સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

યહોવાહ ક્યારેય તમને તરછોડશે નહિ

યહોવાહ ક્યારેય તમને તરછોડશે નહિ

યહોવાહ ક્યારેય તમને તરછોડશે નહિ

યહુદાના ખ્રિસ્તીઓનો સખત વિરોધ થતો હતો. એ સમયે લોકો ધન-દોલત કમાવા પાછળ પડ્યા હતા. પરંતુ, સાચા ખ્રિસ્તીઓ કોશિશ કરતા હતા કે તેઓ દુનિયાના લોકો જેવા ન બને. તેઓને ઉત્તેજન આપવા પાઊલે યહોવાહના એ શબ્દો યાદ કરાવ્યા જે ઈસ્રાએલીઓને વચનના દેશમાં પ્રવેશતા પહેલાં કહ્યા હતા. પાઊલે લખ્યું: “હું તને કદી મૂકી દઈશ નહિ, અને તને તજીશ પણ નહિ.” (હેબ્રી ૧૩:૫; પુનર્નિયમ ૩૧:૬) ખરેખર, આ વચનથી પ્રથમ સદીના ખ્રિસ્તીઓને ઘણું ઉત્તેજન મળ્યું હશે.

આપણે “છેલ્લા સમયમાં” જીવતા હોવાથી આપણા પર પણ ઘણી મુશ્કેલીઓ આવે છે. આ વચન આપણને મુશ્કેલીઓનો સામનો કરવા મદદ કરે છે. (૨ તીમોથી ૩:૧) આપણે યહોવાહ પર ભરોસો રાખીને કામ કરીશું તો, તે મુશ્કેલીઓના સમયમાં પણ આપણી સંભાળ રાખશે. યહોવાહ પોતાનું વચન કઈ રીતે પૂરું કરી શકે છે એ જાણવા ચાલો આપણે એક દાખલો જોઈએ. એ છે, અચાનક નોકરી છૂટી જવી.

અચાનક સંજોગો બદલાય ત્યારે શું કરવું

આખી દુનિયામાં બેકારી દિવસે દિવસે વધતી જાય છે. એક પૉલિશ મૅગેઝિન બેકારી વિષે કહે છે, ‘એ આજના સમાજની સૌથી મોટી આર્થિક સમસ્યા છે.’ અમીર દેશોના પણ એવા જ હાલ છે. દાખલા તરીકે, પોલૅન્ડની ‘સેન્ટ્રલ સ્ટેટિસ્ટિકલ ઑફિસ’ મુજબ ડિસેમ્બર ૨૦૦૩માં ૩૦ લાખ લોકો પાસે નોકરી ન હતી. એનો અર્થ કે “કામ કરી શકે એ ઉંમરના ૧૮ ટકા લોકો બેરોજગાર હતા.” એક ખબર પ્રમાણે ૨૦૦૨માં દક્ષિણ આફ્રિકામાં બેકારીનો દર ૪૭.૮ ટકા સુધી પહોંચી ગયો હતો.

ઘણા લોકોને ડર હોય છે કે તેઓને નોકરી નહિ મળે, કે પછી અચાનક નોકરીમાંથી કાઢી મૂકવામાં આવશે. એમાંથી યહોવાહના સેવકો કંઈ બાકાત નથી. કેમ કે, ‘સમય અને સંજોગોની’ અસર સર્વ પર આવે છે. (સભાશિક્ષક ૯:૧૧, CL) આપણે પણ એવા સંજોગોમાં આવી પડીને ગીતકર્તા દાઊદની જેમ પોકારી ઊઠીએ: “મારા મનનું દુઃખ વધી ગયું છે.” (ગીતશાસ્ત્ર ૨૫:૧૭) શું તમે આવી મુશ્કેલીઓનો સામનો કરી શકશો? એ મુશ્કેલીઓને કારણે તમે ચિંતામાં પડી જાવ, પરમેશ્વરની સેવામાં ઠંડા પડી જાવ, કે પછી તંગીમાંથી ગુજરવું પડે. જો તમારી નોકરી જતી રહે તો, શું તમે ફરીથી તમારી હાલત સુધારી શકો?

ભાવનાનો સામનો કરવો

મનોવિજ્ઞાની જાનૂશ વીએંટશિંસ્કી કહે છે કે પેઢીઓથી પુરુષો પરિવારનું ભરણ-પોષણ કરતા આવ્યા છે. તેથી, “નોકરી જતી રહે ત્યારે એની સૌથી વધારે અસર પુરુષો પર પડે છે.” તે આગળ કહે છે કે બેરોજગાર થવાથી ‘માણસના સ્વભાવને, તેમ જ તેની લાગણીને અસર થઈ શકે છે.’ ક્યારેક તે ગુસ્સે થઈ જશે, તો ક્યારેક ગુમસૂમ બેસી રહેશે. નોકરીમાંથી કાઢી મૂકવામાં આવે ત્યારે પિતા કદાચ પોતાનું સ્વમાન ગુમાવી બેસે, અને ‘પરિવાર સાથે નાની નાની વાતમાં ઝઘડવાનું’ શરૂ કરી શકે.

આદમ નામના ખ્રિસ્તી ભાઈનો વિચાર કરો. તેમને બે બાળકો પણ છે. નોકરી જતી રહેવાથી તેમને કેવું લાગ્યું એ જણાવતા તે કહે છે: “હું નાની નાની વાતોમાં ગુસ્સે થઈ જતો અને ચિડાયેલો રહેતો. રાત્રે એવા જ સપનાં આવતાં કે નોકરીનું શું થશે, પત્ની અને બાળકોનું કઈ રીતે પૂરું કરીશ. મારી પત્નીની પણ અચાનક નોકરી જતી રહી હતી.” હવે રિશાર્ડ અને મારીઓલા નામના યુગલનો વિચાર કરો. તેમને પણ એક દીકરી છે. તેઓની રોજીરોટી છીનવાઈ ગઈ ત્યારે તેઓ પર બૅંક લોનનું મોટું દેવું હતું. પત્ની કહે છે: “મારી તો ઊંઘ જ હરામ થઈ ગઈ હતી. બૅંકમાંથી લોન લેવા બદલ બહુ દુઃખ થતું હતું. હું હંમેશા વિચારતી કે મેં શા માટે લોન લીધી. એ મારી જ ભૂલ છે.” આવા સમયે આપણે સહેલાઈથી ગુસ્સે થઈ શકીએ, ચિંતા કરવા લાગીએ અને આપણી ભાવનાઓ કચડાઈ જઈ શકે. આવી ખોટી ભાવનાઓ ઊભરાય ત્યારે આપણે કઈ રીતે મનની શાંતિ જાળવી શકીએ?

આવા સંજોગોમાં બાઇબલ આપણને સરસ સલાહ આપે છે. પ્રેષિત પાઊલ કહે છે: “કશાની ચિંતા ન કરો; પણ દરેક બાબતમાં પ્રાર્થના તથા વિનંતીઓ વડે ઉપકારસ્તુતિસહિત તમારી અરજો દેવને જણાવો. અને દેવની શાંતિ જે સર્વ સમજશક્તિની બહાર છે, તે ખ્રિસ્ત ઈસુમાં તમારાં હૃદયોની તથા મનોની સંભાળ રાખશે.” (ફિલિપી ૪:૬, ૭) યહોવાહને પ્રાર્થના કરવાથી આપણને “દેવની શાંતિ” મળશે. એટલે કે આપણે તેમના પર ભરોસો રાખીશું તો, મનની શાંતિ મળશે. આદમની પત્ની ઈરેના કહે છે: “અમે પ્રાર્થનામાં યહોવાહને અમારી મુશ્કેલી જણાવી. અમારું જીવન કઈ રીતે હજુ સાદું બનાવી શકીએ એ પણ વિચાર કર્યો. મારા પતિને મારા કરતાં વધારે ચિંતા હતી. પણ પ્રાર્થના કર્યા પછી તેમને લાગ્યું કે આ મુશ્કેલીનો હલ જરૂર નીકળશે.”

જો અચાનક તમારી નોકરી છૂટી ગઈ હોય તો, તમે ઈસુએ પહાડ પર આપેલા ઉપદેશને ધ્યાનમાં રાખી શકો: “હું તમને કહું છું કે તમારા જીવને સારૂ ચિંતા ન કરો, કે અમે શું ખાઈશું અથવા શું પીઈશું; અને તમારા શરીરને સારૂ ચિંતા ન કરો, કે અમે શું પહેરીશું. . . . પણ તમે પહેલાં તેના રાજ્યને તથા તેના ન્યાયીપણાને શોધો, એટલે એ બધાં વાનાં પણ તમને અપાશે.” (માત્થી ૬:૨૫, ૩૩) રિશાર્ડ અને મારીઓલાએ પોતાની ભાવનાઓ પર કાબૂ મેળવવા આ સલાહ લાગુ પાડી. મારીઓલા કહે છે: “મારા પતિ હંમેશા મને દિલાસો આપતા અને કહેતા કે યહોવાહ ક્યારેય આપણને એકલા છોડી નહિ દે.” રિશાર્ડ કહે છે: “વારંવાર સાથે મળીને પરમેશ્વરને પ્રાર્થના કરવાથી પરમેશ્વરમાં અમારી શ્રદ્ધા વધી અને અમારા વચ્ચેનો સંબંધ પણ ગાઢ થયો. એનાથી અમને ઘણો દિલાસો મળ્યો.”

પરમેશ્વર આપણને મદદ કરશે. એ આપણામાં સંયમનો ગુણ વધારવા મદદ કરે છે. પરમેશ્વરની મદદથી આપણે પોતાના પર અને આપણી ભાવનાઓ પર કાબૂ રાખી શકીશું. (ગલાતી ૫:૨૨, ૨૩) જોકે આમ કરવું સહેલું નથી, પણ જરૂર શક્ય છે. કેમ કે, ઈસુએ વચન આપ્યું છે, “આકાશમાંના બાપની પાસેથી જેઓ માગે, તેમને તે પવિત્ર આત્મા આપશે.”—લુક ૧૧:૧૩; ૧ યોહાન ૫:૧૪, ૧૫.

પરમેશ્વરની ભક્તિ કરવાનું પડતું ન મૂકો

જો અચાનક નોકરી જતી રહે તો, યહોવાહનો ભક્ત પણ હતાશ થઈ શકે છે. પરંતુ, આપણે ક્યારેય પરમેશ્વરની ભક્તિમાં ઠંડા પડવું ન જોઈએ. દાખલા તરીકે, ઈશ્વરભક્ત મુસાનો વિચાર કરો. ચાલીસ વર્ષની વયે તેમણે રાજ પરિવારમાંથી પોતાની મોટી પદવી ગુમાવી. જાણે રાજામાંથી રાંક બની ગયા. તેમણે એક મામૂલી ભરવાડ બનવું પડ્યું. મિસરના લોકો તો ભરવાડોને સખત નફરત કરતા હતા. આમ, મુસાની આખી જિંદગી બદલાઈ ગઈ. (ઉત્પત્તિ ૪૬:૩૪) મુસાએ નવા સંજોગો પ્રમાણે જીવતા શીખવાનું હતું. બીજાં ૪૦ વર્ષો માટે તેમણે પોતાને યહોવાહના હાથમાં સોંપી દીધા, જેથી તે તેમને નવી જવાબદારીઓ માટે તૈયાર કરી શકે. (નિર્ગમન ૨:૧૧-૨૨; પ્રેરિતોનાં કૃત્યો ૭:૨૯, ૩૦; હેબ્રી ૧૧:૨૪-૨૬) મુશ્કેલીઓમાં પણ મુસા પરમેશ્વરની ભક્તિમાં લાગુ રહ્યાં. યહોવાહની તાલીમ ખુશી ખુશી સ્વીકારી. આપણે પણ પાક્કો નિર્ણય લેવો જોઈએ કે ખરાબ સંજોગોમાં ક્યારેય પરમેશ્વરની ભક્તિ કરવામાં પડતું ન મૂકીએ.

ખરું કે અચાનક નોકરી જતી રહે તો, આપણને આઘાત લાગી શકે. પણ એવા સમયમાં યહોવાહ પરમેશ્વર અને તેમના ભક્તો સાથેનો સંબંધ ગાઢ કરવા માટે આ સૌથી સારી તક છે. આપણે ઉપરના ફકરામાં જોઈ ગયા, એ આદમભાઈએ પણ આમ જ અનુભવ્યું. તે કહે છે: “અમારા બંનેની નોકરી જતી રહી ત્યારે એક વાર પણ અમે એવું ન વિચાર્યું કે મિટિંગમાં નહીં જઈએ અથવા પ્રચારમાં ન જઈએ. આમ કરવાથી અમે કાલની ચિંતા કરવાનું ટાળી શક્યા.” રિશાર્ડે પણ આમ જ અનુભવ્યું: “મિટિંગ અને સેવાકાર્યને લીધે અમે ખરાબ સમયનો સામનો કરી શક્યા. મિટિંગ અને પ્રચારમાં ન ગયા હોત તો, ચિંતાઓના બોજથી દબાઈ ગયા હોત. ભાઈબહેનો સાથે વાત કરવાથી અને પ્રચારમાં જવાથી ઘણું ઉત્તેજન મળે છે. એનાથી આપણે આપણી જરૂરિયાતો કરતાં બીજાઓની જરૂરિયાતો પર ધ્યાન આપવા લાગીએ છીએ.”—ફિલિપી ૨:૪.

હા, નોકરી વિષે વધારે ચિંતા ન કરો. એના બદલે આપણી પાસે જે સમય છે એનો ઉપયોગ પરમેશ્વરની સેવામાં કરવો જોઈએ. જેમ કે, વ્યક્તિગત અભ્યાસ કરવો, મંડળના કામોમાં મદદ કરવી, અથવા પ્રચાર કામમાં વધારે સમય આપવો. આમ કરવાથી, આપણે ‘પ્રભુના કામમાં સદા મચ્યા રહીશું.’ (૧ કોરીંથી ૧૫:૫૮) એનાથી આપણને અને જેઓને રાજ્યનો સંદેશો જણાવીએ છીએ તેઓને પણ ખુશી મળશે.

તમારાં કુટુંબનું ભરણ-પોષણ કરો

જોકે ફક્ત પરમેશ્વરની સેવા કરવાથી પેટ નહિ ભરાય. આપણે બાઇબલના આ સિદ્ધાંતને પણ યાદ રાખવો જોઈએ: “જે માણસ પોતાની ને વિશેષે કરીને પોતાના કુટુંબની સંભાળ રાખતો નથી, તેણે વિશ્વાસનો ત્યાગ કર્યો છે, એમ સમજવું; તે તો અવિશ્વાસી કરતાં પણ ભૂંડો છે.” (૧ તીમોથી ૫:૮) આદમ કબૂલે છે: “મંડળના ભાઈઓ આપણને મુશ્કેલીમાં જોઈને તરત દોડી આવે છે. પણ યહોવાહના ભક્ત હોવાથી આપણી ફરજ છે કે આપણે નોકરી શોધીએ અને કુટુંબની જરૂરિયાતો પૂરી કરીએ.” આપણે ખાતરી રાખવી જોઈએ કે યહોવાહ અને તેમના લોકો આપણને ચોક્કસ મદદ કરશે. સાથે સાથે આપણે એ ન ભૂલીએ કે નોકરી શોધવા આપણે પોતે પહેલાં પગલાં લેવા જોઈએ.

આપણે કઈ રીતે પહેલ કરી શકીએ? આદમ સમજાવે છે: “પરમેશ્વર કોઈ ચમત્કાર કરશે એમ વિચારી હાથ જોડીને બેસી ન રહો. નોકરી શોધતી વખતે તમે યહોવાહના સાક્ષી છો એ જણાવતા અચકાશો નહિ. મોટા ભાગના માલિક યહોવાહના સાક્ષીઓની બહુ કદર કરે છે.” રિશાર્ડ સલાહ આપે છે: “તમે ઓળખીતાઓને કહો કે કોઈ નોકરી વિષે તેમને ખબર પડે તો તમને જાણ કરે. રોજગાર વિભાગમાં તપાસ કરતા રહો. જાહેરાતો વાંચો. જેમ કે, ‘નોકરી ખાલી છે, એક અપંગની સંભાળ માટે સ્ત્રીની જરૂર છે’; અથવા, ‘થોડા દિવસો માટેની નોકરી: ખેતરમાં કામ કરો.’ નોકરી શોધતા રહો! કોઈ પણ કામ કરવા તૈયાર રહો. પછી ભલેને એ તમારી મોટી મોટી ઇચ્છાઓ મુજબ ન હોય. આપણે કોઈ પણ નાનું-મોટું કામ કરવા તૈયાર રહેવું જોઈએ.”

હા, ‘યહોવાહ સહાય કરનાર છે.’ તે આપણને ‘મૂકી દેશે નહિ અને તજશે પણ નહિ.’ (હેબ્રી ૧૩:૫, ૬) આપણે વધારે પડતી ચિંતા કરવાની જરૂર નથી. ગીતકર્તા દાઊદે લખ્યું: “તારા માર્ગો યહોવાહને સોંપ; તેના પર ભરોસો રાખ, અને તે તને ફળીભૂત કરશે.” (ગીતશાસ્ત્ર ૩૭:૫) આપણા ‘માર્ગો યહોવાહને સોંપવાનો’ અર્થ થાય કે આપણે તેમના પર પૂરો ભરોસો રાખીએ અને ગમે તેવાં સંજોગોમાં પણ તેમના કહ્યાં પ્રમાણે કરીએ.

આદમ અને ઈરેના પોતાના દેશમાં ઘરો કે ઑફિસોની બારીઓ સાફ કરીને તથા મોટી મોટી બિલ્ડિંગોની સીડીઓ સાફ કરીને પોતાનો ગુજારો કરવા લાગ્યા. તેઓ કરકસર કરીને જીવતા. નોકરી માટે નિયમિત રોજગાર વિભાગમાં જતા. ઈરેના કહે છે: “અમને જરૂર હતી ત્યારે કંઈને કંઈ રીતે નાનું કામ મળી જતું.” તેમના પતિ, આદમ કહે છે: “અનુભવથી અમને જાણવા મળ્યું કે અમે જે વિષે પરમેશ્વરને પ્રાર્થના કરી એ તેમની ઇચ્છા પ્રમાણે ન હતી. એનાથી અમને શીખવા મળ્યું કે પોતાની સમજણ મુજબ કરવાને બદલે યહોવાહની બુદ્ધિ પર ભરોસો રાખવો જોઈએ. શાંત મને પરમેશ્વરના સમયની રાહ જોવામાં સમજદારી છે. તે આપણને મુશ્કેલીઓમાંથી બહાર નીકળવાનો માર્ગ બતાવશે.”—યાકૂબ ૧:૪.

રિશાર્ડ અને મારીઓલાએ પણ નાનું-મોટું કામ કર્યું. એ સાથે બહુ જરૂર હતી એવા વિસ્તારોમાં પ્રચાર કામ શરૂ કર્યું. રિશાર્ડ કહે છે: “અમારી પાસે ખાવાનું ખૂટી પડતું, એ જ સમયે અમને નોકરી મળતી. એનાથી અમારી જરૂરિયાત પૂરી થતી. અમે વધારે પગારની નોકરી સ્વીકારતા ન હતા. કેમ કે, અમે પરમેશ્વરની સેવામાં જવાબદારી નિભાવવામાં કોઈ અડચણ ચાહતા ન હતા. અમે યહોવાહની રાહ જોઈ.” તેઓનું માનવું છે કે યહોવાહે સંજોગોમાં ફેરબદલ કરી, તેથી તેઓને બહુ સસ્તામાં રહેવા માટે ઘર મળ્યું. રિશાર્ડને એક નોકરી પણ મળી ગઈ.

વ્યક્તિની રોજીરોટી જતી રહે એ ખરેખર દુઃખભર્યું હોય શકે. પણ આપણે એ તકનો લાભ ઉઠાવીને અનુભવીએ કે યહોવાહ આપણને ક્યારેય તજી દેશે નહિ, તો કેટલું સારું. યહોવાહ આપણી સંભાળ રાખે છે ને તેમની નજર આપણા પર છે. (૧ પીતર ૫:૬, ૭) તેમણે યશાયાહ પ્રબોધક દ્વારા વચન આપ્યું છે: “આમતેમ જોઈશ મા, કેમ કે હું તારો દેવ છું; મેં તને બળવાન કર્યો છે; વળી મેં તને સહાય કરી છે.” (યશાયાહ ૪૧:૧૦) નોકરી જતી રહે એવા કોઈ પણ સંજોગોમાં હિંમત ન હારો. તમારાથી બનતું બધું કરો અને બાકીનું યહોવાહ પર છોડી દો. પોતાના સંજોગો વિષે કચકચ કરવાને બદલે “શાંતિથી” યહોવાહની રાહ જુઓ. (યિર્મેયાહનો વિલાપ ૩:૨૬) પછી જુઓ કે તમને કેવા અઢળક આશીર્વાદ મળે છે.—યિર્મેયાહ ૧૭:૭.

[પાન ૯ પર ચિત્ર]

પરમેશ્વરની સેવામાં તમારા સમયનો ઉપયોગ કરો

[પાન ૧૦ પર ચિત્ર]

કરકસર કરતા શીખો, નોકરી શોધતી વખતે કંઈ પણ નાનું-મોટું કામ કરવા તૈયાર રહો