સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

વારસો, જે તમને જરૂર મળશે

વારસો, જે તમને જરૂર મળશે

વારસો, જે તમને જરૂર મળશે

“જો તમને એવો પત્ર મળે કે તમારા માટે કોઈ વારસો છોડી ગયું છે તો સાવધ રહેજો. કદાચ કોઈ તમને છેતરવા માટે ચાલ પણ રમતા હોય શકે.”

અમેરિકાના ટપાલ વિભાગે પોતાની વૅબસાઈટ પર આવી ચેતવણી આપી છે. શા માટે? ઘણા લોકોને એવો પત્ર મળે છે કે ‘તમારું કોઈ સગું ગુજરી ગયું છે અને તમારા માટે વારસો છોડી ગયું છે.’ તેથી લોકો એ વારસો કઈ રીતે મેળવવો એની જાણકારી લેવા લગભગ ૩૦ ડૉલર ફી મોકલતા હોય છે. પણ એ તો ચાલાકી હોય છે, કે જેમાં કોઈને કંઈ મળતું નથી. હકીકતમાં તેઓ માટે એવો કોઈ વારસો હોતો નથી. આખરે તેઓ નિરાશ થાય છે.

વારસો મેળવવાની લોકોની સ્વાભાવિક ઇચ્છા હોવાથી તેઓ આવી ચાલમાં ફસાઈ જાય છે. પરંતુ, બાઇબલ એવા લોકોની વાત કરે છે જે સાચે જ વારસો છોડી જાય છે: “સારો માણસ પોતાનાં છોકરાંનાં છોકરાંને માટે વારસો મૂકી જાય છે.” (નીતિવચનો ૧૩:૨૨) ઈસુ ખ્રિસ્તે પણ પહાડ પરના ઉપદેશમાં એવા વારસા વિષે જણાવ્યું હતું: “નમ્રજનો આશીર્વાદિત છે, કેમ કે પૃથ્વીનો વારસો તેઓને મળશે.”—માથ્થી ૫:૫, IBSI.

ઈસુના આ શબ્દો સદીઓ પહેલાં દાઊદ રાજાએ જે કહ્યું એની યાદ અપાવે છે: “નમ્ર લોકો દેશનું વતન [વારસો] પામશે; અને પુષ્કળ શાંતિમાં તેઓ આનંદ કરશે.”—ગીતશાસ્ત્ર ૩૭:૧૧.

જરા વિચારો, આખી પૃથ્વીનો વારસો! કેવું સુંદર એ ભાવિ હશે! પરંતુ, શું આપણે ખાતરી રાખી શકીએ કે લોકોને ફસાવવાની આ કોઈ ચાલ નહિ હોય? આ કોઈ ચાલ નથી, કેમ કે પૃથ્વીના સરજનહાર યહોવાહ એ વારસાનું વચન આપે છે. પૃથ્વીના માલિક તરીકે, તેમને એ પૂરો હક્ક છે કે એનો વારસો કોને આપવો. દાઊદ દ્વારા તેમણે પોતાના વહાલા પુત્ર, ઈસુ ખ્રિસ્તને પણ વરદાન આપ્યું હતું: “તું મારી પાસે માગ, એટલે હું વારસા તરીકે વિદેશીઓને, તથા પૃથ્વીની ચારે દિશાનું વતન આપીશ.” (ગીતશાસ્ત્ર ૨:૮) આમ, યહોવાહે ઈસુને ‘સઘળી વસ્તુઓના વારસ ઠરાવ્યા છે.’ (હેબ્રી ૧:૨) એટલે આપણે ઈસુના આ વચનમાં પૂરી શ્રદ્ધા રાખી શકીએ કે, નમ્રજનો “પૃથ્વીનો વારસો મેળવશે.” ઈસુ પાસે એ અધિકાર છે અને તે પોતાના વચનને જરૂર પૂરું કરશે.—માત્થી ૨૮:૧૮.

આપણને કદાચ સવાલ થશે કે આ વચન કઈ રીતે પૂરું થશે? આજે દુનિયામાં જોઈએ તો દુષ્ટો અને લોભીઓ ફૂલી-ફાલી રહ્યા છે. તેઓએ સૌથી સારી વસ્તુઓ પર પોતાનો કબજો જમાવી લીધો છે. તો પછી નમ્રજનો માટે વારસામાં શું હશે? આખી પૃથ્વી પર પારાવાર પ્રદૂષણને લીધે એક પછી એક મુશ્કેલીઓ આવતી જ રહે છે. લોભિયા લોકો પોતાના સ્વાર્થ માટે પૃથ્વીની કુદરતી સંપત્તિને બેફામ વેડફી રહ્યા છે. કાલનો તો જાણે તેઓ વિચાર જ કરતા નથી. તો પછી, વારસામાં બચ્યું શું? આ અને બીજા મહત્ત્વના સવાલોના જવાબ મેળવવા અમે તમને હવે પછીનો લેખ વાંચવા ઉત્તેજન આપીએ છીએ.

[પાન ૩ પર ચિત્ર]

શું તમને વારસો મળશે?