સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

શું તમે “સમયનો સદુપયોગ કરો” છો?

શું તમે “સમયનો સદુપયોગ કરો” છો?

શું તમે “સમયનો સદુપયોગ કરો” છો?

પ્રેષિત પાઊલે પ્રથમ સદીના એફેસીઓના મંડળને સલાહ આપી: “કાળજીપૂર્વક સંભાળ રાખો કે તમે નિર્બુદ્ધની પેઠે નહિ, પણ ડાહ્યા માણસની પેઠે, ચાલો; સમયનો સદુપયોગ કરો, કેમકે દહાડા ભૂંડા છે.” (એફેસી ૫:૧૫, ૧૬) શા માટે આ સલાહ જરૂરી હતી? આનો જવાબ પ્રાચીન એફેસસના ખ્રિસ્તીઓ જે પરિસ્થિતિનો સામનો કરતા હતા એ વિષે જાણવાથી મળે છે.

એફેસસ શહેર પુષ્કળ ધન-દોલત, ઘોર અનૈતિકતા અને અપરાધ તથા પિશાચી કાર્યો માટે કુખ્યાત હતું. વધુમાં, ત્યાંના ખ્રિસ્તીઓએ સમય વિષે તત્ત્વજ્ઞાનીઓની માન્યતાઓ સામે સંઘર્ષ કરવાનો હતો. બિનખ્રિસ્તી ગ્રીકો એમ માનતા ન હતા કે સમય એક જ દિશામાં જઈ રહ્યો છે. ગ્રીક ફિલસૂફીએ તેઓને શીખવ્યું હતું કે જીવન અંત વિનાનું એક ચક્ર છે. તેથી કોઈ વ્યક્તિએ એક ચક્રમાં પોતાનો સમય વેડફ્યો હોય તો, એ સમય તે જીવનના બીજા ચક્રમાં પાછો મેળવી શકે છે. આવા વિચારોને કારણે એફેસસમાં રહેતા ખ્રિસ્તીઓ, યહોવાહ પોતાના સમયમાં જે બાબતો કરવાના છે એ વિષે અને તેમના ન્યાયકરણના દિવસ વિષે બેદરકાર બન્યા હોઈ શકે. તેથી પાઊલે તેઓને ‘સમયનો સદુપયોગ કરવાની’ સલાહ આપી એ યોગ્ય હતી.

પાઊલ સામાન્ય સમયની વાત કરી રહ્યા ન હતા. સમય વિષે તેમણે જે ગ્રીક શબ્દ વાપર્યો છે એનો અર્થ નિયુક્ત સમય, કોઈ ખાસ હેતુ માટે નક્કી કરેલો સમય થાય છે. પાઊલે પ્રથમ સદીના ખ્રિસ્તીઓને સમયનો સદુપયોગ કરવાની સલાહ આપી હતી, જેથી અંત આવે ત્યારે પરમેશ્વરની દયા અને તારણનો માર્ગ તેઓના હાથમાંથી સરકી ન જાય.—રૂમી ૧૩:૧૧-૧૩; ૧ થેસ્સાલોનીકી ૫:૬-૧૧.

આપણે પણ એવા જ સમયમાં જીવી રહ્યા છીએ. તેથી આ સમય જગતના ભૌતિક સુખ-વિલાસ પાછળ ભાગવાનો નથી. ખ્રિસ્તીઓએ “પવિત્ર આચરણ તથા ભક્તિભાવમાં” અને પોતાના ઉત્પન્‍નકર્તા યહોવાહ પરમેશ્વર સાથે પોતાનો સંબંધ ગાઢ બાંધીને પ્રાપ્ય સમયનો સદુપયોગ કરવાની જરૂર છે.—૨ પીતર ૩:૧૧; ગીતશાસ્ત્ર ૭૩:૨૮; ફિલિપી ૧:૧૦.