મરણ પામેલાઓ વિષે પરમેશ્વર શું વિચારે છે?
મરણ પામેલાઓ વિષે પરમેશ્વર શું વિચારે છે?
કોઈ નજીકનું સગું-વહાલું મરણ પામે ત્યારે, આપણે એકદમ ભાંગી પડીએ છીએ. ખરેખર, આપણને એ વ્યક્તિની ઘણી જ ખોટ સાલે છે. આપણે એકદમ એકલા પડી જઈએ છીએ, જાણે નિરાધાર બની જઈએ છીએ. ભલેને આપણી પાસે દુનિયાભરની મિલકત કે તાકાત કેમ ન હોય, એ પ્રિયજનને આપણે પાછા લાવી શકતા નથી.
પરંતુ, પરમેશ્વર કંઈક જુદું જ વિચારે છે. પરમેશ્વરે પ્રથમ માનવને ધૂળમાંથી બનાવ્યો હતો. તેથી, તે મરણ પામેલી વ્યક્તિને ફરીથી જીવન આપી શકે છે. તેથી, પરમેશ્વરની નજરમાં તો મરણ પામેલા લોકો પણ જીવતા જ છે. અગાઉ જે વિશ્વાસુ સેવકો મરી ગયા તેઓ વિષે ઈસુએ કહ્યું: “તેમને [યહોવાહ] માટે તો બધા જીવતાં જ છે.” ખરેખર, યહોવાહ પરમેશ્વરની નજરમાં મરણ પામેલા પણ જીવતા જ છે.—લુક ૨૦:૩૮, પ્રેમસંદેશ.
ઈસુ પૃથ્વી પર હતા ત્યારે, તેમને મરણ પામેલા લોકોને સજીવન કરવાની શક્તિ આપવામાં આવી હતી. (યોહાન ૫:૨૧) જે વિશ્વાસુ સેવકો મરણ પામ્યા છે તેઓ માટે, ઈસુ પણ તેમના પિતાની જેમ જ વિચારે છે. દાખલા તરીકે, ઈસુના મિત્ર લાજરસ મરણ પામ્યા ત્યારે, ઈસુએ તેમના શિષ્યોને કહ્યું: “હું તેને ઊંઘમાંથી જગાડવા સારૂ જવાનો છું.” (યોહાન ૧૧:૧૧) માણસોની નજરમાં તો લાજરસ મરણ પામ્યા હતા. પરંતુ, યહોવાહ અને ઈસુ ખ્રિસ્તની નજરમાં તો લાજરસ ઊંઘી ગયા હતા.
ઈસુના રાજ્યમાં, “ન્યાયીઓ તથા અન્યાયીઓનું પુનરુત્થાન થશે.” (પ્રેરિતોનાં કૃત્યો ૨૪:૧૫) આમ, પુનરુત્થાન પામેલા એટલે કે સજીવન થયેલા લોકોને યહોવાહ પોતે શિક્ષણ આપશે અને તેઓને આ પૃથ્વી પર હંમેશનું જીવન મળશે.—યોહાન ૫:૨૮, ૨૯.
ખરું કે કોઈ મરણ પામે ત્યારે આપણે દુઃખી-દુઃખી થઈ જઈએ છીએ. અરે, થોડા સમય સુધી આપણે એ ગમમાં ડૂબી જઈ શકીએ. પરંતુ, મરણ પામેલી વ્યક્તિઓ વિષે યહોવાહ જેવું વિચારીશું તો, આપણને ચોક્કસ દિલાસો અને આશા મળશે.—૨ કોરીંથી ૧:૩, ૪.