧૫ બાઇબલ વાંચન અને અભ્યાસથી આપણને અનેક લાભ થાય છે. એનાથી આપણને પરમેશ્વરના એવા સેવક બનવા મદદ મળે છે, જેને “શરમાવાનું કંઈ કારણ ન હોય એવી રીતે કામ કરનાર સત્યનાં વચન સ્પષ્ટતાથી સમજાવનાર” હોય. (૨ તીમોથી ૨:૧૫) આપણે બાઇબલ જેટલું વધારે વાંચીશું અને અભ્યાસ કરીશું, એટલું જ વધારે આપણું મન યહોવાહના વિચારોથી ભરાશે. પછી આપણે પણ પાઊલની જેમ, યહોવાહના સત્ય વિષે ‘ધર્મશાસ્ત્રમાંથી સાબિતી આપીને લોકોને’ સમજાવી શકીશું. (પ્રેરિતોનાં કૃત્યો ૧૭:૨, ૩) આપણી વાતચીત, વાર્તાલાપ, શીખવવાની કળા સુધરશે અને વધારે ઉત્તેજન આપનારી બનશે.—નીતિવચન ૧:૫.

૧૬. બાઇબલ વાંચન અને અભ્યાસથી કઈ રીતે લાભ થઈ શકે?

૧૬ વળી, બાઇબલ અભ્યાસમાં વધારે સમય કાઢવાથી આપણને યહોવાહના માર્ગ પ્રમાણે જીવવા વધારે મદદ મળશે. (ગીતશાસ્ત્ર ૨૫:૪; ૧૧૯:૯, ૧૦; નીતિવચન ૬:૨૦-૨૩) તેમ જ, એ આપણામાં નમ્રતા, વફાદારી, અને આનંદ જેવા સદ્‍ગુણો વધારશે. (પુનર્નિયમ ૧૭:૧૯, ૨૦; પ્રકટીકરણ ૧:૩) બાઇબલનું જ્ઞાન જીવનમાં લાગુ પાડીએ ત્યારે, આપણે પરમેશ્વરના પવિત્ર આત્માની મદદનો આનંદ માણીશું. જેથી, આપણે આત્માના ફળો ભરપૂર રીતે વધારી શકીશું.—ગલાતી ૫:૨૨, ૨૩.

૧૭. કઈ રીતે યહોવાહ સાથેની આપણી મિત્રતા બાઇબલ વાંચન અને અભ્યાસ પર આધારિત છે?

૧૭ વધુ મહત્ત્વની વાત એ કે, બિનજરૂરી કામોમાંથી બચાવેલા સમયમાં બાઇબલ વાંચન અને અભ્યાસ કરવાથી પરમેશ્વર સાથે આપણી મિત્રતા વધશે. પાઊલે પ્રાર્થના કરી કે, સર્વ ભાઈ-બહેનો “આત્મિક સમજણ તથા બુદ્ધિમાં દેવની ઇચ્છાના જ્ઞાનથી ભરપૂર” થાય. જેથી, બધા “પૂર્ણ રીતે પ્રભુને પ્રસન્‍ન કરવાને સારૂ યોગ્ય રીતે” વર્તે. (કોલોસી ૧:૯, ૧૦) એ જ રીતે, પરમેશ્વર યહોવાહના સેવક બનવા, આપણે પણ “આત્મિક સમજણ તથા બુદ્ધિમાં દેવની ઇચ્છાના જ્ઞાનથી ભરપૂર” થવું જોઈએ. સ્પષ્ટ છે કે, યહોવાહનો આશીર્વાદ અને કૃપા મળે એનો આધાર આપણા પર છે કે, આપણે કઈ રીતે અને કેટલું બાઇબલ વાંચન તથા અભ્યાસ કરીએ છીએ.

૧૮. યોહાન ૧૭:૩ પ્રમાણે જીવીશું તો, આપણને કયા આશીર્વાદો મળશે?

૧૮ “અનંતજીવન એ છે કે તેઓ તને એકલા ખરા દેવને તથા ઈસુ ખ્રિસ્ત જેને તેં મોકલ્યો છે તેને ઓળખે.” (યોહાન ૧૭:૩) આ શાસ્ત્રવચનથી યહોવાહના સાક્ષીઓ લોકોને જણાવે છે કે પરમેશ્વરનાં વચનનો અભ્યાસ કરવો કેટલું મહત્ત્વનું છે. તો પછી આપણા દરેકે પણ એમ જ કરવું કેટલું વધારે મહત્ત્વનું છે! હંમેશ માટેના જીવનની આપણી આશા પણ યહોવાહ અને તેમના પુત્રના જ્ઞાનમાં વધવા પર આધાર રાખે છે. તમે કદી વિચાર્યું છે કે એનો અર્થ શું થાય! યહોવાહ પરમેશ્વર વિષે આપણે બધું જ શીખી લઈશું નહિ, એટલે આપણે હંમેશ માટે જીવીને વધારેને વધારે શીખતા જ રહીશું!—સભાશિક્ષક ૩:૧૧; રૂમી ૧૧:૩૩.

[ફુટનોટ્‌સ]

^ વૉચટાવર બાઇબલ ઍન્ડ ટ્રૅક્ટ સોસાયટી દ્વારા પ્રકાશિત.

^ મે ૧, ૧૯૯૫ના ચોકીબુરજના પાન ૨૦-૧ પરનો લેખ, ‘તેઓ ક્યારે વાંચે છે અને કયા લાભ થાય છે,’ જુઓ.

ફરીથી યાદ કરો

• આપણે જે રીતે સમય વાપરીએ છીએ એ શું બતાવશે?

• બાઇબલ વાંચન અને અભ્યાસ માટે કેવા બિનજરૂરી કામોમાંથી સમય કાઢી શકાય?

• શા માટે આપણે અભ્યાસની સારી ટેવ પાડવી જોઈએ?

• બાઇબલ વાંચન અને અભ્યાસથી કયા લાભો થઈ શકે?

[અભ્યાસ પ્રશ્નો]

[પાન ૨૦, ૨૧ પર ચિત્રો]

નિયમિત બાઇબલ વાંચન અને અભ્યાસ આપણને ‘સત્યનાં વચન સ્પષ્ટતાથી સમજાવનાર’ બનાવશે

[પાન ૨૩ પર ચિત્રો]

યહોવાહની ભક્તિ જીવનમાં પ્રથમ મૂકવાથી આપણને ઘણા આશીર્વાદો મળશે