સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

“નદીઓ, તમે તાળી પાડો”

“નદીઓ, તમે તાળી પાડો”

યહોવાહની સુંદર રચના

“નદીઓ, તમે તાળી પાડો”

દુનિયાના નકશા પર એક નજર નાંખો. મોટા ભાગની જગ્યાઓ પર વાંકીચૂંકી નદીઓ જોવા મળશે. આ નદીઓ રણ, મેદાન અને લીલાછમ વિસ્તારોમાંથી પસાર થાય છે. આ ધારાઓ ખીણો, પર્વતો અને જંગલોમાંથી વહે છે. (હબાક્કૂક ૩:૯) આ ધારાઓ પૃથ્વીની ધમનીઓ જેવી છે. એ પૃથ્વીના સરજનહાર, યહોવાહના ડહાપણ અને શક્તિનો જોરદાર પુરાવો આપે છે. એને નિહાળીને, આપણે પણ ગીતકર્તા જેવું અનુભવીએ છીએ: “નદીઓ, તમે તાળી પાડો; પર્વતો, તમે સાથે મળીને પ્રભુ [યહોવાહ] સમક્ષ હર્ષનાદ કરો.”—ગીતશાસ્ત્ર ૯૮:૮, ૯, IBSI. *

નદીઓએ ઇતિહાસમાં બહુ મહત્ત્વનો ભાગ ભજવ્યો છે. બાઇબલમાં મુખ્ય ચાર નદીઓ વિષે જણાવ્યું છે. આ ચાર નદીઓ એદનમાંથી નીકળેલી નદીના ફાંટા છે. (ઉત્પત્તિ ૨:૧૦-૧૪) પ્રાચીન કાળથી લોકવસાહતો અને લોક સંસ્કૃતિ નદીઓને કિનારે કિનારે જ પાંગરી અને વિકસી છે. જેમ કે, સૌથી પહેલી લોક સંસ્કૃતિ મધ્ય પૂર્વની નદીઓ, તાઇગ્રિસ અને યુફ્રેટીસની ફળદ્રુપ ખીણોમાં વિકસી હતી. ચીનની હોવાંગ (યલો), દક્ષિણ એશિયાની ગંગા અને ઇન્દુ તેમ જ ઇજિપ્તની નાઈલ નદીઓના લીધે જ મોટી મોટી સંસ્કૃતિઓ શક્ય બની હતી.

આમ, નદીઓનું અઢળક પાણી, એની શક્તિ અને સૌંદર્ય જોઈને આપણી આંખો અંજાઈ જાય એમાં કોઈ નવાઈ નથી. ઇજિપ્તની નાઈલ નદી લગભગ ૬,૬૭૦ કિલોમીટર લાંબી છે. સૌથી લાંબી નદી દક્ષિણ અમેરિકાની એમેઝોન છે. એમાંથી બીજી કોઈ પણ નદી કરતાં ચારગણું વધારે પાણી સમુદ્રમાં ભળી જાય છે. જોકે, મોટી મોટી નદીઓ જ સુંદર હોય એવું નથી. નાની નદીઓ પણ સુંદર હોય શકે, જેમ કે જાપાનની ટૉન નદી.

નદીઓ શાને કારણે વહે છે? ગુરુત્વાકર્ષણને લીધે છેક ઉપરથી નીચે સુધી નદીઓ વહે છે. પરિણામે, અમુક સમયે ખળખળ વહેતા પાણીના ધોધ પણ જોવા મળે છે. આવા અદ્‍ભુત દૃશ્યનું વર્ણન કરતા બાઇબલ કહે છે: “હે યહોવાહ, પ્રવાહોએ ઊંચો કર્યો છે, પ્રવાહોએ પોતાનો સાદ ઊંચો કર્યો છે; પ્રવાહો પોતાનાં મોજાં ઊંચાં કરે છે.”—ગીતશાસ્ત્ર ૯૩:૩.

યહોવાહે અયૂબને પૂછ્યું: “વરસાદના ભારે પ્રવાહ માટે ખીણો કોણે ખોદી રાખી છે?” (યોબ ૩૮:૨૫, IBSI) હા, બધું પાણી ક્યાંથી આવે છે? એનો જવાબ આપણને પાણીના ચક્રમાંથી જોવા મળે છે. સૂર્યની શક્તિ અને ગુરુત્વાકર્ષણને લીધે પૃથ્વીના પાણીનું ચક્ર સતત ઘૂમ્યા કરે છે. પાણીનું બાષ્પીભવન થયા પછી, એ વરાળ બનીને ઉપર ચઢે છે. છેવટે, એ વરાળ ઠંડી પડીને વાદળ બને છે. સમય જતાં, આ વાદળોનું પાણી સ્નો કે વરસાદના રૂપમાં પાછું પૃથ્વી પર પડે છે. મોટા ભાગનું પાણી દરિયા, સરોવર, નદીઓ, હિમનદીઓ, બરફથી છવાયેલો રહેલો ધ્રૃવ વિસ્તાર અને જમીનમાં એકઠું થાય છે.

પાણીના આ અદ્‍ભુત ચક્ર વિષે બાઇબલ કહે છે: “સર્વ નદીઓ વહીને સમુદ્રમાં પડે છે, તોપણ સમુદ્ર ભરાઈ જતો નથી; જે જગાએ નદીઓ જાય છે ત્યાંથી તેઓ પાછી આવે છે.” (સભાશિક્ષક ૧:૭) હા, એકલા યહોવાહ પરમેશ્વર જ આવી અદ્‍ભુત જોગવાઈ કરી શકે છે. તે ડહાપણનો ભંડાર છે અને આપણી બધી રીતે કાળજી લે છે.—ગીતશાસ્ત્ર ૧૦૪:૧૩-૧૫, ૨૪, ૨૫; નીતિવચનો ૩:૧૯, ૨૦.

ભલે નાની-મોટી કે ગમે એટલી નદીઓ હોય, એમાંથી દુનિયા માટે બહુ ઓછું નિર્મળ અને શુદ્ધ પાણી મળી રહે છે. ગમે તે હોય, પાણી જીવન માટે ખૂબ મહત્ત્વનું છે. પાણી (અંગ્રેજી) નામનું પુસ્તક બતાવે છે કે, “જો કોઈ પણ રીતે પાણી ન મળે અને એના પર કંઈક અંશે અંકુશ રાખવામાં ન આવે તો, મનુષ્યોની નાની મોટી જરૂરિયાતો પૂરી કરવી અશક્ય બની જશે. એટલે જ ઇતિહાસથી જોવા મળ્યું છે કે મનુષ્યોએ સૌથી પહેલાં પાણી મેળવવા પર વધારે ધ્યાન આપ્યું છે.”

હજારો વર્ષોથી નદીઓએ માણસોની તરસ છીપાવી છે અને ખેતીવાડી માટે પણ પાણી પૂરું પાડ્યું છે. ઘણી નદીઓના કિનારાની ફળદ્રુપ જમીન પણ પાક માટે સારી છે. નોંધ લો કે યહોવાહનાં સેવકોને મળનારા આશીર્વાદોમાં આ બાબત કેવી સરસ રીતે વ્યક્ત કરવામાં આવી છે! “હે યાકુબ, તારા તંબુઓ, હે ઇસ્રાએલ, તારા માંડવા કેવા સારા છે! ખીણોની પેઠે તેઓ પથરાએલા છે, તેઓ નદીકાંઠાની વાડીઓના જેવા, યહોવાહે રોપેલા કુંવાર છોડવાઓના જેવા, અને પાણી પાસેના એરેજવૃક્ષના જેવા છે.” (ગણના ૨૪:૫, ૬) નદીઓ બતકાં જેવા પક્ષીઓ અને શિયાળ જેવા પ્રાણીઓની પણ તરસ છીપાવે છે. એ તમે અહીં આપેલા ચિત્રમાં જોઈ શકો છો. ખરેખર, જેટલું વધારે આપણે નદીઓ વિષે શીખીએ છીએ એટલું વધારેને વધારે પરમેશ્વર યહોવાહના આભારી બનીએ છીએ.

[ફુટનોટ]

^ યહોવાહના સાક્ષીઓના ૨૦૦૪ના કૅલેન્ડરમાં મે/જૂન જુઓ.

[પાન ૮ પર બોક્સ/ચિત્ર]

આર્જેન્ટિના અને બ્રાઝિલની સરહદ વચ્ચે ઇક્વેસો ધોધ આવેલો છે. એની પહોળાઈ ત્રણ કિલોમીટર કરતાં વધારે છે, જે બીજા બધા ધોધ કરતાં સૌથી પહોળો છે. મૂળ ઉષ્ણ કટિબંધના જંગલોમાં આવેલો આ ધોધ લગભગ ૩૦૦ નાના ધોધનો બનેલો છે. વર્ષાઋતુમાં દર સેકન્ડે લગભગ ૧૦,૦૦૦ ઘનમીટર પાણી નીચે પડે છે.

[પાન ૯ પર ચિત્ર]

ટૉન નદી, જાપાન