સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

જુલમ છતાંય ખુશ રહેવું

જુલમ છતાંય ખુશ રહેવું

જુલમ છતાંય ખુશ રહેવું

“મારા અનુયાયી હોવાને લીધે માણસો તમારી નિંદા કરે, તમારા ઉપર જુલમ ગુજારે અને તમારી વિરૂદ્ધ જાતજાતની જુઠ્ઠી વાતો બોલે ત્યારે તમને ધન્ય છે.”—માથ્થી ૫:૧૧, પ્રેમસંદેશ.

૧. ઈસુએ તેમના શિષ્યોને કઈ રીતે દિલાસો આપ્યો?

 ઈસુએ તેમના શિષ્યોને પ્રચાર કરવા માટે મોકલ્યા. તેમણે સાથે સાથે ચેતવણી પણ આપી: “મારા નામને સારૂ સહુ તમારો દ્વેષ કરશે, તોપણ જે કોઈ અંત સુધી ટકશે તે તારણ પામશે.” (માત્થી ૧૦:૫-૧૮, ૨૨) ઈસુએ પહાડ પરના પ્રવચનમાં તેમના શિષ્યોને શીખવ્યું હતું કે ભલે લોકો ગમે એટલો તિરસ્કાર કરે, તોપણ કોઈ તેઓનો આનંદ છીનવી શકે એમ નથી. ઈસુએ કહ્યું હતું કે કોઈ આપણા પર જુલમ ગુજારે એ તો ધન્ય કહેવાય. પણ કઈ રીતે?

સચ્ચાઈને લીધે જુલમ સહેવો

૨. પીતર અને ઈસુના કહેવા પ્રમાણે, કેવા દુઃખોમાં આપણને આનંદ થાય છે?

“ન્યાયીપણાને લીધે જેઓની સતાવણી કરાઈ છે તેઓને ધન્ય છે; કેમ કે આકાશનું રાજ્ય તેઓનું છે.” (માત્થી ૫:૧૦) કોઈ આપણી સતાવણી કરે, એ કંઈ સારું તો ન કહેવાય. પીતરે લખ્યું: “જ્યારે પાપ કરવાને લીધે તમે માર ખાઓ છો ત્યારે જો સહન કરો છો, તો તેમાં પ્રશંસાપાત્ર શું છે? પણ સારૂં કરવાને લીધે જ્યારે તમે દુઃખ ભોગવો છો, ત્યારે જો તે સહન કરો છો, તો એ દેવની નજરમાં પ્રશંસાપાત્ર છે.” પછી તે જણાવે છે: “પણ ખૂની, દુષ્કર્મી, ચોર, અથવા બીજા માણસોના કામમાં ઘાલમેલ કરનાર તરીકે તમારામાંના કોઈને શિક્ષા ન થાય; પણ ખ્રિસ્તી હોવાને લીધે જો કોઈને સહેવું પડે છે, તો તેથી શરમાય નહિ; પણ તે નામમાં તે દેવની સ્તુતિ કરે.” (૧ પીતર ૨:૨૦; ૪:૧૫, ૧૬) ઈસુ શીખવતા હતા કે આપણે સચ્ચાઈને લીધે દુઃખ ભોગવીએ છીએ ત્યારે, આપણને ધન્ય છે.

૩. (ક) સચ્ચાઈને કારણે દુઃખ સહેવાનો શું અર્થ થાય છે? (ખ) ઈસુના શિષ્યોએ કઈ રીતે દુઃખ સહન કર્યું?

ન્યાયીપણા અથવા સચ્ચાઈને માર્ગે ચાલવું એટલે કે ઈશ્વરનું કહ્યું માનવું. સચ્ચાઈને કારણે દુઃખ સહેવું, એટલે ભલે ગમે એટલું દબાણ આવે પણ ખોટે રસ્તે ન જવું. ઈશ્વરને વળગી રહેવું. ઈસુના શિષ્યોએ ઈસુ વિષે પ્રચાર બંધ કરવાની ના પાડી ત્યારે, યહુદી ધર્મગુરુઓએ તેઓ પર જુલમ ગુજાર્યો. (પ્રેરિતોનાં કૃત્યો ૪:૧૮-૨૦; ૫:૨૭-૨૯, ૪૦) તોપણ હિંમત હારવાને બદલે, “ઈસુના નામને લીધે અપમાન સહન કરવાને પોતે યોગ્ય ગણાયા તેથી તેઓ આનંદ કરતા કરતા ન્યાયસભા છોડીને ચાલ્યા ગયા. ત્યાર પછી પણ તેઓએ દરરોજ મંદિરમાં તથા ઘરેઘરે ‘ઈસુ એ જ મસીહ છે’ એ શીખવવાનું અને તે વિશે ઉપદેશ આપવાનું ચાલુ રાખ્યું.” (પ્રેષિતોનાં કાર્યો ૫:૪૧, ૪૨, IBSI) તેઓ દુઃખ સહન કરીને પણ આનંદમાં રહ્યા. રાજીખુશીથી યહોવાહની વાતો પ્રગટ કરતા રહ્યા. પછી રોમનોએ પણ ખ્રિસ્તીઓ પર ભારે જુલમ કર્યો હતો. તોપણ તેઓએ રોમના રાજાની પૂજા કરી નહિ.

૪. યહોવાહના સેવકોને શા માટે સતાવવામાં આવે છે?

આજે પણ યહોવાહના સેવકોને દુઃખી કરવામાં આવે છે, કેમ કે તેઓ પરમેશ્વરના ‘રાજ્યની સુવાર્તા’ ફેલાવે છે. (માત્થી ૨૪:૧૪) જ્યારે કોઈ સરકાર તેઓની સભાઓ બંધ કરાવે છે, ત્યારે યહોવાહના સેવકો હિંમત નથી હારતા. પણ તેઓ મળવાનું ચાલુ રાખે છે. (હેબ્રી ૧૦:૨૪, ૨૫) તેઓ સારવારમાં લોહી નથી લેતા, એટલે તેઓને હેરાન કરવામાં આવે છે. તેઓ કોઈ સરકારને મત નથી આપતા, એટલે પણ તેઓને સતાવવામાં આવે છે. (યોહાન ૧૭:૧૪; પ્રેરિતોનાં કૃત્યો ૧૫:૨૮, ૨૯) ભલે ગમે એટલો જુલમ માથે આવી પડે, પણ યહોવાહના સેવકો સચ્ચાઈને રસ્તે જ ચાલે છે. એમાં તેઓને સાચી ખુશી મળે છે.—૧ પીતર ૩:૧૪.

ઈસુને પગલે ચાલવાથી નિંદા પામેલા

૫. આજે શા માટે યહોવાહના સેવકો પર જુલમ ગુજારવામાં આવે છે?

ઈસુએ શીખવ્યું કે, “મારા અનુયાયી હોવાને લીધે માણસો તમારી નિંદા કરે, તમારા ઉપર જુલમ ગુજારે અને તમારી વિરૂદ્ધ જાતજાતની જુઠ્ઠી વાતો બોલે ત્યારે તમને ધન્ય છે.” (માથ્થી ૫:૧૧, પ્રેમસંદેશ) યહોવાહના ભક્તો આ પાપી જગતના રંગથી રંગાયેલા ન હોવાથી, તેઓ પર જુલમ ગુજારવામાં આવે છે. ઈસુએ તેમના શિષ્યોને કહ્યું: “જો તમે જગતના હોત તો જગત પોતાનાંના ઉપર પ્રેમ રાખત; પરંતુ તમે જગતના નથી, પણ મેં તમને જગતમાંથી પસંદ કર્યા છે, તે માટે જગત તમારા પર દ્વેષ રાખે છે.” (યોહાન ૧૫:૧૯) પીતરે પણ કહ્યું: “હવે તમારા અગાઉના મિત્રોને ખોટાં કામ કરવામાં તમે સાથ નથી આપતા તેથી તેઓ નવાઈ પામે છે. તેઓ તમને ધિક્કારે છે તથા તમારી મશ્કરી કરે છે.”—૧ પિતર ૪:૪, IBSI.

૬. (ક) શા માટે યહોવાહના ભક્તોને સતાવવામાં આવે છે? (ખ) શું આવા જુલમથી આપણે હિંમત હારી જઈએ છીએ?

ઈસુના જમાનામાં ખ્રિસ્તીઓએ પ્રચાર બંધ ન કર્યો, એટલે તેઓને સતાવવામાં આવ્યા. ઈસુએ તેમના શિષ્યોને કહ્યું: “પૃથ્વીના છેડા સુધી તમે મારા સાક્ષી થશો.” (પ્રેરિતોનાં કૃત્યો ૧:૮) તેથી, સ્વર્ગમાં જનારા અભિષિક્તો અને આ ધરતી પર રહેનાર ‘મોટો સમુદાય’ ઉત્સાહથી પ્રચાર કરે છે. (પ્રકટીકરણ ૭:૯) એટલા માટે જ શેતાન ‘સ્ત્રી પર ગુસ્સે થયો છે, અને તેનાં બાકીનાં સંતાન, [સ્વર્ગમાં યહોવાહની સંસ્થા] એટલે જેઓ દેવની આજ્ઞા પાળે છે, અને ઈસુની સાક્ષીને વળગી રહે છે. તેઓની સાથે લડવાને તે ચાલી નીકળ્યો છે.’ (પ્રકટીકરણ ૧૨:૯, ૧૭) આપણે લોકોને યહોવાહના રાજ્ય વિષે શીખવીએ છીએ. એ રાજ્યના રાજા ઈસુ ખ્રિસ્ત છે. યહોવાહનું રાજ્ય આ દુનિયાની દરેક સરકારનો ભૂક્કો બોલાવી દેશે. (દાનીયેલ ૨:૪૪; ૨ પીતર ૩:૧૩) એ કારણે લોકો આપણા પર જુલમ કરે છે. પણ ઈસુને નામે દુઃખ સહન કરવા આપણે તો ખુશી ખુશી તૈયાર છીએ!—૧ પીતર ૪:૧૪.

૭, ૮. અગાઉના જમાનાના ખ્રિસ્તીઓ વિષે કેવી કેવી ખોટી વાતો ફેલાતી?

ઈસુએ એમ પણ કહ્યું કે લોકો મારા નામને લીધે “તમારી વિરૂદ્ધ જાતજાતની જુઠી વાતો બોલે” ત્યારે પણ તમે આનંદમાં રહો. (માથ્થી ૫:૧૧, પ્રેમસંદેશ) ઈસુના જમાનામાં પણ ખ્રિસ્તીઓ વિષે જૂઠી જૂઠી વાતો ફેલાતી. દાખલા તરીકે, ઈસવીસન પૂર્વે ૫૯-૬૧માં પ્રેષિત પાઊલને રોમમાં કેદી તરીકે લઈ જવામાં આવ્યા ત્યારે, યહુદીઓના ધર્મગુરુઓએ કહ્યું: “આ પંથની વિરૂદ્ધ લોકો સર્વ સ્થળે બોલે છે એવું અમે જાણીએ છીએ.” (પ્રેરિતોનાં કૃત્યો ૨૮:૨૨) પાઊલ અને સીલાસ ઉપર જૂઠો આરોપ મૂકવામાં આવ્યો કે તેઓએ તો “જગતને ઊથલપાથલ” કરી નાંખ્યું છે. તેઓ “કૈસરની આજ્ઞાની વિરૂદ્ધ” થયા છે!—પ્રેરિતોનાં કૃત્યો ૧૭:૬, ૭.

રોમન સામ્રાજ્યના ખ્રિસ્તીઓ વિષે ઇતિહાસકાર લાટોરેટે લખ્યું: ‘ખ્રિસ્તીઓ વિષે ઘણી ખોટી ખોટી વાતો ફેલાવવામાં આવતી. તેઓ ખોટા દેવ-દેવીઓની પૂજા ન કરતા, તો તેઓને નાસ્તિક ગણવામાં આવતા. તેઓ ખોટા ધર્મમાં કે એના તહેવારોમાં ભાગ ન લેતા, તો એમ કહેવામાં આવતું કે તેઓને માણસો દીઠા નથી ગમતા. એવું પણ કહેવામાં આવતું કે ખ્રિસ્તી સ્ત્રી-પુરુષો તો રાતે ભેગા મળીને વ્યભિચાર કરે છે. ખ્રિસ્તીઓ મેમોરિયલ ઊજવતા ત્યારે, લોકો કહેતા કે તેઓ તો બાળકોનું બલિદાન કરીને એનું લોહી પીએ છે ને માંસ ખાય છે.’ એ ખ્રિસ્તીઓ રોમના રાજાની પૂજા ન કરતા, તો લોકો કહેતા કે તેઓ દેશના દુશ્મનો છે.

૯. અગાઉના જમાનાના ખિસ્તીઓ વિષે ખોટી અફવા ફેલાવવામાં આવી તોપણ તેઓએ શું કર્યું? આજે આપણે કેવા સંજાગોમાં છીએ?

એ જમાનાના ખ્રિસ્તીઓ વિષે ભલે ગમે એવી ખોટી અફવા ફેલાતી, પણ તેઓએ તો યહોવાહ વિષે શીખવવાનું ચાલુ જ રાખ્યું. પાઊલે લગભગ ઈસવીસન ૬૦માં લખ્યું: ‘સુવાર્તા આખા જગતમાં પણ ફેલાઈ છે અને ફળ આપે છે તથા વધે છે.’ તેમ જ “એ સુવાર્તા આકાશ તળેનાં સર્વ પ્રાણીઓને પ્રગટ થઈ છે.” (કોલોસી ૧:૫, ૬, ૨૩) અગાઉના ખ્રિસ્તીઓની જેમ, આજે પણ યહોવાહના સાક્ષીઓ વિષે ખોટી વાતો ફેલાવવામાં આવે છે. તોપણ યહોવાહના સેવકો રાજી-ખુશીથી રાજ્યનો પ્રચાર કરે છે.

અગાઉના પ્રબોધકોની જેમ સતાવણીમાં હરખાઈએ

૧૦, ૧૧. (ક) છેવટે ઈસુએ શું શીખવ્યું? શા માટે? (ખ) પ્રબોધકોને શા માટે હેરાન કરવામાં આવ્યા હતા? ઉદાહરણ આપો.

૧૦ છેવટે ઈસુએ શીખવ્યું કે, ‘તમે ખૂબ હરખાઓ, તમારી અગાઉના પ્રબોધકોની પણ એવી જ સતાવણી થઈ હતી.’ (માથ્થી ૫:૧૨, IBSI) યહોવાહ જે કોઈ પ્રબોધકોને મોકલતા, તેઓને ઈસ્રાએલીઓ હેરાન કરતા, દુઃખી કરતા. (યિર્મેયાહ ૭:૨૫, ૨૬) પાઊલ પણ એ જાણતા હતા. તેમણે લખ્યું: ‘એથી વિશેષ હું શું કહું? કેમ કે પ્રબોધકો વિષે કહેવાનો મને પૂરતો વખત નથી: તેઓ પોતાના વિશ્વાસ દ્વારા મશ્કરીઓથી, કોરડાઓથી, બેડીઓથી તથા કેદખાનાંમાં નંખાઈને પરખાયા.’—હેબ્રી ૧૧:૩૨-૩૮.

૧૧ રાજા આહાબ અને રાણી ઈઝેબેલ બહુ જ દુષ્ટ હતા. તેઓએ તલવારથી યહોવાહના ઘણા પ્રબોધકોને મારી નાંખ્યા. (૧ રાજાઓ ૧૮:૪, ૧૩; ૧૯:૧૦) પ્રબોધક યિર્મેયાહને પણ બેડીમાં બાંધી દીધા. પછી તેમને એક કાદવવાળા ટાંકામાં પૂરી દેવામાં આવ્યા હતા. (યિર્મેયાહ ૨૦:૧, ૨; ૩૮:૬) પ્રબોધક દાનીયેલને સિંહોની ગુફામાં નાંખી દેવામાં આવ્યા હતા. (દાનીયેલ ૬:૧૬, ૧૭) આ બધાય પ્રબોધકો યહોવાહને વળગી રહ્યા, એટલે તેઓને હેરાન કરવામાં આવ્યા હતા. ઘણા પ્રબોધકોને તો ખુદ યહુદી ધર્મગુરુઓએ જ હેરાન કર્યા હતા. ઈસુએ શાસ્ત્રીઓ અને ફરોશીઓને કહ્યું: “પ્રબોધકોને મારી નાખનારાઓના દીકરા તમે જ છો.”—માત્થી ૨૩:૩૧.

૧૨. આપણા દિલમાં શા માટે ગર્વ જાગે છે?

૧૨ આજે આપણે યહોવાહની ભક્તિ કરીએ છીએ, પ્રચાર કરીએ છીએ. તેથી આપણને પણ હેરાન કરવામાં આવે છે. આપણા દુશ્મનો કહે છે કે આપણે તો બળજબરીથી લોકોનો ધર્મ બદલાવીએ છીએ. પ્રબોધકોને પણ એવી જ રીતે હેરાન કરવામાં આવ્યા હતા. (યિર્મેયાહ ૧૧:૨૧; ૨૦:૮, ૧૧) પ્રબોધકો પર જે વીત્યું, એ જ આપણા પર વીતે છે. એ જાણીને શું આપણા દિલમાં એક જાતનો ગર્વ નથી જાગતો? યાકૂબે લખ્યું: “મારા ભાઈઓ, દુઃખ સહન કરવામાં તથા ધીરજ રાખવામાં જે પ્રબોધકો પ્રભુના નામથી બોલ્યા, તેઓનો દાખલો લો. જુઓ, જેઓએ સહન કર્યું હતું, તેઓને ધન્ય છે.”—યાકૂબ ૫:૧૦, ૧૧.

શા માટે હરખાવું જોઈએ

૧૩. (ક) કોઈ દુઃખી કરે તો શા માટે આપણે હિંમત નથી હારતા? (ખ) ભલે ગમે એટલા દુઃખો આવે, શા માટે આપણે યહોવાહને વળગી રહીએ છીએ?

૧૩ આપણને સતાવવામાં આવે ત્યારે, પ્રબોધકોની જેમ હિંમત ન હારવી જોઈએ. શિષ્યોને, અરે ખુદ ઈસુને પણ હેરાન કરવામાં આવ્યા હતા. આપણે તો ઈસુને પગલે ચાલવું જોઈએ. (૧ પીતર ૨:૨૧) પીતરે લખેલા શબ્દો વાંચીને આપણને દિલાસો મળે છે. તેમણે લખ્યું: “વહાલાઓ, તમારી કસોટી કરવાને સારૂ તમારા પર જે અગ્‍નિરૂપી દુઃખ પડે છે, તેમાં, જાણે તમને કંઈ નવું થયું હોય, એમ સમજીને આશ્ચર્ય ન પામો; જો ખ્રિસ્તના નામને લીધે તમારી નિંદા થતી હોય, તો તમને ધન્ય છે; કેમ કે મહિમાનો તથા દેવનો આત્મા તમારા પર રહે છે.” (૧ પીતર ૪:૧૨, ૧૪) અરે, લોકો આપણા પર ભલે ગમે એટલા દુઃખો લાવે, આપણે એકના બે નથી થવાના. ખુદ યહોવાહ આપણને હિંમત આપે છે, શક્તિ આપે છે. યહોવાહનો આશીર્વાદ આપણા પર છે, એના સિવાય આપણને બીજું શું જોઈએ? આ જ છે જીવનનો સાચો આનંદ!—ગીતશાસ્ત્ર ૫:૧૨; ફિલિપી ૧:૨૭-૨૯.

૧૪. ભલે આપણા પર દુઃખ આવે પણ શા માટે આપણે હરખાવું જોઈએ?

૧૪ સચ્ચાઈને કારણે આપણને દુઃખી કરવામાં આવે તો શું? એ બતાવે છે કે આપણે ખરેખર દિલથી યહોવાહની ભક્તિ કરીએ છીએ. પાઊલે લખ્યું: “જેઓ ખ્રિસ્ત ઈસુમાં ભક્તિભાવથી ચાલવા ઇચ્છે છે, તેઓ સઘળા પર સતાવણી થશે જ.” (૨ તીમોથી ૩:૧૨) શેતાન એવું કહે છે કે આપણે તો સ્વાર્થના સગા છીએ. સ્વાર્થી છીએ એટલે યહોવાહની ભક્તિ કરીએ છીએ. તે ભલે કહે. પણ દુઃખમાં આપણે યહોવાહને છોડતા નથી એ જાણીને કેટલો આનંદ થાય છે! (અયૂબ ૧:૯-૧૧; ૨:૩, ૪) આપણે યહોવાહનું નામ રોશન કરી શકીએ છીએ, એ જાણીને પણ આપણને કેટલી ખુશી થાય છે.—નીતિવચનો ૨૭:૧૧.

આશીર્વાદો પર નજર રાખીને હરખાઓ

૧૫, ૧૬. (ક) ઈસુએ ખૂબ આનંદ કરવા બીજું કયું કારણ જણાવ્યું? (ખ) અભિષિક્ત ભક્તો અને જેઓ પૃથ્વી પર રહેવાના છે તેઓને કેવા આશીર્વાદો મળશે?

૧૫ જુલમ સહીને પણ આનંદ કરવાનું, એક વધારે કારણ આપતા ઈસુએ કહ્યું: “તમે આનંદ કરો અને ખૂબ હરખાઓ, કારણ કે સ્વર્ગમાં તમને મોટો બદલો મળશે.” (માથ્થી ૫:૧૨, IBSI) પાઊલે લખ્યું: “પાપનો મૂસારો મરણ છે; પણ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તને આશરે દેવનું કૃપાદાન અનંતજીવન છે.” (રૂમી ૬:૨૩) હા, યહોવાહ આપણને કાયમ જીવવાનો આશીર્વાદ આપશે. એ આશીર્વાદ માટે આપણે લાયક નથી, એ તો ઈશ્વરની કૃપા છે. ઈસુએ કહ્યું કે સ્વર્ગમાં બદલો મોટો છે, કેમ કે યહોવાહ સ્વર્ગમાંથી આપણને આશીર્વાદો આપશે.

૧૬ અભિષિક્ત ભક્તોને ‘જીવનનો મુગટ’ મળશે. એટલે કે, તેઓ ઈસુ સાથે સ્વર્ગમાં કાયમ રહી શકશે. (યાકૂબ ૧:૧૨, ૧૭) ‘બીજા ઘેટાં’ એટલે કે બીજા સર્વ ભક્તોને સુંદર પૃથ્વી પર સદા જીવવાના આશીર્વાદ મળશે. (યોહાન ૧૦:૧૬; પ્રકટીકરણ ૨૧:૩-૫) આ બધા આશીર્વાદો માટે આપણે કોઈ લાયક તો નથી. પણ એ આશીર્વાદ તો ઈશ્વરની “ઘણી કૃપાને લીધે” મળશે. પાઊલે લખ્યું કે યહોવાહના એ “દાનને માટે તેની સ્તુતિ થાઓ.”—૨ કોરીંથી ૯:૧૪, ૧૫.

૧૭. આપણી સતાવણી કરવામાં આવે ત્યારે શા માટે આપણે ‘ખૂબ હરખાવું’ જોઈએ?

૧૭ અગાઉના જમાનામાં રાજા નીરો અમુક ખ્રિસ્તીઓની સખત સતાવણી કરવાનો હતો. એ ખ્રિસ્તીઓને પાઊલે લખ્યું: ‘આપણે વિપત્તિમાં પણ આનંદ કરીએ છીએ; કેમ કે આપણે જાણીએ છીએ કે વિપત્તિ ધીરજને, અને ધીરજ અનુભવને, અને અનુભવ આશાને ઉત્પન્‍ન કરે છે; અને આશા શરમાવતી નથી. આશામાં આનંદ કરો; સંકટમાં ધીરજ રાખો.’ (રૂમી ૫:૩-૫; ૧૨:૧૨) આપણી આશા પણ ભલે ગમે તે હોય. પૃથ્વી પર રહેવાની હોય કે સ્વર્ગમાં જવાની હોય. આપણી સતાવણી થાય ત્યારે, આપણે યહોવાહને વળગી રહીએ. એ જ સૌથી મોટો આશીર્વાદ છે. ઈસુના રાજ્ય હેઠળ, આપણે સદા યહોવાહની ભક્તિ કરી શકીશું. એ જાણીને આપણું હૈયું કેટલું ‘હરખાઈ’ ઊઠે છે!

૧૮. છેલ્લા દિવસોમાં પ્રજાઓ શું કરશે? યહોવાહ કયાં પગલાં લેશે?

૧૮ આજે ઘણા દેશોમાં યહોવાહના સાક્ષીઓને સખત હેરાન કરવામાં આવે છે. ઈસુએ આ છેલ્લા દિવસો વિષે અગાઉથી કહ્યું હતું કે, “તેઓ તમને વિપત્તિમાં નાખશે, ને તમને મારી નાખશે, ને મારા નામને લીધે સર્વ પ્રજાઓ તમારો દ્વેષ કરશે.” (માત્થી ૨૪:૯) જેમ જેમ આપણે આ જગતના અંતની છેલ્લી ઘડીએ પહોંચીએ, એમ એમ શેતાન સર્વ પ્રજાઓને, આપણી નફરત કરવા ઉશ્કેરશે. (હઝકિએલ ૩૮:૧૦-૧૨, ૧૪-૧૬) પછી તરત યહોવાહ પગલાં ભરશે. “આ રીતે હું બધી પ્રજાઓને બતાવીશ કે હું કેવો મહાન અને પવિત્ર છું. અને ત્યારે તેમને ખબર પડશે કે હું પ્રભુ [યહોવાહ] છું.” (હઝકીએલ ૩૮:૨૩) પછી બધા લોકો યહોવાહ વિષે જાણશે અને તેમનું નામ પવિત્ર થશે. એ સમયે યહોવાહ તેમના ભક્તોને સર્વ દુઃખોમાંથી છોડાવશે. એટલે જ “જે માણસ પરીક્ષણમાં પાર ઊતરે છે તેને ધન્ય છે.”—યાકૂબ ૧:૧૨.

૧૯. આપણે યહોવાહના દિવસની રાહ જોઈએ તેમ, અત્યારે શું કરવું જોઈએ?

૧૯ યહોવાહનો એ મહાન “દિવસ” હવે આંગણે આવીને ઊભો છે. આપણે ઈસુના “નામને લીધે અપમાન પામવા” રાજી છીએ. (૨ પીતર ૩:૧૦-૧૩; પ્રેરિતોનાં કૃત્યો ૫:૪૧) તો ચાલો અગાઉના ખ્રિસ્તીઓની જેમ, આપણે પણ ઈસુના રાજ્ય “વિષે શીખવવાનું તથા પ્રગટ કરવાનું” છોડીએ નહિ. પછી તો દુનિયામાં સત્યની જીત થશે અને આપણને યહોવાહ આશીર્વાદ આપશે.—પ્રેરિતોનાં કૃત્યો ૫:૪૨; યાકૂબ ૫:૧૧.

આપણે શું શીખ્યા?

• સચ્ચાઈને માટે દુઃખ સહન કરવાનો શું અર્થ થાય?

• અગાઉના જમાનામાં ખ્રિસ્તીઓને સતાવવામાં આવ્યા છતાં તેઓએ શું કર્યું?

• શા માટે યહોવાહના સાક્ષીઓને પ્રબોધકોની જેમ દુઃખી કરવામાં આવે છે?

• કોઈ આપણા પર સતાવણી લાવે ત્યારે શા માટે હરખાવું જોઈએ?

[અભ્યાસ પ્રશ્નો]

[પાન ૧૬, ૧૭ પર ચિત્ર]

‘માણસો તમારી નિંદા કરે, જુલમ ગુજારે ત્યારે તમને ધન્ય છે’

[પાન ૧૭ પર ચિત્ર]

લોકો જેલમાં હતા: Chicago Herald-American