સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

વાચકો તરફથી પ્રશ્નો

વાચકો તરફથી પ્રશ્નો

શું બહિષ્કૃત થયેલા બાળક સાથે મંડળની સભાઓમાં બેસવું માબાપ માટે યોગ્ય ગણાય?

રાજ્યગૃહમાં બહિષ્કૃત વ્યક્તિએ ક્યાં બેસવું જોઈએ, એ વિશે આપણે બિનજરૂરી ચિંતા કરવાની જરૂર નથી. આ મૅગેઝિન હંમેશાં માબાપોને આવું ઉત્તેજન આપતું આવ્યું છે: શક્ય હોય તો, ઘરમાં સાથે રહેતાં બહિષ્કૃત બાળકને ઈશ્વર સાથે ફરીથી સંબંધ કેળવવા મદદ કરો. ઑગસ્ટ ૧, ૧૯૮૯ ચોકીબુરજનો “બીજાઓને દેવની ઉપાસના કરવામાં મદદ કરવી” લેખ ફકરા ૨૦-૨૫માં જણાવે છે કે ઘરમાં રહેતાં સગીર વયના બહિષ્કૃત બાળક સાથે માબાપ બાઇબલ અભ્યાસ પણ કરી શકે છે. એવી આશા રાખવામાં આવે છે કે, એનાથી બાળકને સુધારો કરવા જરૂરી ઉત્તેજન મળશે.

સગીર વયનું બહિષ્કૃત બાળક પોતાનાં માબાપ સાથે રાજ્યગૃહમાં શાંતિથી બેસે એમાં કંઈ ખોટું નથી. બહિષ્કૃત વ્યક્તિ હૉલમાં છેલ્લે બેસે એવી ગોઠવણ હવે નથી, એટલે માબાપ જ્યાં પણ બેઠાં હોય ત્યાં તેમની બાજુમાં તે બેસી શકે. ઈશ્વર સાથે સંબંધ કેળવવા બાળકને માબાપ મદદ આપતા હોવાથી, તેઓ નજર રાખશે કે સભામાં તે ધ્યાન આપે છે કે નહિ. બાળકને એકલું છોડી દેવાને બદલે, માબાપ તેની સાથે બેસે એ સારું કહેવાય.

બહિષ્કૃત બાળક પોતાનાં માબાપ સાથે ન રહેતું હોય એવા કિસ્સામાં શું? શું એનાથી કોઈ ફરક પડે છે? ભૂતકાળમાં, આ મૅગેઝિનમાં સ્પષ્ટ જણાવવામાં આવ્યું હતું: જો બહિષ્કૃત વ્યક્તિ સાથે ન રહેતી હોય, તો સંગતની વાત આવે ત્યારે ખ્રિસ્તી સગાંઓએ બિનજરૂરી વ્યવહાર રાખવો ન જોઈએ. a બહિષ્કૃત વ્યક્તિ પોતાનાં સગાંઓ સાથે શાંતિથી સભામાં બેસે અને બહિષ્કૃત વ્યક્તિનાં સગાંઓ તેની સાથે બિનજરૂરી સોબત રાખે, એ બંનેમાં ઘણો મોટો ફરક છે. સત્યમાં હોય એવાં સગાંઓ બહિષ્કૃત વ્યક્તિ સાથેના વ્યવહારમાં ધ્યાન રાખતા હોય અને સંગત રાખવા વિશેની શાસ્ત્રની સલાહને તેઓ માન આપતા હોય તો, આ વિશે ચિંતા કરવાનું કોઈ કારણ નથી.—૧ કોરીં. ૫:૧૧, ૧૩; ૨ યોહા. ૧૧.

ભલે બહિષ્કૃત વ્યક્તિ પોતાનાં સગાંઓ કે મંડળના બીજાં કોઈ સભ્ય સાથે બેસે, જ્યાં સુધી તે સારી રીતે વર્તતી હોય ત્યાં સુધી કોઈએ ચિંતા કરવાની જરૂર નથી. વ્યક્તિએ ક્યાં બેસવું એ વિશે નિયમો ઘડી કાઢવામાં આવશે તો, ઘણા કોયડા ઊભા થઈ શકે. જો સત્યમાં હોય એવાં સગાં અને મંડળના બધા ભાઈ-બહેનો આવી વ્યક્તિ સાથેની સંગત વિશે, બાઇબલના ધોરણોને વળગી રહેવાનો પ્રયત્ન કરતા હોય અને ભાઈ-બહેનો માટે એ ઠોકરરૂપ ન હોય તો, સભાઓમાં ક્યાં બેસવું એ વિશે કોઈએ વાંધો ન ઉઠાવવો જોઈએ.

a “ઈશ્વરના પ્રેમની છાયામાં રહો” પુસ્તકના પાન ૨૩૭-૨૩૯ જુઓ.