સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

નીકોદેમસમાંથી બોધપાઠ લો

નીકોદેમસમાંથી બોધપાઠ લો

નીકોદેમસમાંથી બોધપાઠ લો

“જો કોઈ મારી પાછળ આવવા ચાહે, તો તેણે પોતાનો નકાર કરવો, અને દરરોજ પોતાનો વધસ્તંભ ઊંચકીને મારી પાછળ ચાલવું.” (લુક ૯:૨૩) નમ્ર માછીમારો અને એક દાણીએ તરત જ એ આમંત્રણને સ્વીકારી લીધું. તેઓ બધું જ છોડી દઈને ઈસુની પાછળ ગયા.​—⁠માત્થી ૪:​૧૮-​૨૨; લુક ૫:​૨૭, ૨૮.

ઈસુનું આ આમંત્રણ આજે પણ સાંભળવા મળે છે અને ઘણા લોકોએ એને સારો પ્રત્યુત્તર આપ્યો છે. તેમ છતાં, યહોવાહના સાક્ષીઓ સાથે બાઇબલ અભ્યાસનો આનંદ માણનારાઓ, ‘પોતાનો નકાર કરીને પોતાનો વધસ્તંભ ઊંચકવામાં’ પાછા પડે છે. તેઓ ઈસુના શિષ્યો બનવાની જવાબદારી અને લહાવાને સ્વીકારતા નથી.

શા માટે કેટલાક લોકો ઈસુના આમંત્રણને સ્વીકારીને યહોવાહ પરમેશ્વરને પોતાનું સમર્પણ કરવામાં પાછા પડે છે? હા, એ સાચું છે કે યહુદી અથવા ખ્રિસ્તી તરીકે ઊછર્યા ન હોય એવા લોકોને એક સર્વશક્તિમાન પરમેશ્વરમાં માનવામાં તેમ જ, તે એક વ્યક્તિ છે એવી પૂરેપૂરી સમજણ મેળવતા ઘણો સમય લાગી શકે છે. તોપણ, પરમેશ્વરના અસ્તિત્વની ખાતરી થયા પછી પણ કેટલાક ઈસુના પગલે ચાલવામાં પાછા પડે છે. તેઓને એવો ડર લાગતો હોય શકે કે જો તેઓ યહોવાહના સાક્ષીઓ બનશે તો, તેઓના સગાં અને મિત્રો તેમના વિષે શું વિચારશે? વળી, બીજા લોકો આપણે જે સમયમાં જીવી રહ્યા છીએ એની તાકીદની સભાનતા અનુભવતા નથી અને નામના તથા ધનસંપત્તિ મેળવવા પાછળ મંડ્યા રહે છે. (માત્થી ૨૪:૩૬-​૪૨; ૧ તીમોથી ૬:​૯, ૧૦) બાબત ભલે ગમે તે હોય, પરંતુ ઈસુને પગલે ચાલવાના પોતાના નિર્ણયમાં ઢચુપચુ થનારાઓ ઈસુના સમયના એક ધનવાન યહુદી શાસક, નીકોદેમસના અહેવાલમાંથી બોધપાઠ લઈ શકે છે.

તેને આપવામાં આવેલી અદ્‍ભુત તકો

ઈસુએ પૃથ્વી પર પોતાનું સેવાકાર્ય શરૂ કર્યું એના ફક્ત છ મહિના પછી જ, નીકોદેમસને ખબર પડે છે કે ઈસુ ‘દેવ પાસેથી આવેલા ઉપદેશક છે.’ ઈસુએ હમણાં જ યરૂશાલેમમાંના ૩૦ સી.ઈ.ના પર્વમાં કરેલા ચમત્કારથી પ્રભાવિત થઈને નીકોદેમસ રાત્રે ઈસુ પાસે આવે છે અને તેમનામાં પોતાનો વિશ્વાસ કબૂલ કરીને આ શિક્ષક પાસેથી વધારે શીખે છે. એ સમયે, ઈસુ નીકોદેમસને પરમેશ્વરના રાજ્યમાં પ્રવેશવા “નવો જન્મ” લેવા વિષેનું ઊંડું સત્ય જણાવે છે. ઈસુ તેને એમ પણ કહે છે: “દેવે જગત પર એટલી પ્રીતિ કરી કે તેણે પોતાનો એકાકીજનિત દીકરો આપ્યો, એ સારૂ કે જે કોઈ તેના પર વિશ્વાસ કરે તેનો નાશ ન થાય, પણ તે અનંતજીવન પામે.”​—⁠યોહાન ૩:​૧-​૧૬.

નીકોદેમસ સમક્ષ કેવું અદ્‍ભુત ભાવિ રહેલું હતું! તે ઈસુનો ગાઢ મિત્ર બનીને ઈસુએ પૃથ્વી પર કરેલાં વિવિધ કાર્યોનો આંખે દેખ્યો સાક્ષી બની શક્યો હોત. યહુદીઓના શાસક અને ઈસ્રાએલીઓના શિક્ષક તરીકે, નીકોદેમસને પરમેશ્વરના શબ્દનું સારું એવું જ્ઞાન હતું. તે ઊંડી સમજણ ધરાવતો હોવાથી, ઈસુ પરમેશ્વરે મોકલેલા ઉપદેશક છે એમ તરત જ ઓળખી ગયો હતો. નીકોદેમસ આત્મિક બાબતોમાં ખૂબ રસ લેતો હતો અને તે ઘણો નમ્ર પણ હતો. યહુદીઓની સર્વોચ્ચ અદાલત (સાન્હેડ્રીન)ના એક સભ્ય માટે, એક ગરીબ સુથારના દીકરાને પરમેશ્વર તરફથી આવેલા માણસ તરીકે સ્વીકારવા એ કેટલું અઘરું હશે! આ સર્વ ગુણો ઈસુના શિષ્ય બનવા માટે ખૂબ મહત્ત્વના છે.

સમય પસાર થાય છે તેમ, નીકોદેમસનો નાઝરેથના ઈસુમાં રસ ઓછો થયો નહિ. અઢી વર્ષ પછી, નીકોદેમસ માંડવાપર્વએ સાન્હેડ્રીનની ન્યાયસભામાં હાજરી આપે છે. એ સમયે, નીકોદેમસ હજુ પણ “તેઓમાંનો એક” છે. પ્રમુખ યાજક અને ફરોશીઓ, ઈસુને પકડવા માટે સૈનિકોને મોકલે છે. પરંતુ, તેઓ ખાલી હાથે પાછા ફરીને કહે છે: “એના જેવું કદી કોઈ માણસ બોલ્યું નથી.” ત્યારે ફરોશીઓએ તેઓની મશ્કરી કરતા કહ્યું: “શું, તમે પણ ભુલાવો ખાધો? અધિકારીઓમાંથી અથવા ફરોશીઓમાંથી શું કોઈએ તેના પર વિશ્વાસ કર્યો છે? પણ આ જે લોક નિયમશાસ્ત્ર જાણતા નથી તેઓ શાપિત છે.” એ સમયે નીકોદેમસ ચૂપ રહી શક્યો નહિ. તેણે કહ્યું: “માણસનું સાંભળ્યા અગાઉ, અને તે જે કરે છે તે જાણ્યા વિના, આપણું નિયમશાસ્ત્ર શું તેનો ન્યાય ઠરાવે છે?” ત્યાર પછી બીજા ફરોશીઓ તેની ટીકા કરે છે: “તું પણ શું ગાલીલનો છે? શોધ કરીને જો, કેમકે કોઈ પ્રબોધક ગાલીલમાંથી ઉત્પન્‍ન થવાનો નથી.”​—⁠યોહાન ૭:૧, ૧૦, ૩૨, ૪૫-૫૨.

લગભગ છ મહિના પછી, ૩૩ સી.ઈ.ના પર્વને દિવસે નીકોદેમસ, વધસ્તંભ પરથી ઉતારવામાં આવેલા ઈસુના શબ પાસે જોવા મળે છે. ઈસુને દફનાવવાની તૈયારી કરવામાં તે પણ સાન્હેડ્રીનના બીજા એક સભ્ય, આરીમથાઈના યુસફ સાથે જોડાય છે. એ માટે નીકોદેમસ લગભગ સો રોમન શેર, એટલે કે ૩૩ કિલો “બોળ તથા અગરનું મિશ્ર” લાવે છે. તે એ સુગંધી પાછળ ખાસા એવા પૈસા ખર્ચે છે. તેના સાથી ફરોશીઓ ઈસુને “ઠગ” ગણતા હતા તેઓમાંના એક તરીકે ઓળખાવું નીકોદેમસ માટે ખરેખર હિંમત માંગી લેતું હતું. ઈસુના શરીરને દફનાવવા માટે ઝડપથી તૈયાર કરીને આ બંને ઈસુને નજીકની નવી કબરમાં મૂકે છે. તેમ છતાં, આ સમયે પણ, નીકોદેમસ પોતાને ઈસુના શિષ્ય તરીકે ઓળખાવતો નથી!​—⁠યોહાન ૧૯:૩૮-૪૨; માત્થી ૨૭:૬૩; માર્ક ૧૫:⁠૪૩.

શા માટે તે પાછો પડે છે?

નીકોદેમસ શા માટે ‘પોતાનો વધસ્થંભ ઊંચકીને’ ઈસુનો શિષ્ય બનતો નથી એ વિષે યોહાન પોતાના અહેવાલમાં કંઈ જ જણાવતા નથી. તેમ છતાં, તે કંઈક અણસાર મૂકી જાય છે જે બતાવે છે કે શા માટે આ ફરોશી ઢચુપચુ થતો હતો.

સૌ પ્રથમ, યોહાને બતાવ્યું કે યહુદી શાસક ‘રાત્રે ઈસુની પાસે આવ્યો.’ (યોહાન ૩:૨) એક બાઇબલ વિદ્વાન કહે છે: “નીકોદેમસ કોઈથી બીતો હતો એટલા માટે રાત્રે આવ્યો ન હતો. પરંતુ, તે ટોળાથી દૂર રહેવા માંગતો હતો કે જેથી ઈસુ સાથેની તેની મુલાકાતમાં ખલેલ ન પડે.” તેમ છતાં, યોહાન ‘રાત્રે ઈસુની પાસે આવનાર’ નીકોદેમસનો એ જ અર્થમાં ઉલ્લેખ કરે છે જે તેમણે આરીમથાઈના યુસફ માટે કર્યો હતો કે તે “ઈસુનો એક શિષ્ય હતો, પણ યહુદીઓના ધાકને લીધે ગુપ્ત રીતે શિષ્ય હતો.” (યોહાન ૧૯:૩૮, ૩૯) તેથી, દેખીતી રીતે જ નીકોદેમસે પણ ‘યહુદીઓની ધાકને’ લીધે ઈસુની રાત્રે મુલાકાત લીધી હતી, જેમ તેના સમયના બીજા ફરોશીઓ ઈસુ સાથે કોઈ પણ જાતનો સંબંધ રાખવાથી ડરતા હતા.​—⁠યોહાન ૭:⁠૧૩.

શું તમે તમારા સગાં, મિત્રો કે સંગાથીઓના ડરને કારણે ઈસુના શિષ્યો બનવાના તમારા નિર્ણયમાં ઢીલ કરી રહ્યા છો? નીતિવચનો કહે છે, “માણસની બીક ફાંદારૂપ છે.” તમે કઈ રીતે આ ફાંદાને ટાળી શકો? નીતિવચનો આગળ કહે છે: “પણ જે કોઈ યહોવાહ પર ભરોસો રાખે છે તે સહીસલામત રહેશે.” (નીતિવચનો ૨૯:૨૫) યહોવાહમાં એવો ભરોસો કરવા માટે, તમારે પોતે અનુભવ કરવાની જરૂર છે કે તમે ખૂબ મુશ્કેલ પરિસ્થિતિમાં હોવ ત્યારે પણ પરમેશ્વર તમને નિભાવશે. યહોવાહને પ્રાર્થના કરો અને તેમની ઉપાસનાને લગતા નાનામાં નાના નિર્ણયો લેવા માટે પણ તમને હિંમત આપે એ માટે તેમની પાસે મદદ માંગો. પછી, યહોવાહમાં તમારો ભરોસો ધીમે ધીમે વધીને એટલી હદ સુધી પહોંચશે કે તમે પરમેશ્વરની ઇચ્છાના સુમેળમાં મોટા મોટા નિર્ણયો પણ લઈ શકશો.

નીકોદેમસને શાસક વર્ગના એક સભ્ય તરીકેના હોદ્દા અને શાખે પણ પોતાનો નકાર કરવાનું મહત્ત્વનું પગલું લેતા અટકાવ્યો હોય શકે. એ સમયે, તેને સાન્હેડ્રીનના એક સભ્ય તરીકેના પોતાના હોદ્દા પ્રત્યે વધારે લગાવ હતો. શું તમે પણ સમાજમાં તમારો મોભો ગુમાવવાના ડરથી કે ભાવિમાં મળનારા અમુક લહાવાઓનું બલિદાન આપવું પડતું હોવાથી ખ્રિસ્તના અનુયાયી બનવા પગલાં લેવામાં પાછા પડો છો? વિશ્વના સર્વોપરીની સેવા કરવાના લહાવા સામે આવા લહાવાઓ કોઈ જ વિસાતમાં નથી. પરમેશ્વર પોતાની ઇચ્છાના સુમેળમાં કરવામાં આવતી દરેક વિનંતીને પૂરી કરવા ઇચ્છુક છે.​—⁠ગીતશાસ્ત્ર ૧૦:૧૭; ૮૩:૧૮; ૧૪૫:⁠૧૮.

નીકોદેમસની સંપત્તિ પણ તેના પાછા પડવાનું એક કારણ હોય શકે. એક ફરોશી તરીકે, તેને બીજા “દ્રવ્યલોભી” ફરોશીઓની અસર થઈ હોય શકે. (લુક ૧૬:૧૪) તેણે મૂલ્યવાન બોળ તથા અગર જેવી સુગંધીઓ ખરીદી એ જ બતાવે છે કે તે ખૂબ ધનવાન હતો. આજે પણ કેટલાક ખ્રિસ્તીઓ પોતાની ભૌતિક સંપત્તિ વિષે ચિંતિત બનવાને કારણે ખ્રિસ્તી તરીકેની પોતાની જવાબદારી ઉપાડવામાં ઢીલ કરે છે. તેમ છતાં, ઈસુએ પોતાના શિષ્યોને સલાહ આપી: “તમારા જીવને સારૂ ચિંતા ન કરો, કે અમે શું ખાઈશું અથવા શું પીઈશું; અને તમારા શરીરને સારૂ ચિંતા ન કરો, કે અમે શું પહેરીશું. . . . કેમકે તમારો આકાશમાંનો બાપ જાણે છે કે એ બધાંની તમને અગત્ય છે. પણ તમે પહેલાં તેના રાજ્યને તથા તેના ન્યાયીપણાને શોધો, એટલે એ બધાં વાનાં પણ તમને અપાશે.”​—⁠માત્થી ૬:​૨૫-​૩૩.

તેણે ઘણું બધું ગુમાવ્યું

રસપ્રદપણે, ફક્ત યોહાનની સુવાર્તામાં જ નીકોદેમસનો અહેવાલ જોવા મળે છે અને એમાં પણ, તે ઈસુનો શિષ્ય બન્યો કે નહિ એ વિષે કંઈ જ બતાવવામાં આવ્યું નથી. એક દંતકથા પ્રમાણે, નીકોદેમસ ઈસુનો શિષ્ય બન્યો, બાપ્તિસ્મા લીધું અને યહુદીઓના હાથે તેણે સતાવણી પણ સહી. પછી તેને પોતાની પદવી પરથી હાંકી કાઢવામાં આવ્યો અને છેવટે તેને યરૂશાલેમમાંથી પણ કાઢી મૂકવામાં આવ્યો. ભલે બાબતો ગમે તે હોય, પરંતુ એક વાત ચોક્કસ છે: ઈસુ પૃથ્વી પર હતા ત્યારે તેમના શિષ્ય બનવામાં ઢીલ કરીને તેણે ઘણું બધું ગુમાવ્યું હતું.

જો નીકોદેમસ એ સમયે ઈસુનો શિષ્ય બન્યો હોત તો, તેને સૌથી પહેલા પ્રભુ મળ્યા હોત. અરે, તે ઈસુનો ખાસ શિષ્ય બની શક્યો હોત. નીકોદેમસ એક સારો શિષ્ય બની શક્યો હોત કેમ કે તેની પાસે જ્ઞાન, ઊંડી સમજ અને નમ્રતા હતી અને આત્મિક બાબતો પ્રત્યે પણ તે સજાગ હતો. હા, તે મહાન શિક્ષક પાસેથી અદ્‍ભુત બાબતો સાંભળી શક્યો હોત અને ઈસુના દૃષ્ટાંતમાંથી મહત્ત્વના બોધપાઠ પણ શીખી શક્યો હોત. સગી આંખોએ જોયેલા ઈસુના ચમત્કારો અને ઈસુએ પોતાના શિષ્યોને આપેલી ચમત્કાર કરવાની શક્તિ જોઈને પણ તે ઉત્તેજન મેળવી શક્યો હોત. પરંતુ, તે આ સર્વ અદ્દભુત તકો ચૂકી ગયો.

હા, નીકોદેમસ પોતાના નિર્ણયમાં ઢચુપચુ હોવાથી, તેણે ઘણી મોટી ખોટ સહેવી પડી. એમાં ઈસુએ આપેલા ઉત્તેજનકારક આમંત્રણનો પણ સમાવેશ થાય છે: “ઓ વૈતરૂં કરનારાઓ તથા ભારથી લદાયેલાઓ, તમે સઘળા મારી પાસે આવો, ને હું તમને વિસામો આપીશ. મારી ઝૂંસરી તમે પોતા પર લો, ને મારી પાસે શીખો; કેમકે હું મનમાં નમ્ર તથા રાંકડો છું, ને તમે તમારા જીવમાં વિસામો પામશો. કેમકે મારી ઝૂંસરી સહેલ છે, ને મારો બોજો હલકો છે.” (માત્થી ૧૧:૨૮-૩૦) નીકોદેમસે ઈસુ પાસેથી આ વિસામો મેળવવાની તક ગુમાવી!

તમારા વિષે શું?

ઈસુ ખ્રિસ્તે ૧૯૧૪થી પરમેશ્વરના સ્વર્ગીય રાજ્યના રાજા તરીકે સ્વર્ગમાં પોતાનું સ્થાન લઈ લીધું છે. તેમની હાજરી દરમિયાન કઈ બાબતો બનશે એ વિષે ભાખતા તેમણે આ બાબતને પણ કહી: “સર્વ પ્રજાઓને સાક્ષીરૂપ થવા સારૂ રાજ્યની આ સુવાર્તા આખા જગતમાં પ્રગટ કરાશે; અને ત્યારે જ અંત આવશે.” (માત્થી ૨૪:⁠૧૪) અંત આવે એ પહેલાં જગતવ્યાપી પ્રચાર કાર્ય થવું જ જોઈએ. અપૂર્ણ માનવીઓ એમાં ભાગ લે છે એનાથી ઈસુ ખ્રિસ્તને આનંદ થાય છે. તમે પણ આ કાર્યમાં ભાગ લઈ શકો છો.

નીકોદેમસ જાણતો હતો કે ઈસુ પરમેશ્વર પાસેથી આવ્યા છે. (યોહાન ૩:⁠૨) બાઇબલ અભ્યાસથી તમે પણ એવી જ ખાતરી કરી શકો. તમે બાઇબલ સિદ્ધાંતોના સુમેળમાં તમારા જીવનમાં ફેરફાર કર્યા હોય શકે. તમે બાઇબલ વિષે વધુ જ્ઞાન લેવા માટે યહોવાહના સાક્ષીઓની સભાઓમાં પણ આવતા હશો. તમારા આવા પ્રયત્નો બદલ તમારી પ્રશંસા કરવામાં આવે છે. તોપણ, ઈસુને પરમેશ્વરે મોકલ્યા છે એવી સમજણ મેળવવા કરતાં નીકોદેમસે કંઈક વધારે બાબતો કરવાની જરૂર હતી. તેણે ‘પોતાનો નકાર કરીને દરરોજ પોતાનો વધસ્તંભ ઊંચકીને [ઈસુની] પાછળ ચાલવાની’ જરૂર હતી.​—⁠લુક ૯:​૨૩.

પ્રેષિત પાઊલ આપણને જે કહે છે એના પર ધ્યાન આપો. તેમણે લખ્યું: “અમે, [દેવની] સાથે કામ કરનારા હોઈને, તમને એવી પણ વિનંતી કરીએ છીએ, કે તમે દેવની કૃપાનો અવરથા અંગીકાર ન કરો, કેમકે તે કહે છે, કે મેં માન્યકાળે તારૂં સાંભળ્યું, અને તારણને દિવસે મેં તને સહાય કરી: જુઓ, હમણાં જ માન્યકાળ છે; જુઓ, હમણાં જ તારણનો દિવસ છે.”​—⁠૨ કોરીંથી ૬:​૧, ૨.

તેથી, તમને પગલાં લેવા પ્રેરે એવો વિશ્વાસ હમણાં જ કેળવવાની જરૂર છે. એ પ્રમાણે કરવા માટે તમે બાઇબલમાંથી જે બાબતો શીખી છે એના પર મનન કરો. યહોવાહને પ્રાર્થના કરો અને આવો વિશ્વાસ બતાવવા તેમની મદદ માંગો. તેમની મદદ અનુભવશો તેમ, તમે તેમના પ્રત્યે જે કદર અને પ્રેમ બતાવો છો એમાં વધારો થશે. એ તમને ‘પોતાનો નકાર કરીને દરરોજ પોતાનો વધસ્તંભ ઊંચકીને ઈસુ ખ્રિસ્ત પાછળ ચાલવા’ પ્રેરશે. શું તમે હમણાં જ પગલાં લેશો?

[પાન ૯ પર ચિત્ર]

એ સમયે નીકોદેમસે હિંમતથી ઈસુનો પક્ષ લીધો

[પાન ૯ પર ચિત્ર]

વિરોધ છતાં, નીકોદેમસે ઈસુના શબને દફનાવવાની તૈયારી કરવામાં મદદ કરી

[પાન ૧૦ પર ચિત્ર]

વ્યક્તિગત અભ્યાસ અને પ્રાર્થના તમને પગલાં લેવા પ્રેરી શકે

[પાન ૧૦ પર ચિત્ર]

શું તમે ઈસુ ખ્રિસ્તની આગેવાની હેઠળ કામ કરવાના લહાવાને સ્વીકારશો?