સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

આજે કોણ માર્ગદર્શન આપી શકે?

આજે કોણ માર્ગદર્શન આપી શકે?

આજે કોણ માર્ગદર્શન આપી શકે?

વર્ષ ૧૯૪૦માં બ્રિટનની પાર્લામેન્ટ મૂંઝવણમાં પડી. કોને વડાપ્રધાન બનાવવા? બ્રિટનના એક સમયના વડાપ્રધાન, ડેવિડ લોઈડ જ્યોર્જે સલાહ આપી. તે કોઈ જેવા તેવા વડાપ્રધાન ન હતા. તેમણે પહેલા વિશ્વયુદ્ધમાં બ્રિટનને જીત અપાવી હતી. તેમણે મે ૮, ૧૯૪૦માં કહ્યું: ‘એવો વડાપ્રધાન રાખો જે પ્રમાણિક હોય, મહેનતુ હોય, અને આપણી પાર્લામેન્ટને અને આપણી જનતાને સારું માર્ગદર્શન આપી શકે. આવા વડાપ્રધાન હશે તો જ જનતા આપણી સરકારમાં વિશ્વાસ મૂકશે.’

લોઈડ જ્યોર્જે જે કહ્યું એ બતાવે છે કે જનતાને પ્રમાણિક અને મહેનતુ નેતા જોઈએ છે. ચૂંટણીના એક કાર્યકરે પણ જોયું કે જનતા નેતાઓ પર ખૂબ ભરોસો મૂકે છે. તેણે કહ્યું: ‘જ્યારે જનતા વોટ આપે છે, ત્યારે તેઓ ખરેખર પોતાનું જીવન નવા પ્રમુખના હાથમાં સોંપે છે.’ નેતાઓ પાસે કેવી મોટી જવાબદારી છે! પણ શા માટે?

આજકાલ ચારે બાજુ તકલીફો વધી ગઈ છે. અને લાગે છે કે એનો અંત કોઈ દિવસ નહિ આવે. શું આજે એવા કોઈ નેતા છે, જે યુદ્ધ અને ગુનાનો અંત લાવી શકે? શું તે પોતાના દેશમાં સર્વ લોકોને પૂરતો ખોરાક, કે ચોખ્ખું પાણી આપી શકે? શું તે સર્વ લોકો માટે દવા-હૉસ્પિટલની સગવડ પૂરી પાડી શકે? શું તે પૃથ્વીનું વાતાવરણ શુદ્ધ રાખી શકે? શું એવા કોઈ નેતા છે, જે સર્વ લોકોને સુખ-શાંતિમાં રાખી શકે?

માણસમાં ભરોસો ન મૂકો

આપણે યાદ રાખવું જોઈએ કે અમુક બાબતમાં અમુક નેતાઓ સારા હોય છે. તોપણ, તેઓ બહુ વાર ટકતા નથી. જૂના જમાનામાં સુલેમાન નામના એક હોશિયાર રાજાએ કહ્યું: “પૃથ્વી ઉપર જે સઘળાં કામ મેં શ્રમ વેઠીને ઉઠાવ્યા, તેથી મને ધિક્કાર ઉપજ્યો; કેમ કે મારા પછી થનાર માણસને માટે મારે તે મૂકી જવું પડશે. વળી તે માણસ જ્ઞાની થશે કે મૂર્ખ થશે એ કોણ જાણે છે? તેમ છતાં પણ જે જે કામમાં મેં શ્રમ ઉઠાવ્યો છે, અને પૃથ્વી પર જેમાં મેં જ્ઞાન દર્શાવ્યું છે તે સર્વ પર તે અધિકાર ભોગવશે. એ પણ વ્યર્થતા છે.”—સભાશિક્ષક ૨:૧૮, ૧૯.

સુલેમાન જણાવે છે કે તેમના ગયા પછી કોને ખબર કે બીજો રાજા સારી રીતે રાજ કરશે કે નહિ. સુલેમાનને લાગ્યું કે એક પછી એક રાજા બદલાય એ તો “વ્યર્થતા” કહેવાય.

અમુક દેશોમાં હિંસા ફાટી નીકળે છે, કેમ કે જનતાને નવા નેતા જોઈએ છે. અરે, સારા સારા નેતાઓના પણ ખૂન થઈ ગયા છે. દાખલા તરીકે, અમેરિકાના પ્રમુખ અબ્રાહમ લિંકને અમેરિકાની હાલત સુધારવા સખત મહેનત કરી હતી. પણ તે જાણતા હતા કે નેતાઓનું જીવન તો પલભરનું જ હોય છે. એક સંમેલનમાં લિંકને કહ્યું: ‘આ દેશના પ્રમુખ તરીકે લોકોએ મને પસંદ કર્યો છે. પણ હું એમાં લાંબું નહિ ટકું.’ લિંકને ભલે ગમે એટલું સારું કર્યું, અમુક લોકો તેમનાથી ખુશ ન હતા. એટલે તે પ્રમુખ બન્યા એના પાંચમા વર્ષે એક માણસે તેમનું ખૂન કર્યું.

ભલે ગમે એટલા સારા નેતા હોય, તોપણ તેઓ લાંબો સમય ટકતા નથી. શું આપણે આપણું જીવન એવા નેતાઓના હાથમાં મૂકવું જોઈએ? બાઇબલ કહે છે: “મદદ માટે માણસો તરફ દૃષ્ટિ ન કરશો. તેઓના શ્રેષ્ઠ આગેવાનો નિષ્ફળ જાય છે. કેમ કે દરેક માણસે મરવાનું છે. તેના શ્વાસોશ્વાસ બંધ થઈ જાય છે, જીવનનો અંત આવે છે અને તેણે કરેલી દરેક યોજના એક ક્ષણમાં ખતમ થઈ જાય છે.”—ગીતશાસ્ત્ર ૧૪૬:૩, ૪, IBSI.

પણ આપણે મૂંઝાવાની જરૂર નથી. બાઇબલ જણાવે છે કે સોનેરી દિવસ આવશે. એ કહે છે: “જુઓ, એક ન્યાયી રાજા આવે છે, તેના અધિકારીઓ પ્રમાણિક હશે!” (યશાયા ૩૨:૧, IBSI) પરમેશ્વરે ગોઠવણ કરી છે કે એક જ રાજા આખી પૃથ્વી પર રાજ કરશે. પણ તે કોણ છે? ચાલો આપણે બાઇબલમાં જોઈએ.

પ્રમાણિક નેતા છે!

લગભગ બે હજાર વર્ષો પહેલાં, એક સ્વર્ગદૂતે મરિયમ નામની સ્ત્રી સાથે વાત કરતા કહ્યું: “થોડા જ સમયમાં તું ગર્ભવતી થશે અને પુત્રને જન્મ આપશે; આ પુત્રનું નામ તું ઈસુ રાખશે. તે બહુ જ મહાન વ્યક્તિ બનશે અને ઈશ્વરનો પુત્ર કહેવાશે, અને પ્રભુ તેને તેના પૂર્વજ દાવિદનું રાજ્યાસન આપશે. તે સદાને માટે ઈઝરાયલ પર રાજ્ય કરશે, અને તેના રાજ્યનો કદી જ અંત આવશે નહિ.” (લુક ૧:૩૧-૩૩, IBSI) હા, ઈસુ ખ્રિસ્ત એ રાજા કે નેતા બન્યા, જે સદાને માટે આખા જગત પર રાજ કરશે.

એ જાણીને તમને કેવું લાગે છે? અનેક ચિત્રકારોએ ઈસુનાં ચિત્રો દોર્યાં છે. ચિત્રો દોર્યાં છે તો ખરા પણ કેવા? અનેક ચિત્રો ઈસુને નાનકડું બાળક બતાવે છે. બીજાં અનેક ચિત્રોમાં ઈસુને ગરીબ ગાય જેવા ચીતર્યાં છે. બીજાં ઘણામાં એક ગરીબ સાધુ જેવા બતાવ્યા છે. પણ એવા ચીત્રો જોઈને તમને ઈસુ પર વિશ્વાસ મૂકવો ગમશે? જરાય નહિ! પણ બાઇબલ બતાવે છે કે ઈસુ પાસે ખૂબ શક્તિ હતી. તે હોશિયાર પણ હતા. તેમનો સ્વભાવ ખૂબ સારો હતો. (લુક ૨:૫૨) ચાલો આપણે જોઈએ કે હકીકતમાં તે કેવા હતા.

ઈસુ સાચે માર્ગે ચાલ્યા. તેમણે વિરોધી લોકોને એક સવાલ પૂછ્યો કે ‘મારા જીવનમાં કોઈ બૂરાઈ શોધો.’ પણ તેઓ એક પણ બૂરાઈ શોધી ન શક્યા. (યોહાન ૮:૪૬) જ્યારે ઈસુએ લોકોને શીખવ્યું, ત્યારે સત્ય જ શીખવ્યું. તેથી ઘણા લોકો તેમને પગલે ચાલ્યા.—યોહાન ૭:૪૬; ૮:૨૮-૩૦; ૧૨:૧૯.

આખું જીવન ઈશ્વરની ભક્તિ કરી. ઈશ્વરે ઈસુને કામ સોંપ્યું. ઈસુએ પોતે નક્કી કર્યું કે ‘હું એ ચોક્કસ પૂરું કરીશ.’ ઈસુ થાક્યા હોય કે ભૂખ્યા-તરસ્યા હોય, તોપણ લોકોને પરમેશ્વર વિષે શીખવતા હતા. (યોહાન ૪:૫-૧૬, ૩૧-૩૪) ભલે લોકો વિરોધ કરતા હોય, તોપણ ઈસુ તેઓને સાચો માર્ગ શીખવતા રહ્યા. ઘણાએ તો ઈસુ પર હુમલો કર્યો. તોપણ ઈસુ હિંમત ન હાર્યા અને ઈશ્વરનું કામ કરતા ગયા. (લુક ૪:૨૮-૩૦) આકરા સંજોગોમાં તો ઈસુના શિષ્યોએ પણ તેમને છોડી દીધા. એ ઘડીએ પણ ઈસુએ ઈશ્વરનું કામ પૂરું કર્યું. (માત્થી ૨૬:૫૫, ૫૬; યોહાન ૧૮:૩-૯) અરે, શેતાનના ચેલાઓએ ઘણી વાર ઈસુની શ્રદ્ધા તોડવાની કોશિશ કરી, પણ તેઓની મહેનત પાણીમાં ગઈ.

ઈસુએ દિલથી લોકોનું ધ્યાન રાખ્યું. ઈસુએ ભૂખ્યા-તરસ્યા લોકોના પેટ ભર્યા. (યોહાન ૬:૧૦, ૧૧) દુઃખી લોકોને દિલાસો આપ્યો. (લુક ૭:૧૧-૧૫) જે લોકો બીમાર હતા, બહેરા, આંધળા કે બીજા રોગોથી પીડાતા હતા, તેઓને ઈસુએ સાજા કર્યાં. (માત્થી ૧૨:૨૨; લુક ૮:૪૩-૪૮; યોહાન ૯:૧-૬) ઈસુએ તેમના શિષ્યોને પણ હિંમત આપી. (યોહાનના ૧૩-૧૭ અધ્યાયો) ઈસુ ખરેખર ‘સાચા ઘેટાંપાળક’ હતા.—યોહાન ૧૦:૧૧-૧૪.

ઈશ્વરના કામમાં મહેનતુ હતા. એક વખત ઈસુએ શિષ્યોના પગ ધોયા હતા. એ જોઈને શિષ્યોને નમ્રતાનો સુંદર પાઠ શીખવા મળ્યો. (યોહાન ૧૩:૪-૧૫) ઈસુ બધેય ચાલી ચાલીને પ્રચાર કરવા જતા હતા. (લુક ૮:૧) ઈસુ આરામ કરવાની કોશિશ કરતા હતા ત્યારે પણ લોકોએ તેમને છોડ્યા નહિ. લોકો ઈસુ પાસેથી શીખવા માંગતા હતા. થાકેલા હોવા છતાં, ઈસુએ રાજી-ખુશીથી તેઓને શીખવ્યું. (માર્ક ૬:૩૦-૩૪) ઈસુએ આપણા માટે કેવો સારો દાખલો બેસાડ્યો છે.—૧ યોહાન ૨:૬.

ઈસુએ આપણા સુખ માટે પોતાનું બલિદાન આપી દીધું. હા, ઈસુ આપણા માટે મરી ગયા. પછી ઈશ્વરે ઈસુને સજીવન કર્યા. એ વિષે બાઇબલ કહે છે: “આપણે જાણીએ છીએ કે ખ્રિસ્તને મૂએલાંમાંથી ઉઠાડવામાં આવ્યા પછી તે ફરીથી મરનાર નથી; હવે પછી મરણનો ફરીથી તેના પર અધિકાર નથી.” (રૂમી ૬:૯) ઈસુ ફરી કદી મરણ પામશે નહિ. હા, તે હંમેશાં સ્વર્ગમાં જીવશે! ઈશ્વરે ઈસુને રાજા બનાવ્યા છે. તે અત્યારે રાજ ચલાવે છે. તેથી આપણે ઈસુ પર ભરોસો મૂકવો જોઈએ. પણ ઈસુ આ ધરતી પર કેવા આશીર્વાદો લાવશે?

ઈસુ શું કરશે?

બાઇબલ બતાવે છે કે ઈસુ પૃથ્વી પર શું કરશે. ઈસુના રાજ વિષે એ કહે છે: “તેના દિવસોમાં ન્યાયીઓ ખીલશે; અને ચંદ્ર જતો રહેશે, ત્યાં સુધી શાંતિ પુષ્કળ થશે. વળી તે સમુદ્રથી સમુદ્ર સુધી, અને નદીથી તે પૃથ્વીની સીમા સુધી રાજ કરશે.” (ગીતશાસ્ત્ર ૭૨:૭, ૮) રાજા ઈસુ સુખ-શાંતિ લાવશે. તે લડાઈનાં સર્વ હથિયારોનો નાશ કરશે. કોઈ લડાઈનું નામ પણ નહિ લે. જે લોકોનો સ્વભાવ સિંહ જેવો છે તેઓ એકદમ શાંત અને નમ્ર થશે. (યશાયાહ ૧૧:૧-૯) આપણે બધાય સુખ-શાંતિમાં રહીશું!

દુઃખી કે ગરીબ લોકો વિષે બાઇબલ કહે છે: “દરિદ્રી પોકાર કરે ત્યારે તે તેને છોડાવશે; અને દુઃખી, જેનો કોઈ મદદગાર નથી, તેનો તે બચાવ કરશે. તે અબળ તથા દરિદ્રી ઉપર દયા કરશે, તે દરિદ્રીઓના આત્માઓનું તારણ કરશે. જુલમ તથા બળાત્કારમાંથી તે તેઓના આત્માઓને છોડાવશે; તેની દૃષ્ટિમાં તેઓનું રક્ત મૂલ્યવાન થશે.” (ગીતશાસ્ત્ર ૭૨:૧૨-૧૪) અરે, કોઈ દુઃખમાં નહિ રિબાય. સર્વ લોકો એ સમયે બસ સુખ, સુખ ને સુખમાં જ રહેશે.—યશાયાહ ૩૫:૧૦.

ઘણી વાર નેતાઓના સ્વાર્થને કારણે કરોડો લોકો ભૂખ્યા પેટે સૂઈ જાય છે. આમાં મોટે ભાગે બાળકોનો મરો થાય છે. પણ ઈસુના રાજમાં, “પર્વતોનાં શિખરો પર પણ પુષ્કળ ધાન્ય પાકશે; તેનાં ફળ લબાનોનની પેઠે ઝૂલશે; અને નગરના રહેવાસીઓ ઘાસની પેઠે વધશે.” (ગીતશાસ્ત્ર ૭૨:૧૬) એ સમયે પૃથ્વી પર અઢળક ખોરાક હશે. આપણને મન થાય એ ખાઈ શકીશું. એ પણ પેટ ભરીને!

શું તમે ચાહો છો કે એવા આશીર્વાદો આવે? તો તમે ઈસુ વિષે વધુ શીખો. યહોવાહના સાક્ષીઓ તમને મદદ કરશે. એ શીખવાથી તમને અનહદ ખુશી મળશે. યહોવાહ કહે છે: ‘મારા પવિત્ર પર્વત સિયોન પર મેં મારા રાજાને બેસાડ્યો છે.’—ગીતશાસ્ત્ર ૨:૬.

[પાન ૫ પર બોક્સ]

તરત જ અધિકાર ગુમાવ્યો

જો નેતા સારા હોય, દેશનું ધ્યાન રાખતા હોય, તો જનતા તેમને ટેકો આપશે. પણ જો જનતાને નેતા ન ગમે તો ખલાસ! બીજું કોઈ ખુરશી પકડી લે છે. શા માટે અમુક નેતાઓને ખુરશી છોડવી પડે છે? ચાલો અમુક દાખલા જોઈએ.

દેશમાં ખાવા-પીવા ન મળે. લગભગ અઢારમી સદી. ફ્રાન્સમાં રાજા લૂઈ સોળમો રાજ કરતો હતો. જનતા પાસેથી બહુ જ કરવેરો માંગતો હતો. જનતા તો રાજાનો કરવેરો ભરી ભરીને ભૂખે મરતી. છેવટે જનતાની કમાન છટકી, ફ્રાન્સમાં ઊથલપાથલ મચાવી દીધી. તેઓએ બીજી સરકાર શરૂ કરી. વર્ષ ૧૭૯૩માં જનતાએ રાજા લૂઈ સોળમાને ફાંસીએ ચઢાવી દીધો.

યુદ્ધ. પહેલા વિશ્વયુદ્ધે ઘણા રાજનેતાઓને ધૂળ ચાટતા કરી દીધા. દાખલા તરીકે, લડાઈને કારણે ૧૯૧૭માં રશિયાના સેંટ પીટર્સબર્ગના લોકો ભૂખે મરવા લાગ્યા. રશિયાની જનતાએ ફેબ્રુઆરીમાં બળવો કરીને રાજા ઝાર નિકોલસ બીજાને ગાદી પરથી ઊથલાવી પાડ્યો. ત્યાર પછી સામ્યવાદી રાજ શરૂ થયું. નવેમ્બર ૧૯૧૮માં જર્મનીને લડાઈ બંધ કરવી હતી. પણ બીજા દેશો તો લોહીના તરસ્યા જ હતા. લડાઈ બંધ કરતા ન હતા. છેવટે તેઓએ જર્મનીના રાજા, વિલહેલ્મ બીજાને ગાદીએથી તગેડી મૂક્યો. પછી વિલહેલ્મ નેધરલૅન્ડ્‌ઝમાં નાસી ગયો.

નવી સરકાર. ઘણાં વર્ષોથી યુરોપમાં જુલમી સરકારોનું રાજ ચાલતું હતું. એમાંથી ૧૯૮૯માં છુટકારો મળ્યો. યુરોપ ફરતે લોખંડી સામ્યવાદનો અંત આવ્યો અને લોકશાહી સરકાર શરૂ થઈ.

[પાન ૭ પર ચિત્ર]

ઈસુએ ભૂખ્યાને જમાડ્યા, બીમારને સાજા કર્યા અને આપણા માટે સારો દાખલો બેસાડ્યો

[પાન ૪ પર ચિત્રની ક્રેડીટ લાઈન]

લોઈડ જ્યોર્જ: Photo by Kurt Hutton/Picture Post/Getty Images