સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

વાચકો તરફથી પ્રશ્નો

વાચકો તરફથી પ્રશ્નો

વાચકો તરફથી પ્રશ્નો

શા માટે પાઊલે ખ્રિસ્તી પત્ની વિષે લખ્યું કે, “તે પુત્રપ્રસવ દ્વારા તારણ પામશે?”—૧ તીમોથી ૨:૧૫.

પાઊલ ખરેખર શું કહેવા માંગતા હતા એ સમજવા ચાલો આપણે આજુબાજુની કલમો તપાસીએ. તેમણે મંડળમાં સ્ત્રીઓની ભૂમિકા વિષે સલાહ આપી. તેમણે લખ્યું: “સ્ત્રીઓ પણ મર્યાદા તથા ગાંભીર્ય રાખીને શોભતાં વસ્ત્રથી પોતાને શણગારે; ગૂંથેલા વાળથી તથા સોના કે મોતીના અલંકારથી, કે કિંમતી પોશાકથી નહિ; પણ દેવની ભક્તિમાં નિમગ્‍ન રહેનારી સ્ત્રીઓને શોભે એવી રીતે, એટલે સારાં કામથી પોતાને શણગારે.” (૧ તીમોથી ૨:૯, ૧૦) પાઊલે મંડળની બહેનોને વિનયી બનવાનું, યોગ્ય શણગાર કરવાનું અને સારાં કામોથી પોતાને ‘શણગારવાનું’ ઉત્તેજન આપ્યું.

ત્યાર પછી, પાઊલે મંડળમાં શિરપણાની ગોઠવણને સમજાવી. તે કહે છે: “ઉપદેશ કરવાની, કે પુરુષ પર અધિકાર ચલાવવાની હું સ્ત્રીને રજા આપતો નથી, પણ તેણે છાની રહેવું.” (૧ તીમોથી ૨:૧૨; ૧ કોરીંથી ૧૧:૩) એનું કારણ સમજાવતા તેમણે કહ્યું કે આદમ શેતાન દ્વારા છેતરાયો ન હતો પણ હવા “છેતરાઈને પાપમાં પડી.” એક ખ્રિસ્તી સ્ત્રી કઈ રીતે હવાની જેમ પાપ કરતા અટકી શકે? પાઊલ એનો જવાબ આપે છે: “તોપણ જો સ્ત્રી મર્યાદાસહિત વિશ્વાસ, પ્રેમ તથા પવિત્રતામાં રહે, તો તે પુત્રપ્રસવ દ્વારા તારણ પામશે.” (૧ તીમોથી ૨:૧૪, ૧૫) આ શબ્દો દ્વારા પાઊલ શું કહેવા માંગતા હતા?

જોકે, પાઊલે કહેલા શબ્દોનું આ સાચું ભાષાંતર નથી. કેમ કે તારણ પામવા માટે, વ્યક્તિએ યહોવાહને જાણવા જોઈએ. અને ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ મૂકવો જોઈએ. તેમ જ આ વિશ્વાસ પોતાના કાર્યોથી બતાવવો જોઈએ. (યોહાન ૧૭:૩; પ્રેરિતોનાં કૃત્યો ૧૬:૩૦, ૩૧; રૂમી ૧૦:૧૦; યાકૂબ ૨:૨૬) વધુમાં, પાઊલ પરમેશ્વરના માર્ગમાં ચાલતી સ્ત્રીઓને એવી ખાતરી આપતા ન હતા કે બાળકના જન્મ સમયે તેઓ એકદમ સલામત રહેશે. ભલે તેઓ પરમેશ્વરના માર્ગમાં ચાલતી હોય કે નહિ પણ બાળકને જન્મ આપ્યા પછી તેઓ સામાન્ય રીતે સલામત રહે છે. પરંતુ, દુઃખની વાત છે કે કેટલીક સ્ત્રીઓ બાળકને જન્મ આપતી વખતે મરણ પામે છે, પછી ભલેને તે યહોવાહની ભક્ત હોય કે ન હોય.—ઉત્પત્તિ ૩૫:૧૬-૧૮.

પાઊલે, તીમોથીના આ પત્રમાં પછીથી સ્ત્રીઓ વિષે સલાહ આપી. એમાંથી આપણને સમજવા મદદ મળે છે કે તે ખરેખર શું કહેવા માંગતા હતા. તેમણે એવી યુવાન વિધવાઓને ચેતવણી આપી કે જેઓ ‘ઘેરઘેર ભટકીને આળસુ થતાં શીખે છે; અને કેવળ આળસુ જ નહિ, પણ જે બોલવું ઘટારત નથી તે બોલે છે, અને કૂથલી કરે છે, અને બીજાઓના કામમાં માથાં મારે છે.’ પાઊલે તેઓને શું સલાહ આપી? તે કહે છે: “જુવાન વિધવાઓ પરણે, બાળકોને જન્મ આપે, ઘર ચલાવે, અને વિરોધીઓને નિંદા કરવાનું નિમિત્ત ન આપે, એવી મારી ઇચ્છા છે.”—૧ તીમોથી ૫:૧૩, ૧૪.

પાઊલ કૌટુંબિક ગોઠવણમાં સ્ત્રીઓની મહત્ત્વની ભૂમિકા વિષે જણાવે છે. ‘બાળકોને જન્મ આપવા અને ઘર ચલાવવા’ જેવા કામોમાં વ્યસ્ત રહીને ‘મર્યાદાસહિત વિશ્વાસ, પ્રેમ તથા પવિત્રતામાં રહેનારી સ્ત્રી’ બીજી બાબતોમાં માથું મારશે નહિ. વળી, તેનો પરમેશ્વર સાથેનો સંબંધ ગાઢ થશે. (૧ તીમોથી ૨:૧૫) એમ તે બીજી ઘણી સ્ત્રીઓને પણ શેતાનના ફાંદામાં પડતા અટકાવશે.

પાઊલે તીમોથીને લખેલા શબ્દો ફક્ત સ્ત્રીઓને જ નહિ પણ આપણા બધા માટે ઉપયોગી છે. બાઇબલ સર્વ ખ્રિસ્તીઓને સલાહ આપે છે: “કાળજીપૂર્વક સંભાળ રાખો કે તમે નિર્બુદ્ધની પેઠે નહિ, પણ ડાહ્યા માણસની પેઠે, ચાલો.”—એફેસી ૫:૧૫.