સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

સાક્ષીઓના પક્ષમાં ‘અરારાટ દેશની’ સુપ્રિમ કોર્ટે ચુકાદો આપ્યો

સાક્ષીઓના પક્ષમાં ‘અરારાટ દેશની’ સુપ્રિમ કોર્ટે ચુકાદો આપ્યો

સાક્ષીઓના પક્ષમાં ‘અરારાટ દેશની’ સુપ્રિમ કોર્ટે ચુકાદો આપ્યો

શું તમારા દેશમાં ધાર્મિક સ્વતંત્રતા છે? જોકે બધા જ દેશોમાં ધાર્મિક સ્વતંત્રતા હોતી નથી! આર્મેનિયાનો વિચાર કરો. એ દેશના લીયોવા મારકેરીયનને માથે ધોળાં આવી ગયાં છે અને તે ત્રણ છોકરાંના બાપ છે. તેમ છતાં, ત્યાં ધાર્મિક સ્વતંત્રતા ન હોવાને કારણે તેમને સુપ્રિમ કોર્ટમાં લાવવામાં આવ્યા છે. તે જજની આગળ પોતાની માન્યતા વિષે બાઇબલમાંથી સમજાવી રહ્યા છે. તેમની માન્યતા વિષે ન્યાયનું પલ્લું કઈ તરફ ઢળશે એ વિષે તે જાણતા નથી. એ ખરું છે કે જે ચુકાદો આપવામાં આવશે એની અસર તેમને જ નહિ, પરંતુ તેમના ખ્રિસ્તી ભાઈઓને પણ થશે. આ કેસની સુનાવણી વખતે અદાલતમાં શું બન્યું અને કઈ રીતે સુપ્રિમ કોર્ટે યહોવાહના સાક્ષીઓના પક્ષમાં અતિ મહત્ત્વનો ચુકાદો આપ્યો? ચાલો આપણે એના વિષે થોડી વિગતો તપાસીએ.

આર્મેનિયા તુર્કીની પૂર્વ બાજુએ અને કોકેસસ પર્વતમાળાની દક્ષિણે આવેલું છે. એ દેશમાં લગભગ ત્રીસ લાખની વસ્તી છે. યિરિવાન એનું પાટનગર છે. ત્યાંથી મોટા ભાગે બધા જ અરારાટ પર્વતનું અજોડ દૃશ્ય જોઈ શકે છે. બાઇબલની માન્યતા પ્રમાણે, પૃથ્વી પર જળપ્રલય આવ્યા પછી નુહનું વહાણ આ અરારાટ પર્વત પર આવીને થોભ્યું હતું.—ઉત્પત્તિ ૮:૪. *

યહોવાહના સાક્ષીઓ ૧૯૭૫થી આર્મેનિયામાં લોકોને બાઇબલમાંથી પરમેશ્વર વિષે શીખવી રહ્યા છે. વર્ષ ૧૯૯૧માં સોવિયેત રશિયાથી આઝાદ થયા પછી, આર્મેનિયામાં દેશના ધર્મો પર નજર રાખવા અને સરકારી ચોપડામાં એઓનું નામ નોંધવા એક ડિપાર્ટમેન્ટ ઊભું કરવામાં આવ્યું હતું. તેથી, યહોવાહના સાક્ષીઓ પોતાના ધર્મનું નામ સરકારી ચોપડામાં નોંધાવવા વારંવાર ગયા તોપણ તેઓએ રજિસ્ટર કર્યું નહિ. કેમ નહિ? કેમ કે યહોવાહના સાક્ષીઓ તેઓના ધર્મને લીધે રાજકારણ કે કોઈ જાતના લશ્કરમાં જોડાતા નથી. તેથી, ૧૯૯૧થી લઈને તેઓના ૧૦૦થી વધારે યુવાન પુરુષોને ગુનેગાર ઠરાવીને જેલમાં પૂરવામાં આવ્યા હતા. તેઓનો ગુનો શું હતો? તેઓ બાઇબલના શિક્ષણ પ્રમાણે જીવતા હોવાથી લશ્કર, સેના કે ફોજમાં જોડાવાનો ઇનકાર કરે છે. એ તેઓનો ગુનો?

સરકારે અરજ કરી કે લીયોવા મારકેરીયનના ધર્મ વિષે વધારે તપાસ કરવાની જરૂર છે. તે યહોવાહના સાક્ષીઓના મંડળમાં વડીલ છે. તેમ જ તે એક વીજળી કંપનીમાં વકીલની નોકરી કરે છે. સમય જતાં, સોવિયેત રશિયાના બંધારણની કલમ ૨૪૪ હેઠળ, ભાઈ લીયોવા મારકેરીયનને ગુનેગાર ઠરાવવામાં આવ્યા હતા. સોવિયેત રશિયામાં યહોવાહના સાક્ષીઓ અને બીજા નાના ધર્મોનું નામ ભૂંસી નાખવા નિકીટા ક્રૂશોફને (૧૮૯૪-૧૯૭૧) એ કાયદાઓ બહાર પાડ્યા હતા.

એ કાયદા પ્રમાણે જો કોઈ ધર્મ રજિસ્ટર થયો ન હોય છતાં, એ સત્સંગ રાખે, એનો પ્રચાર કરીને ‘યુવાનોને સભામાં બોલાવે અને તેના સભ્યોને લશ્કરી સેવામાં જોડાવા નિરુત્સાહીત કરે તો તે ગુનેગાર ગણાય.’ એ કાયદાનો અમલ કરવા સરકારી વકીલોએ આપણા ભાઈ મારકેરીયન પર આંગળી ચીંધી. એટલું જ નહિ, પરંતુ તેઓએ ભાઈ મારકેરીયન પર એવો આરોપ મૂક્યો કે તે તેના મંડળના યુવાનોને લશ્કરમાં ન જોડાવા ઉત્તેજન આપે છે. મારકેરીયન ભાઈ મેત્સામોર શહેરમાં રહે છે અને એમાં તેઓની સભાઓ પણ ભરે છે. એમાં નાના બાળકો પણ જાય છે.

કેસ શરૂ થયો

વર્ષ ૨૦૦૧માં, જુલાઈ ૨૦ના શુક્રવારે ન્યાયાધીશ શ્રી મેનવીલ સીમોન્યાન આરમાવીરની ડિસ્ટ્રીક્ટ કોર્ટમાં કેસ હાથમાં લીધો હતો. એ કેસ ઑગસ્ટ સુધી ચાલ્યો. એમાં જાણવા મળ્યું કે રશિયાની અગાઉની કેજીબી (KGB) છુપી પોલીસે ભાઈ મારકેરીયન વિરુદ્ધ જૂઠી સાક્ષી આપવા તેઓએ પોતાના વિચારો બીજા પોલીસો પાસે લખાવીને તેઓની સહી લઈ લીધી હતી. દાખલા તરીકે, એક સ્ત્રીએ કબૂલ કર્યું કે અમુક ઑફિસરે તેને કોર્ટમાં આમ કહેવાનું કહ્યું કે “યહોવાહના સાક્ષીઓ આપણા દેશ અને ધર્મના દુશ્મન છે.” એ સ્ત્રીએ કબૂલ્યું કે પોતે કોઈ યહોવાહના સાક્ષીઓને ઓળખતી ન હતી. પરંતુ તેઓ વિષે ટીવી ન્યૂઝમાં જે ફરિયાદો કરવામાં આવી એ જ તેણે સાંભળી છે.

પછી ભાઈ મારકેરીયનને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું, કે જે બાળકો યહોવાહના સાક્ષીઓની સભામાં આવે છે, તેઓ પોતાના મા-બાપની રજા લઈને આવે છે. તેમણે એ પણ સમજાવ્યું કે લશ્કરમાં જોડાવું કે નહિ એ સૌ સૌની મરજી છે. તેમ છતાં, અમુક દિવસો સુધી સરકારી વકીલોએ ભાઈ મારકેરીયન પર પ્રશ્નોનો વરસાદ વરસાવ્યો. તેમણે બાઇબલમાંથી શાંતિથી એના જવાબો આપ્યા તેમ, સરકારી વકીલો પોતે એ કલમો તપાસતા રહ્યા.

સપ્ટેમ્બર ૧૮, ૨૦૦૧ના દિવસે ન્યાયાધીશે ચુકાદો આપ્યો કે ભાઈ મારકેરીયન “નિર્દોષ છે,” તેમનામાં “કોઈ ગુનો માલૂમ પડ્યો નથી.” એ કેસ વિષે એક છાપાએ આમ અહેવાલ આપ્યો: “આર્મેનિયામાં રહેતા લીયોવા મારકેરીયન પોતે યહોવાહના સાક્ષીઓના એક આગેવાન છે. તેમના પર અનેક આરોપો મૂકવામાં આવ્યા છે. જેમ કે તે લોકોનું ધર્માંતર કરે છે અને યુવાનો લશ્કરી સેવામાં ન જોડાય માટે તેઓને દબાણ કરે છે. પરંતુ, તેમના પર બે મહિના સુધી કેસ ચાલ્યા પછી આજે તેમને છોડી દેવામાં આવ્યા. કોર્ટે કહ્યું કે તેમને [લીયોવા મારકેરીયનને] સજા કરવા માટે કોઈ પુરાવા નથી. નહિતર તેમને પાંચ વર્ષની સજા થઈ હોત. . . . આર્મેનિયાનું બંધારણ દરેકને ધાર્મિક સ્વતંત્રતા આપે છે. તેમ છતાં, સરકારી ચોપડામાં નવા ધર્મોનું નામ રજિસ્ટર થતું નથી. કારણ કે આર્મેનિયાનું એપોસ્ટોલિક ચર્ચ હંમેશાં તેઓનો વિરોધ કરે છે.” ઑર્ગેનાઇઝેશન ફૉર સિક્યુરીટી એન્ડ કૉઓપરેશન ઇન યુરોપ (OSCE)એ સપ્ટેમ્બર ૧૮, ૨૦૦૧ના રોજ છાપાઓમાં આમ કહ્યું: “જોકે એ ચુકાદો ખૂબ જ આનંદદાયક છે. તેમ જ આ કેસ કોર્ટમાં આવ્યો એ માટે OSCEની ઑફિસને દુઃખ થાય છે. ખરું કહીએ તો આની કોઈ જરૂર ન હતી.”

કેસ ચાલુ જ રહ્યો

તોપણ બે સરકારી વકીલોએ અપીલ કરી અને ફરી એ જ કેસ બીજા ચાર મહિના ચાલ્યો. આ વખતે ત્રણ ન્યાયાધીશોની બેચ હતી. કેસ શરૂ થયો ત્યારે, એક જજે, મારકેરીયનને પ્રશ્ન પૂછ્યો. એનો તે જવાબ આપે એ પહેલાં બીજી એક સ્ત્રી જજ ચાલુ ચર્ચામાં કૂદી પડી અને તેમના પર પ્રશ્નોની ઝડી વરસાવી. તેણે ભાઈ મારકેરીયનને કોઈ જવાબ આપવા દીધો નહિ. એટલું જ નહિ, પણ ભાઈ મારકેરીયનના વકીલે તેમને જે સવાલો કર્યા હતા, એ તેણે રેકોર્ડમાંથી ગુમ કરી નાખ્યા હતા. હજી તો કેસ ચાલતો હતો એવામાં, સાક્ષીઓના વિરોધીઓ કોર્ટમાં ભાઈ મારકેરીયનને જેમતેમ બોલવા લાગ્યા. એ દિવસના અંતે ટીવીના ન્યૂઝમાં કેસ વિષે અનેક જૂઠી માહિતી આપવામાં આવી હતી. એ હદ સુધી કે ભાઈ મારકેરીયનને પોતાનો ગુનો સ્વીકારી લીધો છે.

એ કેસનો હજી પાર આવ્યો ન હતો એટલામાં સ્ત્રી જજે ધર્મો પર નજર રાખતા ડીપાર્ટમેન્ટ પાસેથી પત્ર રજૂ કરીને માંગ કરી કે ભાઈ મારકેરીયન પર કડક પગલાં લેવા જ જોઈએ. બીજા દેશોની સરકારોના અને સંસ્થાના પ્રતિનિધિઓ એ કેસ સાંભળવા આવ્યા હતા. પરંતુ, તેઓએ જે જોયું એનાથી છક થઈ ગયા હતા. કેમ કે આર્મેનિયા, કાઉન્સિલ ઑફ યુરોપનું સભ્ય હોવાથી, એની ફરજ છે કે “દરેક ચર્ચ કે ધાર્મિક લોકોને અને ખાસ કરીને એ દેશના ધર્મો સિવાય બીજા ધર્મોને પણ ધાર્મિક સ્વતંત્રતા આપવી જ જોઈએ.”

અમુક અઠવાડિયાં સુધી એ કેસ ચાલ્યો તેમ, કોર્ટમાં વાતાવરણ ગરમાગરમ હતું. યહોવાહના સાક્ષીઓના વિરોધીઓ તેઓને અદાલતમાં અને બહાર હેરાનગતિ અને મારપીટ પણ કરતા હતા. તેઓ ઘણી વાર યહોવાહના સાક્ષીઓની સ્ત્રીઓને પગમાં લાતો મારી જતા. આ જ રીતે આપણા એક ભાઈને મારવામાં આવ્યું તોય તેમણે કંઈ જ ન કર્યું, છતાં કોઈએ તેમની કરોડ પર પાછળથી જોરથી માર્યું હોવાથી તેમને હૉસ્પિટલમાં દાખલ કરવા પડ્યા.

આ જ સમયે બીજા નવા ન્યાયાધીશને એ કેસ સોંપવામાં આવ્યો. આ નવા ન્યાયાધીશ બહુ જ કડક હતા. એ કેસ ચાલતો હતો એવામાં અમુક વિરોધીઓ અદાલતમાં બચાવ પક્ષના વકીલની હેરાનગતિ કરવા લાગ્યા. એમાં એક સ્ત્રી એ વકીલને ખરાબ રીતે બોલવા લાગી ત્યારે, આ નવા ન્યાયાધીશે તેને બહાર કાઢવાનો પોલીસને હુકમ કર્યો.

આર્મેનિયાની સુપ્રિમ કોર્ટમાં

છેવટે માર્ચ ૭, ૨૦૦૨માં અપીલ કોર્ટે પણ ડિસ્ટ્રીક્ટ કોર્ટ જેવો જ ચુકાદો આપ્યો. પરંતુ એના આગલા જ દિવસે એક અજોડ બનાવ બન્યો. એ શું હતો? ધર્મ પર નજર રાખતું ડિપાર્ટમેન્ટ બંધ કરી દેવામાં આવ્યું. તેથી ફરી સરકારી વકીલો એ કેસને આર્મેનિયાની સુપ્રિમ કોર્ટમાં લઈ ગયા. પછી તેઓએ અદાલત પાસે માંગ કરી કે આ કેસની ફરી નવેસરથી તપાસ કરવાની જરૂર છે, જેથી આરોપીને “સજા થઈ શકે.”

એનો ચુકાદો આપવા ન્યાયાધીશ શ્રી મહેર કાચાત્રીયનની આગેવાની હેઠળ બીજા પાંચ ન્યાયાધીશોની આખી બેચ હતી. એ કેસ એપ્રિલ ૧૯, ૨૦૦૨ના રોજ સવારે અગિયાર વાગે શરૂ થયો. કેસ શરૂ થતાં જ એક સરકારી વકીલે ગુસ્સે થઈને કહ્યું કે અફસોસ છે કે આગળની બે અદાલતો ભાઈ મારકેરીયનને ગુનેગાર ન ઠરાવી શકી. જોકે, આ વખતે સરકારી વકીલ હજી બોલી રહ્યો હતો એટલામાં, ચાર ન્યાયાધીશોએ તેના પર ધારદાર પ્રશ્નોનો મારો ચલાવ્યો. એક ન્યાયાધીશે એ સરકારી વકીલને કડક ઠપકો પણ આપ્યો હતો. કારણ કે તેઓ કોર્ટમાં યહોવાહના સાક્ષીઓના ધર્મનું પ્રચાર કાર્ય અને તેઓના ધર્મનું નામ રજિસ્ટર નથી થયું એને પણ રજૂ કરીને ઇનસાફ ઊંધો વાળવા પ્રયત્ન કરતા હતા. તેઓને સાક્ષીઓ પ્રત્યે અણગમો હોવાથી સરકારી ચોપડામાં તેઓના ધર્મનું નામ રજિસ્ટર કરતા ન હતા જેથી, તેઓ બંધારણની કલમ ૨૪૪ હેઠળ, મારકેરીયનને ગુનેગાર ઠરાવી શકે. પછી ન્યાયાધીશે સરકારી વકીલોને કહ્યું કે તમે તો ‘એ નિયમ હેઠળ તેઓને ગુનેગાર જ ઠરાવતા નથી, પરંતુ સતાવણી કરી રહ્યા છો.’ બીજા ન્યાયાધીશે જણાવ્યું કે યુરોપની માનવ હક્કોની અદાલતે યહોવાહના સાક્ષીઓના પક્ષમાં અનેક ચુકાદા આપ્યા છે કે તેઓનો ‘ધર્મ અજાણ્યો નથી.’ તેથી યુરોપિયન માનવ હક્કોના નિયમ હેઠળ તેઓને રક્ષણ મળવું જ જોઈએ. અદાલતમાં આ રીતે ચર્ચા ચાલી રહી હતી એવામાં પાદરીઓ બૂમબરાડા કરવા લાગ્યા કે યહોવાહના સાક્ષીઓ દેશના ભાગલા પાડી રહ્યા છે. તોપણ, અદાલતે તેઓને શાંતિ રાખવાનો હુકમ આપ્યો હતો.

પછી ચુકાદો આપતાં પહેલાં ન્યાયાધીશોએ લોકોમાંથી લીયોવા મારકેરીયનને બોલાવ્યા. સામાન્ય રીતે આવું કદી સુપ્રિમ કોર્ટમાં થતું નથી. ભાઈ મારકેરીયને બાઇબલમાંથી સમજાવ્યું કે શા માટે યહોવાહના ખ્રિસ્તી સાક્ષીઓ ઘણી બાબતોમાં ભાગ લેતા નથી. (માર્ક ૧૩:૯) એ સાંભળ્યા પછી ન્યાયાધીશોએ થોડો સમય પોતાના કોર્ટરૂમમાં જઈને એના પર વિચાર કર્યો. પછી તેઓએ આવીને એક રાગે ચુકાદો આપ્યો કે તેઓ “નિર્દોષ છે.” એ સાંભળીને ભાઈ મારકેરીયનના જીવમાં જીવ આવ્યો હોય એવું દેખાયું. અદાલતે તેઓના લખાણમાં આમ ચુકાદો આપ્યો: “[લીયોવા મારકેરીયનની] પ્રવૃત્તિઓ હાલના નિયમ પ્રમાણે ગુનો નથી અને મૂકવામાં આવેલા આરોપો આર્મેનિયન બંધારણની કલમ ૨૩ અને યુરોપિયન માનવ હક્કોની કલમ ૯ હેઠળ જરાય યોગ્ય નથી.”

ચુકાદાની અસર

જો સરકારી વકીલો એ કેસ જીતી ગયા હોત તો, આર્મેનિયામાં રહેતા સાક્ષીઓના વડીલો પર પગલાં લેવામાં આવ્યાં હોત. અમારી આશા છે કે એ ચુકાદો માન્ય કરવામાં આવશે અને તેઓને ફરી હેરાન કરવામાં નહીં આવે. તેમ જ સરકારી પક્ષમાં એ ચુકાદો ગયો હોત તો, તેઓના ચોપડામાં યહોવાહના સાક્ષીઓનું નામ રજિસ્ટર ન કરવા તેઓને બીજું એક બહાનું મળી જાત. પરંતુ, અદાલતે જૂઠા આરોપોને વખોડી કાઢ્યા હોવાથી, ઘણાને ખૂબ આનંદ થયો છે.

યહોવાહના સાક્ષીઓ એક ધર્મ છે એવું સરકારી ચોપડામાં રજિસ્ટર કરવામાં આવે છે કે નહિ, એ તો સમય જ બતાવશે. જોકે એ દેશમાં આજે ૭,૦૦૦થી પણ વધારે યહોવાહના સાક્ષીઓ છે. એ બતાવી આપે છે કે આજે પણ “અરારાટ દેશમાં” લોકો હજી યહોવાહની સેવા કરી રહ્યા છે.

[ફુટનોટ્‌સ]

^ અરારાટ પર્વતને કારણે આર્મેનિયા જાણીતું છે એનું બીજું કારણ પણ છે. પ્રાચીન સમયમાં અરારાટ પર્વતના એક છેડેથી બીજા છેડે આર્મેનિયાનું સોનેરી રાજ હતું. કદાચ એ કારણથી હેબ્રુ બાઇબલમાંથી ગ્રીકમાં સેપ્ટ્યુઆજીંટનો અનુવાદ કરતી વખતે ભાષાંતરકારોએ યશાયાહ ૩૭:૩૮નું ‘અરારાટ દેશમાંʼનું ભાષાંતર “આર્મેનિયામાં” કર્યું હતું. આજે અરારાટ પર્વત તુર્કીની પૂર્વીય હદ પાસે આવેલો છે.

[પાન ૧૨ પર ચિત્ર]

લીયોવા મારકેરીયન અદાલતમાં

[પાન ૧૩ પર ચિત્ર]

ભાઈ મારકેરીયન તેમના કુટુંબ સાથે