સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

વાચકો તરફથી પ્રશ્નો

વાચકો તરફથી પ્રશ્નો

વાચકો તરફથી પ્રશ્નો

બાબેલોને યરૂશાલેમને ઘેરો નાખીને નાશ કર્યો એ સમયે, હઝકીએલ કયા અર્થમાં ‘મૂંગા’ થઈ ગયા હતા?

હઝકીએલે યરૂશાલેમના રહેવાસીઓને યહોવાહનો સંદેશો જણાવ્યો હતો. તેમણે આ સંદેશા સિવાય ઈસ્રાએલીઓને બીજું કંઈ કહેવાનું ન હતું. તેથી, તે એક રીતે મૂંગા થયા.

હઝકીએલ “યહોયાકીન રાજાના બંદીવાસના પાંચમા વર્ષમાં,” એટલે ઈસવી સન પૂર્વે ૬૧૩માં પ્રબોધ કરવા લાગ્યા. તે ખાસ કરીને બાબેલોનમાં રહેતા ઈસ્રાએલી બંદીવાનોને પ્રબોધ કરતા હતા. (હઝકીએલ ૧:૨, ૩) પછી ઈ.સ. પૂર્વે ૬૦૯ના દસમા મહિનાના દસમા દિવસે, યહોવાહે હઝકીએલને એક સંદેશો આપ્યો. આ ભવિષ્યવાણીમાં યહોવાહે જણાવ્યું કે બાબેલોનીઓ યરૂશાલેમને ઘેરો ઘાલશે. (હઝકીએલ ૨૪:૧, ૨) શું મોટા ભાગના ઈસ્રાએલીઓ એમાંથી બચવાના હતા? ના, કેમ કે તેઓ અવાર-નવાર યહોવાહના માર્ગમાંથી ભટકી જતા હતા. તેથી, યહોવાહ હઝકીએલ દ્વારા તેઓને એક ગંભીર સંદેશો આપે છે. આ સંદેશો જણાવીને હઝકીએલને પોતે બીજું કંઈ ખાસ જણાવવાની જરૂર ન હતી. તેથી, સંદેશો જણાવીને તે ચૂપ રહ્યા.—હઝકીએલ ૨૪:૨૫-૨૭.

ઈ.સ. પૂર્વે ૬૦૭માં યરૂશાલેમનો નાશ થયો. એ વખતે એક માણસ દુશ્મનોના હાથમાંથી છટકીને હઝકીએલને સમાચાર આપવા આવ્યો હતો. પરંતુ, તે હઝકીએલને મળ્યો એના એક દિવસ પહેલાં, હઝકીએલ પોતે કહ્યું: ‘યહોવાહે મારૂં મુખ ખોલ્યું હતું; અને હવે હું મૂંગો નહોતો.’ (હઝકીએલ ૩૩:૨૨) એ પછીથી હઝકીએલ ફરી ઈસ્રાએલને લગતી ભવિષ્યવાણીઓ વિષે જણાવે છે.

તો આ મહિનામાં શું હઝકીએલ મૂંગા હતા? ના, કેમ કે તેમણે યરૂશાલેમની આજુબાજુના દેશો વિષે ભવિષ્યવાણી કરી. વળી, તેમણે તેઓને ધમકી પણ આપી કેમ કે તેઓ યરૂશાલેમનો નાશ જોઈને ખૂબ ખુશ થયા હતા. (હઝકીએલના ૨૫થી ૩૨ અધ્યાયો) હઝકીએલ, પ્રબોધ કરવા લાગ્યા ત્યારે યહોવાહે તેમને કહ્યું: “હું તારી જીભને તારે તાળવે એવી રીતે ચોંટાડી દઈશ કે તું મૂંગો થઈ જશે, ને તેમને ઠપકો આપી શકશે નહિ; કેમકે તેઓ બંડખોર લોક છે. પણ હું તારી સાથે બોલીશ ત્યારે હું તારૂં મુખ ખોલીશ.” (હઝકીએલ ૩:૨૬, ૨૭) આ કલમો બતાવે છે કે યહોવાહના સંદેશા સિવાય, હઝકીએલે ઈસ્રાએલીઓને બીજું કંઈ કહેવાનું ન હતું. તેથી, એ અર્થમાં તે મૂંગા હતા. પરંતુ, યહોવાહ કોઈ પણ સમયે ઈસ્રાએલને સંદેશો આપતા ત્યારે, હઝકીએલ બોલતા હતા.

આજે સર્વ કહેવાતા ખ્રિસ્તીઓ યરૂશાલેમ જેવા છે. તેમ જ, અભિષિક્ત ખ્રિસ્તીઓ હઝકીએલ જેવા છે. આ અભિષિક્ત ખ્રિસ્તીઓ આખા જગતમાં સંદેશો ફેલાવે છે કે ખ્રિસ્તી રાષ્ટ્રનો અંત નજીક છે. “મોટી વિપત્તિ” શરૂ થશે ત્યારે “મહાન બાબેલોન,” એટલે સર્વ જૂઠા ધર્મોનો અંત આવશે. ખાસ કરીને બધા ચર્ચનો અંત આવશે. એ સમયે હઝકીએલના જેમ, અભિષિક્ત જનોને ઢોંગી ખ્રિસ્તીઓ વિષે બીજું કંઈ કહેવું પડશે નહિ.—માત્થી ૨૪:૨૧; પ્રકટીકરણ ૧૭:૧, ૨,.

‘દશ શિંગડાં તથા શ્વાપદ’ સર્વ ચર્ચનો નાશ કરશે. (પ્રકટીકરણ ૧૭:૧૬) ત્યારે યહોવાહના લોકો મૂંગા રહેશે, કેમ કે તેઓને ચર્ચના પાદરીઓને બીજી કોઈ ધમકી આપવી પડશે નહિ. પણ એનો અર્થ એ નથી કે સાક્ષીઓ ખરેખર મૂંગા થઈ જશે. એના બદલે તેઓ હમણાં કરે છે તેમ, ભાવિમાં પણ યહોવાહનો જયજયકાર પોકારશે. વળી, તેઓ “પેઢી દરપેઢી” યહોવાહની સ્તુતિ કરશે.—ગીતશાસ્ત્ર ૪૫:૧૭; ૧૪૫:૨.