સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

મરણ વિષેની અમુક દંતકથાઓને નજીકથી તપાસવી

મરણ વિષેની અમુક દંતકથાઓને નજીકથી તપાસવી

મરણ વિષેની અમુક દંતકથાઓને નજીકથી તપાસવી

સદીઓથી માણસ મોતથી ડરતો આવ્યો છે અને એનાથી દૂર ભાગે છે. વધુમાં, જૂઠા ધાર્મિક વિચારો, પ્રખ્યાત રિવાજો અને ઘર કરી ગયેલી વ્યક્તિગત માન્યતાઓએ મરણની બીકને વધારે ભડકાવી છે. મરણના ભયથી વ્યક્તિ જીવનનો આનંદ ગુમાવી શકે છે અને એ તેના જીવનમાંથી ધીમે ધીમે વિશ્વાસ કોરી ખાય શકે કે જીવનનો કોઈ અર્થ નથી.

મરણ વિષેની અનેક જાણીતી દંતકથાઓ માટે ખાસ કરીને પ્રખ્યાત ધર્મો જવાબદાર છે. એમાંની અમુક દંતકથાઓને બાઇબલ સત્યની મદદથી તપાસીને જુઓ કે મરણ વિષેના તમારા પોતાના વિચારો સ્પષ્ટ છે કે નહિ.

દંતકથા ૧: મરણ એ જીવનનો કુદરતી અંત છે.

મરણ​—⁠વિકાસનો છેલ્લો તબક્કો (અંગ્રેજી) પુસ્તક કહે છે, “મરણ . . . આપણા જીવનનો મહત્ત્વનો ભાગ છે.” આવાં કથનો બતાવે છે કે મરણ તો સામાન્ય છે, દરેક જીવનો અંત આવે એ કુદરતી છે. પરિણામે, ઘણા લોકો એવું વિચારે છે કે આપણા જીવનનો કોઈ અર્થ નથી અને આપણે દરેક તકનો લાભ ઉઠાવી લેવો જોઈએ, પછી ભલે એમ કરવું સિદ્ધાંતોની વિરુદ્ધમાં હોય.

પરંતુ, શું મરણ ખરેખર જીવનનો કુદરતી અંત છે? બધા સંશોધકો એમ માનતા નથી. દાખલા તરીકે, મનુષ્યોની ઉંમર વિષે અભ્યાસ કરનાર એક જીવવિજ્ઞાની, કેલ્વિન હારલેએ એક ઇન્ટર્વ્યૂંમાં કહ્યું કે મનુષ્યોને “મરવાના હેતુથી બનાવવામાં” આવ્યા છે એમાં હું માનતો નથી. રોગ-પ્રતિરક્ષાવિજ્ઞાની વિલિયમ ક્લાર્કે કહ્યું: “જીવનની વ્યાખ્યામાં મરણનો કોઈ જ ભાગ નથી.” કૅલિફૉર્નિયામાં ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેકનોલૉજીના સેમોર બેનઝાર ઊંડો વિચાર કરીને કહે છે કે “ઉંમર વધવાને સમય સાથે સરખાવી શકાય નહિ કે જે એક વાર ગયા પછી પાછો આવતો નથી. પરંતુ, એ બનાવોનો એવો ક્રમ છે જેમાં ફેરફાર થવાની અપેક્ષા રાખી શકાય.”

માનવોને જે રીતે સર્જવામાં આવ્યા છે એનો વૈજ્ઞાનિકો અભ્યાસ કરે છે ત્યારે, તેઓ ગૂંચવણમાં પડી જાય છે. તેઓને જોવા મળે છે કે આપણને એટલી યોગ્યતા અને ક્ષમતાથી બનાવવામાં આવ્યા છે કે આપણે ૭૦થી ૮૦ વર્ષના જીવન કરતાં ઘણાં વધારે વર્ષો જીવી શકીએ છીએ. દાખલા તરીકે, વૈજ્ઞાનિકોને જોવા મળ્યું છે કે માનવ મગજમાં વિશાળ યાદશક્તિ રહેલી છે. એક સંશોધકે અંદાજ લગાવ્યો કે આપણું મગજ “દુનિયાના સૌથી મોટાં પુસ્તકાલયો જેટલી, એટલે કે લગભગ બે કરોડ જેટલા ગ્રંથોની માહિતીને યાદ રાખી” શકે છે. કેટલાક ન્યૂરોસાયન્ટિસ્ટો માને છે કે વ્યક્તિ પોતાના આખા જીવનમાં મગજની કુલ શક્તિનો સરેરાશ ફક્ત એક ટકાનો ૧/૧૦૦મો ભાગ (.૦૦૦૧) ઉપયોગ કરે છે. તેથી, આમ પૂછવું યોગ્ય છે કે, ‘શા માટે આપણું મગજ આવી વિશાળ ક્ષમતા ધરાવે છે જ્યારે કે આપણે સરેરાશ જીવનકાળમાં એનો ફક્ત થોડો જ ઉપયોગ કરીએ છીએ?’

મરણ વખતે મનુષ્યો કેવી અસામાન્ય પ્રતિક્રિયા બતાવે છે એનો પણ વિચાર કરો! મોટા ભાગના લોકો માટે પત્નીનું, પતિનું કે બાળકનું મૃત્યુ જીવનનો સૌથી આઘાતજનક અનુભવ હોય છે. પ્રિયજનના મૃત્યુ પછી લોકો લાંબા સમય સુધી ઉદાસ અને હતાશ રહેતા હોય છે. મનુષ્ય માટે મરણ કુદરતી છે એવો દાવો કરનારાઓ માટે પણ એ માન્યતા સ્વીકારવી અઘરી છે કે તેમનું પોતાનું મરણ એટલે સર્વ બાબતોનો અંત આવી જશે. બ્રિટીશ મેડિકલ જર્નલએ કહ્યું કે “સામાન્ય ધારણા પ્રમાણે દરેક વ્યક્તિ શક્ય એટલું લાંબું જીવવા ઇચ્છે છે.”

મરણ પ્રત્યે લોકોનો સામાન્ય પ્રત્યુત્તર, તેઓની યાદ રાખવાની અને શીખવાની અસામાન્ય ક્ષમતા તથા અનંતકાળ સુધી જીવવાની તેઓની ઝંખનાથી શું એ સ્પષ્ટ નથી થતું કે મનુષ્યોને જીવવા માટે બનાવવામાં આવ્યા છે? ખરેખર, પરમેશ્વરે મનુષ્યોને કુદરતી રીતે મરવા માટે નહીં પણ જીવવા માટે અને એ પણ હંમેશ માટે જીવવાની આશા સાથે બનાવ્યા હતા. નોંધ લો કે પરમેશ્વરે પ્રથમ માનવ યુગલને તેઓના ભવિષ્ય વિષે શું કહ્યું હતું: “સફળ થાઓ, ને વધો, ને પૃથ્વીને ભરપૂર કરો, ને તેને વશ કરો; અને સમુદ્રનાં માછલાં પર, તથા આકાશનાં પક્ષીઓ પર, તથા પૃથ્વી પર ચાલનારાં સઘળાં પ્રાણીઓ પર અમલ ચલાવો.” (ઉત્પત્તિ ૧:૨૮) કેવું અદ્‍ભુત અને અનંત ભાવિ!

દંતકથા ૨: પરમેશ્વર લોકોને મરણ દ્વારા પોતાની પાસે બોલાવી લે છે.

મરણપથારીએ પડેલી ત્રણ બાળકોની સત્યાવીસ વર્ષની એક માતાએ કૅથલિક નનને કહ્યું: “મને એમ ન કહેતા કે પરમેશ્વરની મારા માટે આ જ ઇચ્છા છે. . . . મને કોઈ એવું કહે એ જરાય પસંદ નથી.” તોપણ, ઘણા ધર્મ મરણ વિષે એમ જ શીખવતા હોય છે કે પરમેશ્વર લોકોને પોતાની પાસે બોલાવી લે છે.

શું આપણા ઉત્પન્‍નકર્તા એટલા ક્રૂર છે કે મરણથી આપણા હૃદયને દુઃખ થાય છે એ જાણતા હોવા છતાં, નિર્દયપણે આપણા પર મરણ લાવે છે? ના, બાઇબલના પરમેશ્વર એવા ક્રૂર નથી. પહેલો યોહાન ૪:૮ કહે છે કે “દેવ પ્રેમ છે.” નોંધ લો કે એ એમ નથી કહેતું કે પરમેશ્વર પાસે પ્રેમ છે અથવા પરમેશ્વર પ્રેમાળ છે, પરંતુ એ કહે છે કે પરમેશ્વર પ્રેમ છે. પરમેશ્વરનો પ્રેમ એટલો શક્તિશાળી, એટલો શુદ્ધ અને એટલો સંપૂર્ણ છે અને એ તેમના વ્યક્તિત્વ તથા કાર્યમાં એવો સમાયેલો છે કે પ્રેમને તેમનો આગવો ગુણ કહી શકાય. પરમેશ્વર ક્યારેય લોકોને મરણ દ્વારા પોતાની પાસે લઈ લેતા નથી.

જૂઠા ધર્મોએ, મરણ પછી આપણે ક્યાં જઈએ છીએ અને આપણું શું થાય છે એ વિષે ઘણી ગૂંચવણો ઊભી કરી છે. એ ધર્મો શીખવે છે કે મરણ પછી વ્યક્તિ સ્વર્ગ, નરક, શોધનાગ્‍નિ અને લીમ્બો જેવી ભિન્‍ન જગ્યાઓએ જાય છે અને એમાંની કેટલીક સમજવી ઘણી અઘરી છે. કેટલીક જગ્યાનું એવી રીતે વર્ણન કરવામાં આવ્યું છે કે જેનાથી કંપારી છૂટી જાય છે. બીજી બાજુ, બાઇબલ કહે છે કે મૂએલાઓ કંઈ જાણતા નથી; તેઓની પરિસ્થિતિને ઊંઘ સાથે સરખાવવામાં આવી છે. (સભાશિક્ષક ૯:૫, ૧૦; યોહાન ૧૧:૧૧-૧૪) તેથી, આપણે કોઈને ભર ઊંઘમાં જોઈએ ત્યારે ચિંતા કરતા નથી તેમ, મરણ પછી શું થાય છે એ વિષે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. ઈસુએ એ સમયની વાત કરી જ્યારે “જેઓ કબરમાં છે તેઓ સર્વ” પારાદેશ પૃથ્વી પર ફરીથી જીવવા “નીકળી આવશે.”​—⁠યોહાન ૫:૨૮, ૨૯; લુક ૨૩:૪૩.

દંતકથા ૩: પરમેશ્વર નાનાં બાળકોને દૂતો બનાવવા લઈ લે છે.

એલીઝાબેથ કુલબીર રોસ ધાર્મિક લોકોમાં પ્રચલિત બીજી એક માન્યતાનો ઉલ્લેખ કરે છે. તેણે ખૂબ જ બીમાર અને છેલ્લા શ્વાસ લઈ રહેલાઓ પર અભ્યાસ કર્યો હતો. એક બનાવને યાદ કરતા તે જણાવે છે કે “પોતાના ભાઈને ગુમાવનાર એક નાની બાળકીને એમ કહેવું કેટલું મૂર્ખામીભર્યું છે કે પરમેશ્વર નાનાં બાળકોને ખૂબ પ્રેમ કરતા હોવાથી, તેના નાના ભાઈ જોનીને સ્વર્ગમાં બોલાવી લીધો છે.” આવું કહેવાથી પરમેશ્વર વિષે ખોટી છાપ પડે છે અને એ પરમેશ્વર જેવું વ્યક્તિત્વ તથા વલણને બતાવતું નથી. ડૉક્ટર કુલબીર રોસ આગળ જણાવે છે: “આ નાની બાળકી, પછી મોટી થઈ ત્યારે પણ તેનો પરમેશ્વર પ્રત્યેનો ગુસ્સો ઠંડો પડ્યો નહીં. તેણે ત્રણ દાયકા પછી પોતાના નાના દીકરાને ગુમાવ્યો ત્યારે, તે ગંભીર માનસિક ડિપ્રેશનનો ભોગ બની.”

શા માટે પરમેશ્વર બાળકોને દૂતો બનાવવા લઈ લે છે અને શું બાળકની તેના માબાપ કરતાં પરમેશ્વરને વધારે જરૂર છે? પરમેશ્વર બાળકોને લઈ લે છે એ સાચું હોય તો, શું એનાથી તે નિર્દય અને સ્વાર્થી ઉત્પન્‍નકર્તા બનતા નથી? આવા વિચારોથી ભિન્‍ન બાઇબલ કહે છે: “પ્રેમ દેવથી છે.” (૧ યોહાન ૪:૭) થોડી ઘણી નૈતિક સમજ ધરાવતી વ્યક્તિ પણ કોઈનું મરણ થાય એને યોગ્ય ન ગણતી હોય તો, શું પ્રેમના પરમેશ્વર આવું કાર્ય કરી શકે?

તો પછી, શા માટે બાળકો મરણ પામે છે? એના ઘણાં કારણો છે જેમાંનું એક બાઇબલમાં સભાશિક્ષક ૯:૧૧માં જોવા મળે છે: “પ્રસંગ તથા દૈવયોગની અસર સર્વને લાગુ પડે છે.” ગીતશાસ્ત્ર ૫૧:૫ આપણને કહે છે કે આપણે ગર્ભમાં હતા ત્યારથી જ અપૂર્ણ અને પાપી છીએ. માનવો ઘણાં ભિન્‍ન કારણોસર મરણ પામે છે. અમુક વખતે મરણ જન્મ પહેલાં ભરખી જાય છે, જેના પરિણામે બાળક ગર્ભમાં જ મૃત્યુ પામે છે. બીજા કિસ્સાઓમાં, બાળકો કરુણ બનાવોમાં અથવા અકસ્માતમાં મૃત્યુ પામે છે. આવા બનાવો માટે પરમેશ્વર જવાબદાર નથી.

દંતકથા ૪: અમુક લોકો મરણ પછી શારીરિક પીડા ભોગવે છે.

ઘણા ધર્મ શીખવે છે કે દુષ્ટ લોકો નર્કાગ્‍નિમાં જશે અને હંમેશ માટે પીડા ભોગવશે. શું આ શિક્ષણ તાર્કિક અને શાસ્ત્રીય છે? મનુષ્યો ૭૦થી ૮૦ વર્ષનું મર્યાદિત જીવન જીવતા હોય છે. કોઈ વ્યક્તિએ પોતાના આયખામાં ખૂબ જ દુષ્ટ કામો કર્યાં હોય તોપણ, તેને શિક્ષામાં હંમેશ માટેની પીડા આપવી શું યોગ્ય છે? ના. વ્યક્તિએ પોતાના ટૂંકા જીવનકાળમાં પાપ કર્યું હોય એ માટે તેને હંમેશ માટે શિક્ષા કરવી એ અન્યાય થશે.

પરમેશ્વર જ કહી શકે કે મરણ પછી આપણું શું થાય છે અને એ તેમણે પોતાના શબ્દ બાઇબલમાં જણાવ્યું છે. બાઇબલ આમ કહે છે: “જેમ એક [પશુ] મરે છે તેમ [માણસ] પણ મરે છે; તે સર્વને એક જ પ્રાણ હોય છે. . . . સર્વ એક જ જગાએ જાય છે; સર્વ ધૂળનાં છે, ને સર્વ પાછાં ધૂળમાં મળી જાય છે.” (સભાશિક્ષક ૩:૧૯, ૨૦) અહીં નર્કાગ્‍નિ જેવું કંઈ નોંધવામાં આવ્યું નથી. મનુષ્યો મરણ પામે છે ત્યારે ધૂળમાં મળી જાય છે એટલે કે તેઓનું ક્યાંય અસ્તિત્વ રહેતું નથી.

પીડા ભોગવવા માટે વ્યક્તિ સભાન હોવી જોઈએ. પરંતુ, શું મૂએલાઓ સભાન હોય છે? ફરીથી બાઇબલ જવાબ આપે છે: “જીવતાઓ જાણે છે કે પોતે મરવાના છે; પણ મૂએલા કંઈ જાણતા નથી, તેઓને હવે પછી કંઇ બદલો મળવાનો નથી; કેમકે તેમનું સ્મરણ લોપ થયું છે.” (સભાશિક્ષક ૯:૫) તેથી મૂએલાઓ કે જેઓ “કંઈ જાણતા નથી,” તેઓ કોઈ જગ્યાએ પીડા ભોગવે એ શક્ય જ નથી.

દંતકથા ૫: મરણ એટલે આપણા અસ્તિત્વનો હંમેશ માટેનો અંત.

આપણે મરીએ છીએ ત્યારે આપણું અસ્તિત્વ નાશ પામે છે, પરંતુ એનો અર્થ એમ નથી કે દરેક બાબતનો અંત આવી જાય છે અને હવે કોઈ આશા નથી. વિશ્વાસુ અયૂબ જાણતા હતા કે તે મરશે ત્યારે કબરમાં એટલે કે શેઓલમાં જશે. પરંતુ તેમણે પરમેશ્વરને જે પ્રાર્થના કરી હતી એને સાંભળો: “તું મને શેઓલમાં સંતાડે, અને તારો કોપ શમી જાય ત્યાં સુધી છુપાવી રાખે, અને મને મુકરર સમય ઠરાવી આપીને યાદ રાખે તો કેવું સારૂં! શું મૂએલો માણસ સજીવન થાય? . . . [‘તું મને બોલાવીશ, અને હું તને ઉત્તર આપીશ,’ NW].”​—⁠અયૂબ ૧૪:૧૩-૧૫.

અયૂબ જાણતા હતા કે તે મરણપર્યંત વફાદાર રહેશે તો પરમેશ્વર તેમને યાદ રાખશે અને તેમના સમયે સજીવન કરશે. પ્રાચીન સમયમાં પરમેશ્વરના સર્વ સેવકોને આવી આશા હતી. ઈસુએ પણ આ આશાને સમર્થન આપ્યું અને બતાવ્યું કે પરમેશ્વર મૂએલાને સજીવન કરવા માટે તેમનો ઉપયોગ કરશે. ખ્રિસ્તના પોતાના શબ્દો આપણને આમ ખાતરી આપે છે: “એવી વેળા આવે છે કે જ્યારે જેઓ કબરમાં છે તેઓ સર્વ તેની [ઈસુની] વાણી સાંભળશે; અને જેઓએ સારાં કામ કર્યાં છે, તેઓ જીવનનું ઉત્થાન પામવા સારૂ, અને જેઓએ ભૂંડાં કામ કર્યાં છે, તેઓ દંડનું ઉત્થાન પામવા સારૂ, નીકળી આવશે.”​—⁠યોહાન ૫:૨૮, ૨૯.

હવે થોડા જ સમયમાં પરમેશ્વર સર્વ દુષ્ટતાને કાઢી નાખશે અને સ્વર્ગીય શાસન હેઠળ એક નવી દુનિયા સ્થાપિત કરશે. (ગીતશાસ્ત્ર ૩૭:૧૦, ૧૧; દાનીયેલ ૨:૪૪; પ્રકટીકરણ ૧૬:૧૪, ૧૬) પરિણામે, આખી પૃથ્વી પરમેશ્વરની સેવા કરતા લોકોથી ભરાઈ જશે. બાઇબલમાં આપણે વાંચીએ છીએ: “મેં રાજ્યાસનમાંથી મોટી વાણી એમ બોલતી સાંભળી, કે જુઓ, દેવનો મંડપ માણસોની સાથે છે, દેવ તેઓની સાથે વાસો કરશે, તેઓ તેના લોકો થશે, અને દેવ પોતે તેઓની સાથે રહીને તેઓનો દેવ થશે. તે તેઓની આંખોમાંનું દરેક આંસુ લૂછી નાખશે; મરણ ફરીથી થનાર નથી; તેમજ શોક કે રૂદન કે દુઃખ ફરીથી થનાર નથી; પ્રથમની વાતો જતી રહેલી છે.”​—⁠પ્રકટીકરણ ૨૧:૩, ૪.

મરણનો ભય હશે નહિ

પુનરુત્થાનની આશાનું જ્ઞાન, એ જોગવાઈના ઉદ્‍ભવકર્તાના જ્ઞાન સાથે સંકળાયેલું છે જે તમને દિલાસો આપી શકે. ઈસુએ વચન આપ્યું: “તમે સત્યને જાણશો, અને સત્ય તમને મુક્ત કરશે.” (યોહાન ૮:૩૨) એમાં મરણના ભયમાંથી આપણને મુક્ત કરવાનો પણ સમાવેશ થાય છે. યહોવાહ જ વધતી જતી ઉંમર અને મરણની પ્રક્રિયાને બદલી શકે અને આપણને અનંતજીવન આપી શકે. શું તમે પરમેશ્વરનાં વચનો પર ભરોસો મૂકી શકો? હા, પરમેશ્વરનાં વચનો હંમેશાં સાચાં સાબિત થાય છે. (યશાયાહ ૫૫:૧૧) અમે તમને માનવજાત માટે પરમેશ્વરના હેતુ વિષે શીખવાનું ઉત્તેજન આપીએ છીએ. આ વિષે તમને મદદ કરવામાં યહોવાહના સાક્ષીઓને આનંદ થશે.

[પાન ૬ પર બ્લર્બ]

મરણનો ભય જીવનનો આનંદ માણવાની વ્યક્તિની ક્ષમતાને પાંગળી બનાવી શકે

[પાન ૭ પર ચાર્ટ]

મરણ વિષેની અમુક સામાન્ય દંતકથાઓ શાસ્ત્રવચનો શું કહે છે?

● મરણ એ જીવનનો કુદરતી અંત છે․ ઉત્પત્તિ ૧:૨૮; ૨:૧૭; રૂમી ૫:૧૨

● પરમેશ્વર લોકોને મરણ દ્વારા પોતાની પાસે બોલાવી લે છે․ અયૂબ ૩૪:૧૫; ગીતશાસ્ત્ર ૩૭:૧૧, ૨૯; ૧૧૫:૧૬

● પરમેશ્વર નાનાં બાળકોને દૂતો બનાવવા લઈ લે છે․ ગીતશાસ્ત્ર ૫૧:૫; ૧૦૪:૧, ૪; હેબ્રી ૧:૭, ૧૪

● અમુક લોકો મરણ પછી પીડા ભોગવે છે․ ગીતશાસ્ત્ર ૧૪૬:૪; સભાશિક્ષક ૯:૫, ૧૦; રૂમી ૬:૨૩

● મરણ એટલે આપણા અસ્તિત્વનો હંમેશ માટે અંત․ અયૂબ ૧૪:૧૪, ૧૫; યોહાન ૩:૧૬; ૧૭:૩; પ્રેરિતોનાં કૃત્યો ૨૪:⁠૧૫

[પાન ૮ પર ચિત્ર]

મરણ વિષેનું સત્ય જાણવાથી આપણે એનાથી ભયમુક્ત થઈએ છીએ

[પાન ૫ પર ચિત્રની ક્રેડીટ લાઈન]

Barrators​—Giampolo/The Doré Illustrations For Dante’s Divine Comedy/Dover Publications Inc.