સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

પ્રથમ સદીના યહુદીઓમાં ખ્રિસ્તી ધર્મનો ફેલાવો

પ્રથમ સદીના યહુદીઓમાં ખ્રિસ્તી ધર્મનો ફેલાવો

પ્રથમ સદીના યહુદીઓમાં ખ્રિસ્તી ધર્મનો ફેલાવો

લગભગ ૪૯ની સાલમાં યરૂશાલેમમાં એક મહત્ત્વની સભા ભરવામાં આવી. એ સભામાં પ્રથમ સદીના ખ્રિસ્તી મંડળોમાં વિશ્વાસમાં દૃઢ, “થંભ જેવા ગણાતા” ભાઈઓ હાજર હતા. જેમ કે પીતર અને ઈસુના સાવકા ભાઈ યાકૂબ. પ્રેષિત પાઊલ અને તેમના સંગાથી બાર્નાબાસ પણ હતા. તેઓ કેમ ભેગા મળ્યા હતા? મોટા પ્રચાર વિસ્તારની વહેંચણી કેવી રીતે કરવી એની ચર્ચા કરવા. પાઊલે સમજાવ્યું, “તે દરેકે મારો તથા બાર્નાબાસનો પ્રેરિત તરીકે સત્કાર કર્યો, જેથી અમે વિદેશીઓની પાસે જઈએ, અને તેઓ સુનતીઓની પાસે જાય.”—ગલાતી ૨:૧,. *

એ સભામાં જે નિર્ણય લેવામાં આવ્યો એના પરથી આપણે શું સમજી શકે? જે વિસ્તારમાં સુસમાચારનો પ્રચાર કરવાનો હતો, એને શું બે ભાગમાં વહેંચવામાં આવ્યો હતો? જેમ કે, એક બાજુ યહુદીઓ અને યહુદી ધર્મ અપનાવનારાનો વિસ્તાર અને બીજી બાજુ અન્ય જાતિઓનો વિસ્તાર. કે પછી, એ વિસ્તારનું ભૌગોલિક રીતે વહેંચણી કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું? યોગ્ય જવાબ મેળવવા માટે, ચાલો આપણે યરૂશાલેમની બહાર રહેતા યહુદીઓ વિષે માહિતી મેળવીએ.

પ્રથમ સદીનું યહુદી જગત

પ્રથમ સદીમાં કેટલા યહુદીઓ યરૂશાલેમની બહાર રહેતા હતા? ઘણા વિદ્વાનો એટલાસ ઑફ ધ જ્યુસ વર્લ્ડ પુસ્તિકા સાથે સહમત થતા હોય એમ લાગે છે. આ પ્રકાશન બતાવે છે: ‘યહુદીઓની ચોક્કસ ગણતરી બતાવવી મુશ્કેલ છે. પરંતુ, અંદાજે ૭૦ની સાલમાં થોડા જ સમય પહેલાં આખા યહુદાહમાં પચ્ચીસ લાખ અને રોમન સામ્રાજ્યના બાકીના વિસ્તારોમાં ૪૦ લાખથી વધારે યહુદીઓ હતા. શક્ય છે કે રોમન સામ્રાજ્યની દસ ટકા વસ્તી યહુદીઓની હતી અને પૂર્વ વિસ્તારોના શહેરોમાં જ્યાં વધારે યહુદીઓ રહેતા હતા, ત્યાં તેઓની ગણતરી કુલ વસ્તીના ૨૫ ટકા અથવા એનાથી વધારે હતી.’

યહુદીઓ મોટે ભાગે સીરિયા, એશિયા માઈનોર, બાબેલોન અને ઇજિપ્તના પૂર્વ ભાગો તેમ જ યુરોપના અમુક ભાગોમાં રહેતા હતા. કેટલાક પ્રખ્યાત યહુદી ખ્રિસ્તીઓ યરૂશાલેમની બહાર રહેતા હતા. જેમ કે, બાર્નાબાસ સૈપ્રસના હતા. પ્રિસ્કીલા અને આકુલા પંતસના વતની હતા. પછી તેઓ રોમ ગયા. આપોલસ આલેકસાંદ્રિયાના અને પાઊલ તાર્સસના હતા.—પ્રેરિતોનાં કૃત્યો ૪:૩૬; ૧૮:૨, ૨૪; ૨૨:૩.

યહુદાહથી બહાર રહેતા યહુદીઓ યરૂશાલેમના લોકો સાથે વ્યવહાર રાખતા. કઈ રીતે? એક તો તેઓ દર વર્ષે યરૂશાલેમના મંદિર માટેનો કર મોકલતા હતા. આમ તેઓ મંદિરની ભક્તિમાં ભાગ લેતા હતા. આ વિષે જોન બાર્કલે નામના વિદ્વાન કહે છે: “પૂરતા પુરાવા છે કે બહાર રહેતા ધનવાન યહુદીઓ આ ભંડોળમાં કરના પૈસાથી પણ વધારે પ્રદાન આપતા હતા.”

બીજી રીત જોઈએ તો, હજારો શ્રદ્ધાળુઓ દર વર્ષે યરૂશાલેમમાં તહેવાર ઊજવવા આવતા હતા. પ્રેરિતોનાં કૃત્યો ૨:૯-૧૧નો અહેવાલ ૩૩ની સાલના પેન્તેકોસ્ત વિષે બતાવે છે. આ વાર્ષિક તહેવારની ઉજવણીમાં શ્રદ્ધાળુઓ દૂર દૂર માદી, એલામ, મેસોપોટામ્યા, કાપાદોકિયા, પંતસ, એશિયા, ફુગિયા, પાંફુલ્યા, ઇજિપ્ત, લિબીયા, રૂમી, ક્રેત અને અરબસ્તાનમાંથી આવ્યા હતા.

યરૂશાલેમના મંદિરની સંભાળ રાખનારા પત્રથી બહારના યહુદીઓ સાથે વ્યવહાર રાખતા હતા. પ્રેરિતોનાં કૃત્યો ૫:૩૪ પ્રમાણે ન્યાયશાસ્ત્રી ગમાલીએલે બાબેલોન અને દુનિયાના બીજા ભાગોમાં પત્રો લખ્યા હોય એ જાણીતું છે. પ્રેષિત પાઊલ ૫૯ની સાલમાં કેદી તરીકે આવ્યા ત્યારે, ‘યહુદીઓના મુખ્ય માણસોએ’ તેમને કહ્યું કે “તારા વિષે યહુદાહમાંથી અમને કંઈ પત્રો મળ્યા નથી, તેમ જ અમારા ભાઈઓમાંથી પણ કોઈએ અહીં આવીને તારે વિષે કંઈ ભૂંડું જાહેર કર્યું અથવા કહ્યું નથી.” આ બતાવે છે કે અવારનવાર વતનમાંથી રોમમાં પત્રો અને અહેવાલ મોકલવામાં આવતા હતા.—પ્રેરિતોનાં કૃત્યો ૨૮:૧૭, ૨૧.

યહુદાહની બહાર રહેતા યહુદીઓ પાસે હેબ્રી શાસ્ત્રવચનોનું ગ્રીકમાં ભાષાંતર થયેલું બાઇબલ હતું. એ સેપ્ટ્યુઆજીંટ તરીકે જાણીતું હતું. એક પુસ્તક બતાવે છે: “એવું લાગે છે કે યહુદાહમાંથી બહાર રહેતા બધા જ યહુદીઓ LXX [સેપ્ટ્યુઆજીંટ] વાંચતા હતા અને એને યહુદી બાઇબલ કે ‘પવિત્ર લખાણ’ ગણતા હતા.” શરૂઆતના ખ્રિસ્તીઓ એ જ ભાષાંતરનો પોતાના શિક્ષણમાં ભરપૂર ઉપયોગ કરતા હતા.

યરૂશાલેમના ગવર્નિંગ બોડીના સભ્યો આ પરિસ્થિતિ સારી રીતે જાણતા હતા. શુભસંદેશો સીરિયા, દમસ્કસ અને અંત્યોખમાં રહેતા યહુદીઓ સુધી પહોંચી ગયો હતો. (પ્રેરિતોનાં કૃત્યો ૯:૧૯, ૨૦; ૧૧:૧૯; ૧૫:૨૩, ૪૧; ગલાતી ૧:૨૧) આથી એ દેખીતું છે કે ૪૯ના વર્ષમાં થયેલી સભામાં હાજર લોકો પ્રચાર કામને હજુ વધારવાની યોજના કરતા હતા. યહુદીઓ અને બીજા ધર્મમાંથી યહુદી બનેલાઓ ખ્રિસ્તને સ્વીકારે છે એના વિષે બાઇબલ શું કહે છે એ વિષે ચાલો આપણે જોઈએ.

પાઊલ બહાર રહેતા યહુદીઓને મળવા જાય છે

‘વિદેશીઓ, રાજાઓ તથા ઈસ્રાએલપુત્રોની આગળ [ઈસુ ખ્રિસ્તનું] નામ પ્રગટ કરવું’ એ પ્રેષિત પાઊલનું મુખ્ય કાર્ય હતું. * (પ્રેરિતોનાં કૃત્યો ૯:૧૫) યરૂશાલેમની સભા પછી, પાઊલે અનેક જગ્યાઓએ મુસાફરી કરીને યહુદીઓને પ્રચાર કરવાનું ચાલુ રાખ્યું. (પાન ૧૪ પરનું બૉક્સ જુઓ.) આ બતાવે છે કે વિસ્તાર નક્કી કરવાનું મુખ્ય કારણ યહુદીઓ કે બિનયહુદીઓ નહિ, પણ ભૌગોલિક હતું. પાઊલ અને બાર્નાબાસે રોમન સામ્રાજ્યના પશ્ચિમમાં પોતાનું મિશનરી કાર્ય ચાલુ રાખ્યું. જ્યારે કે બીજાઓએ યરૂશાલેમમાં તેમ જ પશ્ચિમમાં મોટા પ્રમાણમાં વસેલા યહુદીઓને પ્રચાર કર્યો.

પાઊલ અને તેમના સાથીઓએ અંત્યોખથી સીરિયા જવા બીજી મિશનરી મુસાફરી શરૂ કરી ત્યારે, તેઓ એશિયા માઈનોરથી ઉપર ત્રોઆસની પશ્ચિમ બાજુએ ગયા. ત્યાંથી તેઓ મકદોનિયા ગયા. તેઓએ વિચાર્યું કે “[મકદોનિયામાં] સુવાર્તા પ્રગટ કરવા સારૂ દેવે [તેમને] બોલાવ્યા છે.” પછીથી, એથેન્સ અને કોરીંથ સહિત યુરોપના બીજા શહેરોમાં ખ્રિસ્તી મંડળો શરૂ થયા.—પ્રેરિતોનાં કૃત્યો ૧૫:૪૦, ૪૧; ૧૬:૬-૧૦; ૧૭:૧–૧૮:૧૮.

લગભગ ૫૬ની સાલમાં પાઊલે ત્રીજી મિશનરી મુસાફરી પૂરી કરી ત્યારે, તેમણે પશ્ચિમ તરફ હજુ આગળ વધવાનું નક્કી કર્યું. જેથી યરૂશાલેમની સભામાં તેમને સોંપેલા વિસ્તારમાં દૂર દૂર સુધી સુસમાચાર ફેલાવે. તેમણે લખ્યું: “હું તમો રૂમીઓને પણ મારી શક્તિ પ્રમાણે સુવાર્તા પ્રગટ કરવાને ઉત્સુક છું.” આથી, “હું તમને મળીને સ્પેન જઈશ.” (રૂમી ૧:૧૫; ૧૫:૨૪, ૨૮) પરંતુ, પૂર્વમાં મોટી સંખ્યામાં રહેતા યહુદીઓ વિષે શું?

પૂર્વમાં યહુદી સમાજો

પ્રથમ સદી દરમિયાન, ઇજિપ્તમાં, ખાસ કરીને એના પાટનગર, ઍલેક્સઝાંડ્રિયામાં સૌથી વધારે યહુદીઓ હતા. આલેકસાંદ્રિયા વેપારનું મુખ્ય સ્થળ હતું. આ શહેરમાં હજારો યહુદીઓ હતા અને આખા શહેરમાં સભાસ્થાનો જોવા મળતા હતા. આલેકસાંદ્રિયાના યહુદી, ફાઈલોએ કહ્યું કે આખા ઇજિપ્તમાં એ સમયે દસ લાખ જેટલા યહુદીઓ હતા. લીબિયા નજીક કૂરેની શહેર અને એની આસપાસના વિસ્તારોમાં મોટી સંખ્યામાં યહુદીઓ હતા.

આ વિસ્તારમાંથી કેટલાક યહુદીઓ ખ્રિસ્તી બન્યા. બાઇબલમાં આપણે વાંચીએ છીએ: “આલેકસાંદ્રિયાનો વતની આપોલસ,” “કેટલાએક સૈપ્રસના તથા કુરેનીના માણસો,” અને “કુરેનીનો લુકીઅસ” કે જેઓ સીરિયાના અંત્યોખના મંડળમાં સેવા આપતા હતા. (પ્રેરિતોનાં કૃત્યો ૨:૧૦; ૧૧:૧૯, ૨૦; ૧૩:૧; ૧૮:૨૪) બાઇબલમાં આ અહેવાલ પણ જોવા મળે છે કે સુવાર્તિક ફિલિપે ઇથિયોપિયાના ખોજાને સાક્ષી આપી હતી. આ અહેવાલો સિવાય પ્રથમ સદીમાં ઇજિપ્ત અને એના આસપાસના વિસ્તારોમાં થયેલા કાર્યો વિષે બાઇબલ કંઈ જણાવતું નથી.—પ્રેરિતોનાં કૃત્યો ૮:૨૬-૩૯.

બાબેલોનના પારથીયા, માદાય અને ઈલામમાં પણ વધારે પ્રમાણમાં યહુદીઓ હતા. એક ઇતિહાસકાર કહે છે, “તાઈગ્રિસ અને યુફ્રેટિસમાં, આર્મેનિયાથી ઈરાની અખાત સુધી તેમ જ ઉત્તર-પૂર્વ તરફ કાસ્પિયન સમુદ્ર અને પૂર્વમાં માદાય સુધી, એમ દરેક વિસ્તારમાં યહુદીઓની વસ્તી હતી.” એન્સાયક્લોપેડિયા જુડાઈકા બતાવે છે કે, ૮,૦૦,૦૦૦ કરતાં વધારે યહુદીઓની વસ્તી હતી. પ્રથમ સદીના યહુદી ઇતિહાસકાર જોસેફસ કહે છે કે બાબેલોનમાં રહેતા હજારો યહુદીઓ વાર્ષિક પર્વ માટે યરૂશાલેમમાં મુસાફરી કરતા હતા.

બાબેલોનમાંથી યરૂશાલેમમાં ગયેલા શ્રદ્ધાળુઓએ શું ૩૩ની સાલના પેન્તેકોસ્તના દિવસે બાપ્તિસ્મા લીધું હતું? આપણે એના વિષે કંઈ જાણતા નથી. પરંતુ એ દિવસે પ્રેષિત પીતરનો સંદેશો સાંભળ્યો હતો તેઓ મેસોપોટામ્યાના લોકો હતા. (પ્રેરિતોનાં કૃત્યો ૨:૯) આપણે એ જરૂર જાણીએ છીએ કે પ્રેષિત પીતર લગભગ ૬૨થી ૬૪ની સાલમાં બાબેલોનમાં હતા. તેમણે ત્યાંથી પોતાનો પહેલો અને બીજો પત્ર લખ્યો હશે. (૧ પીતર ૫:૧૩) બાબેલોનમાં ઘણા યહુદીઓ રહેતા હતા. તેથી ગલાતીના પત્રમાં જે સભાનો ઉલ્લેખ થયો છે એમાં પીતર, યોહાન અને યાકૂબને એ વિસ્તારમાં પ્રચાર કરવાનું કહેવામાં આવ્યું હતું.

યરૂશાલેમનું મંડળ અને યરૂશાલેમની બહાર રહેતા યહુદીઓ

યાકૂબ, યરૂશાલેમ મંડળના નિરીક્ષક હતા. પ્રચાર વિસ્તારની વહેંચણી કરવા મળેલી સભામાં તે પણ હાજર હતા. (પ્રેરિતોનાં કૃત્યો ૧૨:૧૨, ૧૭; ૧૫:૧૩; ગલાતી ૧:૧૮, ૧૯) પેન્તેકોસ્ત ૩૩ની સાલમાં યરૂશાલેમ બહાર રહેતા હજારો યહુદીઓને શુભસંદેશો સાંભળીને બાપ્તિસ્મા પામતા તેમણે પોતાની આંખે જોયું હતું.—પ્રેરિતોનાં કૃત્યો ૧:૧૪; ૨:૧, ૪૧.

એ સમયે અને ત્યાર પછી વાર્ષિક ઉત્સવ માટે હજારો યહુદીઓ યરૂશાલેમ આવતા. શહેર ખીચોખીચ ભરાઈ જતું. તેથી તેઓને નજીકના ગામડાંઓમાં અથવા તો તંબૂઓમાં રહેવું પડતું. એન્સાયક્લોપેડિયા જુડાઈકા બતાવે છે, આ શ્રદ્ધાળુઓ પોતાના મિત્રોને મળતા હતા એટલું જ નહિ, યરૂશાલેમના મંદિરમાં ભક્તિ કરવા જતા, બલિદાનો આપતા અને તોરાહનો અભ્યાસ કરતા હતા.

યાકૂબ અને યરૂશાલેમ મંડળના બીજા સભ્યો બહારથી આવેલા આ યહુદીઓને શુભસંદેશો જણાવવાની તક ઝડપી લેતા હતા. પ્રેષિતોએ પણ એ સમયે પ્રચાર કર્યો હતો, પણ “યરૂશાલેમની મંડળી પર ભારે સતાવણી શરૂ થઈ.” તેથી તેઓએ સાવધાનીથી પ્રચાર કર્યો હશે, ખાસ તો સ્તેફનના મરણ પછી. (પ્રેરિતોનાં કૃત્યો ૮:૧) અહેવાલ બતાવે છે કે સતાવણીને લીધે ખ્રિસ્તીઓનો ઉત્સાહ ઠંડો ન પડ્યો, પણ વધતો ગયો. પરિણામે, વધુ ને વધુ લોકો યહોવાહની ભક્તિ કરવા લાગ્યા.—પ્રેરિતોનાં કૃત્યો ૫:૪૨; ૮:૪; ૯:૩૧.

આપણે શું શીખી શકીએ?

શરૂઆતના ખ્રિસ્તીઓએ યહુદીઓ રહેતા હતા ત્યાં તેઓને મળવા ખંતીલા પ્રયત્નો કર્યા. એ જ સમયે, પાઊલ અને બીજાઓએ યુરોપમાં યહુદીઓ ન હતા તેઓને શુભ સંદેશો જણાવ્યો. આમ તેઓએ ઈસુની આજ્ઞા પાળી. ઈસુએ પોતાના અનુયાયીઓને “સર્વ દેશનાઓને” શિષ્ય બનાવવાની આજ્ઞા આપી હતી.—માત્થી ૨૮:૧૯, ૨૦.

તેઓના ઉદાહરણમાંથી આપણે શીખી શકીએ છીએ કે યહોવાહની મદદ મેળવવા માટે આપણે સંગઠિત રીતે પ્રચાર કરીએ એ મહત્ત્વનું છે. આપણે એ પણ શીખીએ છીએ કે પરમેશ્વરના શબ્દ, બાઇબલને માન આપતા લોકોને સુસમાચાર જણાવવાથી કેવો આશીર્વાદ મળે છે. એમાંય ખાસ કરીને યહોવાહના સાક્ષીઓ ઓછા હોય એવા વિસ્તારમાં વધારે આશીર્વાદ મળે છે. શું તમારા મંડળને સોંપેલો કોઈ પ્રચાર વિસ્તાર વધારે ફળદ્રુપ છે? જો હોય તો, આવા વિસ્તારમાં વારંવાર પ્રચાર કરવો લાભદાયી છે. શું તમારા વિસ્તારમાં એવા કોઈ જાહેર પ્રસંગો થાય છે કે જ્યારે તમે ત્યાં આવતા-જતા અથવા રસ્તા પર લોકોને સાક્ષી આપી શકો?

બાઇબલમાં ફક્ત શરૂઆતના ખ્રિસ્તીઓ વિષે વાંચીને જ નહિ, પરંતુ એની સાથે જોડાયેલી ઘટનાઓ અને તેઓએ ક્યાં-ક્યાં પ્રચાર કર્યો વગેરે જાણવાથી પણ ઘણું બધું શીખી શકીએ છીએ. આ વિષયમાં આપણી સમજણ વધારવા માટે “સી ધ ગુડ લેન્ડ” પુસ્તિકા ઘણી મદદરૂપ છે, જેમાં નકશાઓ અને ચિત્રો આપવામાં આવ્યા છે.

[ફુટનોટ્‌સ]

^ આ સભા પ્રથમ સદીમાં એ સમયે થઈ હશે જ્યારે ગવર્નિંગ બોડીના ભાઈઓ સુન્‍નતના વિષયની ચર્ચા કરવા ભેગા મળ્યા હતા.—પ્રેરિતોનાં કૃત્યો ૧૫:૬-૨૯.

^ આ લેખ પ્રેષિત પાઊલે વિદેશીઓમાં જે કાર્યો કર્યા એના પર નહિ પણ, યહુદીઓને પ્રચાર કર્યો એના પર ધ્યાન આપે છે.—રૂમી ૧૧:૧૩.

[પાન ૧૪ પર ચાર્ટ]

ઈસ્રાએલથી બહાર રહેતા યહુદીઓ માટે પ્રેરિત પાઊલની ચિંતા

યરૂશાલેમમાં ૪૯ની સાલમાં થયેલી સભા પહેલાં

પ્રેરિતોનાં કૃત્યો ૯:૧૯, ૨૦ દમાસ્કસ —“સભાસ્થાનોમાં ઈસુને પ્રગટ

કર્યો”

પ્રેરિતોનાં કૃત્યો ૯:૨૯ યરૂશાલેમ —“ગ્રીક યહુદીઓ સાથે

વાદવિવાદ કરતો હતો”

પ્રેરિતોનાં કૃત્યો ૧૩:૫ સાલામીસ, સૈપ્રસ —“યહુદીઓનાં

સભાસ્થાનોમાં દેવનું વચન

પ્રગટ કર્યું”

પ્રેરિતોનાં કૃત્યો ૧૩:૧૪ પીસીદીના અંત્યોખ —‘સભાસ્થાનમાં

ગયા’

પ્રેરિતોનાં કૃત્યો ૧૪:૧ ઈકોની —“યહુદીઓના સભાસ્થાનમાં

ગયા”

યરૂશાલેમમાં ઈસવીસન ૪૯માં થયેલી સભા પછી

પ્રેરિતોનાં કૃત્યો ૧૬:૧૪ ફિલિપ્પી —‘લુદીઆ ઈશ્વરભક્ત હતી’

પ્રેરિતોનાં કૃત્યો ૧૭:૧ થેસ્સાલોનીકા —“યહુદીઓનું એક

સભાસ્થાન”

પ્રેરિતોનાં કૃત્યો ૧૭:૧૦ બેરીઆ —“યહુદીઓના સભાસ્થાન”

પ્રેરિતોનાં કૃત્યો ૧૭:૧૭ આથેન્સ —‘સભાસ્થાનમાં યહુદીઓ સાથે

વાદવિવાદ’

પ્રેરિતોનાં કૃત્યો ૧૮:૪ કોરીંથ —“સભાસ્થાનમાં જઈને વાદવિવાદ

કરતો હતો”

પ્રેરિતોનાં કૃત્યો ૧૮:૧૯ એફેસસ —“સભાસ્થાનમાં જઈને યહુદીઓની

સાથે વાદવિવાદ કર્યો”

પ્રેરિતોનાં કૃત્યો ૧૯:૮ એફેસસ —“સભાસ્થાનમાં જઈને તેણે ત્રણ

મહિના સુધી હિંમતથી બોધ કર્યો”

પ્રેરિતોનાં કૃત્યો ૨૮:૧૭ રોમ —“યહુદીઓના મુખ્ય માણસોને

બોલાવીને ભેગા કર્યા”

[પાન ૧૫ પર નકશા]

(લેખને છપાયો છે એવો જોવા એ પ્રકાશનમાં જુઓ)

તેત્રીસની સાલમાં પેન્તેકોસ્તના દિવસે શુભસંદેશો સાંભળનારાઓ દૂર દૂરના વિસ્તારોમાંથી આવ્યા હતા

ઈલુરીકમ

ઈટાલી

રોમ

મકદોનિયા

ગ્રીસ

આથેન્સ

ક્રેત

કુરેની

લિબીયા

બીથુનીઆ

ગલાતીયા

એશિયા

ફ્રુગિયા

પાંફુલ્યા

સૈપ્રસ

ઇજિપ્ત

ઇથિયોપિયા

પંતસ

કાપાદોકિયા

કીલિકીઆ

મેસોપોટામ્યા

સિરિયા

સમરૂન

યરૂશાલેમ

હુદાહ

માદાય

બાબેલોન

એલામ

અરબસ્તાન

પારથિયા

[Bodies of water]

ભૂમધ્ય સમુદ્ર

કાળો સમુદ્ર

રાતો સમુદ્ર

ઈરાની અખાત