સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

એસ્તેર પુસ્તકનાં મુખ્ય વિચારો

એસ્તેર પુસ્તકનાં મુખ્ય વિચારો

યહોવાહનો શબ્દ જીવંત છે

એસ્તેર પુસ્તકનાં મુખ્ય વિચારો

યોજના નિષ્ફળ જાય, એવું બની જ ના શકે. એકે-એક યહુદીઓને પતાવી દેવાની આ યોજના સફળ થઈને જ રહેશે. તારીખ પણ નક્કી છે. એ દિવસે કૂશ દેશથી લઈને હિન્દ સુધી ફેલાયેલા રાજ્યમાં જેટલા પણ યહુદી છે, એ બધાના નામોનિશાન કાઢી નાખવામાં આવશે. આ બધી વાતો યુક્તિ કરનાર વિચારી રહ્યો હતો. પણ તે સૌથી મહત્ત્વની વાત ભૂલી ગયો. એ કે સ્વર્ગમાં રહેતા પરમેશ્વર પોતાના પસંદ કરેલા લોકોને એટલે યહુદીઓને ગમે તેવા સંજોગોમાંથી બચાવવા સમર્થ છે. કઈ રીતે? ચાલો આપણે બાઇબલમાંથી એસ્તેરનાં પુસ્તકમાં જોઈએ.

એસ્તેરનું પુસ્તક મોર્દખાય નામના વયોવૃદ્ધ યહુદીએ લખ્યું હતું. એમાં ઈરાની રાજા ઝરક્સીસ પ્રથમ કે અહાશ્વેરોશના ૧૮ વર્ષના શાસનકાળનો ઇતિહાસ નોંધવામાં આવ્યો છે. આ પુસ્તકમાં નાટકીય રીતે વર્ણવવામાં આવ્યું છે કે યહોવાહ પોતાના લોકોને દુશ્મનોના હાથમાંથી કેવી રીતે બચાવે છે. પછી ભલેને એમના લોકો આખા સામ્રાજ્યમાં દૂર-દૂર સુધી ફેલાયેલા હોય. આ ઇતિહાસથી યહોવાહના સેવકોનો વિશ્વાસ મજબૂત થાય છે. કેમ કે તેઓ પણ આજે ૨૩૫ દેશોમાં પરમેશ્વરની શુદ્ધ ઉપાસના કરે છે. એ ઉપરાંત, એસ્તેરનું પુસ્તક જણાવે છે કે આપણે કોનું ઉદાહરણ અનુસરવું જોઈએ અને કોનું નહીં. ખરેખર, “દેવનો શબ્દ જીવંત, સમર્થ” છે.—હેબ્રી ૪:૧૨.

રાણીને પગલાં લેવાં પડે છે

(એસ્તેર ૧:૧–૫:૧૪)

રાજા અહાશ્વેરોશ તેના શાસનના ત્રીજા વર્ષે (ઈ.સ. પૂર્વે ૪૯૩) શાહી મિજબાની આપે છે. વાશ્તી રાણી પોતાના સૌંદર્ય માટે ખૂબ જ પ્રખ્યાત હતી, પણ તે રાજાને નાખુશ કરે છે એટલા માટે રાજા તેનું રાણીપદ છીનવી લે છે. રાણીનાં પદ માટે સુંદર યહુદી કુમારિકા, હદાસ્સાહને પસંદ કરવામાં આવે છે. હદાસ્સાહે પોતાના કાકાના દીકરા મોર્દખાયના કહ્યા પ્રમાણે યહુદીના બદલે ઈરાની નામ એસ્તેરનો ઉપયોગ કરે છે.

થોડા સમય પછી એક ગર્વિષ્ઠ વ્યક્તિ, હામાનને રાજ્યનો મુખ્ય પ્રધાન બનાવવામાં આવે છે. મોર્દખાય “નમસ્કાર કરીને હામાનને માન” આપવાની ના પાડે છે, ત્યારે હામાન ખૂબ જ ગુસ્સે થાય છે. અને યહુદીઓનું આખા રાજ્યમાંથી નામનિશાન મિટાવી દેવાની યોજના ઘડવા લાગે છે. (એસ્તેર ૩:૨) હામાન, મોટા પાયા પર કતલ કરવાની યોજનાને પૂરી કરવા માટે અહાશ્વેરોશ રાજાને મનાવી લે છે. અને રાજા પાસેથી હુકમ જાહેર કરવામાં સંપૂર્ણ રીતે સફળ થાય છે. તેથી મોર્દખાયે “તાટ પહેર્યું, અને રાખ ચોળી”ને વિલાપ કર્યો. (એસ્તેર ૪:૧) હવે એસ્તરે કંઈક કરવું પડશે. એસ્તેર એક મિજબાની રાખે છે જેમાં રાજા અને મુખ્ય પ્રધાનને આમંત્રણ આપે છે. તેઓ આનંદ માણી રહ્યાં હોય છે, ત્યારે એસ્તેર તેઓને બીજા દિવસે પણ હજુ એક મિજબાનીમાં આવવા માટે કહે છે. હામાન ખૂબ જ ખુશ થઈ જાય છે. પણ ફરીથી જ્યારે મોર્દખાય, હામાનને નમસ્કાર નથી કરતો ત્યારે એ ગુસ્સે થઈ જાય છે. અને બીજા દિવસની મિજબાની પહેલા મોર્દખાયને મારી નંખાવાની યોજના બનાવે છે.

સવાલ જવાબ:

૧:૩-૫—શું મિજબાની ૧૮૦ દિવસ ચાલી હતી? આ કલમ એવું નથી બતાવતી કે મિજબાની ૧૮૦ દિવસ (૬ માસ) ચાલી હતી. પણ આટલા દિવસો સુધી રાજા પોતાના પ્રખ્યાત સામ્રાજ્યની અઢળક સંપત્તિ અને ભારે જાહોજલાલી બતાવતા હતા. કદાચ આટલા લાંબા સમય સુધી રાજા પોતાના ખાસ પ્રધાનોને રાજ્યનો પ્રતાપ ઘણા ગર્વથી બતાવતા હશે. જેથી તેઓને પ્રભાવિત કરે અને ખાતરી કરાવી શકે કે તે પોતાની યોજનાને અમલમાં મૂકવા સક્ષમ છે. જો એવું હોય તો, કલમ ૩ અને ૫માં બતાવવામાં આવેલી મિજબાની ૭ દિવસની મિજબાની હોય શકે જે ૧૮૦ દિવસના અંતમાં રાખી હશે.

૧:૮—‘તે નિયમસર પીવામાં આવતો; કોઈએ બલાત્કાર એટલે બળજબરી કરી શકતું નહિ’ એનો શો અર્થ થાય? ઈરાનીઓમાં કદાચ એ નિયમ હતો કે મિજબાની વખતે લોકો એક-બીજાને અમુક હદ સુધી દારૂ પીવા માટે દબાણ કરી શકતા. પણ આ મિજબાની વખતે અહાશ્વેરોશ રાજાએ ખાસ છૂટ આપી હતી. એક પુસ્તક કહે છે: “જેની ઇચ્છા હોય એટલું વધારે કે ઓછું પી શકે.”

૧:૧૦-૧૨—શા માટે વાશ્તી રાણીએ રાજાની સામે આવવા વારંવાર નકાર કર્યો? અમુક વિદ્ધાનોનું કહેવું છે કે રાણીએ રાજાના હુકમનું પાલન નહીં કર્યું હોય કેમ કે તે સમજતી હશે કે “રાજાના મહેમાનો જે દારૂના નશામાં ચકચૂર હતા એવા લોકો સામે જવાથી પોતાનું અપમાન થશે.” કે પછી આ રાણી પોતાના સૌંદર્યને કારણે ઘમંડી બની ગઈ હશે. જો કે, બાઇબલ જણાવતું નથી કે તેણે કયા કારણસર રાજાની વાતને નકારી. પણ તે સમયના વિદ્ધાનો વિચારતા હતા કે પતિનું માનવું એ એક ગંભીર બાબત હતી. એટલા માટે વાશ્તી રાણીને સજા કરવી જરૂરી હતી, નહિતર સમગ્ર ઈરાનની પત્નીઓ પર એનો પ્રભાવ પડત.

૨:૧૪-૧૭—શું એસ્તરે રાજા સાથે વ્યભિચાર કર્યો હતો? જરાય નહીં. અહેવાલ બતાવે છે કે જે સ્ત્રીઓને રાજા પાસે લાવવામાં આવતી તેઓને સવારના બીજા ઘરમાં રાખવામાં આવતી હતી. તેઓ રાજાના ખોજા “ઉપપત્નીઓનો રક્ષક” પાસે જતી રહેતી. જે સ્ત્રીઓએ રાજા સાથે રાત ગાળી હોય તેઓ રખાત કે ઉપપત્નીઓ કહેવાતી. પણ એસ્તેર રાજાને મળ્યા પછી ઉપપત્નીઓના ઘરમાં ગઈ જ ન હતી. એસ્તરને અહાશ્વેરોશ રાજા પાસે લાવવામાં આવી ત્યારે “રાજાએ સર્વ સ્ત્રીઓ કરતાં એસ્તેર પર વધારે પ્રીતિ રાખી, અને તેણે તે પર સર્વ કુમારિકાઓ કરતાં વધારે કૃપા તથા મહેરબાની રાખી.” (એસ્તેર ૨:૧૭) કઈ રીતે તેણે રાજા અહાશ્વેરોશની “કૃપા તથા મહેરબાની” મેળવી? તેણે બીજાના દિલ જીતી લીધા હતા એ જ રીતે. “એ કુમારિકા તેને [હેગેને]પસંદ પડી, તેથી તેના પર મહેરબાની થઈ.” (એસ્તેર ૨:૮, ૯) હેગેએ એ પણ જોયું કે એસ્તેર સુંદર અને સારા સ્વભાવની છે. હકીકતમાં તો, “એસ્તેરને જોઈ તે સર્વેએ તેનાં વખાણ કર્યાં.” (એસ્તેર ૨:૧૫) એવી જ રીતે રાજાએ એસ્તેરને જોઈ ત્યારે તે પણ તેનાથી પ્રભાવિત થઈને તેને ચાહવા લાગ્યા.

૩:૨; ૫:૯—મોર્દખાયે હામાનની આગળ નમવાનો કેમ નકાર કર્યો? ઈસ્ત્રાએલીઓ, અધિકારીને આદર આપવા માટે આગળ નમીને સલામ કરે એમાં કશું જ ખોટું ન હતું. પણ હામાનના કિસ્સામાં વાત ખાલી આદર આપવાની ન હતી. હામાન અગાગી હતો, અને કદાચ અમાલેકી જાતિનો હતો. જેના માટે યહોવાહે પહેલેથી જ નક્કી કર્યું હતું કે તેઓનું નામો-નિશાન મિટાવી દેવું. (પુનર્નિયમ ૨૫:૧૯) તેથી મોર્દખાય માટે, હામાનની આગળ નમવું એટલે યહોવાહ સાથે વિશ્વાસઘાત કરવો. એટલા માટે તેમણે સ્પષ્ટ ના પાડીને કહ્યું કે પોતે એક યહુદી છે.—એસ્તેર ૩:૩, ૪.

આપણે શું શીખી શકીએ?

૨:૧૦, ૨૦; ૪:૧૨-૧૬. એસ્તેરે યહોવાહના અનુભવી ઉપાસકની શિખામણ સાંભળીને તેમની સલાહ અનુસરી. એવી જ રીતે, એ ડહાપણ ભરેલું છે કે આપણે પણ ‘આગેવાનોની આજ્ઞાઓ પાળીને તેઓને આધીન રહીએ.’—હેબ્રી ૧૩:૧૭.

૨:૧૧; ૪:૫. ‘દરેકે પોતાના હિત પર જ નહિ, પણ બીજાઓના હિત પર લક્ષ રાખવું’ જોઈએ.—ફિલિપી ૨:૪.

૨:૧૫. એસ્તેરે હેગેએ જે ઝવેરાત અને સારા કપડાં આપ્યા હતા, એટલામાં જ તે સંતોષી રહી અને નમ્રતા બતાવી. અને “અંતઃકરણમાં રહેલા ગુપ્ત મનુષ્યત્વનો, એટલે દીન તથા નમ્ર આત્માનો” આવા ગુણોને લીધે એસ્તેરે રાજાનું મન જીતી લીધું.—૧ પીતર ૩:૪.

૨:૨૧-૨૩. એસ્તેર અને મોર્દખાય, “મુખ્ય અધિકારીઓને આધીન” રહેવા માટે સુંદર ઉદાહરણ છે.—રૂમી ૧૩:૧.

૩:૪. અમુક પરિસ્થિતિમાં એસ્તરની જેમ પોતાની ઓળખ છુપાવવામાં જ સમજદારી હોય શકે. પણ અમુક મહત્ત્વનાં નિર્ણય લેવાના હોય ત્યારે શું? યહોવાહની સત્તાને સ્વીકારવાની અને તેમને વફાદાર રહેવાની બાબત હોય, ત્યારે આપણે ગભરાયા વગર જણાવવું જોઈએ કે આપણે યહોવાહના સાક્ષી છીએ.

૪:૩. જ્યારે આપણા પર સતાવણીઓ આવે, ત્યારે આપણે યહોવાહ પરમેશ્વરને હિંમત અને ડહાપણ માટે પ્રાર્થના કરવી જોઈએ.

૪:૬-૮. મોર્દખાયે હામાનની યોજનાથી ઊભા થયેલા ખતરાને ટાળવા માટે કાયદાની મદદ લીધી.—ફિલિપી ૧:૭.

૪:૧૪. મોર્દખાયે, યહોવાહ પર ભરોસો રાખવા માટે એક સરસ ઉદાહરણ બેસાડ્યું.

૪:૧૬. યહોવાહ પર ભરોસો રાખીને, એસ્તેરે વિશ્વાસથી અને હિંમતથી એવી પરિસ્થિતિનો સામનો કર્યો જેમા તેનો જીવ પણ જઈ શકતો હતો. આપણા માટે પણ એ ખૂબ જ જરૂરી છે કે આપણે પણ યહોવાહ પરમેશ્વર પર ભરોસો રાખતા શીખીએ.

૫:૬-૮. અહાશ્વેરોશની કૃપા પામવા માટે એસ્તેરે બીજી મિજબાનીનું આમંત્રણ આપ્યું. એસ્તેરે સમજી વિચારીને કામ પાર પાડ્યું એવી રીતે આપણે પણ કરવાની જરૂર છે.—નીતિવચનો ૧૪:૧૫.

એક પછી એક બાજી પલટાઈ ગઈ

(એસ્તેર ૬:૧–૧૦:૩)

જે ખાડો ખોદે તે પડે. હામાનની સાથે એવું જ થાય છે. જે ફાંસીનો ફંદો તેણે મોર્દખાય માટે બનાવ્યો હતો એના પર તેને ચડવું પડે છે! અને તેની જગ્યાએ મોર્દખાયને મુખ્ય પ્રધાન બનાવવામાં આવે છે. પરંતુ યહુદીઓનો સર્વનાશ કરવાની યોજના વિશે શું? એની પણ બાજી પલટાઈ ગઈ.

વફાદાર એસ્તેર પોતાના જીવને જોખમમાં મૂકી, ફરી એક વાર વિનંતી કરવા રાજા સામે આવે છે. જેથી તે ગમે તે રીતે હામાનની યોજનાને નિષ્ફળ કરવાનો ઉપાય શોધી શકે. રાજા અહાશ્વેરોશ સમજી જાય છે કે આગળ શું કરવાની જરૂર છે. યહુદીઓનો નાશ કરવાનો વખત આવે છે ત્યારે યહુદીઓને બદલે તેમના વિરોધીઓનો જ નાશ થાય છે. મોર્દખાય આ મહાન છુટકારાને યાદ કરવા માટે દર વર્ષે પૂરીમ નામનો પર્વ ઊજવવાનો હુકમ બહાર પાડે છે. આખા રાજ્યમાં રાજા અહાશ્વેરોશ પછી સૌથી શકિતશાળી વ્યક્તિ મોર્દખાય બને છે અને એટલા માટે તે હંમેશાં “પોતાના લોકોનું હિત શોધતો અને તેઓ વધારે ને વધારે આબાદ થાય તે માટે યત્ન કરતો હતો.”—એસ્તેર ૧૦:૩.

સવાલ જવાબ:

૭:૪—જો યહુદીઓનો પૂરેપૂરો નાશ કરવામાં આવ્યો હોત, તો કયું “નુકસાન રાજાને” થાત? એસ્તેરે ઘણી ચતુરાઈથી એ શક્યતા પર રાજાનું ઘ્યાન દોર્યું કે જો યહુદીઓને ગુલામો તરીકે વેચવામાં આવે તો વધારે ફાયદો થાત. અને આ રીતે એસ્તેરે બતાવ્યું કે એમને મારી નાખવાથી રાજાને કેટલું મોટું નુકસાન થાત. હામાને યહુદીઓને મારી નાખવા માટે રાજાના ખજાનામાં ૧૦,૦૦૦ તાલંત રૂપું આપવાનું વચન આપ્યું હતું, પણ જો તે યહુદીઓને ગુલામ તરીકે વેચવાની યોજના વિચારત તો રાજાના ખજાનામાં ઘણું વધારે ધન પ્રાપ્ત થાત. એના બદલે, હામાનની યોજનાને પૂરી કરવી એટલે કે રાજાએ પોતાની રાણીને પણ ગુમાવવી પડત.

૭:૮—રાજાના સેવકોએ હામાનનું મોં કેમ ઢાંકી દીધું? આ કદાચ એવું બતાવે છે કે હામાને જે કામ કર્યુ તે શરમજનક છે. અથવા તેના પર જલદી જ વિનાશ આવવાનો છે. એક પુસ્તક કહે છે: “પ્રાચીન સમયમાં મોતની સજા મળનાર વ્યક્તિનું ઘણી વાર મોંઢું ઢાંકી દેવામાં આવતું.”

૮:૧૭—“અને તે દેશના લોકમાંના ઘણાક તો યહુદી થઈ ગયા,” એ કેવી રીતના બન્યું? ઘણા ઈરાની લોકો ધર્માંતર કરી ને યહુદીઓ બન્યા. તેઓએ વિચાર્યું હશે કે જો યહુદીઓને બચાવવાં માટે નિયમ બદલાવવામાં આવ્યો હોય તો એ બતાવે છે કે ઈશ્વરની કૃપા યહુદીઓ પર છે. આજ બાબત આજે પણ અસરકારક છે જે ઝખાર્યાના પુસ્તકમાં જોવા મળતી ભવિષ્યવાણીને સાચી પાડે છે. જે કહે છે: “દરેક ભાષા બોલનારી પ્રજાઓમાંથી દશ માણસો કોઈ એક યહુદી માણસની ચાળ પકડીને કહેશે, કે અમે તારી સાથે આવીશું, કેમકે અમે સાંભળ્યું છે કે દેવ તમારી સાથે છે.”—ઝખાર્યાહ ૮:૨૩.

૯:૧૦, ૧૫, ૧૬—બહાર પડેલા હુકમ અનુસાર યહુદી પોતાના દુશ્મનનું ધન લૂંટી શકતા હતાં. પણ તેઓએ એમ કેમ ન કર્યું? એવું કરવાથી યહુદીઓએ બતાવ્યું કે તેઓનો ઇરાદો પોતાનો જીવ બચાવાનો હતો, નહીં કે બીજાને લૂંટીને પૈસાદાર થવાનો.

આપણે શું શીખી શકીએ?

૬:૬-૧૦. “અભિમાનનું પરિણામ નાશ છે, અને ગર્વિષ્ટ સ્વભાવનું છેવટ પાયમાલી છે.”—નીતિવચનો ૧૬:૧૮.

૭:૩, ૪. શું આપણે હિંમતથી બતાવીએ છીએ કે આપણે યહોવાહના સાક્ષી છીએ, પછી ભલેને એના માટે આપણને સતાવવામાં આવે.

૮:૩-૬. દુશ્મનોથી પોતાનું રક્ષણ કરવા માટે આપણે સરકારી અધિકારીઓની અને અદાલતની મદદ લઈ શકીએ છીએ.

૮:૫. એસ્તેરે કુશળતાથી વાત કરી, તેણે રાજાનો દોષ કાઢ્યો નહિ કે તેમણે યહુદીઓને મારી નાખવાનો હુકમ બહાર પાડ્યો છે. એવી જ રીતે આપણે પણ કુશળતાથી અધિકારીઓને સાક્ષી આપવી જોઈએ.

૯:૨૨. આપણે કદી પણ આપણી મધ્યેના ગરીબ લોકોને ભૂલવા જોઈએ નહીં.—ગલાતી ૨:૧૦.

“મદદ તથા બચાવ” કરનાર યહોવાહ

મોર્દખાયે એ વાત પર ધ્યાન દોર્યું કે, એસ્તેરનું રાણી બનવું એ પરમેશ્વરનો હેતુ છે. તેઓના જીવ જોખમમાં હતા ત્યારે યહુદીઓએ ઉપવાસ કર્યો અને મદદ માટે યહોવાહને પ્રાર્થના કરી. રાણીને બોલાવ્યાં વગર તે રાજાની સમક્ષ જતી તોપણ દર વખતે તેનો આદરપૂર્વક આવકાર કરવામાં આવતો. જે રાતે પરમેશ્વર દરેક યોજનાને પલટી નાખવાના હતાં, એ રાતે રાજાની ઊંઘ પણ ઊડી જાય છે. ખરેખર, એસ્તેરનું પુસ્તક એ બતાવે છે કે યહોવાહ પરમેશ્વર પોતાના લોકોને બચાવવાં માટે કઈ રીતે પરિસ્થિતિને બદલી નાખે છે.

એસ્તેરના પુસ્તકમાં આ અહેવાલ, ખાસ કરીને આ ‘અંતના સમયમાં’ આપણને ઘણું ઉત્તેજન આપે છે. (દાનીયેલ ૧૨:૪) “પાછલા દિવસોમાં” કે પછી આ અંતના સમયના છેલ્લા ભાગમાં, માગોગ દેશનો ગોગ એટલે શેતાન, યહોવાહના લોકો પર ચારેય બાજુથી હુમલા કરશે. તે દરેક સાચા ઉપાસકનો સંહાર કરી નાખવા ચાહે છે. પણ એસ્તેરનાં દિવસોની જેમ, યહોવાહ પોતાના ઉપાસકોને ચોકકસ “મદદ તથા બચાવ” પૂરાં પાડશે.—હઝકીએલ ૩૮:૧૬-૨૩; એસ્તેર ૪:૧૪. (w06 3/1)

[પાન ૪ પર ચિત્ર]

એસ્તેર અને મોર્દખાય, રાજા અહાશ્વેરોશની સામે