સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

હમણાં જીવનનો આનંદ માણો!

હમણાં જીવનનો આનંદ માણો!

હમણાં જીવનનો આનંદ માણો!

આજે લોકો પૈસા કમાવા ને શૉપિંગ માટે જ જીવે છે. ઘણા મશહૂર બનવાની કોશિશ કરે છે. કેટલાક કળામાં ઉસ્તાદ બનવા પ્રયત્ન કરે છે. અમુક તો સમાજસેવા માટે જ જીવે છે. ભલે તેઓના સપના ગમે તે હોય, મોટા ભાગના લોકોને ખબર જ નથી કે તેઓના જીવનનો મકસદ શું છે.

તમારા વિષે શું? તમે કદી વિચાર્યું છે કે જીવનનો મકસદ શું છે? કદાચ તમને કોઈ કામમાં કે પ્રવૃત્તિમાં ડૂબી જવાનું ગમે. શું એ જ જીવનનો મકસદ છે? તમે આ લેખ વાંચો ને જુઓ કે જીવનમાં ખરો સંતોષ ક્યાંથી મળી શકે.

પૈસા ને મોજમજા જ બધું નથી

બાઇબલમાં સભાશિક્ષક ૭:૧૨ કહે છે: ‘જેમ દ્રવ્ય આશ્રય છે, તેમ બુદ્ધિ પણ આશ્રય છે. પણ જ્ઞાનનો ફાયદો એ છે, કે એ પોતાના માલિકના જીવનું રક્ષણ કરે છે.’ અમુક હદે પૈસા હોવા જરૂરી છે. એના વગર જીવી ન શકાય. તેમ જ, પરિવારનું પાલન-પોષણ ન કરી શકાય.—૧ તીમોથી ૫:૮.

જીવનમાં થોડા પૈસા હોય તો ચીજ-વસ્તુનો આનંદ માણી શકાય, ખરું ને? ઈસુ ખ્રિસ્તે એક વાર કહ્યું કે તેમની પાસે ઘર જેવું કંઈ નથી. તોપણ તેમણે અમુક વાર સ્વાદિષ્ટ ભોજનનો આનંદ માણ્યો હતો. તે એક કીમતી ઝભ્ભો પણ પહેરતા હતા.—માત્થી ૮:૨૦; યોહાન ૨:૧-૧૧; ૧૯:૨૩, ૨૪.

તોપણ ઈસુ મોજમજા પાછળ જ પડ્યા નહિ. પોતે જાણતા હતા કે તેમના જીવનમાં સૌથી મહત્ત્વનું શું છે. તેમણે કહ્યું: “કોઈનું જીવન તેની પુષ્કળ મિલકતમાં રહેલું નથી.” પછી તેમણે એક ધનવાન માણસની વાર્તા જણાવી. આ માણસની જમીનમાં પુષ્કળ ફસલ થઈ હતી. તે વિચાર કરવા લાગ્યો: ‘હું શું કરું? કેમ કે મારી ઊપજ ભરી મૂકવાને મારી પાસે જગ્યા નથી. મારી વખારોને પાડી નાખીને હું એને મોટી બંધાવીશ. ત્યાં મારું બધું અનાજ તથા મારી માલમિલકત ભરી મૂકીશ. હું પોતાને કહીશ, કે ઓ ભાઈ, ઘણાં વરસને માટે ઘણી માલમિલકત તારે માટે રાખી મૂકેલી છે. આરામ લે, ખા, પી, આનંદ કર.’ આ માણસના વિચારોમાં શું ખોટું હતું? ઈસુએ વાર્તામાં આગળ કહ્યું: ‘ઈશ્વરે તેને કહ્યું, કે ઓ મૂર્ખ, આજ રાત્રે તારું મોત થવાનું છે. જે વસ્તુઓ તેં ભેગી કરી છે એ કોની થશે?’ આ માણસે પૈસાદાર બનવા તનતોડ મહેનત કરી. પણ તે મરી ગયો ત્યારે એ બધું નકામું બની ગયું. વાર્તાના અંતમાં ઈસુએ પાઠ શીખવ્યો: ‘જે પોતાને માટે દ્રવ્યનો ઢગલો કરે છે, પણ ઈશ્વર પ્રત્યે ધનવાન નથી, તે આ ધનવાન માણસ જેવો જ છે.’—લુક ૧૨:૧૩-૨૧.

જોકે જીવવા માટે થોડા પૈસા હોવા અને અમુક ચીજ-વસ્તુ કે પ્રવૃત્તિનો આનંદ માણવો કંઈ ખોટું નથી. પણ એ જીવનમાં નંબર ૧ બનવું ન જોઈએ. એના બદલે, ઈશ્વરની નજરે ધનવાન બનવું જોઈએ. એટલે કે તેમના કહેવા મુજબ જીવવું જોઈએ. જીવનમાં એ જ સૌથી પ્રથમ હોવું જોઈએ. એનાથી તેમની કૃપાનો આનંદ માણીશું.

શું સમાજમાં નામ કમાવું જોઈએ?

ઘણા લોકો દુનિયામાં મોટું નામ કમાવવા તલપે છે. આપણે બધા સમાજમાં સારી શાખ બનાવવા ચાહીએ છીએ, જેથી લોકો આપણને કાયમ યાદ કરે. એ વિષે બાઇબલ કહે છે: “મૂલ્યવાન અત્તર કરતાં રૂડી શાખ સારી છે; અને જન્મના દિવસ કરતાં મરણનો દિવસ સારો છે.”—સભાશિક્ષક ૭:૧.

બાળકના જન્મથી જ તેની જીવન કહાણી શરૂ થાય છે. તે ગુજરી જાય ત્યારે તેની જીવન કહાણી પૂરી થાય છે. જો જીવનમાં સારાં કામો કર્યાં હોય, તો તેણે નામ કમાવ્યું છે.

સભાશિક્ષકના પુસ્તકના લેખક રાજા સુલેમાન હતા. તેમનો મોટો ભાઈ આબ્શાલોમ હતો. તે સાવકો હતો. તેને મોટું નામ કમાવું હતું. તે ચાહતો હતો કે તેના ત્રણ દીકરા તેનું નામ ચાલુ રાખે. પણ તેઓ ભરયુવાનીમાં મરી ગયા. આબ્શાલોમે શું કર્યું? બાઇબલ કહે છે: ‘રાજાની ખીણમાં જે સ્તંભ હતો એ લઈને તેણે પોતાને માટે ઊભો કર્યો, કેમ કે તેણે કહ્યું હતું, મારે એકે ય દીકરો નથી. હું મારું નામ કાયમ રાખવા માટે પોતાના નામ પરથી એ સ્તંભનું નામ પાડીશ.’ (૨ શમૂએલ ૧૪:૨૭; ૧૮:૧૮) તેણે જે સ્તંભ ઊભો કર્યો એ તો થોડા સમયમાં ભૂક્કો થઈ ગયો. શું આબ્શાલોમ નામ કમાઈ શક્યો? જરાય નહિ. બાઇબલ વાંચનારા જાણે છે કે આબ્શાલોમ ખૂબ દુષ્ટ હતો. તેણે પોતાના પિતા દાઊદની રાજગાદી ઝૂંટવી લેવા કાવતરું રચ્યું હતું!

ઘણા લોકો મોટું નામ કમાવા જીવનમાં ખૂબ મહેનત કરે છે. દુનિયાના વિચારો ને પસંદગીઓ દરરોજ બદલાતા હોય છે. તોપણ લાખો લોકો એ બદલતા જમાના સાથે નામ કમાવા ચાહે છે. ભલે તેઓ શરૂઆતમાં મશહૂર બને, સમય જતા શું થાય છે? ક્રિસ્ટોફર લાશ નામના લેખકે લખ્યું: ‘આપણા જમાનામાં મશહૂર બનવું આપણી ઉંમર, દેખાવ ને બીજાથી કેટલા અલગ છીએ એના પર છે. પણ એ કીર્તિ થોડા સમય માટે જ હોય છે. મશહૂર લોકોને ચિંતા હોય છે કે તેઓ એ કીર્તિ ગુમાવી ન બેસે.’ (ધ કલ્ચર ઑફ નાર્સિસિઝમ) તેથી તેઓ ડ્રગ્સ ને દારૂના બંધાણી બની જાય છે. ઘણી વાર, તેઓ ભર યુવાનીમાં જ મરી જાય છે. ખરેખર, મશહૂર બનવું શું કામનું?

એનો અર્થ એ નથી કે નામ કમાવું જ ન જોઈએ. ઇતિહાસમાં ઈશ્વરભક્તો વિષે યહોવાહે પ્રબોધક યશાયાહ દ્વારા કહ્યું: “હું મારા મંદિરમાં તથા મારા કોટોમાં દીકરા તથા દીકરીઓ કરતાં ઉત્તમ સ્મારક [કે સ્તંભ] તથા નામ આપીશ; એમને નષ્ટ નહિ થાય એવું અમર નામ હું આપીશ.” (યશાયાહ ૫૬:૪, ૫) જેઓ ઈશ્વરના નિયમો પાળતા હતા, તેઓને ‘સ્મારક તથા સારું નામ’ મળવાનું હતું. એટલે કે યહોવાહના મનમાંથી તેઓનું નામ કદીએ મિટાવાનું ન હતું. બાઇબલ આપણને પણ યહોવાહ સાથે એવું નામ કમાવાનું ઉત્તેજન આપે છે.

યશાયાહે કહ્યું કે ભાવિમાં ઈશ્વરભક્તોને સ્વર્ગ જેવી દુનિયામાં જીવનનું વરદાન મળશે. એ સમયે આપણને “અનંતજીવન” મળશે. યહોવાહ ચાહે છે કે આપણે એવા ‘જીવનનો’ આનંદ માણીએ. (૧ તીમોથી ૬:૧૨, ૧૯) જો ભાવિમાં આવું વરદાન મળવાનું હોય, તો હમણાં આ દુનિયામાં મશહૂર બનવાનો શું ફાયદો?

શું કોઈ કળા કે સમાજસેવા પાછળ પડવું જોઈએ?

ઘણા કલાકારો પોતાની કળામાં નામ કમાવવા ખૂબ મહેનત કરે છે. પણ એ પહેલાં જ તેઓની જીવન દોરી કપાઈ જાય છે. પહેલા લેખમાં આપણે હિડિયો વિષે જોયું. તે આશરે ૯૦ વર્ષનો હતો ત્યારે પણ પોતાની કળા સુધારવા તનતોડ મહેનત કરતો હતો. ભલે કોઈ કલાકાર ઘણા વર્ષો પછી એમાં માસ્ટર બને, મોટી ઉંમરને લીધે તે બહુ કંઈ કરી શકતો નથી. પણ જો તે સદા માટે યુવાન જ રહે, તો કેટલું શીખી શકે! તેની કળા કેટલી સુધારી શકે!

ઘણા લોકો માને કે દાનવીર બનવાથી જીવનમાં ખરો સંતોષ મળે છે. તન-મન-ધનથી સમાજસેવા કરે છે, તેઓને શાબાશીની જરૂર છે. બાઇબલ કહે છે: “લેવા કરતાં આપવામાં વધારે ધન્યતા છે.” (પ્રેરિતોનાં કૃત્યો ૨૦:૩૫) ખરું કે બીજાની સેવા કરવાથી સંતોષ મળી શકે. પણ એ સંતોષ અમુક હદ સુધી જ ટકે છે. ભલે તે આખું જીવન દાનવીર હોય, પણ તે લોકો માટે કેટલું કરી શકે? તે હંમેશ માટે તો કોઈનું દુઃખ દૂર કરી શકશે નહિ. ભલે દાન આપે, સેવા કરે, તોપણ લોકોની એક ખાસ જરૂરિયાત પૂરી કરી શકતો નથી. કરોડો તો જિંદગીભર એના વગર જીવે છે. ચાલો જોઈએ કે એ જરૂરિયાત શું છે?

ઈશ્વર સાથે નાતો બાંધવાથી ખરો સંતોષ મળે છે

જન્મથી સર્વ ઈશ્વર સાથે નાતો બાંધવા તરસે છે. એના વિષે એક પ્રવચનમાં ઈસુએ કહ્યું: “જેઓ ઈશ્વર સાથે નાતો બાંધવા તરસે છે, તેઓને ધન્ય છે.” (માત્થી ૫:૩, NW) બાઇબલ કહે છે કે ફક્ત ઈશ્વર સાથે નાતો બાંધવાથી જ આપણને ખરો આનંદ મળે છે. એવો આનંદ ઢગલો રૂપિયા કમાવાથી, મશહૂર બનવાથી, કોઈ કળામાં માસ્ટર બનવાથી કે દાનવીર બનવાથી મળતો નથી.

ઈશ્વરભક્ત પાઊલ ચાહતા હતા કે સર્વ લોકો વિશ્વના માલિકને સારી રીતે ઓળખે. તેમણે કહ્યું: ‘ઈશ્વરે માણસોની સર્વ પ્રજાઓને આખી પૃથ્વી પર રહેવા માટે એકમાંથી ઉત્પન્‍ન કરી, અને તેમણે તેઓને માટે નિર્માણ કરેલા સમય તથા તેઓના રહેઠાણની હદ ઠરાવી આપી; જેથી તેઓ ઈશ્વરને શોધે, કે કદાચ તેઓ તેમને માટે ફંફોસીને તેને પામે. પરંતુ તે આપણામાંના કોઈથી દૂર નથી; કેમ કે તેમનાથી આપણે જીવીએ છીએ, હાલીએ છીએ, અને હોઈએ છીએ.’—પ્રેરિતોનાં કૃત્યો ૧૭:૨૬-૨૮.

ખરા ઈશ્વરને ઓળખીશું તો ખરો આનંદ મળશે. દિલથી તેમની સેવા કરીશું તો આપણને સ્વર્ગ જેવી દુનિયામાં સદા માટે જીવન મળશે. ત્યારે જીવવાની મજા આવશે. એ જ ‘ખરું જીવન’ કહેવાય. ટરિસાનો વિચાર કરો. તેને એક ટીવી સિરિયલમાં મેઇન રૉલ મળ્યો. તેના દેશમાં બીજા કોઈ આફ્રિકન-અમેરિકન અભિનેત્રીને એવો રૉલ મળ્યો ન હતો! પણ અમુક સમય પછી, તેણે એ સિરિયલમાં કામ કરવું છોડી દીધું. કેમ? તેણે કહ્યું: ‘ઈશ્વરના કહ્યાં મુજબ જીવવા સિવાય બીજો કોઈ સારો માર્ગ નથી.’ સિરિયલ, હિંસા ને સેક્સથી ભરેલી હતી. તેથી ટરિસાને એમાં કોઈ ભાગ લેવો ન હતો. તે શીખી કે એવાં કામોથી યહોવાહ સાથે નાતો તૂટી શકે છે. તેણે પાર્ટ-ટાઇમ નોકરી કરી. મોટા ભાગનો સમય યહોવાહ ને તેમના રાજ્ય વિષે લોકોને જણાવ્યું. તેમ જ બીજાઓને ઈશ્વર સાથે નાતો બાંધવા મદદ આપી. તેણે મશહૂર બનવાને બદલે ઈશ્વર સાથે પાક્કો નાતો બાંધ્યો ને જીવનમાં ખરો આનંદ માણવાના માર્ગ પર ચાલી.

ટરિસા સાથેના બીજા ઍક્ટર સમજી ન શક્યા કે તેણે શા માટે સોનેરી મોકો છોડી દીધો. તેની સાથે કામ કરનાર એક ઍક્ટરે કહ્યું: ‘મને ખબર પડી કે તેણે ઍક્ટિંગ છોડી દીધી, ત્યારે મારું દિલ ચીરાઈ ગયું. પણ લાગે છે કે તેને ઍક્ટિંગ કરતાં વધુ સારો મોકો મળ્યો.’ અમુક સમય બાદ ટરિસા કાર ઍક્સિડન્ટમાં ગુજરી ગઈ. તેના મોત પછી, એ જ ઍક્ટરે કહ્યું: ‘તે ખૂબ ખુશી હતી. એના સિવાય જીવનમાં બીજું શું જોઈએ? આપણામાંનો કોણ જીવનનો ખરો આનંદ માણે છે?’ ઈશ્વર ભક્તિને જીવનમાં પ્રથમ મૂકે છે, તેઓને એક સુંદર આશા છે. ભલે તેઓ હાલમાં કદાચ મોતના શિકાર બને, પણ ભાવિમાં ઈશ્વર તેઓને ફરીથી જીવતા કરશે. ત્યારે ઈશ્વરનું જ રાજ હશે.—યોહાન ૫:૨૮, ૨૯.

વિશ્વના માલિક યહોવાહે પૃથ્વી અને ઇન્સાનને ખાસ મકસદથી બનાવ્યા છે. તે ચાહે છે કે તમે આ મકસદ સમજો ને સ્વર્ગ જેવી દુનિયામાં સદા જીવો. (ગીતશાસ્ત્ર ૩૭:૧૦, ૧૧, ૨૯) યહોવાહના ધ્યેય વિષે શીખવાનો હમણાં તમારી પાસે સૌથી સારો મોકો છે. આવો, તમે પણ યહોવાહના સાક્ષીઓ પાસેથી એના વિષે વધુ શીખો. તેઓ રાજીખુશીથી યહોવાહને ઓળખવા તમને મદદ કરશે. તમે તેઓને મળો અથવા આ મૅગેઝિનના પ્રકાશકોને લખી શકો. (w07 11/15)

[Picture on page 5]

ઈસુની વાર્તામાં ધનવાન માણસના વિચારોમાં શું ખોટું હતું?

[Picture on page 7]

શું તમને સ્વર્ગ જેવી દુનિયામાં હંમેશાં સુખચેનમાં જીવવું ગમશે?