સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

યોગ એમાં ખોટું શું છે?

યોગ એમાં ખોટું શું છે?

યોગ એમાં ખોટું શું છે?

આજે બધા લોકો તંદુરસ્ત અને પાતળા દેખાવા ઇચ્છે છે. તેથી, ઘણા લોકો પાતળા થવા જિમ્નેશિયમ કે હેલ્થ ક્લબમાં જાય છે. પરંતુ પશ્ચિમ દેશોના ઘણા લોકો આજે યોગ કરવા તરફ વધારે રસ બતાવી રહ્યા છે.

લોકો ડીપ્રેશન અને ચિંતાઓથી મુક્ત થવા માટે યોગ કરવા લાગ્યા છે. ખાસ કરીને, ૧૯૬૦ના દાયકાથી હિપ્પી લોકો એશિયન ધર્મોમાં રસ લેવા લાગ્યા. એ પછી પશ્ચિમી દેશોમાં ધ્યાન ધરવાની કળા ઝડપથી ફેલાવા લાગી. હવે તો એક્ટરો અને સંગીતકારો પણ ધ્યાન ધરવામાં તલ્લીન થવા લાગ્યા છે, અને તેઓની પાછળ ઘણા લોકો જોડાઈ રહ્યા છે. આજે યોગ કરવા અને ધ્યાન ધરવું લોકપ્રિય બની રહ્યું છે. તેથી આપણે પણ પોતાને પૂછવું જોઈએ: ‘યોગ કે ધ્યાન ધરવાથી શું હું પાતળો અને તંદુરસ્ત થઈ શકીશ? તેમ જ શું મને મનની શાંતિ મળશે? શું એનો કોઈ ધર્મ સાથે સંબંધ છે? શું કોઈ ખ્રિસ્તી યોગ કે ધ્યાન ધરી શકે?’

યોગની શરૂઆત

“યોગ” મૂળ સંસ્કૃતમાંથી આવે છે. એનો અર્થ જોડાણ, મિલન, સંબંધ અને એક થવું પણ થાય છે. તેથી, હિંદુઓ યોગ અને ધ્યાન દ્વારા અંતઃકરણથી ઈશ્વર સાથે એકાગ્ર થવાનો પ્રયત્ન કરે છે. એનું એવું પણ વર્ણન કરવામાં આવ્યું છે કે “મન, જીવ અને આત્માથી પરમેશ્વર સાથે એક થવાય છે.”

તો પછી, યોગની શરૂઆત ક્યારે થઈ? પાકિસ્તાનમાં આવેલી સિંધુ ખીણની અગાઉની એક સંસ્કૃતિમાંથી એની શરૂઆત થઈ હતી. પુરાતત્ત્વશાસ્ત્રીઓને ત્યાંથી માટીની અનેક શિલાપાટીઓ મળી આવી છે. એમાં લોકો યોગાસનમાં બેઠા હોય એવી પ્રતિમાઓ જોવા મળે છે. પુરાતત્ત્વશાસ્ત્રીઓનું કહેવું છે કે સિંધુ ખીણમાં ૨-૩ બી.સી.ઈ.થી લોકો ત્યાં વસતા હતા. એટલે કે, મેસોપોટેમિયામાં લોકો વસતા હતા એ સમયની આસપાસ, સિંધુ ખીણમાં પણ લોકો રહેતા હતા. એ બંને જગ્યાએથી અમુક માટીની શિલાપાટીઓ મળી આવી છે. એમાં દેવ પુરુષ બેઠેલો જોવા મળે છે, અને તેણે શિંગડાંમાંથી બનાવેલો મુગટ પહેર્યો છે. તે પશુઓથી ઘેરાયેલો જોવા મળે છે અને “બળવાન શિકારી” નિમ્રોદની યાદ અપાવે છે. (ઉત્પત્તિ ૧૦:૮, ૯) હિંદુઓ માને છે કે એ શિલાપાટીમાં શિવ ભગવાન યોગાસન કરતા બેઠા છે. તે પશુપતિ અને યોગના પ્રભુ હોવાથી, લોકો શિવલિંગની પૂજા કરે છે. એવી જ રીતે હિંદુ જગત (અંગ્રેજી) પુસ્તકમાં યોગ અને ધ્યાન “કઈ રીતે કરવું એ જોવા મળે છે. તેમ જ, એમાં આર્ય સમાજનો જન્મ થયો એ પહેલાંની પ્રાચીન માન્યતાઓ અને રિવાજો વિષેની માહિતી પણ જોવા મળે છે.”

કઈ રીતે યોગ કરવા જોઈએ કે ધ્યાન ધરવું જોઈએ, એ જ્ઞાન શરૂઆતમાં આવનાર પેઢીઓને મૌખિક રીતે શીખવવામાં આવતું હતું. પછી સમય જતા, પતંજલિ નામના મુનિએ યોગ સુત્રમાં એ માહિતી લખી લીધી. આજે પણ યોગ કરવા કે ધ્યાન ધરવાનું શીખવવા માટે એ માહિતીનો ઉપયોગ કરવામાં આવે છે. પતંજલિના કહેવા પ્રમાણે, “શારીરિક તથા માનસિક રીતે સંપૂર્ણ બનવા માટે” યોગ એક સાધન છે. એની શરૂઆત થઈ ત્યારથી જ પૂર્વના દેશો અને ખાસ કરીને આજે હિંદુ, જૈન તથા બૌદ્ધ ધર્મમાં યોગ મહત્ત્વનો ભાગ ભજવે છે. અમુક લોકો માને છે કે યોગ અથવા ધ્યાન ધરવાથી ઈશ્વર સાથે એકાગ્રતા અને મોક્ષ મળી શકે છે.

તેથી, આપણે ફરી એ પ્રશ્ન પૂછવો જોઈએ: ‘શું આપણે બીજા કોઈ ધર્મમાં ભાગ લીધા વગર, તંદુરસ્ત રહેવા કોઈ પણ પ્રકારના યોગ કરી શકીએ? યોગની શરૂઆત જાણ્યા પછી, એ પ્રશ્નનો જવાબ ‘ના’ હોવો જોઈએ.

યોગ કે ધ્યાન કરવાથી શું થઈ શકે?

યોગ કરવાનો હેતુ, ધ્યાન ધરતી વ્યક્તિને ઈશ્વર કે વિલક્ષણ શક્તિ સાથે ‘એક કરવાનો’ હોય છે. પરંતુ, એ વિલક્ષણ શક્તિ શું છે?

હિંદુ જગત પુસ્તકના લેખક બેન્જામીન વૉકર યોગ વિષે આમ કહે છે: “જાદુ-મંત્રની શરૂઆત થઈ ત્યારે, યોગની શરૂઆત પણ એની સાથે જ થઈ હોય શકે. તેથી, એની અસર આજે પણ જંતરમંતરની ક્રિયા સાથે જોવા મળે છે.” હિંદુ ફિલસૂફો પણ કબૂલે છે કે ધ્યાન ધરવાથી અલૌકિક કે વિલક્ષણ શક્તિ મળી શકે છે. પછી ભલેને બીજાઓ એ દાવો કરે કે યોગ અથવા ધ્યાન ધરવાથી એમ થતું નથી. દાખલા તરીકે, ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. એસ. રાધાક્રિષ્નને પોતાના પુસ્તક ભારતીય ફિલસૂફીમાં યોગી વિષે આમ કહ્યું: ‘જે યોગી ગમે તેટલી ઠંડી કે ગરમીમાં તપ કે ધ્યાન કરે છે, તે ઘણે દૂરથી અવાજ સાંભળી શકે છે, અને ઘણે દૂર સુધી જોઈ પણ શકે છે. તેમ જ તે કોઈ પણ સાધન વગર બીજાઓના વિચારો જાણી શકે છે. એવી જ રીતે તે અદૃશ્ય પણ બની શકે છે.’

યોગીને ખીલાની પથારી પર સૂતા કે અગ્‍નિ પર ચાલતા જોઈએ છીએ ત્યારે, ઘણા એને ચાલાકી માને છે જ્યારે બીજાઓ એને હસી કાઢે છે. પરંતુ, એવું તો ભારતમાં રોજ જોવા મળે છે. અમુક લોકો તો એક પગ પર કલાકો સુધી ઊભા રહીને, મટકું માર્યા વગર સૂરજને જોતા જોવા મળે છે. કેટલાક તો કલાકો સુધી શ્વાસ રોકીને, રેતીમાં દટાઈને ધ્યાન ધરતા હોય છે. જૂન ૧૯૯૫માં ધ ટાઈમ્સ ઑફ ઇન્ડિયા છાપાએ જણાવ્યું કે સાડા ત્રણ વર્ષની એક છોકરીએ ધ્યાન ધરીને, ૭૫૦ કિલો વજનની કારને તેના પેટ પરથી પસાર થવા દીધી. તોપણ તેને કંઈ થયું ન હતું એ જોઈને લોકો અચંબો પામી ગયા. તેના વિષે એ છાપાએ આમ કહ્યું: “એ સાચે જ ધ્યાનની શક્તિ કહેવાય.”

જો કે મનુષ્ય આવી અજાયબી કરી શકે એમાં કોઈ શંકા નથી. તેમ છતાં, આપણે યહોવાહના સેવક હોવાથી પોતાને પૂછવું જોઈએ: આવી શક્તિ કોની પાસેથી આવે છે? શું એ ‘આખી પૃથ્વીના પરાત્પર દેવ’ પાસેથી આવે છે? (ગીતશાસ્ત્ર ૮૩:૧૮) બાઇબલ એના વિષે સ્પષ્ટ માહિતી આપે છે. ઈસ્રાએલીઓ વચનના દેશમાં પ્રવેશવાની તૈયારીમાં હતા ત્યારે, યહોવાહ પરમેશ્વરે તેઓને મુસા દ્વારા આમ કહ્યું હતું: “તે દેશજાતિઓનાં અમંગળ કૃત્યોનું અનુકરણ કરતાં તારે ન શીખવું.” ક્યાં ‘અમંગળ કૃત્યો?’ મુસાએ તેઓને ચેતવ્યા કે “તારી મધ્યે એવો કોઈ જન હોવો ન જોઈએ કે જે પોતાના દીકરાને કે દીકરીને અગ્‍નિમાં ચલાવતો હોય, કે જોષ જોતો હોય, કે શકુન જોતો હોય, કે ધંતરમંતર કરનાર, કે જાદુગર” હોય. (પુનર્નિયમ ૧૮:૯, ૧૦) આવા કામો યહોવાહ ધિક્કારે છે, કારણ કે એ શેતાન, તેના ભૂતો અને પાપી માણસોનું કામ છે.​—⁠ગલાતી ૫:૧૯-૨૧.

ખ્રિસ્તીઓ એ વિષે વિચારી જ ન શકે

કદાચ ઉપર આપેલી માહિતી વિષે વ્યાયામના કે યોગના શિક્ષકો સહમત નહિ થાય. તેમ છતાં, તંદુરસ્ત રહેવા માટે યોગ જ એક ઇલાજ નથી. હિંદુ રીતભાત, રિવાજ અને વિધિઓ (અંગ્રેજી) પુસ્તકમાં, ગુરુના માર્ગદર્શન હેઠળ બે વ્યક્તિઓ તપ કે યોગ શીખી રહ્યા હતા એનો એક અનુભવ આપ્યો છે. એક કહે છે: “મારાથી થઈ શકે ત્યાં સુધી મેં શ્વાસ રોકી રાખ્યો અને બેભાન થવા લાગ્યો ત્યારે જ શ્વાસ લીધો હતો. . . . એક દિવસે ભરબપોરે, મને લાગ્યું કે મેં સૂર્ય જેવો જ ચંદ્ર જોયો, જે ઝૂલતો હતો. તેમ જ બીજી વખતે ભરબપોરે મને એવું લાગ્યું કે મારી આસપાસ ઘોર અંધકાર છવાઈ ગયો છે. મેં એ વિષે મારા ગુરુને કહ્યું ત્યારે, તેમને ઘણો જ આનંદ થયો હતો. પછી તેમણે મને ખાતરી આપી કે તું જે રીતે તપ કરી રહ્યો છે એનાથી, બહુ જ જલદી તને ઘણા અજોડ અનુભવો થશે.” બીજી વ્યક્તિ આમ કહે છે: “તેમણે મને દરરોજ એક જ જગ્યાએ અને એક જ દિશામાં મટકું માર્યા વગર આકાશ તરફ જોવાનું કહ્યું. . . . એમ કરવાથી, અમુક વખતે મને આગનો અથવા ધૂમકેતુનો વરસાદ વરસતો દેખાતો હતો. આ બધું મેં મારા ગુરુને જણાવ્યું ત્યારે તે બહુ ખુશ થઈ ગયા હતા.”

ગુરુઓનું માનવું છે કે યોગ કે ધ્યાન ધરતા અસામાન્ય બાબતો દેખાવી જોઈએ, એ જ યોગનો સાચો માર્ગ છે. કેમ કે એ જ યોગ અથવા ધ્યાન કરવાનો ધ્યેય છે. હા, યોગ કરવાનો તેઓનો મૂળ હેતુ મોક્ષ મેળવવાનો છે, જેથી કોઈ મહાશક્તિ સાથે એકાકાર થઈ શકાય. એ “(જાણીજોઈને) પોતાનું મન ખાલી કરી દેવા જેવું છે.” પરંતુ એ, ખ્રિસ્તીઓએ જે રીતે રહેવું જોઈએ એનાથી એકદમ વિરુદ્ધમાં છે: “દેવની દયાની ખાતર તમે તમારાં શરીરોનું જીવતું, પવિત્ર તથા દેવને પસંદ પડે એવું, અર્પણ કરો; એ તમારી બુદ્ધિપૂર્વક સેવા છે. આ જગતનું રૂપ તમે ન ધરો; પણ તમારાં મનથી નવીનતાને યોગે તમે પૂર્ણ રીતે રૂપાંતર પામો, જેથી દેવની સારી તથા માન્ય તથા સંપૂર્ણ ઇચ્છા શી છે, તે તમે પારખી શકો.”​—⁠રૂમીઓને પત્ર ૧૨:૧, ૨.

કયા પ્રકારની કસરત કરવી જોઈએ એ તો સૌ સૌની પસંદગી છે. તેમ છતાં, આપણે જે કંઈ કરીએ એ સમજી-વિચારીને કરવું જોઈએ. ખાવું-પીવું, પહેરવેશ, રમત-ગમત, અનેક પ્રકારની કસરતો કરવી કે ફિલ્મો જોવામાં આપણે યોગ્ય પસંદગી કરવી જોઈએ જેથી, આપણે યહોવાહની કૃપા ગુમાવી ન બેસીએ. (૧ કોરીંથી ૧૦:૩૧) જેઓ તંદુરસ્ત રહેવા ચાહે છે તેઓ યોગ સિવાયની અનેક પ્રકારની કસરતો કરીને, શેતાન તથા ભૂતો અને જાદુમંત્રના જોખમથી બચી શકે છે. આ રીતે ખોટા ધર્મોમાંથી આવતી કસરતો અને માન્યતાઓથી આપણે દૂર રહીશું તો, આપણે જરૂર યહોવાહની કૃપા પામીશું. આમ કરવાથી, ન્યાયી નવી દુનિયામાં આપણે માનસિક અને શારીરિક રીતે સંપૂર્ણતાનો આનંદ માણીશું.​—⁠૨ પીતર ૩:૧૩; પ્રકટીકરણ ૨૧:૩, ૪.

[પાન ૨૨ પર ચિત્રો]

આજે ઘણા લોકો શેતાનના ફાંદામાં પડ્યા વગર સારી પ્રવૃત્તિઓમાં જોડાઈને તંદુરસ્ત રહે છે