શું તમને યાદ છે?
શું તમને યાદ છે?
શું તમને ચોકીબુરજના તાજેતરના અંકો ગમ્યા હતા? એમ હોય તો, તમને નીચેના પ્રશ્નોના જવાબ આપવાનું ગમશે:
• શા માટે અયૂબના ૩૮મા અધ્યાયમાં પૂછેલા પ્રશ્નો આજે પણ વિચારણામાં લેવા જોઈએ?
પરમેશ્વરે ધ્યાન દોર્યું હતું એમાંના ઘણાં અદ્ભુત કાર્યો વિષે આધુનિક વૈજ્ઞાનિકો પણ પૂરેપૂરું સમજી શક્યા નથી. એમાં, કઈ રીતે ગુરુત્વાકર્ષણ બળ પૃથ્વીને યોગ્ય અંતરે રાખે છે, ખરેખર પ્રકાશ શું છે, શા માટે બરફના કણો અગણિત પ્રકારના હોય છે, વરસાદના ટીપા કઈ રીતે બંધાય છે અને ગર્જના સાથેના વાવાઝોડામાં કઈ રીતે શક્તિ સમાયેલી હોય છે જેવા પ્રશ્નોનો સમાવેશ થાય છે.—૪/૧૫, પાન ૪-૧૧.
• નકારાત્મક લાગણીઓનો સામનો કરવામાં કયાં બાઇબલ ઉદાહરણો મદદ કરી શકે?
આસાફ, બારૂખ અને નાઓમીના મનમાં ઘણી વાર નિરાશાજનક કે બીજી નકારાત્મક લાગણીઓ આવી હતી અને તેઓએ કઈ રીતે એ પરિસ્થિતિનો સફળતાપૂર્વક સામનો કર્યો એનો શાસ્ત્રીય અહેવાલ આપણને મદદ કરી શકે.—૪/૧૫, પાન ૨૨-૨૪.
• ખ્રિસ્તી વિધવાઓને મદદ કરવાની કેટલીક વ્યવહારુ રીતો કઈ છે?
મિત્રો દયાળુ રીતે અને કોઈ ખાસ બાબતની મદદ આપી શકે. તેઓને ખરેખર જરૂર હોય તો, કુટુંબના સભ્યો કે બીજાઓ નાણાકીય કે ભૌતિક મદદ આપી શકે. સાથી ખ્રિસ્તીઓ પણ આત્મિક ટેકો તથા દિલાસો આપીને, મિત્રો તરીકે પ્રેમાળ મદદ કરી શકે.—૫/૧ પાન ૫-૭.
• ૧ કોરીંથી ૭:૩૯ પ્રમાણે શા માટે “કેવળ પ્રભુમાં” જ લગ્ન કરવું મહત્ત્વનું છે?
અવિશ્વાસુઓ સાથેનાં લગ્નો વારંવાર દુઃખમાં પરિણમ્યા છે. વધુમાં, આ દૈવી સલાહને અનુસરીને આપણે યહોવાહ પરમેશ્વરને વફાદાર રહીએ છીએ. આપણે પરમેશ્વરના શબ્દ પ્રમાણે જીવીએ છીએ ત્યારે, આપણું હૃદય ડંખતું નથી. (૧ યોહાન ૩:૨૧, ૨૨)—૫/૧૫, પાન ૨૦-૧.
• યહોવાહ આપણાં પાપ માફ કરી શકે છે છતાં, શા માટે ખ્રિસ્તીઓ મંડળના વડીલો સમક્ષ પોતાના ગંભીર પાપો કબૂલે છે?
ખ્રિસ્તીઓએ ગંભીર પાપો માટે યહોવાહની માફી શોધવાની જરૂર છે. (૨ શમૂએલ ૧૨:૧૩) પરંતુ, પ્રબોધક નાથાને દાઊદને મદદ પૂરી પાડી તેમ મંડળના વડીલો પસ્તાવો કરનારા પાપીને મદદ કરી શકે. વડીલો પાસે જવું એ યાકૂબ ૫:૧૪, ૧૫માં આપવામાં આવેલ નિર્દેશનના સુમેળમાં છે.—૬/૧, પાન ૩૧.
• જરૂરિયાતવાળા અનાથો અને વિધવાઓની આપણે કાળજી લેવી જોઈએ એનો કયો પુરાવો છે?
ઐતિહાસિક અહેવાલ બતાવે છે કે આવી કાળજી લેવી એ પ્રાચીન સમયના હેબ્રીઓ અને શરૂઆતના ખ્રિસ્તીઓ મધ્યે સાચી ઉપાસનાનું ચિહ્ન હતું. (નિર્ગમન ૨૨:૨૨, ૨૩; ગલાતી ૨:૯, ૧૦; યાકૂબ ૧:૨૭) પ્રેષિત પાઊલે પણ જરૂરિયાતવાળી વિધવાઓની કાળજી લેવા બાઇબલમાં ખ્રિસ્તીઓને સ્પષ્ટ સૂચના આપી હતી. (૧ તીમોથી ૫:૩-૧૬)—૬/૧૫, પાન ૯-૧૧.
• સાચા સુખની ચાવી શું છે?
આપણે યહોવાહ પરમેશ્વર સાથે સારો સંબંધ કેળવીને જાળવી રાખવો જોઈએ. એમ કરવા માટે બાઇબલનો અભ્યાસ કરવો ખૂબ જ મહત્ત્વનું છે.—૭/૧, પાન ૪-૫.
• શું દરેક માનવી, મૃત્યુ પછી બચી જતો અમર આત્મા ધરાવે છે?
કેટલાક લોકો માને છે કે જીવ નહિ પરંતુ આત્મા અમર છે. તેમ છતાં, બાઇબલ આ વિચારને ટેકો આપતું નથી. એ બતાવે છે કે માનવ મરે છે ત્યારે, તે ધૂળમાં પાછો મળી જાય છે અને એના પછી કંઈ અસ્તિત્વ રહેતું નથી. પરંતુ, ફક્ત પરમેશ્વર જ તેને ફરીથી જીવન આપી શકે છે. તેથી, પુનરુત્થાન દ્વારા ભવિષ્યના જીવનની આશા પરમેશ્વર પર આધારિત છે. (સભાશિક્ષક ૧૨:૭)—૭/૧૫, પાન ૩-૬.
• દૂરાના મેદાનમાં ત્રણ હેબ્રીઓની કસોટી થઈ ત્યારે દાનીયેલ ક્યાં હતા?
એ વિષે બાઇબલ કંઈ કહેતું નથી. દાનીયેલ પાસે ઊંચો હોદ્દો હોવાના કારણે તેમને કદાચ ત્યાં હાજર થવાની જરૂર ન પણ હોય અથવા તે મહત્ત્વના સરકારી કામ માટે બહાર ગયા હોય શકે. પરંતુ, આપણે ભરોસો રાખી શકીએ કે તેમણે યહોવાહને વફાદાર રહેવામાં તડજોડ કરી ન હતી.—૮/૧, પાન ૩૧.