સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

તેણે પોતાના ક્લાસમાં પોતાની માન્યતા જણાવી

તેણે પોતાના ક્લાસમાં પોતાની માન્યતા જણાવી

તેણે પોતાના ક્લાસમાં પોતાની માન્યતા જણાવી

શું તમે તમારા ક્લાસના વિદ્યાર્થીઓને બાઇબલ જ્ઞાન આપવા માંગો છો? પોલૅન્ડની અઢાર વર્ષની માગ્દાલીના યહોવાહની સાક્ષી છે. તે હંમેશાં પોતાના ક્લાસને બાઇબલમાંથી જણાવતી. પરિણામે, તેના મિત્રો તેને પ્રશ્નો પૂછતા. જેમ કે, ‘યહોવાહના સાક્ષી બનવાનો શું અર્થ થાય છે? તમે લોકો ઈસુ ખ્રિસ્તમાં નથી માનતા ને?’ તે કઈ રીતે તેઓને મદદ કરતી? માગ્દાલીના મદદ માટે યહોવાહને પ્રાર્થના કરતી. ત્યાર પછી પ્રાર્થનાના સુમેળમાં કાર્ય કરતી.—યાકૂબ ૧:૫.

માગ્દાલીનાની એક શિક્ષિકા તેની ધાર્મિક માન્યતાઓને માન આપતી હતી. આથી, એક દિવસ માગ્દાલીના તેમની પાસે ગઈ. તેણે વિનંતી કરી કે તે ક્લાસમાં જેહોવાઝ વિટનેસીસ—ઓર્ગેનાઈઝેશન બીહાઈન્ડ ધ નેમ * વીડિયો બતાવી શકે કે કેમ. શિક્ષિકાએ ‘હા’ પાડી. પછી માગ્દાલીનાએ પોતાના ક્લાસના વિદ્યાર્થીઓને કહ્યું: “હું એક કાર્યક્રમની ગોઠવણ કરવાની છું. આ કાર્યક્રમ મારા એક મિત્ર તૈયાર કરશે કે જે લગભગ ૯૦ મિનિટનો હશે. એમાં આપણે એક વીડિયો કૅસેટ જોઈશું તેમ જ યહોવાહના સાક્ષીઓ વિષે ચર્ચા કરવાની ગોઠવણ કરીશું. શું તમે બધા આવશો?” દરેક જણે ‘હા’ પાડી. પછી માગ્દાલીના અને પૂરો સમય સેવા આપતા વાજત્ચીજભાઈએ આ કાર્યક્રમની તૈયારી શરૂ કરી દીધી.

તેઓએ શરૂઆતમાં જેહોવાઝ વિટનેસીસ—હુ આર ધે? વોટ ડૂ ધે બિલિવ?* પુસ્તિકાને આધારે ૨૦ મિનિટની ટૉક આપવાની ગોઠવણ કરી. પછી એ ચર્ચાને આધારે સવાલ-જવાબનો ભાગ રાખ્યો. એ પછી સ્કૂલની લાઇબ્રેરીમાં વીડિયો કૅસેટ બતાવવાનું નક્કી કર્યું. તેઓએ ક્લાસના દરેક વિદ્યાર્થીને એક મોટા કવરમાં ભેટ આપવાનું પણ નક્કી કર્યું. એ કવરમાં થોડી પુસ્તિકાઓ, યુવાન લોકો પૂછે છે—જવાબો જે સફળ થાય છે* પુસ્તક, કેટલીક પત્રિકાઓ અને મૅગેઝિનો હતાં.

આ કાર્યક્રમના દિવસે ૧૪ વિદ્યાર્થીઓ, શિક્ષક અને લાઇબ્રેરીમાં આવેલા બીજા ચારેક વિદ્યાર્થીઓ ભેગા મળ્યા હતા. વાજત્ચીજભાઈએ સૌ પ્રથમ સમજાવ્યું કે પોલૅન્ડના કેટલાક કવિઓ અને લેખકોએ પોતાની રચનામાં પરમેશ્વરનું નામ યહોવાહ જણાવ્યું છે. તેમણે એ પણ બતાવ્યું કે કેટલાક જૂના કૅથલિક પુસ્તકમાં પણ પરમેશ્વરનું નામ યહોવાહ જોવા મળે છે. પછી યહોવાહના સાક્ષીઓના કાર્ય વિષે સમજાવ્યું. તેમણે અલગ અલગ બ્રાન્ચ ઑફિસ વિષે માહિતી આપતી પુસ્તિકા અને અનેક સંમેલન હૉલના ફોટા બતાવ્યા.

પછી ચર્ચા શરૂ થઈ, જે ખૂબ ઉત્તેજન આપનારી હતી. હાજર રહેલા બધાને ઘણા પ્રશ્નો હતા. માગ્દાલીના અને વાજત્ચીજે એના જવાબ બાઇબલમાંથી જ આપ્યા. એનાથી વિદ્યાર્થીઓને ખૂબ આશ્ચર્ય થયું. તેઓ જોઈ શક્યા કે યહોવાહના સાક્ષીઓ મન ફાવે એમ પ્રચાર કરતા નથી. તેઓએ પૂછેલા કેટલાક પ્રશ્નો ક્યા હતા? એના કઈ રીતે જવાબ આપવામાં આવ્યા?

પ્રશ્ન: બાઇબલની ભાષા એટલી સ્પષ્ટ નથી, અને એના તો ઘણા અર્થ નીકળી શકે. તો પછી, બાઇબલ કહે છે એ પ્રમાણે કરવું કઈ રીતે શક્ય છે?

જવાબ: કેટલાક કહે છે કે બાઇબલને તમે મન ફાવે એ રીતે વાપરી શકો. પરંતુ જો તમારે જાણવું હોય કે અમુક વાક્યોમાં લેખક શું કહેવા માંગે છે તો, શું તમે એના લેખકને જ નહિ પૂછો? બાઇબલના લેખક પરમેશ્વર યહોવાહ છે. (રૂમી ૧:૨૦; ૧ કોરીંથી ૮:૫, ૬) ઘણી વાર આજુબાજુની કલમો સાચો અર્થ સમજવા મદદ કરે છે. બાઇબલ કોઈ એક વિષય પર ઘણી જગ્યાએ માહિતી આપે છે. એ માહિતીને એકબીજા સાથે સરખાવવાથી પણ એનો ખરો અર્થ જાણી શકાય છે. આ રીતે આપણે બાઇબલની તપાસ કરીએ ત્યારે, જાણે પરમેશ્વર પોતે કલમની સમજણ આપે છે. એ પ્રમાણે કરવાથી, આપણે તેમની ઇચ્છા જાણી શકીશું અનેએ મુજબ જીવન જીવી શકીશું.

પ્રશ્ન: ખ્રિસ્તીઓ અને યહોવાહના સાક્ષીઓ વચ્ચે શું તફાવત છે?

જવાબ: અમે ખ્રિસ્તી છીએ! ખ્રિસ્તી હોવાનો દાવો જ કરતા નથી. પણ અમે યહોવાહના સાક્ષીઓ તરીકે પરમેશ્વર આપણા લાભમાં જે કંઈ બાઇબલમાંથી શીખવે છે એ પ્રમાણે જીવવાનો પ્રયત્ન કરીએ છીએ. (યશાયાહ ૪૮:૧૭, ૧૮) અમારું શિક્ષણ બાઇબલને આધારે જ હોવાથી, અમે જાણીએ છીએ કે સત્ય અમારી પાસે છે.—માત્થી ૭:૧૩, ૧૪, ૨૧-૨૩.

પ્રશ્ન: તમે શા માટે અજાણી વ્યક્તિ પાસે જઈને પણ વાત કરવા માંગો છો? શું એવું નથી લાગતું કે તમે તમારી માન્યતાઓ તેઓ પર ઠોકી બેસાડો છો?

જવાબ: રસ્તા પર કોઈ અજાણી વ્યક્તિ તમારી પાસે આવીને નમ્રતાથી વાત કરે, કંઈક બાબત પર તમારો અભિપ્રાય માંગે તો શું એ ખોટું છે? (યિર્મેયાહ ૫:૧; સફાન્યાહ ૨:૨, ૩) (માગ્દાલીના અને વાજત્ચીજે ત્યાર પછી દૃશ્યથી બતાવ્યું કે તેઓ કઈ રીતે અજાણી વ્યક્તિઓને પૂછે છે કે તાજેતરમાં પોલૅન્ડમાં આવેલા પૂરમાં ભોગ બનેલાની પરમેશ્વર કાળજી રાખે છે કે કેમ.) વ્યક્તિનો અભિપ્રાય સાંભળ્યા પછી, અમે બાઇબલમાંથી બતાવીએ છીએ. જો કોઈ સાંભળવા તૈયાર ન હોય તો, અમે તેમની ઇચ્છાને માન આપીએ છીએ. (માત્થી ૧૦:૧૧-૧૪) શું તમને એવું લાગે છે કે અમે બીજાઓને વાત કરવા દબાણ કરી રહ્યા છીએ? અથવા શું લોકોએ વાત જ ન કરવી જોઈએ?

પ્રશ્ન: શા માટે તમે તહેવારો ઊજવતા નથી?

જવાબ: અમે ફક્ત એક જ પ્રસંગ ઊજવીએ છીએ. એના વિષે બાઇબલમાં આજ્ઞા આપવામાં આવી છે, એ ઈસુ ખ્રિસ્તનો સ્મરણપ્રસંગ છે. (૧ કોરીંથી ૧૧:૨૩-૨૬) બીજા તહેવારોની શરૂઆત ક્યાંથી થઈ એ તમે એન્સાયક્લોપેડિયા અને બીજા ભરોસાપાત્ર પુસ્તકોમાંથી શોધી શકો છો. જો તમે એ પ્રમાણે તપાસ કરશો, તો સહેલાઈથી જોઈ શકશો કે શા માટે અમે તહેવારો ઊજવતા નથી.—૨ કોરીંથી ૬:૧૪-૧૮.

આવા બીજા ઘણા સવાલોના જવાબ આપવામાં આવ્યા. ચર્ચા એટલી લાંબી થઈ ગઈ કે વીડિયો બતાવવાનું માંડી વાળવું પડ્યું.

વિદ્યાર્થીઓને કેવું લાગ્યું? ચાલો આપણે માગ્દાલીના પાસેથી જ સાંભળીએ: “કેટલાક વિદ્યાર્થીઓ જ્યારે જોઈએ ત્યારે બીજાઓની ખેંચતા જ હોય. પરંતુ તેઓને મહત્ત્વના પ્રશ્નો પૂછતા જોઈને મને આશ્ચર્ય થયું. જોકે તેઓ નાસ્તિક હોવાનો દાવો કરતા હતા. છતાં, ચર્ચા દરમિયાન તેઓએ પરમેશ્વરમાં વિશ્વાસ બતાવ્યો!” આ ચર્ચામાં આવનાર સર્વએ ભેટ સ્વીકારી. કુલ ૩૫ પુસ્તકો, ૬૩ પુસ્તિકાઓ અને ૩૪ મૅગેઝિનો આપવામાં આવ્યાં.

એનાથી કેટલું સારું પરિણામ આવ્યું! માગ્દાલીનાના ક્લાસના વિદ્યાર્થીઓ જ નહિ, પરંતુ બીજા ઘણા યુવાનો યહોવાહના સાક્ષીઓને સારી રીતે ઓળખી શક્યા. તેઓ જીવનના હેતુ વિષે પણ હવે વિચારતા થયા. શું તમારે પણ તમારા ક્લાસના વિદ્યાર્થીઓને પોતાની માન્યતા વિષે જાણવા મદદ ન કરવી જોઈએ?

[ફુટનોટ]

^ યહોવાહના સાક્ષીઓ દ્વારા પ્રકાશિત.

[પાન ૩૧ પર ચિત્ર]

માગ્દાલીના અને વાજત્ચીજ ચર્ચા માટે તૈયારી કરી રહ્યા છે