સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

શેતાન ખરેખર છે કે નથી?

શેતાન ખરેખર છે કે નથી?

શેતાન ખરેખર છે કે નથી?

“દુષ્ટતા ક્યારે શરૂ થઈ?” માણસજાતની શરૂઆતથી લોકોએ આ પ્રશ્નનો જવાબ શોધ્યો છે. બાઇબલ કોશમાં જેમ્સ હેસ્ટિંગ્સ કહે છે: “મનુષ્યની શરૂઆતથી જ લોકો દુષ્ટતાની સામે લડી શકતા નથી. એ દુષ્ટ શક્તિએ મનુષ્યોને એવી પકડમાં રાખ્યા છે કે, તેઓ એનાથી ડરી ડરીને જીવે છે. . . . આપણા બાપદાદાઓએ શોધવાની કોશિશ કરી કે શા માટે દુષ્ટતા છે. જવાબમાં તેઓએ કહ્યું કે આ દુષ્ટ શક્તિ કોઈ સપનું જ નથી, પણ તે ખરેખર છે.”

ઇતિહાસકારો કહે છે કે હજારો વર્ષો પહેલાં, મેસોપોટેમિયામાં (ઈરાક બાજુ) પણ લોકો દુષ્ટ શ ઓ અને ભૂતોમાં માનતા હતા. ત્યાંના બાબેલોનીઓ માનતા કે નરકમાં નર્ગલ નામે એક રાક્ષસી દેવ રાજ કરતો, જે “અગ્‍નિ દેવ” તરીકે ઓળખાતો હતો. તેઓ માનતા કે એ નરકમાંથી કોઈ “બચી શકતું નહિ.” ત્યાંના લોકો બીજા ભૂતોથી પણ ખૂબ ડરતા. તેથી, તેઓ મેલીવિદ્યા અને મંત્રોથી એને ખુશ કરવાની કોશિશ કરતા. ઇજિપ્તની દંતકથામાં દુષ્ટતાનો દેવ, સેટ છે. એક જ્ઞાનકોશ કહે છે કે “સેટ રાક્ષસ હતો. તેનું નાક કેળા જેવું પાતળું અને વળેલું હતું. તેના કાન ચોરસ હતા, અને તેની કઠણ પૂંછડી ત્રિશૂળ જેવી હતી.”​— ⁠લારુસની દંતકથાનો જ્ઞાનકોશ (અંગ્રેજી).

પહેલાંના જમાનામાં ગ્રીક અને રૂમીઓ પાસે સારા તથા ખરાબ દેવ-દેવીઓ હતા. પણ એમાંનો કોઈ ફક્ત દુષ્ટતાનો રાજા ન હતો. ફિલસૂફો શીખવતા હતા કે બધામાં સારું અને ખરાબ બંને છે. દાખલા તરીકે, ગ્રીક ફિલસૂફ એમ્પીડોક્લીસ શીખવતો કે દરેકમાં પ્રિય અને અપ્રિય છે. ફિલસૂફ પ્લેટો શીખવતો કે બધામાં બે “આત્મા” છે, એક સારું અને બીજો દુષ્ટ કરે છે. જ્યોર્જ મેનવા તેમના પુસ્તકમાં કહે છે કે, “પહેલાંના સમયમાં [ગ્રીક અને રૂમી] ધર્મોમાં કોઈ દેવ-દેવીઓને શેતાન તરીકે માનવામાં આવતી ન હતી.”

ઈરાનમાં જરથોસ્તી ધર્મ શીખવે છે કે સર્વોપરી દેવ, આહુરા મઝદાએ અંગ્રા મીન્યુ નામનો એક દૂત બનાવ્યો. પરંતુ, અંગ્રા મીન્યુએ સારું કરવાને બદલે ખરાબ કરવાનું પસંદ કર્યું. ત્યારથી તેને “વિનાશક અથવા દુષ્ટ” એવું નામ આપવામાં આવ્યું.

પરમેશ્વરનો દુશ્મન શેતાન, મનુષ્યોને પાપના માર્ગે લઈ ગયો એવું યહુદી ધર્મ સમજાવે છે. પરંતુ, સદીઓ પછી એ શિક્ષણ બીજા ધર્મના શિક્ષણ સાથે ભેળસેળ થઈ ગયું. એક યહુદી જ્ઞાનકોશ કહે છે કે “લગભગ ૨,૩૦૦ વર્ષ પહેલાં, ઈરાનના ધર્મમાં મળી જવાથી યહુદી ધર્મ સાવ બદલાઈ ગયો. પછી, એ ધર્મ શીખવવા લાગ્યો કે વિશ્વમાં બે વિરોધી શ ઓ છે. સ્વર્ગમાં અને પૃથ્વી પર, પરમેશ્વરના સત્ય અને ભલાઈની વિરુદ્ધમાં, દુષ્ટ શ ઓ અને ભૂંડાઈ હતી.” બીજો એક યહુદી કોશ કહે છે કે, “ભૂતોથી રક્ષણ મેળવવા લોકો તાવીજ પહેરતા અને ધર્મનું રક્ષણ મેળવવા દોડી જતા.”

ભ્રષ્ટ થયેલાં ચર્ચનાં શિક્ષણો

બાઇબલ શેતાન અને ભૂતો વિષે જે શીખવે છે, એના બદલે યહુદી ધર્મગુરુઓ બીજું કંઈ શીખવવા લાગ્યા. તેમ જ, ભ્રષ્ટ થયેલા અમુક ખ્રિસ્તીઓ પણ એ જ માર્ગે ચાલ્યા. બાઇબલની એક ડિક્ષનરી કહે છે: “ચર્ચે એવું ખોટું શિક્ષણ પણ આપ્યું કે પરમેશ્વરે માણસજાતને પાપમાંથી બચાવવા માટે, શેતાનને રકમ ચૂકવી.” બીજી સદીમાં આઈરીનીયસ નામના એક ધર્મગુરુએ, એ માન્યતામાં મીઠું-મરચું ઉમેર્યું. પછી, ત્રીજી સદીમાં ઓરીજેન એ વિષે વધારે શીખવવા લાગ્યો. ધાર્મિક માન્યતાનો ઇતિહાસ (અંગ્રેજી) પુસ્તકમાં, એડોલ્ફ હારનાકે કહ્યું કે ઓરીજેને આ પ્રમાણે શીખવ્યું હતું: “શેતાન મનુષ્યોનો માલિક હતો. મનુષ્યોને બચાવવા માટે પરમેશ્વરે પોતાના પુત્ર ઈસુની કુરબાની આપીને, એની કિંમત શેતાનના પગ આગળ ધરી.”

કૅથલિક એન્સાયક્લોપેડિયા કહે છે કે “એ માન્યતા લગભગ હજાર વર્ષ સુધી, ધાર્મિક શિક્ષણોમાં મહત્ત્વનો ભાગ ભજવતી હતી.” એ ફિલસૂફી ચર્ચમાં પણ શીખવાતી હતી. ચોથી અને પાંચમી સદીઓમાં, ઑગસ્ટીન જેવા ઘણાં ચર્ચના આગેવાનોએ એ માન્યતા ફેલાવી. પરંતુ, બારમી સદીમાં કૅથલિક ધર્મગુરુ એનસ્લેમ અને અબલાર્ડએ સત્ય રજૂ કર્યું. તેઓએ શીખવ્યું કે કુરબાનીની કિંમત શેતાનના નહિ, પણ પરમેશ્વરના પગ આગળ ધરવામાં આવી હતી.

વહેમો ફેલાયા

એ સમયે મોટા ભાગના ચર્ચના અધિકારીઓ શેતાન વિષે ચુપચાપ બેસી રહ્યા. પરંતુ, ૧૨૧૫માં રોમમાંની ચર્ચની ચોથી કાઉન્સીલે વિચાર બદલાવ્યો. ન્યૂ કૅથલિક એન્સાયક્લોપેડિયા કહ્યું કે આ નવો વિચાર તેઓની “માન્યતાનું મૂળ હતું.” ચર્ચની એ કાઉન્સીલે પહેલા વૉલ્યુમમાં કહ્યું: “પરમેશ્વરે સર્વ દૂતોને સારા બનાવ્યા હતા. પરંતુ, અમુક દૂતોએ ખોટા કામો પસંદ કર્યા અને ત્યારથી ભૂતો બન્યા.” એ આગળ કહે છે કે ભૂતોનું કામ એ જ હતું કે માણસોને લાલચ આપીને ભૂંડું કરાવવું. એ સમયમાં પણ લોકોએ આ વિચાર પકડી રાખ્યો હતો. જો કોઈ માણસ વગર કારણે બીમાર પડે કે ઓચિંતો મરી જાય, કે કોઈના ખેતરમાં સારો પાક ન થાય તો, લોકો તરત જ શેતાનનો વાંક કાઢતા. નવમો પોપ ગ્રેગરી પણ એમ માનતો હતો. તેથી, તેણે ૧૨૩૩માં શેતાનના ભક્તો (લુસફેરીયન) અને કૅથલિક ચર્ચના વિરોધીઓના મોત પર સહી કરી આપી.

શેતાન કે ભૂતો પોતાને વળગી શકે, એવી માન્યતા અહીં ચેપી રોગની જેમ ફેલાઈ ગઈ. એ કારણે લોકો ડરથી પાગલ થઈ ગયા હતા. લોકો જંતરમંતર કરનારી સ્ત્રીઓથી ગભરાઈને જીવતા. યુરોપ અને અમેરિકા પર, ૧૨૦૦-૧૬૦૦ સુધી આ ભયનો પડછાયો છવાઈ ગયો. અરે ચર્ચના ધર્મ-સુધારકો, માર્ટિન લ્યુથર અને જોન કેલ્વિને પણ કહ્યું કે ભૂવાનું કામ કરતી દરેક સ્ત્રીને ખૂણે-ખૂણેથી પકડીને મારી નાખવી જોઈએ. યુરોપમાં ઘણી વાર નિર્દોષ સ્ત્રીઓ પર જંતરમંતર કરનારી હોવાનું તહોમત મૂકવામાં આવતું. ચર્ચ કે અદાલતો તેઓની ઘણી પૂછપરછ કરતા. ઘણી વાર રિબાઈ રિબાઈને નિર્દોષ સ્ત્રીઓ પણ “ગુનો કબૂલ” કરી લેતી. પછી તેઓને જીવતી બાળવામાં આવતી. બ્રિટન અને સ્કોટલૅન્ડમાં તેઓને ફાંસી આપવામાં આવતી.

એ રીતે કેટલીક સ્ત્રીઓ એ વહેમનો ભોગ બની? અંગ્રેજી વિશ્વ જ્ઞાનકોશ કહે છે: “ઇતિહાસના અમુક પંડિતોનું કહેવું છે કે ૧૪૮૪થી ૧૭૮૨ સુધી ચર્ચે લગભગ ૩ લાખ સ્ત્રીઓને મોતને ઘાટ ઉતારી દીધી.” આ શેતાનનું કામ હોય તો, તે કઠપૂતળીની જેમ કોને નચાવે છે? ધાર્મિક ઝનૂનીઓને કે તેના હાથે માર્યા ગયેલા લાખો લોકોને?

શેતાન છે કે નથી?

અઢારમી સદીમાં બીજી એક માન્યતા બિલાડીના ટોપની જેમ ફૂટી નીકળી. આ માન્યતાનો પાયો એ હતો કે ફક્ત પરમેશ્વરમાં માનવાને બદલે બુદ્ધિ વાપરો, જેથી લોકોની આંખ ઉઘડશે. આવા શિક્ષણનો સમય “પ્રકાશ યુગ” કહેવાયો. એન્સાયક્લોપેડિયા બ્રિટાનિકા કહે છે: “પ્રકાશ યુગમાં ફિલસૂફો શીખવતા કે શેતાન છે જ નહિ, પણ તે ફક્ત એક કહાણી છે. પ્રકાશ યુગના શિક્ષણથી તેઓએ હજાર વર્ષો વિષેની ખ્રિસ્તી માન્યતાને જડમૂળથી કાઢી નાખવાનો પ્રયત્ન કર્યો.” પરંતુ, રોમન કૅથલિક ચર્ચ આ માન્યતાથી બહુ જ ગુસ્સે થયા. તેઓએ (વેટિકનમાંની પ્રથમ કાઉન્સીલે) ફરીથી ૧૮૬૯-૭૦માં શેતાન વિષેની માન્યતા જોર-શોરથી શીખવી. પણ ૧૯૬૨-૬૫માં વેટિકનની બીજી કાઉન્સીલે ડરપોક બનીને શેતાન વિષે કંઈ કહ્યું નહિ.

ન્યૂ કૅથલિક એન્સાયક્લોપેડિયા કહે છે: “ચર્ચ દૂતો અને ભૂતોમાં માનવાનું કબૂલે છે.” પરંતુ, ફ્રેંચ ભાષામાં કૅથલિક ધર્મની એક ડિક્ષનરી કહે છે કે “આજે મોટા ભાગના ખ્રિસ્તીઓ માનતા જ નથી કે શેતાનના કારણે દુનિયામાં દુષ્ટતા છે.” આજ-કાલ કૅથલિકના મુખ્ય ધર્મગુરુઓ પણ બે મતની વચ્ચે ઢચુપચુ છે. એક બાજુ, શેતાન ખરેખર છે એવું ચર્ચ શીખવે છે. પરંતુ, બીજી બાજુ મોટા ભાગના ચર્ચના સભ્યો માને છે કે શેતાન ફક્ત કલ્પના જ છે, હકીકત નહિ. એન્સાયક્લોપેડિયા બ્રિટાનિકા કહે છે: “ખ્રિસ્તી સિદ્ધાંતો વિષે જરા અલગ શીખવતા, એના ધર્મગુરુઓ કહે છે કે વિશ્વમાં દુષ્ટતા તો છે, પણ એ શું છે એની કોને ખબર? એ તો બાઇબલના લેખકોએ દુષ્ટતાને સમજાવવા માટે ‘બનાવટી’ શેતાનની કલ્પના કરી.” પ્રોટેસ્ટંટ ખ્રિસ્તીઓની માન્યતા વિષે એ જ્ઞાનકોશ કહે છે: “પ્રોટેસ્ટંટ ખ્રિસ્તીઓ પણ આજના ફિલસૂફો સાથે સહમત થાય છે કે શેતાન નથી. તેથી તેના વિષે માનવાની કોઈ જરૂર નથી.” પરંતુ, સાચા ખ્રિસ્તીઓ શું માને છે? શું તેઓ એમ માને છે કે શેતાન છે જ નહિ અને તે ફક્ત બાઇબલના લેખકોની જ ‘બનાવટ’ છે?

બાઇબલ શું શીખવે છે?

ફિલસૂફો અને ધાર્મિક ગુરુઓએ શેતાન અને દુષ્ટતા વિષે સત્ય શીખવ્યું નથી. પરંતુ, બાઇબલ એ વિષે સનાતન સત્ય શીખવે છે. જો આપણે બાઇબલમાંથી શેતાન વિષે પૂરી સમજણ મેળવીએ તો, આ પ્રશ્નોના જવાબ સારી રીતે સમજી શકીશું: દુષ્ટતા ક્યારે શરૂ થઈ? શા માટે મનુષ્યો આજે દુઃખી અને હેરાન-પરેશાન છે? શા માટે અમુક વ્ય ઓ જાનવરો કરતાં જંગલી છે? કદી સપનામાં પણ કલ્પના કરી ન હોય, એવી રીતે મનુષ્ય શા માટે એકબીજાનું લોહી પીવા તૈયાર થયો છે?

અમુક લોકો પૂછે છે કે જો પરમેશ્વર પ્રેમના સાગર હોય, તો તેમણે શા માટે શેતાન અને ભૂતોને બનાવ્યા? ખરેખર યહોવાહે તેઓને બનાવ્યા નથી! યહોવાહનાં કામો પાપ વગરના છે અને બધા સંપૂર્ણ છે એવું બાઇબલ કહે છે. તેમણે દૂતો અને આપણને રોબૉટ જેવા નહિ, પણ પોતાની મરજીથી કોઈ પણ માર્ગ પસંદ કરી શકીએ, એવા બનાવ્યા છે. (પુનર્નિયમ ૩૦:૧૯; ૩૨:૪; યહોશુઆ ૨૪:૧૫; ૧ રાજાઓ ૧૮:૨૧) તેથી, યહોવાહે બનાવેલા સર્વ દૂતો સંપૂર્ણ હતા. તોપણ એક દૂતે જાણીજોઈને ખરાબ કરવાનું પસંદ કર્યું. ત્યારથી તે શેતાન તરીકે ઓળખાયો.​—⁠યોહાન ૮:૪૪; યાકૂબ ૧:૧૪, ૧૫.

શેતાને ખરાબ પસંદ કર્યું, અને તે “તૂરના રાજા” જેવો બન્યો? પણ કઈ રીતે? પહેલા, તેઓ બન્‍ને સારા હતા, પણ પાછળથી પરમેશ્વરની સામે થયા. કવિની ભાષામાં એ રાજા પહેલા ‘સૌંદર્યમાં સંપૂર્ણ હતા. તેમના જન્મ દિવસથી માંડીને તેમનામાં દોષ માલૂમ પડ્યો ત્યાં સુધી તેમના આચરણ સત્ય અને સંપૂર્ણ હતા.’ (હઝકિયલ ૨૮:૧૧-૧૯, IBSI) યહોવાહ સર્વોપરી પરમેશ્વર અને વિશ્વના સર્જનહાર છે. પરંતુ, એ ખોટું છે એવું શેતાને ક્યારેય કહ્યું નહિ. શા માટે? શેતાન પોતે જાણતો હતો કે યહોવાહે તેને જીવન આપ્યું હતું. પરંતુ, યહોવાહના રાજ કરવાના હક્ક વિષે શેતાન લડ્યો. એદન બાગમાં, શેતાને યહોવાહ પર ખોટો આરોપ મૂક્યો. તેણે પ્રથમ સ્ત્રી-પુરુષને ચાલાકીથી કહ્યું કે યહોવાહ તેઓને રાજી-ખુશીથી જીવવાની ચાવી આપતા નથી. અરે શેતાને એમ પણ કહ્યું કે એ ચાવીના માલિક તો તેઓ જ હતા. (ઉત્પત્તિ ૩:૧-૫) શેતાનની વાત માનીને આદમ અને હવાએ સર્વોપરી પરમેશ્વરના માર્ગ પર ચાલવાનું છોડી દીધું. તરત જ, તેઓ પાપ અને મરણના રસ્તા પર જઈ ચડ્યા અને સર્વ મનુષ્યોને પણ સાથે લેતા ગયા. (ઉત્પત્તિ ૩:૬-૧૯; રૂમીઓને પત્ર ૫:૧૨) હા, બાઇબલ બતાવે છે કે આપણા દુઃખી જીવનના ખેલની પાછળ શેતાનનો હાથ છે.

જળપ્રલય પહેલાં બીજા દૂતો પણ બંડખોર બનીને શેતાન સાથે જોડાયા. લંપટ ઇચ્છાઓ સંતોષવા પૃથ્વી પર પુરુષના વેશે આવીને, તેઓ સ્ત્રીઓ સાથે રહ્યા. (ઉત્પત્તિ ૬:૧-૪) જળપ્રલય આવ્યો ત્યારે આ ખરાબ દૂતો કે ભૂતો સ્વર્ગમાં પાછા ગયા, પરંતુ તેઓને પહેલાંના જેવી “પદવી” મળી નહિ. (યહુદા ૬) યહોવાહની નજરમાંથી તેઓ ઉતરી ગયા, તેથી તેઓ એક રીતે મરી ગયા બરાબર હતા. (૧ પીતર ૩:૧૯, ૨૦; ૨ પીતર ૨:૪) આમ, યહોવાહ જેવા પિતાને બદલે, તેઓએ શેતાનને પોતાનો બાપ બનાવ્યો. આજે ભૂતો માણસનો વેશ લઈને પૃથ્વી પર આવે કે ન આવે, પણ તેઓ હજુ ઘણું નુકસાન કરી શકે છે! આ ભૂતો કઠપૂતળીના ખેલની જેમ, લોકોને નચાવી શકે છે. આ ભૂતો જ લોકોને પોતાના હાથમાંના રમકડાંની જેમ નચાવે છે, અને એટલે જ આપણે જંગલી જાનવર કરતાં ખરાબ લોકોને જોઈએ છીએ.​—⁠માત્થી ૧૨:૪૩-૪૫; લુક ૮:૨૭-૩૩.

નજીકમાં શેતાનના હાથ કપાઈ જશે

આપણને કોઈ શંકા નથી કે ભૂતો દુનિયાને ખૂબ નચાવે છે. પ્રેષિત યોહાને કહ્યું: “આખું જગત દુષ્ટની સત્તામાં રહે છે.”​—⁠૧ યોહાન ૫:૧૯.

બાઇબલની ભવિષ્યવાણી જણાવે છે કે કળિયુગમાં શેતાન વધુ દુષ્ટ બનશે, કેમ કે તેની પાસે ફક્ત “થોડો જ વખત રહેલો છે.” જેમ સિંહ પાંજરામાં પૂરાઈને વધુ ગર્જના કરે અને ગુસ્સે થાય, તેમ શેતાન પાગલ બનીને આપણને વધુને વધુ હેરાન કરે છે. (પ્રકટીકરણ ૧૨:૭-૧૨; ૨૦:૧-૩) પરંતુ, જલદી જ શેતાનના હાથ કપાઈ જશે, અને કઠપૂતળીનો ખેલ ખતમ થઈ જશે! યહોવાહના રાજ્યમાં કોઈ દુઃખથી રડશે નહિ અને કોઈ મરશે જ નહિ. હા, આ બધી ‘વાતો જતી રહેશે.’ પછી, સ્વર્ગમાં અને પૃથ્વી પર પરમેશ્વરનો હેતુ પૂરો થશે.​—⁠પ્રકટીકરણ ૨૧:૧-૪; માત્થી ૬:૧૦.

[પાન ૪ પર ચિત્રો]

બાબેલોનીઓ રાક્ષસી દેવ નર્ગલમાં માનતા (છેક ડાબી બાજુ); પ્લેટો (ડાબી બાજુ) માનતો કે બધામાં બે “આત્મા” છે, એક સારો અને બીજો દુષ્ટ

[ક્રેડીટ લાઈન્સ]

સિલિન્ડર: Musée du Louvre, Paris; Plato: National Archaeological Museum, Athens, Greece

[પાન ૫ પર ચિત્રો]

આઈરીનીયસ, ઓરીજેન અને ઑગસ્ટીને શીખવ્યું કે શેતાનને કિંમત ચૂકવવામાં આવી હતી

[ક્રેડીટ લાઈન્સ]

ઓરીજેન: Culver Pictures; ઑગસ્ટીન: From the book Great Men and Famous Women

[પાન ૬ પર ચિત્ર]

ભૂત-ભૂવાના ડરથી હજારોને મારી નાખવામાં આવ્યા

[ક્રેડીટ લાઈન]

From the book Bildersaal deutscher Geschichte