સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

વાચકો તરફથી પ્રશ્નો

વાચકો તરફથી પ્રશ્નો

વાચકો તરફથી પ્રશ્નો

ઈસુ ખ્રિસ્તના હજાર વર્ષના શાસન દરમિયાન, શેતાનના દૂતો ક્યાં હશે?

આ પ્રશ્નનો બાઇબલ સીધેસીધો જવાબ આપતું નથી. પરંતુ, ઈસુ ખ્રિસ્તના હજાર વર્ષના શાસન દરમિયાન શેતાનના દૂતો ક્યાં હશે, એ વિષે આપણે બાઇબલમાંથી જરૂર જાણી શકીએ.

આ હજાર વર્ષના શાસનની શરૂઆત અને અંતમાં શું બનશે એના વિષે પ્રેષિત યોહાને કહ્યું: “પછી મેં એક દૂતને આકાશમાંથી ઊતરતો જોયો, તેની પાસે ઊંડાણની કૂંચી હતી, અને તેના હાથમાં એક મોટી સાંકળ હતી. તેણે પેલા અજગરને, એટલે ઘરડો સર્પ, જે દોષ મૂકનાર તથા શેતાન છે, તેને પકડ્યો, અને હજાર વર્ષ સુધી તેને બાંધી રાખ્યો. તેણે તેને ઊંડાણમાં નાખી દઈને તેને બંધ કર્યું, અને તે પર મુદ્રા કરી, જેથી હજાર વર્ષ પૂરાં થતાં સુધી તે ફરી લોકોને ભુલાવે નહિ; ત્યાર પછી થોડી વાર સુધી તેને છૂટો કરવો પડશે.” (પ્રકટીકરણ ૨૦:૧-૩) આ કલમો ફક્ત શેતાનનો ઉલ્લેખ કરે છે કે તેને ઊંડાણમાં નાખી દેવામાં આવ્યો. છેવટે થોડી વાર માટે તેને છૂટો કરવામાં આવ્યો. અહીંયા તેના દૂતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. પરંતુ એમ સમજવું વાજબી છે કે ઈસુ ખ્રિસ્ત, શેતાન સાથે તેના દૂતોને પણ બાંધીને ઊંડાણમાં નાખી દેશે.—પ્રકટીકરણ ૯:૧૧.

વર્ષ ૧૯૧૪માં રાજા બન્યા પછી, ઈસુ ખ્રિસ્તે જે પગલાં લીધાં એની અસર શેતાન અને તેના દૂતો, બધાને થઈ. પ્રકટીકરણ ૧૨:૭-૯ બતાવે છે: “આકાશમાં લડાઈ જાગી; મીખાએલ તથા તેના દૂતો અજગરની સાથે લડ્યા; અને અજગર તથા તેના દૂતો [ખરાબ દૂતો] પણ લડ્યા; તોપણ તેઓ તેમને જીત્યા નહિ, ને તેઓને આકાશમાં ફરી સ્થાન મળ્યું નહિ. તે મોટા અજગરને બહાર નાખી દેવામાં આવ્યો, એટલે તે જૂનો સર્પ જે દુષ્ટાત્મા તથા શેતાન કહેવાય છે, જે આખા જગતને ભમાવે છે, તેને પૃથ્વી પર નાખી દેવામાં આવ્યો; અને તેની સાથે તેના દૂતોને પણ નાખી દેવામાં આવ્યા.” ત્યારથી શેતાન અને તેના દૂતોને પૃથ્વી તરફ નાખવામાં આવ્યા. એ પછી તેઓ સ્વર્ગમાં જઈ શકતા નથી. તેથી, આપણે એમ કહી શકીએ કે ભવિષ્યમાં, ઈસુ ખ્રિસ્ત પૃથ્વી પરથી દુષ્ટતા મિટાવવા શેતાનના જે હાલ કરશે, એવા જ હાલ તેના દૂતોના પણ કરશે.

બાઇબલની સૌથી પહેલી ભવિષ્યવાણીનો પણ વિચાર કરો. એ કહે છે: “તારી [શેતાન] ને સ્ત્રીની [યહોવાહનું સ્વર્ગમાંનું સંગઠન] વચ્ચે, તથા તારાં [શેતાનના] સંતાનની ને તેનાં સંતાનની [ઈસુ ખ્રિસ્ત] વચ્ચે હું [પરમેશ્વર] વેર કરાવીશ; તે તારૂં માથું છૂંદશે, ને તું તેની એડી છૂંદશે.” (ઉત્પત્તિ ૩:૧૫) શેતાનનું માથું છૂંદવાનો અર્થ એમ થાય કે ઈસુના હજાર વર્ષના રાજ દરમિયાન શેતાનને ઊંડાણમાં નાખવામાં આવશે. વધુમાં ભવિષ્યવાણી બતાવે છે કે શેતાનનું માથું છૂંદનાર અને શેતાનના સંતાન વચ્ચે વેર છે. આ સંતાન કે સંગઠનમાં દુષ્ટ દૂતોનો પણ સમાવેશ થાય છે. તેથી ઈસુ ખ્રિસ્ત, શેતાન સાથે તેના દૂતોને પણ ઊંડાણમાં નાખી દેશે. એ દૂતોને એનો બહુ જ ડર લાગે છે, કેમ કે તેઓને ખબર છે કે ભવિષ્યમાં તેઓએ ત્યાં જ જવાનું છે.—લુક ૮:૩૧.

પ્રકટીકરણ ૨૦:૧-૩માં શેતાનના દૂતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. શું તેઓનો શેતાનના દૃશ્ય સંગઠન સાથે આર્માગેદ્દોનમાં નાશ થઈ ગયો હશે? બાઇબલ બતાવે છે કે એ શક્ય નથી. શેતાનના છેલ્લે શું હાલ થશે એ વિષે બાઇબલ જણાવે છે: “શેતાનને તે અગ્‍નિ તથા ગંધકની ખાઈમાં, જ્યાં શ્વાપદ તથા જૂઠો પ્રબોધક છે, ત્યાં નાખી દેવામાં આવ્યો; ત્યાં તેઓ રાતદહાડો સદાસર્વકાળ વેદના ભોગવશે.” (પ્રકટીકરણ ૨૦:૧૦) શ્વાપદ અને જૂઠો પ્રબોધક આજની રાજનીતિને બતાવે છે, જે શેતાનના દૃશ્ય સંગઠનનો જ ભાગ છે. (પ્રકટીકરણ ૧૩:૧, ૨, ૧૧-૧૪; ૧૬:૧૩, ૧૪) પરમેશ્વરનું રાજ્ય આ જગતના સર્વ રાજ્યોનો અંત લાવશે ત્યારે, આર્માગેદ્દોનમાં એઓનો નાશ થશે. (દાનીયેલ ૨:૪૪) બાઇબલ એને ‘શેતાન તથા તેના દૂતોને સારૂ તૈયાર કરેલો સાર્વકાલિક અગ્‍નિ’ પણ કહે છે. (માત્થી ૨૫:૪૧) જેમ આર્માગેદ્દોનમાં શ્વાપદ અને જૂઠા પ્રબોધકનો “અગ્‍નિ તથા ગંધકની ખાઈમાં” નાશ કરવામાં આવશે તેમ, શેતાન અને તેના દૂતોને પણ પછીથી એ જ “ગંધકની ખાઈમાં” નાખીને નાશ કરવામાં આવશે. ખરાબ દૂતો શેતાનના કોઈ પણ દૃશ્ય સંગઠન કરતાં, વધારે તાકાતવર છે. આથી, જ્યારે શ્વાપદ અને જૂઠા પ્રબોધકનો સાંકેતિક ખાઈમાં હંમેશ માટે નાશ કરવામાં આવશે ત્યારે એમાં શેતાનના દૂતોનો ઉલ્લેખ નથી. પ્રકટીકરણ ૨૦:૧૦માં તેઓનો ઉલ્લેખ થયો ન હોવાથી એ બતાવે છે કે તેઓનો આર્માગેદ્દોનમાં નાશ થયો નથી.

શેતાનના દૂતોને ઊંડાણમાં ફેંકી દેવામાં આવશે કે તેઓને થોડા સમય માટે પાછા છૂટા કરવામાં આવશે એવો સીધેસીધો કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. તેમ છતાં, શેતાન જેવા જ તેઓના હાલ થશે એ નક્કી છે. મનુષ્યોની છેલ્લી કસોટી માટે હજાર વર્ષના અંતે શેતાન સાથે થોડા સમય માટે છૂટા થયા પછી, તેના દૂતોને પણ અગ્‍નિની ખાઈમાં નાખી દેવામાં આવશે. આમ, તેઓનો હંમેશ માટે નાશ કરવામાં આવશે.—પ્રકટીકરણ ૨૦:૭-૯.

તેથી, પ્રકટીકરણ ૨૦:૧-૩માં ભલે ફક્ત શેતાનને બાંધીને ઊંડાણમાં નાખી દેવાનો ઉલ્લેખ થયો હોય. પરંતુ, આપણે બાબતો જોયા પછી એ સમજી શકીએ છીએ કે તેના દૂતોને પણ તેની સાથે નાખી દેવામાં આવશે. પરમેશ્વરનો હેતુ છે કે આખી પૃથ્વી સુંદર બની જાય અને એમાં ઈસુ ખ્રિસ્તના એક હજાર વર્ષના શાસન દરમિયાન મનુષ્યો સંપૂર્ણ બને. પરમેશ્વરના આ હેતુમાં શેતાન કે તેના દૂતો કંઈ પણ કરી શકવાના નથી.