સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

જબરદસ્ત વધારો અને ઝડપી બાંધકામ

જબરદસ્ત વધારો અને ઝડપી બાંધકામ

“મારી પાસે આવો, ને હું તમને વિસામો આપીશ”

જબરદસ્ત વધારો અને ઝડપી બાંધકામ

ઈસુ ખ્રિસ્તે કહ્યું: “મારી પાસે આવો, ને હું તમને વિસામો આપીશ.” (માત્થી ૧૧:૨૮) ખ્રિસ્તી મંડળના આગેવાન, આપણને ખુલ્લા દિલથી આ આમંત્રણ આપે છે. (એફેસી ૫:​૨૩) જ્યારે આપણે આ શબ્દો પર મનન કરીએ ત્યારે, આપણે જોઈ શકીએ છીએ કે ખરો વિસામો અથવા તાજગી આપણને ખ્રિસ્તી સભાઓમાં ભાઈ-બહેનોની સંગત દ્વારા મળે છે. આપણે ચોક્કસ ગીતકર્તાએ ગાયું તેની સાથે સહમત થઈશું: “ભાઈઓ સંપસંપીને રહે તે કેવું સારૂં તથા શોભાયમાન છે!”​—⁠ગીતશાસ્ત્ર ૧૩૩:⁠૧.

હા ખરેખર, પરમેશ્વરની ઉપાસના કરવા ભેગા થયેલા ભાઈ-બહેનોની સંગત સૌથી સારી હોય છે, અને સભાનું વાતાવરણ પણ ખરેખર સલામત અને આનંદદાયક હોય છે. એ કારણને લીધે એક ખ્રિસ્તી યુવતીએ કહ્યું: “હું સ્કૂલના લાંબા દિવસથી હતાશ થઈ ગઈ હોવ છું. પરંતુ સભાઓથી જેમ રણમાં તરસ્યાને પાણી મળે છે, તેમ મને તાજગી મળે છે જેથી હું સ્કૂલના બીજા દિવસને પહોંચી વળી શકું છું.” એક નાઈજીરિયાન યુવતીએ નોંધ્યું કે, “જેઓ યહોવાહ પરમેશ્વરને ઊંડો પ્રેમ કરે છે, તેઓની મિત્રતા રાખવાથી મને પણ યહોવાહને પ્રેમ કરવા મદદ મળી છે.”

સમાજમાં, યહોવાહના સાક્ષીઓનું રાજ્ય ગૃહ (કિંગ્ડમ હૉલ), સાચી ઉપાસના માટે મહત્ત્વનું કેન્દ્ર બન્યું છે. ઘણી જગ્યાઓએ, અઠવાડિયામાં બે સભાઓ ભરવામાં આવે છે. આના બે હેતુઓ છે. એક એ કે, જેઓ બાઇબલનો અભ્યાસ કરી રહ્યા છે, તેઓને જેમ બને એમ જલદી જ સભામાં હાજર રહેવા ઉત્તેજન આપી શકાય અને બીજું કે તેઓ પણ તાજગીભરી સંગતનો આનંદ માણી શકે.​​—⁠હેબ્રી ૧૦:​૨૪, ૨૫.

અગત્યની જરૂર

તેમ છતાં, એ નોંધપાત્ર છે કે કંઈ બધા જ યહોવાહના સાક્ષીઓ પાસે સારા રાજ્ય ગૃહ નથી. જગતવ્યાપી યહોવાહના સાક્ષીઓમાં જબરદસ્ત વધારો થઈ રહ્યો છે અને તેથી ખરેખર રાજ્ય ગૃહની તાકીદની જરૂર ઊભી થઈ છે. ખાસ કરીને ગરીબ દેશોમાં હજુ પણ હજારો રાજ્ય ગૃહની જરૂર છે.​​—⁠યશાયાહ ૫૪:૨; ૬૦:⁠૨૨.

દાખલા તરીકે, કૉંગો લોકશાહી પ્રજાસત્તાકના મુખ્ય શહેરમાં ૨૯૦ મંડળો માટે ફક્ત ૧૦ રાજ્ય ગૃહ હતાં. તે દેશમાં ખરેખર રાજ્ય ગૃહોની જરૂર હતી! અંગોલામાં ઘણાં ઓછા રાજ્ય ગૃહ હોવાથી, મોટા ભાગના મંડળો ખુલ્લા મેદાનમાં સભાઓ ભરે છે. આ જ પ્રકારે ઘણા દેશોમાં રાજ્ય ગૃહોની જરૂર પડી છે.

આ કારણોને લીધે, ૧૯૯૯થી એવા દેશો કે જ્યાં પૂરતી સાધન-સામગ્રી નથી ત્યાં રાજ્ય ગૃહ બાંધવા માટે મદદ પૂરી પાડવાનો પ્રયત્ન કર્યો છે. આ બાંધકામ માટે અનુભવી સાક્ષીઓએ સ્વેચ્છાથી કામ કર્યું છે. આ બાંધકામ જ્યારે રાજીખુશીથી કરવામાં આવ્યું ત્યારે ખરેખર એક સુંદર રાજ્ય ગૃહ તૈયાર થયું. એના બદલામાં, સાક્ષીઓને બાંધકામની જે તાલીમ મળી એનાથી તેઓને લાભ થયો કે તેમના પોતાના દેશોમાં જ્યાં રાજ્ય ગૃહની જરૂર છે ત્યાં તેઓ મદદ કરી શક્યા.

આવી જગ્યાઓ પર જે કંઈ સાધન-સામગ્રી મળી આવે છે એનો ડહાપણભરી રીતે ઉપયોગ કરી, સાક્ષીઓ, રાજ્ય ગૃહ બાંધે છે. આનો હેતુ ફક્ત સુંદર રાજ્ય ગૃહ બાંધવાનો જ નથી. પરંતુ એની દેખભાળ કઈ રીતે થઈ શકે તે પણ ધ્યાનમાં લેવામાં આવે છે.​​—⁠૨ કોરીંથી ૮:​૧૪, ૧૫.

તાજગી આપતા અનુભવો

આટલી મહેનતથી આ રાજ્ય ગૃહો બાંધ્યા એની શું અસર પડી? સાલ ૨૦૦૧ની શરૂઆતમાં, મલાવીના અહેવાલે આમ નોંધ્યું: “આ દેશમાં જે રાજ્ય ગૃહો બાંધવામાં આવ્યા છે, એ ખરેખર ઘણાં જ ઉપયોગી છે. આવતા બે મહિનામાં, અમે બીજા રાજ્ય ગૃહનું બાંધકામ પૂરું કરીશું.” (ચિત્ર ૧ અને ૨) ટોગોમાં, તાજેતરના મહિનામાં, સાક્ષીઓએ પોતાના ખર્ચે અને પોતાની મહેનતે ઘણાં સુંદર રાજ્ય ગૃહો બાંધી શકયા છે. (ચિત્ર ૩) આ જ સાક્ષીઓની મહેનતના લીધે મૅક્સિકો, બ્રાઝિલ અને બીજા દેશોમાં પણ સુંદર રાજ્ય ગૃહ બાંધવામાં મદદ મળી છે.

મંડળોએ નોંધ્યું કે જ્યારે રાજ્ય ગૃહ બાંધતો હતો ત્યારે, આસપાસના લોકોને ખ્યાલ આવ્યો કે યહોવાહના સાક્ષીઓ ત્યાં કાયમ રહેશે. અરે અમૂક લોકોને સાક્ષીઓ ગમતા ન હતા પરંતુ રાજ્ય ગૃહ બંધાયા બાદ તેઓને સાક્ષીઓ ગમવા માંડ્યા. મલાવીનું નાફીસી મંડળ અહેવાલ આપે છે: “હવે અમારી પાસે સુંદર રાજ્ય ગૃહ હોવાથી, લોકોને સારી સાક્ષી આપી શકાય છે. અરે, બાઇબલ અભ્યાસો પણ શરૂ કરવા સહેલા બની ગયા છે.”

બેનીનના ક્રેક મંડળના સભ્યોએ ભૂતકાળમાં ઘણી જ ઠઠ્ઠામશ્કરીઓ સહન કરી હતી કારણ કે તેઓનું જૂનું રાજ્ય ગૃહ, ચર્ચની સરખામણીમાં સાવ સાદું હતું. (ચિત્ર ૪) હવે તે મંડળ પાસે સુંદર રાજ્ય ગૃહ છે જ્યાં શુદ્ધ અને આદરભાવથી સાચી ઉપાસના થઈ રહી છે. (ચિત્ર ૫) આ મંડળમાં ૩૪ રાજ્યના પ્રચારકો છે, અને રવિવારની સભાની સરેરાશ હાજરી ૭૩ની છે. પરંતુ જ્યારે રાજ્ય ગૃહનું ઉદ્‍ઘાટન થયું ત્યારે ૬૫૧ વ્યક્તિઓએ હાજરી આપી હતી. જેમાં મોટા ભાગે આસપાસના લોકો હતા, જેઓ આટલા ટૂંકા સમયમાં રાજ્ય ગૃહ બંધાયો, એનાથી પ્રભાવિત થયા હતા. ભૂતકાળની સ્થિતિને યાદ કરતા ઝીંબાબ્વેની શાખાએ લખ્યું: “રાજ્ય ગૃહ બંધાયાના એક જ મહિનામાં, હાજરી બમણી થતી ગઈ.”​—⁠ચિત્ર ૬ અને ૭.

એમાં કોઈ જ શંકા નથી કે, આ નવા રાજ્ય ગૃહો, યહોવાહના સાક્ષીઓ અને રસ ધરાવનાર વ્યક્તિઓ માટે ઉત્તેજન અને તાજગી આપતા સુંદર સ્થળો સાબિત થયા છે. યુક્રેઇનમાં, મંડળે નવા રાજ્ય ગૃહનો ઉપયોગ કર્યા બાદ, એક સાક્ષીએ કહ્યું, “અમને ઘણો જ આનંદ થાય છે. અમે પોતાની નજરે જોયું કે યહોવાહ કઈ રીતે તેમના સેવકોને મદદ કરે છે.”

[પાન ૧૦, ૧૧ પર બોક્સ⁄ચિત્રો]

ઉદારતાની કદર!

યહોવાહના સાક્ષીઓને ખુબ જ આનંદ થાય છે કારણ કે હવે જગતવ્યાપી રાજ્ય ગૃહો ઝડપથી બંધાય રહ્યા છે. ઘણા દેશોમાં, યહોવાહના સેવકોમાં થઈ રહેલા એકધારા વધારાથી, ભવિષ્યમાં નવાં રાજ્ય ગૃહો બાંધવાની જરૂર પડશે. જેમ કે, ૨૦૦૧ સેવા વર્ષ દરમિયાન, સરેરાશ ૩૨ નવાં મંડળો, દર અઠવાડીયે શરૂ કરવામાં આવ્યા હતાં! આ મંડળોને ઉપાસના કરવા માટે ખરેખર એક રાજ્ય ગૃહની જરૂર હતી.

તો પછી, પ્રશ્ન એ ઊભો થાય છે કે, ‘નવા રાજ્ય ગૃહો બાંધવા માટે પૈસા ક્યાંથી આવશે? અને ખાસ કરીને ગરીબ દેશોમાં આ બાંધકામ કઈ રીતે થશે?’ જવાબમાં, આ કામ યહોવાહના આશીર્વાદ અને માનવ ઉદારતાથી થશે.

એ સાચું છે કે યહોવાહ પરમેશ્વરે વચન આપ્યું છે કે તે તેમના સેવકોને પવિત્ર શક્તિ આપશે ‘તેઓ . . . સારાં કામો કરવામાં ધનવાન બને. વળી જરૂરિયાતવાળાને તેઓ આનંદથી આપે. અને બીજાઓને ભાગીદાર બનાવવા તેઓ હમેશાં તત્પર રહે.’ (૧ તીમોથી ૬:૧૮, IBSI) પરમેશ્વરનો આશીર્વાદ, યહોવાહના સાક્ષીઓને પ્રચાર કાર્ય આગળ વધારવા માટે દરેક રીતે મદદ કરે છે. એમાં પોતાનો સમય, શક્તિ, સંપત્તિ અને વ્યક્તિગત મહેનતનો સમાવેશ થાય છે.

સાક્ષીઓ ઉદાર દિલથી આ બાંધકામને ચાલુ રાખવા માટે નાણાંકીય રીતે મદદ કરે છે. વધારામાં, તેઓ પોતાના મંડળમાં થતાં રોજ-બ-રોજના ખર્ચમાં મદદ કરવા ઉપરાંત, બીજા દેશોમાં થઈ રહેલા બાંધકામ માટે ફાળો મોકલે છે.

દરેક મંડળમાં, “જગતવ્યાપી ફાળા માટેની પેટી​—માત્થી ૨૪:૧૪” એવી લેબલ લગાડેલી પેટીઓ મૂકવામાં આવે છે. એ પેટીમાં જેઓ ઇચ્છતા હોય તેઓ સ્વૈચ્છિક ફાળો આપી શકે છે. (૨ રાજાઓ ૧૨:૯) ગમે એ હોય, વધારે કે ઓછું, દરેક પ્રકારના ફાળાની કદર કરવામાં આવે છે. (માર્ક ૧૨:૪૨-​૪૪) આ ફાળાનો વિવિધ રીતે, જરૂરી હોય એ પ્રમાણે ઉપયોગ કરવામાં આવે છે જેમાં રાજ્ય ગૃહનાં બાંધકામનો પણ સમાવેશ થાય છે. આ ફાળાનો ઉપયોગ કોઈ પણ મેનેજર કે ઍક્ઝેક્યુટીવને પગાર આપવામાં નથી થતો, કારણ કે યહોવાહના સાક્ષીઓમાં એવા કોઈ મોટા નામ અથવા કામ વાળા વ્યક્તિઓ નથી.

શું આ ફાળોનો ઉપયોગ રાજ્ય ગૃહના બાંધકામ માટે થઈ રહ્યો છે? હા, ચોક્કસ! લાઇબીરિયા દેશ યુદ્ધથી પાયમાલ થઈ ગયો છે. આ દેશમાં, મોટા ભાગના સાક્ષીઓ બેકારી અને પૈસાની તાણ ભોગવી રહ્યા છે. આ દેશમાં યહોવાહના સાક્ષીઓ કઈ રીતે રાજ્ય ગૃહ બાંધી શક્યા? ત્યાંની શાખા જણાવે છે, કે “બીજા દેશોમાંથી ભાઈઓએ ઉદાર હાથે આપેલાં ફાળાનો ઉપયોગ કરીને. આ કેટલી પ્રેમાળ અને ડહાપણભરી ગોઠવણ છે!”

આ ભાઈઓ પાસે ઓછી આવક હોવા છતાં ફાળો આપે છે. આફ્રિકામાં આવેલું સિએરા લીઓના ભાઈઓ અહેવાલ આપે છે: “રાજ્ય ગૃહના બાંધકામ માટે સ્થાનિક સાક્ષીઓ પોતાનાથી બનતી બધી જ મહેનત અને ફાળો આપવા તૈયાર છે.”

છેવટે તો, આ બાંધકામથી યહોવાહની વાહ વાહ થશે. લાઇબીરિયાના ભાઈઓ ઉત્સાહથી કહે છે: “આખા દેશમાં રાજ્ય ગૃહ બાંધવાથી લોકો જાણશે કે સાચી ઉપાસના કાયમ માટે રહેશે, જેથી પરમેશ્વરનું મહાન નામ વધારે ગૌરવવાન અને શોભીત થશે.”