સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

બાઇબલને ચાહનારાઓ અને ધિક્કારનારાઓ

બાઇબલને ચાહનારાઓ અને ધિક્કારનારાઓ

બાઇબલને ચાહનારાઓ અને ધિક્કારનારાઓ

“હું ઇચ્છું છું કે પવિત્ર શાસ્ત્ર બધી જ ભાષાઓમાં હોવું જોઈએ,” સોળમી સદીના પંડિત ડેસિડેરિયસ ઈરેસ્મસે લખ્યું.

ઈરેસ્મસની તીવ્ર ઇચ્છા હતી કે, દરેક વ્યક્તિ પોતાની ભાષામાં બાઇબલ વાંચી અને સમજી શકે. પરંતુ બાઇબલના દુશ્મનોએ એનો ખૂબ જ વિરોધ કર્યો. જોકે ત્યારે યુરોપમાં બહુ જ ખરાબ સમય હતો. એ સમયે, બાઇબલમાં શું લખેલું છે એ જાણવાની કોઈને ઉત્સુકતા જાગે અને તે વાંચવાનું શરૂ કરે તો તેને શિક્ષા થતી. ઇંગ્લૅંન્ડની વિધાનસભાએ કાયદો બહાર પાડ્યો હતો કે “અંગ્રેજીમાં જો કોઈ બાઇબલ વાંચે તો, તેમની જમીન, ઢોરઢાંક અને મિલકત લઈ લેવામાં આવશે. . . . અથવા તેઓને માફ કર્યા પછી પણ જો તેઓ જિદ્દી થઈને એમ કરતા રહે તો, તેઓને રાજાની વિરુદ્ધ રાજદ્રોહ કરવા બદલ ફાંસીની સજા થશે, અને પરમેશ્વરનો ધિક્કાર કરવા બદલ તેઓને બાળી નાખવામાં આવશે.”

“યુરોપમાં “નાસ્તિકોને” અને ફ્રેન્ચ વૉલ્ડેનસીસ પંથના લોકોને કૅથલિક ધર્મગુરુઓ મન ફાવે તેમ રિબાવી રિબાવીને મારી નાખતા હતા. કેમ કે ફ્રેન્ચ વૉલ્ડેનસીસ લોકો બાઇબલમાંથી પ્રચાર કરતા હતા. . . . ત્યાં પ્રતિબંધ હોવાથી તેઓ પવિત્ર શાસ્ત્રમાંથી પ્રચાર કરી શકતા ન હતા કે શીખવી પણ શકતા ન હતા.” અસંખ્ય સ્ત્રી-પુરુષોને બાઇબલ પ્રત્યે પ્રેમ હોવાથી તેઓ પોતાનાં બાળકોને દસ આજ્ઞાઓ, તેમ જ પરમેશ્વરને પ્રાર્થના કરતા શીખવતા. એ માટે તેઓને ભયંકર દુઃખ અને મરણ સહન કરવું પડ્યું હતું.

જોકે ઘણા લોકો ઉત્તર અમેરિકા રહેવા ગયા તેમ બાઇબલ પ્રત્યેનો તેઓનો પ્રેમ ઠંડો થયો ન હતો. અમેરિકામાં લોકો શરૂઆતમાં વસવા લાગ્યા ત્યારે, “ધર્મ અને વાંચન એકબીજા સાથે ગાઢ રીતે સંકળાયેલું હતું. તેમ જ તેઓની સંસ્કૃતિ પણ તદ્દન બાઇબલ પર આધારિત હતી.” લોકોનું જીવન અને ભક્તિ માટેની તીવ્ર ઇચ્છાનો ઇતિહાસ (અંગ્રેજી) પુસ્તક એમ કહે છે. હકીકતમાં, ૧૭૬૭માં બોસ્ટનમાં એક ઉપદેશ છાપામાં આવ્યો હતો, જેમાં આમ ભલામણ કરવામાં આવી હતી: “પવિત્ર શાસ્ત્રવચન વાંચવામાં ખંતીલા બનો. દરરોજ સવાર-સાંજ તમારે બાઇબલમાંથી એક પ્રકરણ વાંચવું જ જોઈએ.”

વેન્ચુરા, કૅલિર્ફોર્નિયાના એક બરના સંશોધન વૃંદ અનુસાર, અમેરિકાના ૯૦ ટકાથી વધુ લોકો પાસે સરેરાશ ત્રણ બાઇબલ હોય છે. એક તાજેતરના અભ્યાસ પ્રમાણે ત્યાં હજુ પણ બાઇબલને આદર આપવામાં આવે છે. છતાં, “પહેલાંની જેમ . . . એ હવે વાંચવામાં, કે અભ્યાસ કરીને લાગુ પાડવામાં આવતું નથી.” મોટા ભાગના લોકોને ફક્ત એનું ઉપરછલ્લું જ્ઞાન હોય છે. એક છાપાના કટાર લેખકે જણાવ્યું: “[બાઇબલ] આજની મુશ્કેલીઓ દૂર કરવા મદદ કરી શકે છે એવું લોકો વિચારી શકતા નથી.”

લોકોનું માનવું છે

આજે લોકો માને છે કે, ફક્ત આપણી સમજશક્તિથી અને સહકારથી જીવનની મુશ્કેલીઓ દૂર થઈ શકે છે. તેઓ માને છે કે બાઇબલમાં ફક્ત અમુક લોકોના અનુભવો અને તેઓના ધાર્મિક વિચારો છે, જેમાં બધી હકીકત અને સત્યતા નથી.

તો પછી મોટા ભાગના લોકો કઈ રીતે જીવનની મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે? તેઓ ધાર્મિક રીતે અંધકારમાં, તેમ જ નૈતિક અને ધાર્મિક માર્ગદર્શન વગરના છે. તેઓ જાણે કે વહાણમાં સુકાન વગરના છે, અને “માણસોની ઠગાઈથી, ભ્રમણામાં નાખવાની કાવતરાંભરેલી યુક્તિથી, દરેક ભિન્‍ન ભિન્‍ન મતરૂપી પવનથી ડોલાં ખાનારા તથા આમતેમ ફરનારા” બન્યા છે.—એફેસી ૪:૧૪.

તેથી આપણે વિચારવું જોઈએ કે શું બાઇબલ ફક્ત એક સામાન્ય પુસ્તક છે? કે પછી એ ખરેખર પરમેશ્વર તરફથી વ્યવહારું અને મહત્ત્વની માહિતી પૂરી પાડે છે? (૨ તીમોથી ૩:૧૬, ૧૭) શું આપણે બાઇબલ વાંચવું જોઈએ? હવે પછીનો લેખ આ પ્રશ્નોના જવાબ આપશે.

[પાન ૩ પર ચિત્ર]

ડેસિડેરિયસ ઈરેસ્મસ

[ક્રેડીટ લાઈન]

From the book Deutsche Kulturgeschichte

[પાન ૪ પર ચિત્ર]

વૉલ્ડેનસીસ પંથના લોકો પવિત્ર શાસ્ત્રમાંથી પ્રચાર કરતા હોવાથી તેઓની સતાવણી કરવામાં આવી

[ક્રેડીટ લાઈન]

Stichting Atlas van Stolk, Rotterdam