સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

તમને તાલીમ પામેલા અંતઃકરણની જરૂર છે

તમને તાલીમ પામેલા અંતઃકરણની જરૂર છે

તમને તાલીમ પામેલા અંતઃકરણની જરૂર છે

એર ન્યૂઝીલૅન્ડ ફ્લાઈટ ૯૦૧ નામના વિમાનમાં સફર કરી રહેલા મુસાફરો અને વિમાનના કર્મચારીઓ માટે એ એક યાદગાર દિવસ બનવાનો હતો. કેમ કે એ એન્ટાર્કટિકા જવાનું હતું. ત્યાંનાં સુંદર દૃશ્યોને ઝડપી લેવા કૅમેરા પણ તૈયાર હતા અને લોકો હવાઈ મુસાફરીનો આનંદ માણી રહ્યા હતા. ડીસી-૧૦ વિમાન એન્ટાર્કટિકા નજીક ગયું ત્યારે, એ સમુદ્ર કિનારેથી થોડી જ ઊંચાઈએ હતું, જેથી મુસાફરો ઍન્ટાર્કટિકાનાં સુંદર દૃશ્યોને માણી શકે.

વિમાનના કપ્તાન અને પાઇલોટને ૧૫ વર્ષોનો અનુભવ હતો અને તેમણે ૧૧,૦૦૦ કરતાં વધારે કલાકો વિમાન ઉડાવ્યું હતું. ઉડાણની શરૂઆત કરતાં પહેલાં, તેમણે કાળજીપૂર્વક વિમાનના કોમ્પ્યુટરમાં પ્રોગ્રામ તપાસ્યો. પરંતુ, તેમને ખબર ન હતી કે એ માહિતી ખોટી છે. ડીસી-૧૦ વિમાન ફક્ત ૬૦૦ મીટર જ વાદળોમાંથી પસાર થયું કે ઢોળાવવાળા ઈરેબસ પર્વત સાથે અફળાયું અને એના ૨૫૭ યાત્રીઓ માર્યા ગયા.

આજે વિમાનો વાદળોમાંથી પસાર થવા માર્ગદર્શન માટે કોમ્પ્યુટર પર આધાર રાખે છે તેમ, માનવીઓને જીવન માર્ગમાં ચાલવા માર્ગદર્શક તરીકે અંતઃકરણ આપવામાં આવ્યું છે. ફ્લાઈટ ૯૦૧નો અકસ્માત આપણને આપણા અંતઃકરણ વિષે એક મહત્ત્વનો બોધપાઠ શીખવે છે. દાખલા તરીકે, ફ્લાઈટની સલામતી વિમાનને નિયંત્રણમાં રાખવા બરાબર કામ કરતી માર્ગદર્શન પદ્ધતિ પર અને સ્પષ્ટ માર્ગદર્શન આપતાં ચિહ્‍નો પર આધારિત હોય છે. એવી જ રીતે, આપણી આત્મિક, નૈતિક અને શારીરિક તંદુરસ્તી પણ આપણા અંતઃકરણ પર આધારિત છે જે નૈતિક બાબતોમાં માર્ગદર્શન આપે છે.

પરંતુ, દુઃખની બાબત છે કે આજે જગતમાં આવું સ્પષ્ટ માર્ગદર્શન ઝડપથી ગાયબ થઈ જાય છે અથવા એની અવગણના થતી જોવા મળે છે. અમેરિકાની એક શિક્ષિકા કહે છે, “આજે આપણને ઘણું સાંભળવા મળે છે કે અમેરિકામાં શાળામાં જતું સરેરાશ બાળક લખી-વાંચી શકતું નથી અને તેને ભૂગોળમાં પણ કંઈ ગતાગમ પડતી નથી. તેઓ સહેલાઈથી ખરું-ખોટું પારખી શકતા નથી. શૈક્ષણિક મુશ્કેલીઓની યાદીમાં નિરક્ષરતા અને અજ્ઞાનતા સાથે આપણે નૈતિક ગૂંચવણનો પણ સમાવેશ કરવો જોઈએ.” તેમણે એ પણ અવલોક્યું કે “આજે યુવાનો નૈતિક ગૂંચવણમાં ફસાયેલા છે. તેઓમાંના કોઈને પણ પૂછશો કે ખરું-ખોટું પારખવાના જુદાં જુદાં ધોરણો છે ત્યારે, તમે તરત જ તેઓને ગૂંચવણમાં મૂકાઈ જતા, હતાશા અને વ્યક્તિગત રીતે અસલામતી અનુભવતા જોઈ શકશો. . . . એક વખત તેઓ કૉલેજમાં જવાનું શરૂ કરે છે પછી, તેઓની ગૂંચવણ ઓછી થવાને બદલે વધતીને વધતી જ જાય છે.”

આ ગૂંચવણનું એક કારણ બદલાતાં નૈતિક ધોરણો છે, એ જગતમાં જુદી જુદી સંસ્કૃતિ અને લોકો પ્રમાણે જુદાં જુદાં ધોરણોમાં જોવા મળે છે. કલ્પના કરો કે પાઇલોટ વિમાન ચલાવતી વખતે, ચોક્કસ માર્ગદર્શન પદ્ધતિ પર આધાર રાખવાને બદલે, રૅડિયો-તરંગોથી મોકલાતી એવી સાંકેતિક સૂચનાની મદદ લે છે જે બિનભરોસાપાત્ર અથવા કોઈ વાર પૂરેપૂરી રીતે ગાયબ થઈ જાય છે! એમ હોય તો, ઈરેબસ પર્વત પર તૂટી પડેલા વિમાન જેવા અકસ્માત થતા રહે એમાં કોઈ નવાઈ નથી. એવી જ રીતે, સ્પષ્ટ નૈતિક ધોરણોની અવગણના કરતી દુનિયાની હાલત પણ એવી જ છે. કુટુંબો અનહદ દુઃખ ભોગવી રહ્યાં છે. લાખો લોકો અનૈતિકતાને કારણે એઈડ્‌સ જેવી જીવલેણ બીમારીથી મરી રહ્યા છે.

પોતાના માટે નૈતિક ધોરણો નક્કી કરવા એ દુનિયાની નજરમાં યોગ્ય હોય શકે. પરંતુ, વાસ્તવમાં એમ કરનારાઓ પ્રાચીન નીનવેહના રહેવાસીઓ જેવા છે, “જેઓ પોતાનો જમણો હાથ કયો ને ડાબો હાથ કયો એટલું પણ જાણતા” ન હતા. નૈતિક ધોરણો નક્કી કરનારાઓ ધર્મભ્રષ્ટ ઈસ્રાએલીઓ જેવા છે કે જેઓ “ભૂંડાને સારૂં, અને સારાને ભૂંડું” કહેતા હતા.—યૂના ૪:૧૧; યશાયાહ ૫:૨૦.

તો પછી, આપણા અંતઃકરણને સલામત દિશામાં માર્ગદર્શન આપવાની તાલીમ આપે એવા સ્પષ્ટ નિયમો અને સિદ્ધાંતો માટે આપણે કોના તરફ ફરવું જોઈએ? લાખો લોકોને જાણવા મળ્યું છે કે બાઇબલ એ જરૂરિયાતને પૂરી કરી શકે છે. બાઇબલ સારાં નૈતિક કાર્યો કરવા અને પરમેશ્વરની ઉપાસના કરવા બાળકોને તાલીમ આપવા સુધી જીવનના દરેક પાસાં પર ચર્ચા કરે છે. (૨ તીમોથી ૩:૧૬) સદીઓથી બાઇબલ ભરોસાપાત્ર સાબિત થયું છે. કારણ કે બાઇબલનાં નૈતિક ધોરણોને આપણા સર્વોચ્ચ સત્તાધારી, આપણા ઉત્પન્‍નકર્તાએ સ્થાપિત કર્યા હોવાથી એ સર્વ આપણા માટે યોગ્ય જ છે. તેથી, આપણી પાસે ખરાં-ખોટાંના જ્ઞાન વિના જીવવાનું કોઈ કારણ નથી.

તેમ છતાં, તમારું અંતઃકરણ અગાઉ કરતાં હમણાં વધારે ખતરામાં છે. કઈ રીતે? તમે કઈ રીતે તમારા અંતઃકરણની સંભાળ રાખી શકો? આપણે ખતરાના ઉદ્‍ભવ અને તેની કુયુક્તિઓથી સાવધ રહીને આપણા અંતઃકરણની સંભાળ રાખીએ એ ખૂબ જ જરૂરી છે. એની હવે પછીના લેખમાં ચર્ચા કરવામાં આવશે.