સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

જીવન સાથીઓ માટે સરસ સલાહ

જીવન સાથીઓ માટે સરસ સલાહ

જીવન સાથીઓ માટે સરસ સલાહ

‘પત્નીઓ, જેમ પ્રભુને તેમ પોતાના પતિને આધીન રહો. પતિઓ, પોતાની પત્ની પર પ્રેમ રાખો.’—એફેસી ૫:૨૨, ૨૫.

૧. લગ્‍ન બંધન કેટલો સમય માટે છે?

 ઈસુએ કહ્યું કે ઈશ્વરની નજરમાં લગ્‍ન બંધન પવિત્ર છે. નર-નારી લગ્‍ન કરે છે ત્યારે, તેઓ “બન્‍ને એક દેહ” બને છે. (માત્થી ૧૯:૫, ૬) ભલે તેઓના વિચારો ને લાગણીઓ એકબીજાથી અલગ હોય, તેઓ હવે સંપીને એકસાથે રહે છે. આ લગ્‍ન બંધન જીવનભર માટે છે. પણ, આજકાલ તો લોકો ચપટીમાં જ છૂટાછેડા લઈ લે છે. જોકે, ઈસુએ કહ્યું કે જો કોઈ એક વ્યક્તિ વ્યભિચાર કરે, તો છૂટાછેડા લઈ શકાય. (માત્થી ૧૯:૯) એ કારણ સિવાય છૂટાછેડા લેવા જોઈએ નહિ.

૨. (ક) સુખી લગ્‍ન જીવન માટે આપણે શું કરવું જોઈએ? (ખ) શા માટે આપણે લગ્‍ન જીવનને સુખી રાખવું જોઈએ?

લગ્‍ન જીવન વિષેના એક સલાહકારે કહ્યું: ‘સુખી લગ્‍ન જીવન ક્યારે બને છે? જ્યારે પતિ-પત્ની સાથે મળીને કોઈ પણ તકલિફોનો ઉપાય શોધવાનો પ્રયત્ન કરે છે. તેઓ લગ્‍નને ટકાવવા રાખવાની કોઈ પણ સારી સલાહ સ્વીકારે છે.’ યહોવાહના સેવકોને સારી સલાહ ક્યાંથી મેળવે છે? યહોવાહ, બાઇબલ અને મંડળના બીજા ભાઈ-બહેનો પાસેથી સલાહ મેળવી એને દિલમાં ઉતારી શકે. જ્યારે જીવન સાથીઓ યહોવાહનો સાથ લે છે ત્યારે તેઓનું ઘર ખુશીઓથી ભરાય જાય છે. એટલું જ નહિ, તેઓ યહોવાહને પણ ખુશ કરે છે. કેમ કે લગ્‍ન તો ઈશ્વરે બાંધેલું બંધન છે.—ઉત્પત્તિ ૨:૧૮, ૨૧-૨૪; ૧ કોરીંથી ૧૦:૩૧; એફેસી ૩:૧૫; ૧ થેસ્સાલોનીકી ૫:૧૭.

ઈસુ અને તેમના મંડળને અનુસરો

૩. (ક) પાઊલે પતિ-પત્નીને કઈ સલાહ આપી? (ખ) ઈસુએ કેવો દાખલો બેસાડ્યો?

લગભગ ૨૦૦૦ વર્ષ પહેલા, ઈશ્વરભક્ત પાઊલે કહ્યું: ‘જેમ મંડળી ખ્રિસ્તને આધીન છે, તેમ પત્નીઓ સર્વ બાબતમાં પોતાના પતિને આધીન રહો. પતિઓ, જેમ ખ્રિસ્તે મંડળી પર પ્રેમ રાખ્યો, અને તેની ખાતર પોતાનું સ્વાર્પણ કર્યું. તેમ તમે પોતાની પત્ની પર પ્રેમ રાખો.’ (એફેસી ૫:૨૪, ૨૫) જેમ ઈસુ પ્રેમથી મંડળનું ધ્યાન રાખે છે તેમ પતિઓએ પણ પ્રેમથી પોતાની પત્નીનું ધ્યાન રાખવું જોઈએ. તેમ જ, જેમ મંડળ રાજી-ખુશીથી ઈસુના માર્ગદર્શન પ્રમાણે ચાલે, તેમ પત્નીઓ પોતાના પતિનું કહ્યું રાજી-ખુશીથી માને છે. ભલે પતિ-પત્નીઓ પર મુશ્કેલીઓ આવી પડે, તો પણ આ સરસ સલાહ પાળવાથી લગ્‍ન જીવનમાં કેટલા આશીર્વાદો મળે છે!

૪. કુટુંબમાં પતિઓની શું જવાબદારી છે?

પતિઓ, તમે કઈ રીતે તમારી પત્નીનું ને કુટુંબનું સારી રીતે ધ્યાન રાખી શકો છો? તેઓની રોજીરોટી પૂરી પાડો. એનાથી પણ વધુ મહત્ત્વનું એ છે કે તમે તેઓને યહોવાહની ભક્તિ કરવાનું શીખવો. તમે તમારા કુટુંબની જવાબદારી ઉપાડો છો તેમ એ કદી ન ભૂલો કે તમે ઈસુને જવાબદાર છો. (૧ કોરીંથી ૧૧:૩) તેથી, આ જવાબદારીને હલકી ન ગણો. તમારે આ જવાબદારી કઈ રીતે નિભાવી જોઈએ? પાઊલે કહ્યું: ‘પતિઓએ જેમ પોતાનાં શરીરો પર તેમ પોતાની પત્ની પર પ્રેમ રાખવો જોઈએ. કેમકે કોઈ માણસ પોતાના દેહનો દ્વેષ કદી કરતો નથી; પણ તે તેનું પાલનપોષણ કરે છે.’ (એફેસી ૫:૨૮, ૨૯) ભલે તમને કોઈ ભોગ દેવો પડે, પણ તમારે કુટુંબનું ધ્યાન સૌથી પહેલા રાખવું જોઈએ. તેથી, ઈસુની આ સલાહ પાળો: “જે તમે ચાહો છો કે બીજા માણસ તમને કરે, તે તે તમે પણ તેઓને કરો.”—માત્થી ૭:૧૨.

૫. પત્નીઓ મંડળના દાખલામાંથી શું શીખી શકે છે?

ઈસુ પૃથ્વી પર હતા ત્યારે શિષ્યો બધું છોડીને તેમને પગલે ચાલવા લાગ્યા. ત્યારે મંડળની શરૂઆત થઈ. લગભગ ૨,૦૦૦ વર્ષ દરમિયાન સાચા ભક્તોના મંડળો ઈસુના કહ્યા પ્રમાણે જ ચાલે છે. આવી જ રીતે, પત્નીઓએ રાજી-ખુશીથી પતિનું કહ્યું માનવું જોઈએ. પતિને તોડી પાડવાને બદલે, તમે તેમને પ્રેમથી સાથ આપો એમ યહોવાહ ચાહે છે. પતિ-પત્ની ઈસુ અને મંડળના દાખલા પ્રમાણે ચાલે છે ત્યારે લગ્‍ન જીવનમાં સુખની સુગંધ ફેલાય છે.

પત્નીનું ધ્યાન રાખો

૬. પીતરે પતિઓને કઈ સલાહ આપી અને એ શા માટે મહત્ત્વની છે?

પીતરે ખાસ કરીને પતિઓને કહ્યું: ‘પતિઓ, તમારી પત્નીની સંભાળ લો, અને નબળું પાત્ર ગણીને તેને માન આપો. કેમ કે ઈશ્વરની આશિષો પામવામાં તમારી પત્ની તમારી સહવારસ છે. જો તમે તમારી પત્ની પ્રત્યે યોગ્ય વર્તન નહિ રાખો તો તમારી પ્રાર્થનાઓ સાંભળવામાં આવશે નહિ.’ (૧ પિતર ૩:૭, IBSI) પીતરના શબ્દો કેટલા મહત્ત્વના છે. પતિ તેની પત્ની સાથે પ્રેમ અને માનથી ન વર્તે, તો યહોવાહ એવા પતિની પ્રાર્થનાઓ સાંભળશે નહિ!

૭. પતિએ તેની પત્ની સાથે કઈ રીતે વર્તવું જોઈએ?

પતિ કઈ રીતે તેની પત્નીને માન આપી શકે? તેમણે પત્ની સાથે પ્રેમથી વાત કરવી જોઈએ. તે પત્નીને પ્રેમથી સાચવવી જોઈએ. બાઇબલની સલાહ કેટલી સારી છે. પણ આજકાલ લોકો માને છે કે આવી સલાહ તો જૂના જમાનાની છે. એક ગ્રીક ફિલસૂફે કહ્યું: ‘રૂમી કાનૂન મુજબ સ્ત્રીઓ પાસે કોઈ હક્ક ન હતો. તેઓને તો ફક્ત બાળક સમાન જ ગણતા હતા. પતિ તેનો માલિક હતો અને તે પત્ની સાથે મન ફાવે એમ વર્તી શકતો.’

‘નબળા પાત્રનું’ ધ્યાન રાખો

૮, ૯. પતિ-પત્ની કઈ રીતે સરખા છે?

પીતરે કહ્યું કે પત્ની ‘નબળું પાત્ર’ છે ત્યારે તે એમ કહેતા ન હતા કે તેનામાં ઓછી બુદ્ધિ કે ઓછી શ્રદ્ધા છે. તે કહેતા હતા કે મંડળમાં સ્ત્રી પાસે ભાઈઓ જેટલી જવાબદારી હોતી નથી. વળી ઘરમાં તે પતિને આધીન છે. (૧ કોરીંથી ૧૪:૩૫; ૧ તીમોથી ૨:૧૨) પણ ભાઈઓની જેમ જ તેઓને શ્રદ્ધા, ધીરજ અને ઊંચા નીતિ-નિયમો રાખવા જોઈએ. પીતરે કહ્યું કે ‘ઈશ્વરની આશિષો પામવામાં તમારી પત્ની તમારી સહવારસ છે.’ હા, તારણ મેળવવીની બાબતમાં પતિ અને પત્ની ઈશ્વરની નજરે સરખાં જ છે. (ગલાતી ૩:૨૮) પહેલી સદીમાં મંડળના મોટા ભાગના વ્યક્તિઓ “ખ્રિસ્તની સંઘાતે વારસાના ભાગીદાર” હતા. (રૂમી ૮:૧૭) તેથી, પતિ-પત્ની બંનેને સ્વર્ગમાં ઈસુ સાથે રાજ કરવાનો આશીર્વાદ મળ્યો હતો.—પ્રકટીકરણ ૫:૧૦.

યહોવાહની નજરમાં આપણે બધાં સરખા છીએ. પછી ભલેને આપણે સ્વર્ગમાં જવાના હોઈએ કે પૃથ્વી પર રહેવાના હોઈએ. સર્વ ભાઈ-બહેનો ઈસુની કુરબાની પર શ્રદ્ધા મૂકે છે. તેઓ સર્વે “રાતદહાડે” યહોવાહ વિષે ખુશખબરી ફેલાવે છે. (પ્રકટીકરણ ૭:૯, ૧૦, ૧૪, ૧૫) સર્વે આશા રાખે છે કે નજીકમાં તેઓ ‘દેવનાં છોકરાં’ બનશે ને “ખરેખરૂં જીવન” મેળવશે. (રૂમી ૮:૨૧; ૧ તીમોથી ૬:૧૯) આપણે સર્વે ‘એક ટોળામાં’ છીએ. આપણે ‘એક ઘેટાંપાળકનું જ’ માર્ગદર્શન પાળીએ છીએ. (યોહાન ૧૦:૧૬) તેથી, તારી-મારી કરવાને બદલે પતિ-પત્નીને એકબીજાને ખૂબ માન આપવું જોઈએ.

૧૦. સ્ત્રી કયા અર્થમાં ‘નબળું પાત્ર’ છે?

૧૦ સ્ત્રી કયા અર્થમાં ‘નબળું પાત્ર’ છે? પીતર કદાચ કહેતા હતા એક સ્ત્રી નાજુક ફૂલ જેવી છે. દરેક છોકરી વયમાં આવે ત્યારે દર મહિને તેની લાગણીના મોજાઓમાં ભરતી-ઓટ આવે છે. વિચાર કરો કે તે મા બનવાની હોય ત્યારે તેને કેટલી પીડા સહન કરવી પડે છે. આવા વખતોમાં તેને પ્રેમની જરૂર છે. પતિના સાથની જરૂર છે. જ્યારે પતિ સમજે કે તેની પત્ની એક કોમળ ફૂલ જેવી છે ત્યારે તે શેઠની જેમ હુકમો આપશે નહિ. પણ તે પ્યારથી તેને સાથ આપશે. આ કરવાથી લગ્‍ન જીવન સુખી રહેશે.

ધર્મ જુદો પણ એક જ બંધન

૧૧. જો જીવન સાથી સત્યમાં ન હોય, તો શું લગ્‍ન જીવન ખુશી રહી શકે?

૧૧ જો પતિ ને પત્ની જુદા ધર્મો પાળતા હોય, તો લગ્‍ન જીવન સુખી રહી શકે? ઘણા ભાઈ-બહેનો કહે છે કે ‘હા એ થઈ શકે છે.’ ભલે લગ્‍ન સાથી યહોવાહના માર્ગેમાં ચાલતા ન હોય પણ, એનો અર્થ એ નથી કે તેઓ રાજી ખુશીથી ભેગા રહી શકતા નથી. આ સંજોગમાં પણ યહોવાહની નજરમાં તેઓ હજી “બન્‍ને એક દેહ” છે. તેથી, જો તમારા જીવન સાથી સત્યમાં ન હોય, પણ તેમને તમારાથી અલગ રહેવું ન હોય, તો તમે સાથે જ રહો. યહોવાહ એ જ ચાહે છે. બાઇબલની સલાહ પાળવાથી ફક્ત તમને જ નહિ, તમારા બાળકોને પણ સુખી થશે.—૧ કોરીંથી ૭:૧૨-૧૪.

૧૨, ૧૩. પતિ સત્યમાં ન હોય, તો પત્નીને કઈ સલાહ પળવી જોઈએ?

૧૨ જે બહેનોના પતિ સત્યમાં ન હોય, તેઓને બાઇબલ જણાવે છે: “પત્નીઓએ તમારા પતિઓને આધીન રહેવું જોઈએ. તેથી જો કોઈ પતિ ઈશ્વરનું વચન માનનાર ન હોય તોપણ એકપણ શબ્દ કહ્યા વગર તમારા શુદ્ધ અને આદરયુક્ત વર્તનથી તેમને વિશ્વાસને માટે જીતી શકાશે.” (૧ પીતર ૩:૧, ૨, પ્રેમસંદેશ) જો પત્ની સત્યમાં ન હોય તો આ સલાહ પતિઓને પણ લાગુ પડે છે.

૧૩ એ સલાહ કઈ રીતે પાળી શકાય? ચાલો આપણે એક દાખલો લઈએ. પત્ની સત્યમાં છે, પણ પતિ નથી. તે પતિને યહોવાહ વિષે સમજાવે છે, પણ તેમને સાંભળવું નથી, તો શું? એનો અર્થ એ નથી કે તેઓ છૂટાછેડા લઈ લે. પત્ની સારો સ્વભાવ રાખીને કંઈ કહ્યા વગર તેના પતિનું દિલ જીતી શકે છે. ઘણા કિસ્સામાં પતિ તેની પત્નીનું વર્તન જોઈને સત્ય શીખીને ‘અનંતજીવની’ આશા રાખે છે. (પ્રેરિતોનાં કૃત્યો ૧૩:૪૮) પણ જો પતિ સત્યમાં ન આવે તો શું? કંઈ વાંધો નહિ. વિચાર કરો કે પત્નીના સારો સ્વભાવથી લગ્‍ન જીવનમાં સુખશાંતિ ફેલાય છે. એક પતિએ ન્યૂઝ પેપરમાં લખ્યું: ‘મારી પત્ની યહોવાહની સાક્ષી છે. પણ હું કદીયે તેઓના ઉંચા ધરણો પ્રમાણે જીવી શકતો નથી. પણ એક વાત તો કહીશ જ કે મારી પત્ની બહુ જ સારી છે અને મારું ધ્યાન સારી રીતે રાખે છે.’

૧૪. પત્ની સત્યમાં ન હોય, તો પતિએ શું કરવું જોઈએ?

૧૪ એવું પણ બને છે કે, પતિ સત્યમાં હોય છે અને પત્ની સત્યમાં ન હોય. પણ પીતરની સલાહ પાળીને પતિ તેની પત્ની માટે સારો દાખલો બેસાડે છે. ઘણા દાખલામાં પત્ની જોઈ શકી છે કે તેમના પતિ સત્યમાં આવીને બદલાઈ ગયા છે. તે હવે સીગરેટ નથી ફૂંકતા, શરાબ નથી પીતા, જુગાર નથી રમતા કે ગંદી ભાષા નથી બોલતા, ત્યારે તેઓને ખૂબ નવાઈ લાગે છે. પછી તે મંડળના ભાઈ-બહેનોને મળવા અચકાતી નથી. છેવટે, મંડળનો પ્રેમ તેને જીતી લે છે ને તે પણ યહોવાહને પગલે ચાલે છે.—યોહાન ૧૩:૩૪, ૩૫.

દિલ જુઓ, દેખાવ નહિ

૧૫, ૧૬. પત્ની કઈ રીતે તેના પતિનું દિલને જીતી લઈ શકે?

૧૫ જો તમારો પતિ સત્યમાં ન હોય, તો તમે બીજું શું કરી શકો? પીતરે કહ્યું: “તમારો શણગાર બહારનો ન હોય, એટલે ગૂંથેલી વેણીનો તથા સોનાનાં ઘરેણાંનો અથવા જાતજાતનાં વસ્ત્ર પહેરવાનો એવો ન હોય; પણ અંતઃકરણમાં રહેલા ગુપ્ત મનુષ્યત્વનો, એટલે દીન તથા નમ્ર આત્માનો, જે દેવની નજરમાં બહુ મૂલ્યવાન છે, તેના અવિનાશી અલંકારનો થાય. કેમકે પ્રાચીન સમયમાં જે પવિત્ર સ્ત્રીઓ દેવ પર આશા રાખતી હતી, તેઓ પોતપોતાના પતિને આધીન રહીને, તેજ પ્રમાણે પોતાને શણગારતી હતી: જેમ સારાહ ઈબ્રાહીમને સ્વામી કહીને તેને આધીન રહેતી હતી તેમ; જો તમે રૂડું કરો છો, અને કંઈ પણ ભયથી ગભરાતી નથી, તો તમે તેની દીકરીઓ છો.”—૧ પીતર ૩:૩-૬.

૧૬ પીતરનું કહેવું હતું કે સ્ત્રીઓને ફક્ત પોતાના દેખાવ પર જ નહિ, પણ તેના દિલની સુંદરતા પર ધ્યાન આપવું જોઈએ. જો તેનું દિલ ને સ્વભાવ સુંદર થતો જાય, તો પતિ એ પારખી શકશે. (એફેસી ૪:૨૨-૨૪) તેમની પત્નીનો ‘દીન તથા નમ્ર આત્મા’ જોઈને તે ખુશ થશે. વિચાર કરો કે યહોવાહ કેટલા ખુશ થશે. એ બહેન ‘દેવની નજરમાં બહુ મૂલ્યવાન’ બનશે.—કોલોસી ૩:૧૨.

૧૭. પત્નીઓ માટે સારાહ કેવો દાખલો બેસાડ્યો?

૧૭ ઈબ્રાહીમની પત્ની સારાહ, પત્નીઓ માટે ખૂબ સારો દાખલો બેસાડ્યો છે, પછી ભલે તેમના પતિ સત્યમાં હોય કે નહિ. સારાહ દિલથી પોતાના ‘ધણીને’ માન આપતી (ઉત્પત્તિ ૧૮:૧૨) એનો અર્થ એ ન હતો કે તે નોકરાણીની જેમ રહેતી હતી. ભલે તે હંમેશા ઈબ્રાહીમને આધીન રહી, તેની શ્રદ્ધા ઈબ્રાહીમ જેટલી જ મજબૂત હતી. સારાહ એક ‘મોટી વાદળારૂપ ભીડમાંની’ એક છે. તેના દાખલમાંથી ‘આપણે સારૂ ઠરાવેલી શરતમાં ધીરજથી દોડી’ શકીએ છીએ.—હેબ્રી ૧૧:૧૧; ૧૨:૧.

૧૮. પતિ-પત્ની જુદા ધર્મ પાળતા હોય, તો કઈ કલમ તેઓને મદદ કરશે?

૧૮ ભલે પતિ-પત્ની જુદા ધર્મો પાળતા હોય, પતિ કુટુંબનું શિર છે. જો તે સાક્ષી હોય, તો તે પત્નીના વિચારો સાંભળશે. જો પત્નીના સૂચનો યહોવાહના વિચારોની વિરુદ્ધમાં ન હોય, તો પતિએ સ્વીકારવા જોઈએ. જો ફક્ત પત્ની જ સત્યમાં હોય, તો તેણે બની શકે એમ પતિનું માનવું જોઈએ પણ બાઈબલ સત્યને છોડવું નહિ. (પ્રેરિતોનાં કૃત્યો ૫:૨૯) કદી પણ પતિની સામે થવું જોઈએ નહિ. તે “પોતાના પતિના જીવતાં સુધી તેની સાથે નિયમથી બંધાયેલી હોય છે.”—રૂમી ૭:૨.

બાઇબલની સરસ સલાહ પાળો

૧૯. લગ્‍ન જીવન પર કયા દબાણો આવે છે ને એનો સામનો કઈ રીતે કરી શકાય?

૧૯ આજે ઘણી બાબતો લગ્‍ન જીવનનું સુખ કોરી ખાય છે. દુનિયાની ઝેરી હવા કુટુંબની ખુશીઓને ઝૂંટવી લઈ શકે. આજે ઘણા પતિઓ આળસુ બનીને કુટુંબની જવાબદારીઓથી પોતાનું મોં ફેરવી લે છે. અથવા, પત્નીઓ શિરનું સાંભળવાને બદલે ઘરમાં પોતાનું રાજ ચલાવવા માંડે છે. અમુક પતિઓ તેની પત્ની પર હાથ ઉપાડે છે. બીજાઓ બેવફા બને છે. સર્વને પૈસાની તંગી હોય છે ને એકબીજાની ભૂલો સહેવી પડે છે. આવા દબાણ નીચે ઘણા છૂટાછેડા લઈ લે છે. પણ જો આપણે બાઇબલ સલાહ પાળીએ તો યહોવાહ આપણને આશીર્વાદ આપશે. ભલે આપણે ઘણા દુઃખો કે તકલીફો સહેવી પડે યહોવાહ હંમેશાં આપણને સાથ આપશે. પણ જો તમારા જીવન સાથી બાઇબલને પાળતા ન હોય, તો શું? ગમે એ થાય, પણ તમે બાઇબલના માર્ગદર્શનમાંથી ફંટાશો નહિ. વિચાર કરો કે જો તમે સાક્ષી ન હોત, તો લગ્‍ન જીવન કેવું હોત!—હેબ્રી ૬:૧૦; ૧ પીતર ૩:૧૨.

૨૦. પીતરે કઈ સલાહ આપી?

૨૦ પતિ અને પત્નીને સલાહ આપ્યા પછી, પીતરે કહ્યું: “છેવટે, તમે સર્વ એક મનનાં, બીજાના સુખદુઃખમાં ભાગ લેનારાં, ભાઈઓ પર પ્રીતિ રાખનારાં, કરુણાળુ તથા નમ્ર થાઓ. ભૂંડાઈને બદલે ભૂંડાઈ ને નિંદાને બદલે નિંદા ન કરો; પણ તેથી ઊલટું આશીર્વાદ આપો; કેમકે તમે આશીર્વાદના વારસ થાઓ, એ માટે તમને તેડવામાં આવ્યા છે.” (૧ પીતર ૩:૮, ૯) આપણે સર્વ માટે આ સલાહ કેટલી સારી છે!

તમને યાદ છે?

• પતિઓ કઈ રીતે ઈસુને પગલે ચાલી શકે?

• પત્નીઓ કઈ રીતે ખ્રિસ્તી મંડળને અનુસરી શકે?

• પતિ કઈ રીતે તેના પત્નીને માન બતાવી શકે છે?

• જો પતિ સત્યમાં ન હોય, તો પત્નીએ શું કરવું જોઈએ?

[અભ્યાસ પ્રશ્નો]

[પાન ૧૬ પર ચિત્ર]

પતિ પોતાની પત્નીનું પ્રેમથી ધ્યાન રાખે છે

પત્ની પોતાના પતિને રાજી-ખુશીથી માન આપે છે

[પાન ૧૭ પર ચિત્ર]

બાઇબલ કહે છે કે પતિએ પત્નીને માન આપવું જોઈએ

[પાન ૧૮ પર ચિત્ર]

‘મોટી સભામાં’ પતિ-પત્નીઓ છે ને તેઓ બધા સ્વર્ગ જેવી દુનિયામાં રહેવા ચાહે છે

[પાન ૨૦ પર ચિત્ર]

સારાહે ઈબ્રાહીમને ખૂબ માન આપ્યું