સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

પ્રગતિ કરવા અડચણો પર જીત મેળવવી!

પ્રગતિ કરવા અડચણો પર જીત મેળવવી!

પ્રગતિ કરવા અડચણો પર જીત મેળવવી!

કલ્પના કરો કે તમારી કાર ગિયરમાં છે. એન્જિન પણ ચાલુ છે. પરંતુ એ આગળ વધતી નથી. શું કંઈ બગડી ગયું છે? ના, એક મોટો પથ્થર કારના એક પૈડાની આગળ છે. કાર આગળ વધે માટે એ પથ્થરને હટાવવો જરૂરી છે.

એવી જ રીતે, યહોવાહના સાક્ષીઓ સાથે બાઇબલ અભ્યાસ કરતી વ્યક્તિઓના માર્ગમાં પણ અડચણો છે જે તેઓને પરમેશ્વરના માર્ગમાં પ્રગતિ કરતા રોકી શકે છે. દાખલા તરીકે, ઈસુએ ચેતવણી આપી કે “જગતની ચિંતા તથા દ્રવ્યની માયા” જેવી બાબતો સત્યનાં ‘વચનને દાબી નાખીને’ પ્રગતિમાં અવરોધરૂપ બની શકે છે.—માત્થી ૧૩:૨૨.

ઘણાને વારસામાં મળેલી અપૂર્ણતા પ્રગતિ કરવામાં અડચણરૂપ બને છે. જાપાનમાં રહેતા યુટાકા નામના એક પુરુષને બાઇબલ સંદેશામાં રસ પડ્યો. પરંતુ તેને જુગાર રમવાની ટેવ હતી. તેણે એ ટેવ છોડવાનો ઘણો પ્રયત્ન કર્યો, પણ તે સફળ થયો નહિ. પોતાની આ ટેવને કારણે તેને મોટી રકમનું દેવું થયું, જેમાં તેણે પોતાનાં ત્રણ ઘર ગુમાવ્યાં. તેણે પોતાના કુટુંબીજનોનું માન ગુમાવ્યું તેમ જ, તેને પોતાના પ્રત્યે પણ માન રહ્યું નહિ. શું તે જુગાર છોડીને એક ખ્રિસ્તી બની શકે?

કીકો નામની બીજી એક સ્ત્રીનો વિચાર કરો. બાઇબલની મદદથી તે મૂર્તિપૂજા, અનૈતિકતા અને ભવિષ્ય ભાખવું જેવા દુર્ગુણોને છોડી શકી. તેમ છતાં, કીકો કબૂલે છે: “ધૂમ્રપાન મારા માટે સૌથી મોટી અડચણ હતું. મેં એને છોડવા ઘણી વાર પ્રયત્ન કર્યો પણ સફળતા મળી નહિ.”

તમને ઘણી વાર તમારી પ્રગતિના માર્ગમાં પહાડ જેવી મુશ્કેલીઓ હોય એવું લાગી શકે. બાબત ગમે તે હોય, પરંતુ તમે ખાતરી રાખી શકો કે પરમેશ્વરની મદદથી તમે એને આંબી શકો છો.

ઈસુના શિષ્યો એક ફેફરાના દરદવાળા માણસમાંથી ભૂત કાઢવામાં નિષ્ફળ ગયા ત્યારે, તેમણે પોતાના શિષ્યોને શું કહ્યું એ યાદ કરો. તે માણસને સાજો કર્યા પછી, તેમણે પોતાના શિષ્યોને કહ્યું: “તમારા અવિશ્વાસને લીધે; કેમકે હું તમને ખચીત કહું છું, કે તમને રાઈના દાણા જેટલો વિશ્વાસ હોય તો તમે આ પહાડને કહેશો, કે તું અહીંથી ત્યાં ખસી જા, ને તે ખસી જશે; અને તમને કંઈ અશક્ય થશે નહિ.” (માત્થી ૧૭:૧૪-૨૦; માર્ક ૯:૧૭-૨૯) હા, આપણને પહાડ જેવી લાગતી સમસ્યાઓ આપણા શક્તિશાળી ઉત્પન્‍નકર્તા સામે કંઈ જ નથી.—ઉત્પત્તિ ૧૮:૧૪; માર્ક ૧૦:૨૭.

પ્રગતિ રોકતી અડચણો પારખવી

તમે તમારી અડચણોને દૂર કરો એ પહેલાં, તમારે સૌ પ્રથમ એ અડચણો પારખવી જોઈએ. તમે એ કઈ રીતે કરી શકો? અમુક વાર મંડળના સભ્યો, જેમ કે વડીલો અથવા તમારી સાથે અભ્યાસ કર્યો હોય એ વ્યક્તિ અમુક બાબતો તમારા ધ્યાન પર લાવી શકે. આ પ્રકારની પ્રેમાળ સલાહ પ્રત્યે અણગમો બતાવવાને બદલે, તમારે ‘શિખામણ સાંભળીને જ્ઞાની થવું’ જોઈએ. (નીતિવચનો ૮:૩૩) બીજા સમયે આપણે પોતાના બાઇબલ અભ્યાસ દ્વારા આપણી નબળાઈઓને પારખી શકીએ. હા, પરમેશ્વરનો શબ્દ, બાઇબલ “જીવંત, સમર્થ” છે. (હેબ્રી ૪:૧૨) બાઇબલ અને બાઇબલ આધારિત પ્રકાશનો વાંચવાથી આપણા ઊંડા વિચારો, લાગણીઓ અને હેતુઓ આપણી આંખો સામે તરી આવે છે. એ આપણને યહોવાહનાં ઉચ્ચ ધોરણો સુધી આપણે પહોંચ્યા છીએ કે નહિ એ જોવા મદદ કરે છે. એ આપણી આત્મિક પ્રગતિમાં અડચણરૂપ બનનાર બાબતોને પારખે છે.—યાકૂબ ૧:૨૩-૨૫.

દાખલા તરીકે, બાઇબલ વિદ્યાર્થી અનૈતિક વિચારોમાં ડૂબેલો હોય શકે. તેને એ પ્રમાણે કરવામાં કંઈ નુકસાનકારક લાગતું ન હોય. તે એવું વિચારી શકે કે પોતે કંઈ ખોટું કરી રહ્યો નથી. અભ્યાસ દરમિયાન, તેના ધ્યાન પર યાકૂબ ૧:૧૪, ૧૫ના શબ્દો આવે છે: “પણ દરેક માણસ પોતાની દુર્વાસનાથી ખેચાઈને તથા લલચાઈને પરીક્ષણમાં પડે છે. પછી દુર્વાસના ગર્ભ ધરીને પાપને જન્મ આપે છે, અને પાપ પરિપક્વ થઈને મોતને ઊપજાવે છે.” હવે તે જુએ છે કે આ રીતે વિચારતા રહેવું એ તેની પ્રગતિ માટે કેટલું હાનિકારક છે! તે કઈ રીતે પોતાની આ અડચણ પર જીત મેળવી શકે?—માર્ક ૭:૨૧-૨૩.

અડચણો પર જીત મેળવવી

અનુભવી ખ્રિસ્તીઓની મદદથી વિદ્યાર્થી વૉચ ટાવર પબ્લિકેશન્સ ઇન્ડેક્ષનો * ઉપયોગ કરીને પરમેશ્વરના શબ્દ, બાઇબલમાંથી વધુ સંશોધન કરી શકે. દાખલા તરીકે, એમાં “વિચારો” મથાળા હેઠળ, એ વાચકોને હાનિકારક વિચારોને આંબવા માટે પ્રકાશિત થયેલા ઘણા લેખો બતાવે છે. આ લેખોમાં મદદરૂપ બાઇબલ કલમો જોવા મળશે, જેમ કે ફિલિપી ૪:૮. એ બતાવે છે: “છેવટે, ભાઈઓ, જે કંઈ સત્ય, જે કંઈ સન્માનપાત્ર, જે કંઈ ન્યાયી, જે કંઈ શુદ્ધ, જે કંઈ પ્રેમપાત્ર, જે કંઈ સુકીર્તિમાન છે; જો કોઈ સદ્‍ગુણ કે જો કોઈ પ્રશંસા હોય, તો આ બાબતોનો વિચાર કરો.” હા, અનૈતિક વિચારોને બદલે પવિત્ર અને ઉત્તેજન આપનાર વિચારો પર મનન કરવું જ જોઈએ!

સંશોધન કરતી વખતે, વિદ્યાર્થી બીજા બાઇબલ સિદ્ધાંતો પણ શોધી કાઢશે કે જે તેની સમસ્યાઓ પર જીત મેળવવા મદદ કરશે. દાખલા તરીકે, નીતિવચનો ૬:૨૭ અને માત્થી ૫:૨૮ આપણને ચેતવણી આપે છે કે જાતીય લાગણીઓને ઉશ્કેરતી સામગ્રીઓ વાંચવી ન જોઈએ. ગીતશાસ્ત્રના લેખકે પ્રાર્થના કરી, “વ્યર્થતામાંથી મારી દૃષ્ટિ ફેરવ.” (ગીતશાસ્ત્ર ૧૧૯:૩૭) જોકે, ફક્ત આ કલમોને વાંચવી જ પૂરતી નથી. શાણા રાજા કહે છે, ‘સદાચારી વિચાર કરે છે.’ (નીતિવચનો ૧૫:૨૮) પરમેશ્વર કઈ આજ્ઞા આપે છે એના પર જ નહિ, પરંતુ શા માટે તેમણે એ આજ્ઞા આપી છે એના પર પણ મનન કરવું જોઈએ. એમ કરીને વિદ્યાર્થી યહોવાહના માર્ગોનું ડહાપણ અને વાજબીપણાની ઊંડી સમજણ મેળવશે.

આખરે, પ્રગતિ કરવા મહેનત કરનારને તેની કુટેવો અડચણરૂપ બનતી હોય તો, તેણે પ્રાર્થનામાં યહોવાહની મદદ માંગવા તત્પર રહેવું જોઈએ. કેમ કે, યહોવાહ આપણું બંધારણ જાણે છે કે આપણે અપૂર્ણ અને ધૂળના બનેલા છીએ. (ગીતશાસ્ત્ર ૧૦૩:૧૪) યહોવાહને મદદ માટે સતત પ્રાર્થના કરતા રહેવાની સાથે, આપણે અનૈતિક વિચારોને ટાળવા સખત મહેનત કરવી જોઈએ. એમ કરીને આપણે શુદ્ધ અંતઃકરણ મેળવી શકીશું.—હેબ્રી ૯:૧૪.

હિંમત ન હારો

તમે ગમે તે મુશ્કેલીઓનો સામનો કરતા હોવ, પરંતુ યાદ રાખો કે તમે એમાં ફરીથી ફસાઈ શકો છો. એવું બને ત્યારે, સ્વાભાવિક રીતે આપણે નિરાશ અને નાસીપાસ થઈ જઈએ છીએ. તેમ છતાં, ગલાતી ૬:૯ના શબ્દો યાદ રાખો: “સારૂં કરતાં આપણે થાકવું નહિ; કેમકે જો કાયર ન થઈએ, તો યોગ્ય સમયે લણીશું.” દાઊદ અને પીતર જેવા સમર્પિત સેવકોએ પણ એવી જ નિષ્ફળતા અનુભવી હતી. પરંતુ તેઓએ પડતું મૂક્યું નહિ. તેઓએ નમ્રપણે સલાહ સ્વીકારી, જરૂરી ફેરફારો કર્યા અને પોતાને યહોવાહના ઉત્સાહી સેવક તરીકે સાબિત કર્યા. (નીતિવચનો ૨૪:૧૬) દાઊદે પણ ભૂલો કરી હતી છતાં, યહોવાહે તેમને ‘મારો મનગમતો માણસ, તે મારી બધી ઇચ્છા પૂરી કરશે’ એમ કહ્યું. (પ્રેરિતોનાં કૃત્યો ૧૩:૨૨) એ જ રીતે પીતર પણ પોતાની ભૂલોને આંબીને ખ્રિસ્તી મંડળનો સ્તંભ બન્યા.

એવી જ રીતે, આજે પણ ઘણા લોકોએ પોતાને અડચણરૂપ કુટેવો પર જીત મેળવી છે. શરૂઆતમાં ઉલ્લેખેલા યુટાકાએ પછી બાઇબલ અભ્યાસ સ્વીકાર્યો. તે જણાવે છે: “મેં કરેલી દરેક પ્રગતિમાં યહોવાહની મદદ અને આશીર્વાદ અનુભવ્યો. એણે મને મારી જુગારની કુટેવ દૂર કરવા મદદ કરી. વિશ્વાસથી ‘પહાડ’ પણ ખસેડી શકાય છે એ ઈસુના શબ્દોનો ખરેખર અનુભવ કરીને મને ઘણો આનંદ થયો છે.” સમય જતાં, યુટાકા મંડળમાં એક સેવકાઈ ચાકર બન્યો.

તમાકુની લત પડેલી કીકો વિષે શું? તેની સાથે અભ્યાસ કરતા બહેને તેને સજાગ બનો!માં તમાકુની કુટેવ પર પ્રકાશિત થયેલા વિવિધ લેખો વાંચવાનું જણાવ્યું. કીકોએ પોતાની ગાડીમાં ૨ કોરીંથી ૭:૧ની કલમ પણ લગાવી કે જેથી તેને યહોવાહની નજરમાં હંમેશા શુદ્ધ રહેવાનું યાદ રહે. તોપણ તે પોતાની લત છોડી શકી નહિ. કીકો યાદ કરે છે, “હું મારી જાતથી જ ઘણી નિરાશ થઈ ગઈ હતી. તેથી મેં પોતાને જ પૂછવાનું શરૂ કર્યું કે હું ખરેખર કોની સેવા કરવા ઇચ્છું છું, યહોવાહની કે શેતાનની?” એક વાર તેણે નક્કી કર્યું કે તે યહોવાહની સેવા કરવા ઇચ્છે છે, ત્યાર પછી તેણે આગ્રહથી મદદ માટે યહોવાહને પ્રાર્થના કરી. તે કહે છે, “બહુ સહન કર્યા વગર હું એ છોડી શકી અને એનાથી મને ખૂબ આશ્ચર્ય થયું. મારે એ પહેલાં જ કરવું જોઈતું હતું એનું મને હવે ઘણું દુઃખ થાય છે.”

તમે પણ તમારી પ્રગતિમાં અવરોધરૂપ અડચણોને દૂર કરી શકો છો. તમારા વિચારો, ઇચ્છાઓ, વાણી અને કાર્યો જેટલા બાઇબલનાં ધોરણો અનુસાર હશે, એટલા જ તમે વધારે આત્મસન્માન અને વિશ્વાસ અનુભવશો. વધુમાં, તમારા આત્મિક ભાઈબહેનો તેમ જ કુટુંબના સભ્યો સાથે સંગત રાખવાથી તેઓ પણ ઉત્તેજન અને તાજગી મેળવશે. સૌથી મહત્ત્વનું તો, યહોવાહ પરમેશ્વર સાથેનો તમારો સંબંધ વધુ ગાઢ બનશે. તેમણે વચન આપ્યું છે કે તે ‘પોતાના લોકોના માર્ગમાંથી હરેક ઠોકર ખવડાવનારી વસ્તુઓ ઉઠાવી’ લેશે, જેથી તેઓ શેતાનના પંજામાંથી છટકી શકે. (યશાયાહ ૫૭:૧૪) તમે ખાતરી રાખી શકો કે તમારી આત્મિક પ્રગતિમાં વચ્ચે આવતી અડચણો પર જીત મેળવવા તમે પ્રયત્ન કરશો તેમ, યહોવાહ તમને ભરપૂર આશીર્વાદ આપશે.

[ફુટનોટ]

^ યહોવાહના સાક્ષીઓ દ્વારા અનેક ભાષાઓમાં પ્રકાશિત.

[પાન ૨૮ પર ચિત્ર]

ઈસુએ વચન આપ્યું કે વિશ્વાસથી, પહાડ જેવી અડચણો પણ દૂર થશે

[પાન ૩૦ પર ચિત્ર]

બાઇબલ વાંચન કરીને આપણે કુટેવો પર જીત મેળવી શકીએ