સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

વાચકો તરફથી પ્રશ્નો

વાચકો તરફથી પ્રશ્નો

વાચકો તરફથી પ્રશ્નો

પહેલો શમૂએલ ૧૯:૧૨, ૧૩માં જણાવ્યા પ્રમાણે શા માટે યહોવાહના ભક્ત દાઊદે તેની પત્ની, મીખાલને તરાફીમ કે ઘરમૂર્તિઓ રાખવા દીધી હતી?

સૌથી પહેલા ચાલો આપણે આ અહેવાલને ટૂંકમાં જોઈએ. દાઊદને મારી નાખવાની શાઊલની યોજના વિષે મીખાલને ખબર પડે છે ત્યારે તે તરત પગલાં ભરે છે. બાઇબલ જણાવે છે: “મીખાલે દાઊદને બારીએથી ઉતારી દીધો; અને તે નાસી જઈને બચી ગયો. પછી મીખાલે તરાફીમ લઈને પલંગ પર સુવાડ્યાં, ને તેને ઓશીકે બકરાંના વાળનો એક તકિયો મૂક્યો, ને તે પર લૂગડાં ઓઢાડ્યાં.” પછી શાઊલના માણસો દાઊદને પકડવા આવ્યા ત્યારે મીખાલે કહ્યું કે, “તે [દાઊદ] માંદો છે.” આમ, દાઊદને ભાગી છૂટવા માટે સારો એવો સમય મળે છે.—૧ શમૂએલ ૧૯:૧૧-૧૬.

પુરાતત્ત્વશાસ્ત્રીઓનું કહેવું છે કે પ્રાચીન સમયમાં તરાફીમ કે ઘરમૂર્તિઓનો ઉપયોગ ફક્ત ધાર્મિક વિધિઓ માટે જ થતો ન હતો. પરંતુ, એનો કાયદા કાનૂનના કામમાં પણ ઉપયોગ થતો. આજે આપણે જોઈએ તો, વારસામાં કોને શું મિલકત મળશે એ કાયદેસર વસિયતમાં લખવામાં આવે છે. પણ પ્રાચીન સમયમાં ઘરમૂર્તિઓથી એ નક્કી થતું કે વારસો કોને મળશે. જેમ કે, જો કોઈ જમાઈ પાસે ઘરમૂર્તિઓ હોય અને તેના સસરા ગુજરી જાય તો, સસરાની મિલકત કાયદેસર રીતે જમાઈને મળતી હતી. આ બતાવે છે કે યાકૂબની પત્ની, રાહેલે પોતાના પિતાની ઘરમૂર્તિઓ લઈ લીધી ત્યારે, લાબાન કેમ એને પાછી મેળવવા બહુ વ્યાકુળ થઈ ગયો હતો. જોકે, યાકૂબ જાણતો ન હતો કે તેની પત્ની રાહેલ પાસે ઘરમૂર્તિઓ છે.—ઉત્પત્તિ ૩૧:૧૪-૩૪.

ઈસ્રાએલીઓ યહોવાહની પ્રજા બન્યા ત્યારે તેઓને દસ આજ્ઞા આપવામાં આવી. એમાં બીજી આજ્ઞા સ્પષ્ટ હતી કે તેઓએ કોઈ પણ પ્રકારની મૂર્તિ બનાવવાની ન હતી. (નિર્ગમન ૨૦:૪, ૫) પછીથી, પ્રબોધક શમૂએલ શાઊલ રાજાને આ નિયમ વિષે આડકતરી રીતે વધારે જણાવે છે: “દંગો એ જોષ જોવાના પાપ જેવો છે, ને હઠીલાઇ એ દુષ્ટતા તથા મૂર્તિપૂજા જેવી છે.” (૧ શમૂએલ ૧૫:૨૩) આ કારણે ઘરમૂર્તિઓનો ઈસ્રાએલમાં વારસો મેળવવા માટે જ ઉપયોગ થતો ન હતો. આ જાણવા છતાં, અમુક ઈસ્રાએલીઓ વારસો મેળવવાની આશાએ આ ઘરમૂર્તિઓ રાખતા હતા. (ન્યાયાધીશો ૧૭:૫, ૬; ૨ રાજાઓ ૨૩:૨૪) મીખાલે પોતાની મિલકત સાથે આ ઘરમૂર્તિઓ રાખી હતી એ બતાવે છે કે તે યહોવાહની પૂરા દિલથી ભક્તિ કરતી ન હતી. દાઊદ પણ કદાચ જાણતો નહિ હોય કે મીખાલ પાસે ઘરમૂર્તિઓ છે. અથવા તો, મીખાલ શાઊલ રાજાની પુત્રી હોવાથી દાઊદે એ મૂર્તિઓ રાખવા દીધી હશે.

દાઊદ તો પૂરા દિલથી યહોવાહની ભક્તિ કરતો હતો, એ આપણને તેમના આ શબ્દોથી જોવા મળે છે: “યહોવાહ મોટો તથા ઘણો સ્તુત્ય છે; વળી સર્વ દેવો કરતાં તે ભયાસ્પદ છે. કેમ કે લોકોના સર્વ દેવો મૂર્તિઓ જ છે; પણ યહોવાહે તો આકાશો બનાવ્યાં.”—૧ કાળવૃત્તાંત ૧૬:૨૫, ૨૬.

[પાન ૨૯ પર ચિત્ર]

દસ આજ્ઞાઓમાંની બીજી આજ્ઞા એ હતી કે કોઈ પ્રકારની મૂર્તિઓ ન બનાવવી. એમાં અહીં બતાવેલી ઘરમૂર્તિ કે તરાફીમનો પણ સમાવેશ થતો હતો

[ક્રેડીટ લાઈન]

The Holy Land, Vol. II, 1859 પુસ્તકમાંથી