સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

ઈશ્વરના માર્ગે ચાલનારા સુખી છે

ઈશ્વરના માર્ગે ચાલનારા સુખી છે

ઈશ્વરના માર્ગે ચાલનારા સુખી છે

સવાર થઈ. ચકલીની ચીં... ચીં... કાબરોનો કલબલાટ! પંખીઓની સવાર પડી ગઈ. પછી નીકળી પડ્યા ખોરાકની શોધમાં. આખો દિવસ આમ-તેમ ઊડાઊડ! સાંજે પાછા માળામાં. એ જ ચીં... ચીં... ને એ જ કલબલાટ. પછી સૂઈ જાય. અમુક મોસમમાં નર-માદા પંખીઓ સંબંધ બાંધે. ઈંડા મૂકે. એમાંથી બચ્ચાં થાય, તેઓને ઊછેરે. આવું હોય છે, પશુ-પંખીનું જીવન!

જોકે માનવીઓ પશુ-પંખીથી તદ્દન અલગ છે. આપણે પણ ખાઈએ છીએ. ઊંઘીએ છીએ. બાળકો ઉછેરીએ છીએ. પરંતુ, મોટા ભાગના લોકોને એમાં જ સંતોષ થતો નથી. મનુષ્ય વિચારે છે કે ‘શા માટે દુનિયા બનાવવામાં આવી હશે? જિંદગીની મંજિલ કઈ છે? સુખી જીવન શું એક સપનું જ છે?’ આ બતાવે છે કે આપણને ઈશ્વર સાથે નાતો છે. આપણને તેમના જ્ઞાનની ભૂખ-તરસ છે. પણ કેમ એમ?

આપણામાં ઈશ્વરના ગુણો છે

બાઇબલ આપણને જણાવે છે, “ઈશ્વરે મનુષ્યને પોતાના જેવો બનાવ્યો. ઈશ્વરે પોતાના સ્વરૂપ પ્રમાણે મનુષ્યને બનાવ્યો. તેમણે તેઓને સ્ત્રી અને પુરુષ તરીકે ઉત્પન્‍ન કર્યા.” (ઉત્પત્તિ ૧:૨૭, IBSI) એટલે જ ભલે આપણે પાપી છીએ છતાં, ઈશ્વર જેવા ગુણો કેળવી શકીએ છીએ. (રૂમી ૫:૧૨) દાખલા તરીકે, આપણે પ્લાન કરી શકીએ. કોઈ કામ પાર પાડી શકીએ. સમજી-વિચારીને નિર્ણયો લઈ શકીએ. ન્યાય-અન્યાય પારખી શકીએ. એકબીજા પર દિલથી પ્રેમ વરસાવી શકીએ છીએ.—નીતિવચનો ૪:૭; સભાશિક્ષક ૩:૧, ૧૧; મીખાહ ૬:૮; યોહાન ૧૩:૩૪; ૧ યોહાન ૪:૮.

ખાસ તો આપણે ઈશ્વરની ભક્તિ કરવા ચાહીએ છીએ. એટલે જ આપણે પરમેશ્વર સાથે પાક્કો નાતો બાંધવાની જરૂર છે. પછી, આપણે મનની શાંતિ અને સાચું સુખ મેળવી શકીશું. ઈસુએ પોતે કહ્યું હતું કે, “પોતાની આત્મિક [ધાર્મિક] જરૂરિયાત જાણનાર લોકોને ધન્ય છે.” (માથ્થી ૫:૩, પ્રેમસંદેશ) આપણે વિશ્વના માલિકનું જ્ઞાન ક્યાંથી મેળવી શકીએ? તેમના નીતિ-નિયમો કેવી રીતે શીખી શકીએ? દુનિયા કેમ અને કેવી રીતે બનાવી એ જાણવા જ્ઞાન જરૂરી છે. બાઇબલ એ જ્ઞાનનો ભંડાર છે.

“તારૂં વચન સત્ય છે”

પાઊલ નામના એક ઈશ્વર ભક્તે લખ્યું, “પવિત્ર બાઇબલ ઈશ્વરની પ્રેરણાથી આપવામાં આવ્યું છે. જે સત્ય છે તે શીખવવામાં, ખોટે માર્ગે જતા અટકાવવામાં, પ્રભુને જે પસંદ નથી તે જીવનમાંથી દૂર કરવામાં અને ન્યાયીપણાનું શિક્ષણ આપવામાં તે આપણને અતિ ઉપયોગી છે.” (૨ તિમોથી ૩:૧૬, IBSI) બાઇબલ તો ઈશ્વરનું વચન છે. ઈસુએ એના વિષે પ્રાર્થનામાં ઈશ્વરને કહ્યું, “તારૂં વચન સત્ય છે.” (યોહાન ૧૭:૧૭) શું આપણી માન્યતા, આપણું જીવન ઈશ્વરના વચન બાઇબલ પ્રમાણે છે? આપણે સુખી થવા, મનની શાંતિ મેળવવા એ જોવું જોઈએ.

અગાઉના જમાનામાં બેરીઆ નામનું એક શહેર હતું. ઈશ્વર ભક્ત પાઊલ ત્યાંના લોકોને ઈશ્વરનાં વચનો શીખવતા હતા. એ લોકોએ પાઊલની વાતો પર આંધળો વિશ્વાસ મૂકી દીધો નહિ. તેઓએ ખાતરી કરી કે પાઊલનું શિક્ષણ બાઇબલના સંસ્કાર પ્રમાણે જ છે કે કેમ. એ માટે તેઓને શાબાશી મળી. બાઇબલ તેઓના વખાણ કરતા કહે છે, “તેઓ ખૂબ આતુરતાથી સંદેશો સાંભળતા અને પાઊલ જે કહે છે તે ખરેખર સાચું છે કે કેમ તે જાણવા ધર્મશાસ્ત્રનો દરરોજ અભ્યાસ કરતા.” (પ્રેષિતોનાં કાર્યો ૧૭:૧૧, પ્રેમસંદેશ) આજની દુનિયામાં ધર્મને નામે ઘણા ધતિંગ થાય છે. તેથી, બેરીઆના લોકોની જેમ, આપણે પહેલા ખાતરી કરી લઈએ એ ખૂબ મહત્ત્વનું છે.

આપણને ખબર છે કે દરેક ઝાડ એનાં ફળથી ઓળખાય છે. સાચા ઈશ્વરના જ્ઞાનની ઓળખ પણ એવી જ છે. (માત્થી ૭:૧૭) એ જ્ઞાન લોકોને સારાં બનાવે છે. દાખલા તરીકે, ઈશ્વરનું જ્ઞાન લઈને પતિ-પત્ની વધારે સારા પતિ-પત્ની કે મમ્મી-પપ્પા બને છે. આ રીતે પરિવારની ખુશીમાં ચાર ચાંદ લાગી જશે. કુટુંબ ખરેખર સુખી કુટુંબ બનશે. ઈસુએ કહ્યું કે “જેઓ દેવની વાત સાંભળે છે અને પાળે તેઓને ધન્ય છે!”—લુક ૧૧:૨૮.

અગાઉના જમાનામાં ખુદ યહોવાહે પોતાના લોકોને કહ્યું હતું કે, “હું યહોવાહ તારો દેવ છું, ને તારા લાભને અર્થે હું તને શીખવું છું; જે માર્ગે તારે જવું જોઈએ તે પર તારો ચલાવનાર હું છું. જો તેં મારી આજ્ઞાઓ ધ્યાનમાં લીધી હોત તો કેવું સારૂં! ત્યારે તો તારી શાંતિ નદીના જેવી, ને તારૂં ન્યાયીપણું સમુદ્રનાં મોજાં જેવું થાત.” (યશાયાહ ૪૮:૧૭, ૧૮) આજે એકબીજાનું ભલું ચાહનાર દરેક આ સલાહ પાળીને સુખી થઈ શકે છે!

લોકો “સત્ય તરફ આડા કાન કરશે”

આપણે જોઈ ગયા તેમ, પરમેશ્વરે પોતાના લોકોને આજીજી કરી. શા માટે? તેઓ જૂઠા ધર્મોથી છેતરાઈ ગયા હતા. (ગીતશાસ્ત્ર ૧૦૬:૩૫-૪૦) તેથી, આપણે પણ અસલી-નકલીનો ભેદ પારખવો જોઈએ. જૂઠા ધર્મોથી દૂર રહેવું જોઈએ. ઈશ્વર ભક્ત પાઊલે જૂઠા ધર્મો વિષે લખ્યું, “એવો વખત આવશે કે જે વખતે તેઓ શુદ્ધ ઉપદેશને સહન કરશે નહિ; પણ કાનમાં ખંજવાળ આવવાથી તેઓ પોતાને મનગમતા ઉપદેશકો પોતાને સારૂ ભેગા કરશે; તેઓ સત્ય તરફ આડા કાન કરશે, અને કલ્પિત વાતો તરફ ફરશે.”—૨ તીમોથી ૪:૩, ૪.

ધર્મગુરુઓ ખોટાં કામ ચલાવી લે છે. જેમ કે, લગ્‍ન-સાથીને બદલે કોઈ બીજાની સાથે આડો સંબંધ બાંધવો. પુરુષ-પુરુષ અને સ્ત્રી-સ્ત્રીની સાથે આડો સંબંધ રાખે. દારૂડિયા બને. ગુરુઓ કહેશે કે ‘એ તો ચાલે.’ પરંતુ, બાઇબલ જણાવે છે કે એ પાપ છે. એવા લોકો સુધરે નહિ તો, તેઓને “દેવના રાજ્યનો વારસો મળશે નહિ.”—૧ કોરીંથી ૬:૯, ૧૦; રૂમી ૧:૨૪-૩૨.

જોકે, બાઇબલ પ્રમાણે જીવવું સહેલું નથી. યહોવાહના લોકોમાં ઘણા એવા છે, જેઓ પહેલાં ડ્રગ્સ લેતા. દારૂડિયા હતા. જેઓ આડા સંબંધો રાખતા હતા. ચોર, ગુંડા હતા. જૂઠું બોલતા હતા. તેઓએ બાઇબલ વાંચ્યું. એના શબ્દો દિલમાં ઉતાર્યા. ઈશ્વરની મદદ માટે પોકાર કર્યો. ‘પ્રભુની ઇચ્છા પ્રમાણે જીવન જીવવા’ ફેરફારો કર્યા. (કોલોસી ૧:૯, ૧૦; ૧ કોરીંથી ૬:૧૧) પણ હવે તેઓએ ઈશ્વરનું દિલ ખુશ કર્યું છે. તેમની ભક્તિમાં તેઓને મનની શાંતિ મળે છે. હમણાં તેઓ સુખી છે. ભાવિમાં તેઓને હંમેશાં સુખેથી જીવવાની આશા છે.

ઈશ્વરનું રાજ્ય

ઈસુએ પ્રાર્થના વિષે શીખવતા કહ્યું કે “તારૂં રાજ્ય આવો; જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તારી ઇચ્છા પૂરી થાઓ.” (માત્થી ૬:૧૦) યહોવાહનું રાજ્ય સ્વર્ગમાં તો રાજ કરે જ છે. એ રાજ્ય જલદી જ પૃથ્વી પર તેમની ઇચ્છા પૂરી કરશે. એના રાજા ઈસુ છે. બાઇબલ ખાતરી આપે છે કે એ રાજ્યમાં આપણને મનની શાંતિ હશે. આપણે હંમેશ માટે સુખી થઈશું.—ગીતશાસ્ત્ર ૨:૭-૧૨; દાનીયેલ ૭:૧૩, ૧૪.

પહેલા માણસ આદમના પાપને લીધે આપણને બીમારી અને મોતનો વારસો મળ્યો છે. પણ યહોવાહના રાજમાં ઈસુ બીમારી અને મરણને કાઢી નાખશે! બાઇબલ જણાવે છે, ‘દેવનો મંડપ માણસોની સાથે છે, તે [યહોવાહ] તેઓની આંખોમાંનું દરેક આંસુ લૂછી નાખશે; મરણ ફરીથી થનાર નથી; તેમ જ શોક કે રૂદન કે દુઃખ ફરીથી થનાર નથી; પ્રથમની વાતો જતી રહેલી છે.’—પ્રકટીકરણ ૨૧:૩, ૪.

તમને થશે કે ખરેખર આવું બનશે? શું કદીયે આખી દુનિયામાં સુખ-શાંતિ આવશે? એ કેવી રીતે માની શકાય? યહોવાહ પોતે કહે છે કે ‘મારા આખા પવિત્ર પર્વતમાં કોઈ પણ વિનાશ કરશે નહિ; કેમ કે જેમ સમુદ્ર પાણીથી ભરપૂર છે, તે પ્રમાણે પૃથ્વી મારા જ્ઞાનથી ભરપૂર થશે.’ (યશાયાહ ૧૧:૯) હા, બધા જ લોકો ઈશ્વરની મરજી પ્રમાણે જીવશે, ત્યારે દુનિયાનો નકશો જ બદલાઈ જશે. એ જાણીને આપણા દિલો-દિમાગને કેટલી શાંતિ મળે છે! તેથી, હમણાંથી જ ‘યહોવાહનું જ્ઞાન’ લો. એ પ્રમાણે જીવો, તો જિંદગીની મંજિલ ચોક્કસ મળશે.

તમારા વિષે શું?

ઈશ્વર ચોક્કસ ધરતી પર પોતાનું રાજ્ય લાવશે. તે પોતાના દુશ્મન શેતાનના બધાં જ કામો મિટાવી દેશે. લોકોને યહોવાહ સચ્ચાઈનો માર્ગ શીખવશે. એટલે ઈસુ પૃથ્વી પર આવ્યા ત્યારે, તેમણે ખાસ કરીને ઈશ્વરના રાજ્યનું શિક્ષણ આપ્યું. ઈસુએ કહ્યું કે, “મારે બીજાં શહેરોમાં પણ દેવના રાજ્યની સુવાર્તા પ્રગટ કરવી જોઈએ, કેમ કે એ સારૂ મને મોકલવામાં આવ્યો છે.” (લુક ૪:૪૩) તેમણે પોતાના શિષ્યોને પણ કહ્યું કે “સર્વ પ્રજાઓને સાક્ષીરૂપ થવા સારુ રાજ્યની આ સુવાર્તા આખા જગતમાં પ્રગટ કરાશે; અને ત્યારે જ અંત આવશે.” પછી ઈસુએ તેઓને પ્રચાર કરવાની આજ્ઞા આપી. (માત્થી ૨૪:૧૪; ૨૮:૧૯, ૨૦) હવે તો દુષ્ટ દુનિયાના અંતનો સમય બહુ જ નજીક છે. તેથી, લોકોને ઈશ્વરના રાજ્ય વિષે જણાવવું કેટલું વધારે જરૂરી છે!

આગળના લેખની શરૂઆતમાં આપણે આલ્બર્ટની કહાની જોઈ. તેની પત્ની અને પુત્ર યહોવાહના સાક્ષીઓ સાથે બાઇબલની ચર્ચા કરવા લાગ્યા. આલ્બર્ટને યહોવાહના સાક્ષીઓ પર શંકા હતી. એટલે તેણે એક પાદરીને કહ્યું કે તે આવીને સાક્ષીઓને જૂઠા પાડે. પાદરીને એમાં માથું મારવું ન હતું. આખરે, આલ્બર્ટે વિચાર્યું કે તે પોતે સાંભળશે કે સાક્ષીઓ કેવી ચર્ચા કરે છે. પછી, તેઓની ભૂલો શોધી કાઢશે. એક જ સ્ટડીમાં બેઠા પછી, આલ્બર્ટને વધારે જાણવું હતું. કેમ એવું થયું? તેણે જણાવ્યું કે, “આટલાં બધાં વર્ષો હું આની જ શોધમાં હતો!”

આલ્બર્ટને પરમેશ્વરનો માર્ગ મળ્યો. તેને જાણવું હતું કે ક્યારે અન્યાય અને ભ્રષ્ટાચારનો અંત આવશે? ક્યારે લોકો સુખ-શાંતિમાં હળી-મળીને જીવશે? એ જવાબ તેને બાઇબલમાંથી મળ્યા. તેમને મનની શાંતિ મળી. સાચું સુખ મળ્યું! શું તમને ઈશ્વરનું જ્ઞાન લેવું ગમશે? તો પછી તમે પાન ૬ પરના સવાલો પર વિચાર કરો. તમે ફરી વાર યહોવાહના સાક્ષીઓને મળો ત્યારે, તેઓ સાથે આ વિષે ચોક્કસ વાત કરજો.

[પાન ૬ પર બોક્સ/ચિત્રો]

ઈશ્વરના જ્ઞાનની તમારી તરસ છિપાઈ છે

નીચેના પ્રશ્નો વાંચો. જુઓ કે તમારા જવાબથી તમને સંતોષ થાય છે?

□ ઈશ્વર કોણ છે? તેમનું નામ શું છે?

□ ઈસુ ખ્રિસ્ત કોણ છે? શા માટે તે મરણ પામ્યા? એનાથી તમને શું લાભ થયો?

□ શેતાન ખરેખર છે? જો હોય તો તેને કોણે બનાવ્યો?

□ મરણ વખતે વ્યક્તિનું શું થાય છે?

□ ઈશ્વરે ધરતી કેમ બનાવી? મનુષ્ય કેમ બનાવ્યો?

□ પરમેશ્વરનું રાજ્ય કેવું છે?

□ ઈશ્વરે આપણને કેવા સંસ્કાર આપ્યા છે?

□ ઈશ્વરે પતિ-પત્નીને કઈ જવાબદારી સોંપી છે? બાઇબલની કઈ સલાહ પાળીને પરિવાર સુખી થઈ શકે?

આમાંથી કોઈ પણ પ્રશ્ન વિષે વધારે જાણવું હોય તો, દેવ આપણી પાસે શું માંગે છે? પુસ્તિકા મંગાવી શકો. યહોવાહના સાક્ષીઓએ એ ૩૦૦ ભાષાઓમાં બહાર પાડી છે. એમાં ૧૬ વિષયો છે. એમાં ઉપરના બધા પ્રશ્નોના જવાબ છે.

[પાન ૪ પર ચિત્રો]

માનવ પશુ-પંખીથી જુદો છે. તેને ઈશ્વરના જ્ઞાનની તરસ છે

[પાન ૫ પર ચિત્ર]

‘પોતાને મનગમતા ઉપદેશકો ભેગા કરશે.’—૨ તીમોથી ૪:૩

[પાન ૭ પર ચિત્ર]

પરમેશ્વરનું રાજ્ય કાયમ માટે મનની શાંતિ અને સાચું સુખ આપશે