સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

તમારા બાળકોને નાનપણથી ઘળો!

તમારા બાળકોને નાનપણથી ઘળો!

તમારા બાળકોને નાનપણથી ઘળો!

આપણે બધા જ માટીની બનાવેલી ચીજો વાપર્યે છીએ. જેમ કે, સગડી, માટલી, કપ-રકાબી, બરણીઓ અને સુંદર ફૂલદાની કે ફ્લાવર વાઝ. આ બધી ખરેખર કુંભારની કરામત છે. શું તમે કોઈ કુંભારની કરામત જોઈ છે? તમે જોતા જ રહી જાવ એમ તે માટીમાંથી જાતજાતની ચીજો બનાવી લે છે. બહુ ઓછા લોકો પાસે એવી કળા હોય છે.

એવી જ રીતે, માબાપ પણ પોતાના બાળકને સુંદર ઘાટ આપી શકે છે અને એમ કરવાથી તેઓ સમાજનું ભલું કરી શકે છે. બાઇબલ આપણને માટી સાથે સરખાવે છે. બાળકને ઘાટ આપવાનું કામ પરમેશ્વરે, માબાપને સોંપ્યું છે. (અયૂબ ૩૩:૬; ઉત્પત્તિ ૧૮:૧૯) એક સુંદર, ઘાટીલું વાસણ બનાવવું કંઈ આસાન નથી. તેમ જ બાળક મોટું થઈને સુખી થાય, એવી રીતે તેને કેળવવા સખત મહેનત કરવી પડે છે.

એક કુંભાર માટી તૈયાર કરી ચાકડા પર ચઢાવી, એક બાજુ બેસી જશે નહિ. એ જ રીતે માબાપે કદી વિચારવું નહિ કે બાળક તો તેની જાતે ઘડાશે. બીજી ઘણી સારી અને ખરાબ બાબતો બાળકના દિલને અસર કરે છે. તેથી, “બાળકે જે માર્ગમાં ચાલવું જોઈએ,” એનું શિક્ષણ આપવાની જવાબદારી માબાપની છે. વળી, તેઓ ખાતરી રાખી શકે કે તેઓનું બાળક “વૃદ્ધ થશે ત્યારે તેમાંથી તે ખસશે નહિ.”—નીતિવચનો ૨૨:૬.

બાળકોને મોટા કરવા એ કંઈ રમતવાત નથી. એટલા માટે, માબાપે પોતાના બાળકને ખરાબ બાબતોથી દૂર રાખવા બનતો પ્રયત્ન કરવો જોઈએ. માબાપે પોતાના બાળકોને ધીરજથી, ‘ખ્રિસ્તી શિસ્ત અને શિક્ષણમાં ઉછેરવા’ જોઈએ. આમ માબાપ, બાળક માટેના સાચા પ્રેમની સાબિતી આપી શકશે. (એફેસી ૬:૪, પ્રેમસંદેશ) જોકે, બાળક જન્મે ત્યારથી જ માબાપ શિક્ષણ આપવાનું શરૂ કરે, તો તેમનું કામ ઘણું સહેલું બની શકે છે.

જન્મથી જ શીખવો

કુંભાર એવી કુમળી માટીનો ઉપયોગ કરે છે જે આસાનીથી ઘાટ આપી શકે. તેમ છતાં, એ ધ્યાન રાખે છે કે વસ્તુ બન્યા પછી એનો ઘાટ જળવાઈ રહે. એ માટે તે માટીને સાફ કર્યા પછી, છ મહિનાની અંદર જ એનો ઉપયોગ કરે છે. એવી જ રીતે, બાળક સમજણું થાય ત્યારથી જ માબાપે શિક્ષણ આપવાનું શરૂ કરી દેવું જોઈએ. જેથી બાળકનો ઘાટ જળવાઈ રહે, એટલે કે એ શિક્ષણ એના મનમાં ઠસી રહે.

બાળકોના ઍકસ્પર્ટ કહે છે કે આઠ મહિને તો બાળક ભાષા સમજતું થઈ જાય છે. એટલું જ નહિ પણ તેઓની માબાપ સાથે પ્રીતિ બંધાય છે. તેમની બુદ્ધિમાં ધીરે ધીરે વધારો થાય છે. વળી, તે તેની આજુબાજુની દુનિયાથી પણ પરિચિત થાય છે. તેથી, બાળક હજુ નાનું હોય ત્યારથી જ તેને ઘાટ આપવાનું શરૂ કરો. જો તમારું બાળક પણ તીમોથીની જેમ ‘બાળપણથી પવિત્ર શાસ્ત્ર જાણે’ તો એ તેના જ લાભમાં છે!—૨ તીમોથી ૩:૧૫. *

નાના બાળકો કુદરતી રીતે જ પોતાના માબાપના શબ્દો, ભાષા અને હાવભાવની કૉપી કરે છે. એની સાથે સાથે તેઓ પ્રેમ અને દયા જેવા ગુણો પણ માબાપ પાસેથી શીખે છે. તેથી, પોતાના બાળકને યહોવાહના નિયમો પ્રમાણે મોટા કરવા હોય તો, સૌ પ્રથમ માબાપે જ યહોવાહની આજ્ઞા પ્રમાણે ચાલવું જોઈએ. જો માબાપ પોતે જ યહોવાહના નિયમોની કદર કરશે, તો તેઓ પોતાના બાળકને યહોવાહ અને તેમનો શબ્દ, બાઇબલ વિષે દરરોજ શીખવી શકશે. બાઇબલ સલાહ આપે છે, “જ્યારે તું ઘરમાં બેઠો હોય, ને જ્યારે તું રસ્તે ચાલતો હોય, ને જ્યારે તું સૂઈ જાય ને જ્યારે તું ઊઠે, ત્યારે તે વિષે વાત કર.” (પુનર્નિયમ ૬:૬, ૭) ચાલો આપણે જોઈએ કે મિતેષ અને મિના પોતાના બે નાના બાળકોને યહોવાહ વિષે કઈ રીતે શીખવે છે. *

“અમે દરરોજ અમારા બાળકો સાથે વાતચીત તો કરીએ જ છીએ. તે ઉપરાંત, અમે બંને અલગ-અલગ રીતે બાળકોને મળીને, દરરોજ લગભગ ૧૫ મિનિટ વાત કરીએ છીએ જેથી અમને ખબર પડે છે કે તેઓને કેવા પ્રોબ્લેમ છે. એટલું જ નહિ પણ એ પ્રોબ્લેમનો રસ્તો કાઢવા માટે બાળકોને મદદ કરીએ છીએ. દાખલા તરીકે, અમારા પાંચ વર્ષના દીકરાના, ક્લાસમાં એક વિદ્યાર્થીએ મશ્કરી ઉડાવીને કહ્યું કે, પરમેશ્વર છે જ નહિ. તેથી, તેણે સ્કૂલેથી ઘરે આવીને અમને કહ્યું કે તે યહોવાહમાં માનતો નથી.”

ત્યારે અમને લાગ્યું કે બાળકોને યહોવાહમાં શ્રદ્ધા દૃઢ કરાવવાની જરૂર છે. આવી શ્રદ્ધા યહોવાહે ઉત્પન્‍ન કરેલી બાબતો જોઈને વધારી શકાય છે. બાળકોને પ્રાણીઓ સાથે રમવાનું, ફૂલો તોડવાનું અથવા તો દરિયા કિનારે રેતીમાં રમવાનું તો ગમતું જ હોય છે! પણ એ બધું યહોવાહે કઈ રીતે બનાવ્યું છે એ બતાવીને, માબાપ બાળકના દિલમાં યહોવાહ માટે પ્રેમ વધારી શકે. (ગીતશાસ્ત્ર ૧૦૦:૩; ૧૦૪:૨૪, ૨૫) આમ બાળકના જીવનમાં, યહોવાહ માટે માન વધશે. (ગીતશાસ્ત્ર ૧૧૧:૨, ૧૦) એટલું જ નહિ પણ આવી સમજણથી બાળક, યહોવાહનું દિલ દુઃખી કરવાને બદલે તેમને કઈ રીતે ખુશ કરવા એ વિચારશે. આવી બાબત તેને ‘દુષ્ટતાથી દૂર થવા’ પણ મદદ કરશે.—નીતિવચનો ૧૬:૬.

જોકે મોટા ભાગના બાળકો બધી બાબતો ઝડપથી શીખી લે છે તેમ છતાં, એવું નથી કે તેઓ માબાપનું ‘દરેક કહેલું’ સાંભળે છે. (ગીતશાસ્ત્ર ૫૧:૫) તેઓને જે જોઈએ છે એ મેળવવા જીદ કરી શકે. પણ તેઓ આવા ન બને એ માટે માબાપે મક્કમ બની, ધીરજથી શિખામણ આપવી જોઈએ. (એફેસી ૬:૪) ચાલો હવે જોઇએ કે હરેશભાઈ અને સરોજબહેને, પાંચ બાળકોને કઈ રીતે મોટા કર્યાં છે.

સરોજબહેન કહે છેઃ “મારા દરેક બાળકનો સ્વભાવ અલગ હતો. ઘણી વખત તેઓ હઠીલા બનીને મન ફાવે એમ કરવા માંગતા હતા. પણ અમે તેઓને મન ફાવે એમ કરવા ન દેતા. અમે તેઓને ખુબ સમજાવતા અને પછી ધીરે ધીરે તેઓને સમજણ પડી કે ખોટી હઠ ન કરવી જોઈએ.” તેનો પતિ હરેશ કહે છે: “તેઓ સમજણા થયા, ત્યારે અમે તેઓને પ્રેમથી સમજાવતા કે શા માટે અમે ના પાડીએ છીએ. આ રીતે અમે તેઓને શીખવતા કે યહોવાહે કરેલી કુટુંબની ગોઠવણને કઈ રીતે માન આપી શકે.”

બાળકો નાના હોય ત્યારે થોડી તકલીફ આવી શકે. પરંતુ તેઓ જુવાન થાય છે ત્યારે ઘણી મુશ્કેલીઓ આવે છે. આ ઉંમરે બાળકોને જીવનનો કોઈ અનુભવ નથી હોતો. તેથી, તેઓને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.

બાળકને સમજવાનો પ્રયત્ન કરો

કુંભાર માટી સૂકાય જાય એ પહેલાં એને ઘાટ આપવાનું શરૂ કરે છે. માટીને પોચી રાખવા માટે, તે પાણી ઉમેરે છે. એવી જ રીતે, યુવાન બાળકો જીદ્દી ન બને માટે માબાપે સખત મહેનત કરવી જોઈએ. પરંતુ, એ માટે તેઓએ બાઇબલનો ઉપયોગ કરવો જોઈએ. બાઇબલ બાળકોને સુધારો કરવા તેમ જ દરેક સારા કાર્ય કરવા તૈયાર કરે છે.—૨ તીમોથી ૩:૧૫-૧૭.

જોકે, હવે બાળક યુવાન થઈ ગયું હોવાથી, પહેલાંની જેમ માબાપનું કહેલું ન પણ માને. તે પોતાના મિત્રો તરફ વધારે ધ્યાન આપે છે. આથી, માબાપ સાથે ખુલ્લા મનથી વાત કરતા તે અચકાય શકે. તેથી, આ ખરેખર ઘીરજ રાખવાનો સમય છે અને એકબીજાને સમજવાનો વખત છે. યુવાનોએ શારિરીક અને માનસિક રીતે ઘણા ફેરફારો કરવાના હોય છે. યુવાનોએ પોતના જીવનમાં મહત્વના નિર્ણયો લેવાના હોય છે અને તેઓ જીવનમાં શું કરશે એ પણ વિચારવાનું હોય છે. (૨ તીમોથી ૨:૨૨) આ મુશ્કેલીઓના સમયમાં, યુવાનોના ઘણા મિત્રો એવા હોય છે જે તેઓને બગાડી શકે છે. તેથી તેઓના દબાણોનો સામનો કરવો પડે છે.

યુવાનો આવા દબાણમાં આસાનીથી આવી જાય છે. એનું કારણ કે મિત્રો નાની નાની બાબતોમાં તેઓને ટોક-ટોક કરી, નીચા પાડતા હોય છે. ઘણા યુવાનો એમ માને છે તેઓ પોતાના મિત્રોનું નહિ માને તો તેઓ દોસ્તી નહિ રાખે. તેથી, દોસ્તી જાળવી રાખવા તેઓ ધીરે ધીરે પોતાના મિત્રો જે જગતનાં મોજ-શોખમાં ડુબે છે એમાં ફસાય જાય છે.—૧ યોહાન ૨:૧૫-૧૭; રૂમીઓને પત્ર ૧૨:૨.

એ ઉપરાંત, આ એવો સમય છે જ્યારે યુવાનોમાં ઘણી ઇચ્છાઓ જાગતી હોય છે. વળી, જ્યારે મિત્રો કહે કે, ‘જલસા કરો અને મન ફાવે તેમ કરો’ ત્યારે યુવાન પણ એ જ રંગમાં આવી જાય છે. એવો જ અનુભવ મારિયાને થયો. તે કહે છે: “હું મારા મિત્રોનું સાંભળવા લાગી. તેઓ કહેતા, ભલે ગમે એ થાય પણ પોતાના જીવનનો ભરપૂર આનંદ માણવો જ જોઈએ. હું પણ તેઓની જેમ કરવા માંગતી હતી. જો મે એમ કર્યું હોત તો હું તકલીફમાં ફસાઈ જાત.” એક માબાપ તરીકે તમે કદી નહિ ધારો કે તમારું બાળક કોઈ મુશ્કેલીમાં ફસાય. તો પછી, તમે તેને કઈ રીતે મદદ કરી શકો?

તમે જે કહો છો અને જે કરો છો એનાથી, બાળકને બતાવો કે તમે તેની કાળજી રાખો છો. તેને આ બાબતો વિષે કેવું લાગે છે એ જાણવાની કોશિષ કરો. વળી તેની મુશ્કેલીઓ સમજવાનો પણ પ્રયત્ન કરો. તમે સ્કૂલમાં જે મુશ્કેલીઓનો સામનો કરતા હતા, એનાથી પણ વધારે મુશ્કેલીઓ તમારું બાળક સામનો કરતું હોય શકે. આ સમયે તમે બાળકને એ રીતે મદદ કરો કે જેથી તે તમારા પર પૂરો ભરોસો રાખી શકે. (નીતિવચનો ૨૦:૫) બાળક દબાણમાં છે કે મૂંઝણવમાં, એ તમે તેના હાવભાવ અથવા મૂડ પરથી જોઈ શકો છો. બાળક જણાવતા અચકાતું હોય એવી બાબતો પર ધ્યાન આપો અને ‘તેના હૃદયને દિલાસો આપો.’—કોલોસી ૨:૨.

યાદ રાખો, ફક્ત સચ્ચાઈને જ વળગી રહેવું એ મહત્ત્વનું છે. ઘણી વખતે નિર્ણય લેવાનો થાય, ત્યારે માબાપ અને બાળક વચ્ચે દિવાલ ઊભી થાય છે. પરંતુ, માબાપનો નિર્ણય સાચો હોય, તો તેઓએ પડતું મૂકવું જોઈએ નહિ. તેમ છતાં, માબાપે પહેલાં મુશ્કેલીને બરાબર સમજવી જોઈએ. ત્યાર પછી, બાળકને શિખામણ આપવાની જરૂર પડે તો તેઓ કઈ રીતે આપશે એ નક્કી કરવું જોઈએ.—નીતિવચનો ૧૮:૧૩.

મંડળમાં કેવા મિત્રો રાખવા?

માટીમાંથી ચીજ-વસ્તુ બનાવ્યા પછી, જો એને ભઠ્ઠીમાં મૂકીને પકવવામાં ન આવે તો એ કંઈ કામ આવતી નથી. બાઇબલ, સતાવણી અને મુશ્કેલીઓને ભઠ્ઠીમાં પકવવાની સાથે સરખાવે છે. જીવનમાં તકલીફ આવે છે ત્યારે ખબર પડે છે કે આપણો સ્વભાવ ખરેખર કેવો છે. જોકે, આ ભઠ્ઠીનાં દાખલામાં બાઇબલ ખાસ કરીને આપણા વિશ્વાસની કસોટીઓ વિષે જણાવે છે. પરંતુ એ બીજા પ્રકારની કસોટીઓને પણ લાગુ પડે છે. (યાકૂબ ૧:૨-૪) દુઃખની બાબત છે કે, યુવાનોએ મંડળમાંથી જ આવતી કેટલીક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.

તમારું યુવાન બાળક કદાચ મંડળમાં સારી પ્રગતિ કરતું હોય શકે. પરંતુ અંદરથી તેઓ બે મનના હોય શકે. (૧ રાજાઓ ૧૮:૨૧) દાખલા તરીકે, મેગનાનો વિચાર કરો. તેણે મંડળમાં અમુક યુવાનોને, જગતના લોકોની જેમ જ વિચારતા જોયા. તે કહે છે:

“હું એવા યુવાનોના ગ્રૂપમાં હતી જેઓને ધર્મમાં જરાય રસ ન હતો. તેઓ માટે તો સભાઓ, બોરિંગ હતી. અમુક કહેતા: ‘હું અઢાર વર્ષની થઈશ કે તરત જ સત્યને છોડી દઈશ,’ અથવા ‘મને ક્યારે સત્યથી છુટકારો મળશે.’ અરે, આ યુવાનિયાઓ તો તેમની હામાં હા ન કરે તેવી વ્યક્તિઓ સાથે દોસ્તી પણ ન રાખતા. વળી તેઓ મને ‘બહુ મોટી ભક્ત બની ગઈ છે,’ એમ કહી મારી મજાક ઉડાવતા હતા.”

આવા યુવાનો તો ટોપલીમાંના એવા એક ખરાબ ફળ જેવા છે જે બાકીના સારા ફળોને પણ ખરાબ કરે છે. યુવાનો એકબીજાની કૉપી કરે છે. તેથી તેઓ સારી શિખામણને નથી સાંભળતા પણ ખોટી હોશિયારી બતાવે છે અને કોઈનું માન પણ નથી રાખતા. દુઃખની બાબત છે કે ઘણા દેશોમાં, ખ્રિસ્તી યુવાનોએ આવી ખરાબ સંગતમાં ફસાયને, પોતાના પગે જ કુહાડી મારી છે.

એનો અર્થ એમ નથી કે બાળકોએ મિત્રો ન કરવા જોઈએ. પણ માબાપ તરીકે તમે તેઓને મિત્રો પસંદ કરવા મદદ કરો. પણ તમે એમ કઈ રીતે કરી શકો? બાળકના મોજશોખ પર ધ્યાન આપો. તેમ જ, કુટુંબ તરીકે અથવા નાના-મોટા બધા સાથે ભેગા મળી, આનંદ કરી શકો. તમારા બાળકોના મિત્રોને ક્યારેક જમવા બોલાવો જેથી તમે તેઓને ઓળખી શકો. (રૂમીઓને પત્ર ૧૨:૧૩) કદાચ તમે સંગીત શીખવી શકો. અથવા બીજી ભાષા કે કળા શીખવાનું ઉત્તેજન આપી શકો. આ મોટા ભાગની બાબતો તમે ઘરમાં જ કરી શકો છો.

સ્કૂલનું શિક્ષણ મદદ કરી શકે

યુવાનો સ્કૂલે ધ્યાન આપે તો તેઓ મોજ-શોખમાં ટાઈમ નહિ બગાડે. એક સ્કૂલમાં ૨૦ વર્ષથી સંચાલકનું કામ કરતા લલિતાબેન કહે છે: “મેં સ્કૂલમાં ઘણા યહોવાહના સાક્ષીઓને જોયા છે. અને મોટે ભાગે હું તેઓના વખાણ કરું છું. પણ અમુક સાક્ષીઓના છોકરાઓ તો બીજા વિદ્યાર્થીઓ જેવા જ તોફાની હતા. જો કે સારા વિદ્યાર્થીઓ હંમેશા ભણવામાં ધ્યાન આપતા હોય છે. તેથી, હું માબાપને વિનંતી કરું છું કે તમારા બાળકના ભણતરણમાં રસ લો. તેઓના શિક્ષકોની સાથે વાત કરો. બાળકને સમજાવો કે તેઓએ ભણવામાં સારા માર્ક લાવવા જોઈએ. બધા બાળકો એક સરખુ નહિ ભણે, પણ તેઓ ભણવામાં ધ્યાન આપીને પોતાના શિક્ષક પાસેથી માન મેળવી શકે છે.”

એ ઉપરાંત, સ્કૂલનું શિક્ષણ યુવાનોને મંડળમાં પણ પ્રગતિ કરવા મદદ કરી શકે. એનાથી તેઓ અભ્યાસની સારી ટેવ પાડી શકે. એટલું જ નહિ પણ તેઓ ભણવામાં ધ્યાન આપવાનું શીખી શકે અને પોતાની જવાબદારી પણ સમજી શકે છે. તેઓ સારી રીતે લખી વાંચી શકે તો તેઓ પોતે બાઇબલ સારી રીતે શીખી શકશે અને બીજાઓને પણ શીખવી શકશે. (નહેમ્યાહ ૮:૮) વળી, સ્કૂલનું હોમવર્ક કરવાથી અને દરરોજ બાઇબલ વાંચવાથી તેઓને ખોટા મોજશોખ માટે ટાઈમ નહિ મળે.

યહોવાહ અને માબાપ, એમ બંનેને માન આપો

પ્રાચીન ગ્રીસના ઘણા વાસણો પર કુંભાર અને એ વાસણોને સજાવનાર, બંનેની સહી જોવા મળતી. એવી જ રીતે કુટુંબમાં બે વ્યક્તિઓ, મા અને બાપ બંને બાળકોને ઘાટ આપવામાં મદદ કરે છે. તેઓના બાળકના હૃદય પર જાણે બંનેને “સહી” હોય છે. એક સારા કુંભારની જેમ તમે પણ તમારા બાળકને સુંદર ઘાટ આપવામાં આનંદ અનુભવી શકો છો.—નીતિવચનો ૨૩:૨૪, ૨૫.

જો તમે બાળકને ઘાટ આપવામાં મહેનત કરશો તો તમે બાળકોને ઉછેરવામાં સફળ બની શકો છો. પછી તમે પણ કહી શકશો: “તેના હૃદયમાં પોતાના દેવનો નિયમ છે; તેનાં પગલાં લપસી જશે નહિ.” (ગીતશાસ્ત્ર ૩૭:૩૧) બાળક પોતાની જાતે શીખી લેશે એવું વિચારવાને બદલે તમે પોતે તેઓને શિક્ષણ આપો, એ મહત્ત્વનું છે.

[ફુટનોટ્‌સ]

^ કેટલાક માબાપો તો નવા જન્મેલાં બાળક આગળ મીઠા અવાજે બાઇબલ વાંચે છે. આ રીતે બાળકને બાઇબલ સાંભળવાની ખરેખર મજા આવે છે. વળી, તેને પોતાના જીવનમાં બાઇબલ વાંચવાનું ઉત્તેજન પણ મળશે.

^ કેટલાંક નામો બદલવામાં આવ્યા છે.