સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

ખોટા વિચારોથી દૂર રહો

ખોટા વિચારોથી દૂર રહો

ખોટા વિચારોથી દૂર રહો

અયૂબ પર આફત આવી પડી ત્યારે તેમના ત્રણ મિત્રો મળવા માટે આવ્યા. તેઓ અલીફાઝ, બિલ્દાદ અને સોફાર હતા. તેઓ અયૂબ પ્રત્યે સહાનુભૂતિ બતાવવા તેમ જ દિલાસો આપવા આવ્યા હતા. (અયૂબ ૨:૧૧) આ ત્રણેવમાં અલીફાઝ સૌથી મોટો અને વધારે પ્રભાવશાળી હતો. તેણે જ સૌથી પહેલાં બોલવાનું શરૂ કર્યું. પછી મોટા ભાગે તે જ બોલતો રહ્યો. અલીફાઝે ત્રણ વાર અયૂબ સાથે વાત કરી. એમાં તેણે કેવા વિચારો વ્યક્ત કર્યા?

પોતાને થયેલા એક ખરાબ અનુભવને યાદ કરતા અલીફાઝે કહ્યું: “એક આત્મા મારા મોં આગળથી ગયો; અને મારા શરીરનાં રૂઆં ઊભાં થયાં. તે સ્થિર ઊભો રહ્યો, પણ હું તેનું સ્વરૂપ ઓળખી શક્યો નહિ; એક આકૃતિ મારી આંખો આગળ ઊભી હતી; શાંતિ પસરેલી હતી, અને મેં એવી વાણી સાંભળી.” (અયૂબ ૪:૧૫, ૧૬) અહીંયા અલીફાઝના વિચારોને અસર કરનાર આત્મા કોણ હતો? એ માટે અહીં જે મૂળ હેબ્રી શબ્દ વપરાયો છે એનો ખરો અર્થ, દૂત થાય છે. ત્યાર પછીની કલમોમાંથી જોવા મળે છે કે એ દૂત યહોવાહનો સ્વર્ગદૂત ન હતો. (અયૂબ ૪:૧૭, ૧૮) એ તો યહોવાહથી દૂર થઈ જનાર દુષ્ટ દૂત હતો. એટલે જ તો યહોવાહે અલીફાઝ અને તેના બંને મિત્રોને જૂઠું બોલવા બદલ ઠપકો આપ્યો. (અયૂબ ૪૨:૭) આમ, અલીફાઝ પર ખરાબ દૂતની અસર હતી. તેણે જે કહ્યું એમાં પરમેશ્વરના વિચારો હતા જ નહિ.

અલીફાઝમાં કેવા વિચારો જોવા મળે છે? આપણે ખોટા વિચારોથી દૂર રહીએ એ શા માટે મહત્ત્વનું છે? ખોટા વિચારો કેવી રીતે ટાળી શકીએ?

‘તે પોતાના સેવકો પર કંઈ ભરોસો રાખતા નથી’

અલીફાઝે અયૂબ સાથે ત્રણ વાર વાત કરી. હર વખતે તેણે એવા વિચારો વ્યક્ત કર્યા કે પરમેશ્વર તો બહુ ક્રૂર છે. આથી, તેમના સેવકો તેમના માટે ભલે ગમે તે કરે, પણ તે ખુશ થતા નથી. અલીફાઝે અયૂબને કહ્યું, “જુઓ, તે પોતાના સેવકો પર કંઈ ભરોસો રાખતો નથી; અને તે પોતાના દૂતોને ગુનેગાર ગણે છે.” (અયૂબ ૪:૧૮) અલીફાઝે પછીથી પરમેશ્વર વિષે કહ્યું: “તે પોતાના સંત પુરુષોનો ભરોસો કરતો નથી, હા, તેની દૃષ્ટિમાં આકાશો પણ નિર્મળ નથી.” (અયૂબ ૧૫:૧૫) અને તેણે પૂછ્યું: “તું ન્યાયી હોય તો તેમાં સર્વશક્તિમાનને શો આનંદ થાય?” (અયૂબ ૨૨:૩) બિલ્દાદ પણ એમ જ માનતો હતો. તેણે કહ્યું: “ચંદ્ર પણ નિસ્તેજ છે, અને તેની [પરમેશ્વરની] દૃષ્ટિમાં તારાઓ પણ નિર્મળ નથી.”—અયૂબ ૨૫:૫.

આપણા મનમાં પણ આવા ખોટા વિચારો ન આવે એનું ધ્યાન રાખવું જોઈએ. આપણે એવું વિચારવા પ્રેરાઈ શકીએ કે પરમેશ્વર આપણી પાસે ઘણી અપેક્ષાઓ રાખે છે. આવા વિચારોથી યહોવાહ સાથેના આપણા સંબંધમાં ઘણી અસર થાય છે. વધુમાં, જો આપણે આવું વિચારીશું તો, આપણને જરૂરી સલાહ આપવામાં આવે ત્યારે આપણે કેવો પ્રત્યુત્તર આપીશું? સલાહ સ્વીકારવાને બદલે, આપણું હૃદય “યહોવાહ વિરૂદ્ધ ચિડાય” જઈ શકે. તેમ જ તેમના પ્રત્યે મનમાં ખાર પણ રાખી શકીએ. (નીતિવચનો ૧૯:૩) આમ, પરમેશ્વર સાથેના આપણા સંબંધો વણસી શકે!

“શું માણસ દેવને લાભકારક હોઈ શકે?”

પરમેશ્વર ઘણી અપેક્ષા રાખે છે એવા વિચાર સાથે બીજો એક વિચાર પણ જોડાયેલો છે. એ છે કે તેમની નજરમાં માણસોનું કંઈ મૂલ્ય નથી. અયૂબ સાથે ત્રીજી વાર વાત કરતી વખતે અલીફાઝે આ પ્રશ્ન કર્યો હતો: “શું માણસ દેવને લાભકારક હોઈ શકે? નિશ્ચે ડાહ્યો માણસ પોતાને જ લાભકારક હોય એ ખરૂં છે.” (અયૂબ ૨૨:૨) અલીફાઝ એમ કહેતો હતો કે પરમેશ્વરની નજરમાં માણસોની કંઈ વિસાત નથી. એવી જ રીતે, બિલ્દાદે દલીલ કરતા કહ્યું: “ઇશ્વરની હજૂરમાં મનુષ્ય કેમ કરીને ન્યાયી ઠરે? કે સ્ત્રીજન્ય કેવી રીતે પવિત્ર હોઈ શકે?” (અયૂબ ૨૫:૪) આવા વિચારો સામે, પરમેશ્વરની નજરમાં પોતે ન્યાયી હોવાની અયૂબ કલ્પના પણ કેવી રીતે કરી શકે?

આજે કેટલાક લોકો પોતાના વિષેની નકારાત્મક લાગણીના સાગરમાં ડૂબી ગયા છે. એ માટે ઘણાં કારણો છે. જેમ કે, તેઓનો ઉછેર. જીવનના દબાણો. કે પછી તેઓ નાત-જાતના ધિક્કારનો ભોગ બન્યા હોય શકે. એટલું જ નહિ, શેતાન અને તેના અપદૂતો આવા લોકોની લાગણીઓ કચડીને આનંદ મેળવે છે. તેઓ માણસોને સતત એવું વિચારવા પ્રેરે છે કે તેઓ જે કંઈ કરે છે એનું પરમેશ્વરની નજરમાં કંઈ મૂલ્ય નથી. પછી વ્યક્તિ એવો વિચાર કરવા લાગે છે ત્યારે, તે સહેલાઈથી શેતાનના સકંજામાં આવી જાય છે. તે પછી ધીમે ધીમે જીવંત પરમેશ્વરથી દૂર જતી રહે છે.—હેબ્રી ૨:૧; ૩:૧૨.

વધતી જતી ઉંમર અને બીમારીને લીધે કદાચ આપણે પરમેશ્વરની સેવામાં એટલું કરી ન શકીએ જેટલું યુવાનીમાં કરતા હતા. તેથી, એ જાણવું કેટલું મહત્ત્વનું છે કે શેતાન અને તેના અપદૂતો આપણને અહેસાસ કરાવવા માંગે છે કે યહોવાહની સેવામાં ગમે તેટલું કરીએ પણ એ પૂરતું નથી! ખરેખર, આપણે આવા વિચારોથી દૂર જ રહેવું જોઈએ.

કઈ રીતે નકારાત્મક વિચારો દૂર કરી શકીએ

શેતાન અયૂબ પર ઘણી આફતો લાવ્યો હતો. તોપણ અયૂબે કહ્યું: “મરતાં સુધી હું મારા પ્રામાણિકપણાનો ઈનકાર કરીશ નહિ.” (અયૂબ ૨૭:૫) અયૂબ પરમેશ્વરને પ્રેમ કરતા હતા. આથી, તેમણે મુસીબતોમાં પણ પરમેશ્વરને વફાદાર રહેવાનો નિર્ણય કર્યો હતો. એ નિર્ણયમાં અડગ રહેવા કોઈ પણ બાબત તેમને ચલિત કરી શકી નહિ. નકારાત્મક વિચારોને દૂર કરવાની મહત્ત્વની ચાવી આવા નિર્ણયમાં રહેલી છે. આપણે એ જાણવું જ જોઈએ કે પરમેશ્વર આપણને કેટલો પ્રેમ કરે છે. પછી એ માટે પૂરા હૃદયથી કદર બતાવવી જોઈએ. આપણે તેમના માટેનો પ્રેમ વધારવાની જરૂર છે. એ આપણે પરમેશ્વરના શબ્દ બાઇબલનો નિયમિત અભ્યાસ કરવાથી તેમ જ જે શીખીએ એના પર પ્રાર્થનાપૂર્વક મનન કરવાથી કેળવી શકીએ છીએ.

દાખલા તરીકે, યોહાન ૩:૧૬ બતાવે છે: “દેવે જગત પર એટલી પ્રીતિ કરી કે તેણે પોતાનો એકાકીજનિત દીકરો આપ્યો.” યહોવાહને માણસજાત પ્રત્યે ખૂબ પ્રેમ છે. તેમનો એ પ્રેમ માણસજાત સાથેના તેમના વ્યવહારમાં જોવા મળે છે. પ્રાચીન સમયમાં પરમેશ્વરે કઈ રીતે વ્યવહાર કર્યો હતો એના પર મનન કરવાથી તેમના પ્રત્યેનો આપણો પ્રેમ વધશે. એના લીધે, આપણે ખરાબ વિચારો દૂર કરી શકીશું.

સદોમ અને ગમોરાહના વિનાશ વખતે યહોવાહ ઈબ્રાહીમ સાથે જે રીતે વર્ત્યા એનો વિચાર કરો. ઈબ્રાહીમે આવનાર વિનાશ વિષે આઠ વાર પૂછ્યું. યહોવાહ એક પણ વાર ગુસ્સે થયા ન હતા કે ચિડાઈ ગયા ન હતા. એને બદલે, તેમના જવાબથી ઈબ્રાહીમને ખાતરી અને દિલાસો મળ્યા. (ઉત્પત્તિ ૧૮:૨૨-૩૩) પરમેશ્વરે લોત અને તેમના કુટુંબને સદોમમાંથી બચાવ્યા ત્યારે, લોતે પહાડો પર નાસી જવાને બદલે નજીકના શહેરમાં જતા રહેવા અરજ કરી. યહોવાહે કહ્યું: “આ વાત વિષે પણ મેં તારૂં સાંભળ્યું છે, જે નગર વિષે તું બોલ્યો છે તેનો નાશ હું નહિ કરીશ.” (ઉત્પત્તિ ૧૯:૧૮-૨૨) શું આ અહેવાલ પરથી એવું જોવા મળે છે કે યહોવાહ બળજબરી કરનારા અને ક્રૂર પરમેશ્વર છે? ના. એનાથી જોવા મળે છે કે યહોવાહ ખરેખર કેટલા પ્રેમાળ, દયાળુ, માયાળુ અને સમજદાર પરમેશ્વર છે.

યહોવાહ પરમેશ્વર નાની નાની વાતમાં બીજાઓની ભૂલો કાઢે છે ને તે કંઈ પણ સારું જોઈ શકતા નથી એ વિચાર વિષે શું? પ્રાચીન ઈસ્રાએલના હારૂન, દાઊદ અને મનાશ્શેહનું ઉદાહરણ એ વિચારને ખોટો સાબિત કરે છે. હારૂને ત્રણ મોટી ભૂલો કરી હતી. તેમણે સોનાની મૂર્તિ બનાવી, મૂસાની ટીકા કરવામાં પોતાની બહેન સાથે જોડાયા અને મરિબાહમાં પરમેશ્વરને મહિમા આપ્યો નહિ. તેમ છતાં, યહોવાહે તેમનામાં સારા ગુણો જોયા અને તેમને મરણ સુધી પ્રમુખ યાજક તરીકે સેવા કરવા દીધા.—નિર્ગમન ૩૨:૩, ૪; ગણના ૧૨:૧, ૨; ૨૦:૯-૧૩.

રાજા દાઊદે પોતાના રાજમાં મરણની સજા થાય એવાં પાપો કર્યા. તેમણે વ્યભિચાર કર્યો, કાવતરું કરીને એક નિર્દોષ માણસને મારી નખાવ્યો અને પરમેશ્વરની ઇચ્છા વિરુદ્ધ વસ્તી ગણતરી કરી. તેમ છતાં, યહોવાહે દાઊદે બતાવેલા પસ્તાવાને ધ્યાન પર લીધો. આમ, તેમણે દાઊદ સાથે કરેલા રાજ્ય કરારને રદ કર્યા વગર તેમને મરણ સુધી રાજ કરવા દીધું.—૨ શમૂએલ ૧૨:૯; ૧ કાળવૃત્તાંત ૨૧:૧-૭.

યહુદાહના રાજા મનાશ્શેહે બઆલની વેદીઓ બનાવી. પોતાના દીકરાઓને અગ્‍નિમાં હોમી દીધા. જંતર-મંતરને ઉત્તેજન આપ્યું અને મંદિરના આંગણામાં જૂઠા ધર્મની વેદીઓ બાંધી. તેમ છતાં, તેણે હૃદયપૂર્વક પસ્તાવો બતાવ્યો ત્યારે, યહોવાહે તેને માફ કર્યો. તેમણે મનાશ્શેહને બંદીવાનમાંથી છોડાવ્યો. તેનું રાજ્ય પણ પાછું અપાવ્યું. (૨ કાળવૃત્તાંત ૩૩:૧-૧૩) શું યહોવાહના આ કાર્યોને જોઈને આપણે એમ કહી શકીએ કે તેમને કોઈ ખુશ કરી નહિ શકે? બિલકુલ નહિ!

ખોટો આરોપ મૂકનાર પોતે જ ગુનેગાર છે

આપણને આશ્ચર્ય થવું જોઈએ નહિ કે શેતાન પોતે એ બધી બાબતો માટે દોષી છે, જેનો દોષ તે યહોવાહ પર નાખે છે. હકીકતમાં, શેતાન ક્રૂર અને નાની નાની બાબતોમાં ભૂલ કાઢનાર છે. એનો પાક્કો પુરાવો આપણને પ્રાચીન સમયના જૂઠા ધર્મોના રિવાજમાં જોવા મળે છે કે જેમાં બાળકોનું બલિદાન આપવામાં આવતું હતું. પરમેશ્વરના માર્ગમાંથી ભટકી ગયેલા ઈસ્રાએલીઓ પોતાનાં છોકરા અને છોકરીઓને અગ્‍નિમાં હોમી દેતા હતા, જ્યારે કે યહોવાહને તો એવો વિચાર સુધ્ધાં આવ્યો ન હતો.—યિર્મેયાહ ૭:૩૧.

તેથી આપણામાં નાની નાની વાતમાં ભૂલો કાઢનાર યહોવાહ નહિ, પરંતુ ક્રૂર શેતાન છે. પ્રકટીકરણ ૧૨:૧૦ શેતાનનો ઉલ્લેખ કરતા કહે છે, તે “અમારા ભાઈઓ પર દોષ મૂકનાર, જે અમારા દેવની આગળ રાતદહાડો તેઓના પર દોષ મૂકે છે.” બીજી તર્ફે, યહોવાહ વિષે ગીતશાસ્ત્રના કવિએ લખ્યું: “હે યાહ, જો તું દુષ્ટ કામો ધ્યાનમાં રાખે, તો, હે પ્રભુ, તારી આગળ કોણ ઊભો રહી શકે?”—ગીતશાસ્ત્ર ૧૩૦:૩, ૪.

જ્યારે ખોટા વિચારો નહિ હોય

શેતાન અને તેના અપદૂતોને સ્વર્ગમાંથી ફેંકી દેવામાં આવ્યા ત્યારે સ્વર્ગદૂતોએ કેટલી રાહત અનુભવી હશે! (પ્રકટીકરણ ૧૨:૭-૯) એ પછી આ દુષ્ટ દૂતો સ્વર્ગમાં દૂતોથી બનેલા યહોવાહના કુટુંબમાં કોઈ પણ પ્રકારની દખલ કરી શકતા ન હતા.—દાનીયેલ ૧૦:૧૩.

આ ધરતીના રહેવાસીઓ પણ નજીકના ભવિષ્યમાં એવી જ રાહત અનુભવશે. જલદી જ, એક દૂત સ્વર્ગમાંથી આવશે કે જેની પાસે ઊંડાણની ચાવી તેમ જ મોટી સાંકળ હશે. તે શેતાન અને તેના અપદૂતોને બાંધીને ઊંડાણમાં નાંખી દેશે. ત્યાંથી તે આપણો વાળ પણ વાંકો નહિ કરી શકે. (પ્રકટીકરણ ૨૦:૧-૩) ત્યારે આપણે કેટલી રાહત અનુભવીશું!

એ સમય આવે ત્યાં સુધી, આપણે ખરાબ વિચારોને કાબૂમાં રાખવા જ જોઈએ. આપણા મગજમાં એવા વિચારો આવે ત્યારે, યહોવાહે આપણા માટે બતાવેલા પ્રેમને યાદ કરો. એનાથી એ વિચારો દૂર કરવા મદદ મળશે. ત્યાર પછી, ‘દેવની શાંતિ જે સર્વ સમજશક્તિની બહાર છે, તે આપણા હૃદયો તથા મનોની સંભાળ રાખશે.’—ફિલિપી ૪:૬, ૭.

[પાન ૨૬ પર ચિત્ર]

અયૂબ ખરાબ વિચારોથી દૂર રહ્યા

[પાન ૨૮ પર ચિત્ર]

લોત શીખ્યા કે યહોવાહ સમજદાર રાજા છે