સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

યહોવાની ભક્તિમાં આનંદ જાળવી રાખીએ

યહોવાની ભક્તિમાં આનંદ જાળવી રાખીએ

“જો માણસ ઘણાં વર્ષ જીવે, તો તે સઘળાં વર્ષોમાં તેણે આનંદ કરવો.”સભા. ૧૧:૮.

૧. યહોવાના કયા આશીર્વાદોને લીધે આપણને આનંદી રહેવા મદદ મળે છે?

યહોવા ઇચ્છે છે કે આપણે બધા હંમેશાં આનંદી રહીએ. એ માટે તે આપણા પર અઢળક આશીર્વાદો વરસાવે છે. એમાંનો એક આશીર્વાદ આપણને મળેલું જીવન છે. એ જીવનનો ઉપયોગ તેમને મહિમા આપવા કરીએ કેમ કે તેમણે આપણને સાચી ભક્તિ તરફ દોર્યા છે. (ગીત. ૧૪૪:૧૫; યોહા. ૬:૪૪) વધુમાં, યહોવા તેમના પ્રેમની આપણને સાબિતી આપે છે અને ભક્તિમાં ટકી રહેવા મદદ કરે છે. (યિર્મે. ૩૧:૩; ૨ કોરીં. ૪:૧૬) આજે આપણને ભક્તિમાં ઘણા આશીર્વાદો મળી રહ્યા છે. જેમ કે, સાચી શાંતિ, એકતા, પ્રેમાળ ભાઈ-બહેનોનો સાથ અને યહોવાનાં પ્રેમાળ સૂચનો. ઉપરાંત, સુંદર ભાવિની અજોડ આશા પણ મળી છે.

૨. અમુક ઈશ્વરભક્તોને શાની સામે લડત આપવી પડે છે?

આનંદી રહેવાનાં ઘણાં કારણો હોવાં છતાં, અમુક ઈશ્વરભક્તોને નિરાશ કરનારા વિચારો સામે લડત આપવી પડે છે. તેઓને એવું લાગતું હોય છે કે યહોવાની નજરે તેઓની અને તેઓની ભક્તિની કોઈ કિંમત નથી. એવી નિરાશ કરનારી લાગણીઓ જે વ્યક્તિને થાય તેને ‘ઘણાં વર્ષોનો’ આનંદ માણવો એક સપના જેવું લાગી શકે. તેની માટે જીવન જાણે કે એક પછી એક આવતા અંધકારના દિવસો જેવું બની જાય છે.સભા. ૧૧:૮.

૩. નિરાશાની લાગણી કયાં કારણોને લીધે આવી શકે?

એવાં ભાઈ-બહેનોમાં નિરાશાની લાગણી શા કારણોને લીધે આવી શકે? બની શકે કે તેઓ કોઈ કામમાં સફળ ન થયા હોય અથવા બીમારી કે ઘડપણને લીધે વધુ ન કરી શકતાં હોવાથી એવી લાગણીઓ આવી શકે. (ગીત. ૭૧:૯; નીતિ. ૧૩:૧૨; સભા. ૭:૭) વધુમાં, દરેક ઈશ્વરભક્તને એ હકીકતનો સામનો કરવો પડે છે કે હૃદય બહુ છેતરામણું છે. એ આપણને દોષિત ઠરાવી શકે પછી ભલેને ઈશ્વર આપણાથી ખુશ હોય. (યિર્મે. ૧૭:૯; ૧ યોહા. ૩:૨૦) શેતાને ખોટી રીતે ઈશ્વરભક્તો પર આરોપો મૂક્યા છે. તેમ જ, જેઓ શેતાન જેવું વિચારે છે તેઓ પણ આપણામાં ખોટા વિચારો લાવી શકે. જેમ કે, શ્રદ્ધામાં નબળા અલીફાઝે પોતાનો વિચાર જણાવ્યો કે આપણે ઈશ્વરની નજરમાં નકામા છીએ. એ વિચાર અયૂબના સમયમાં ખોટો હતો અને આજે પણ ખોટો છે.અયૂ. ૪:૧૮, ૧૯.

૪. આ લેખમાં આપણે શાનો વિચાર કરીશું?

યહોવાએ બાઇબલમાં સ્પષ્ટ જણાવ્યું છે કે તે એવા લોકો સાથે છે જેઓ ‘મરણની છાયાની ખીણમાં ચાલી રહ્યા છે.’ (ગીત. ૨૩:૪) એક રીતે યહોવા તેમના શબ્દ બાઇબલ દ્વારા આપણી સાથે છે. બાઇબલ ‘ઈશ્વરની સહાયથી કિલ્લાઓને તોડી પાડવાને સમર્થ છે.’ એ કિલ્લાઓમાં ગેરસમજ અને નિરાશ કરનારા વિચારોનો પણ સમાવેશ થાય છે. (૨ કોરીં. ૧૦:૪, ૫) તેથી, ચાલો વિચાર કરીએ કે કઈ રીતે બાઇબલનો ઉપયોગ કરીને આનંદ કેળવી શકીએ અને એને જાળવી શકીએ. એનાથી તમને પોતાને તો ફાયદો થશે જ, સાથે સાથે તમે બીજાઓને પણ ઉત્તેજન આપી શકશો.

આનંદ કેળવવા બાઇબલનો ઉપયોગ કરીએ

૫. કઈ પરીક્ષા કરીને આપણે આનંદ કેળવી શકીએ?

પ્રેરિત પાઊલે અમુક બાબતો જણાવી જે આપણને આનંદ કેળવવા મદદ કરશે. તેમણે કોરીંથ મંડળને અરજ કરી કે “તમારામાં વિશ્વાસ છે કે નહિ, તેની પરીક્ષા તમે પોતે કરો.” (૨ કોરીં. ૧૩:૫) “વિશ્વાસ” એ બાઇબલમાં જણાવેલાં બધાં સિદ્ધાંતો અને શિક્ષણને રજૂ કરે છે. જો આપણાં વાણી-વર્તન બાઇબલ શિક્ષણના સુમેળમાં હશે, તો જ પરીક્ષામાં ખરા ઊતરીશું અને બતાવી શકીશું કે આપણામાં “વિશ્વાસ” છે. જોકે, આપણે બાઇબલમાંથી અમુક ગમતા શિક્ષણને જ લાગુ પાડી ન શકીએ. બાઇબલનું બધું જ શિક્ષણ પાળવું જરૂરી છે.યાકૂ. ૨:૧૦, ૧૧.

૬. “તમારામાં વિશ્વાસ છે કે નહિ,” એની પરીક્ષા તમારે શા માટે કરવી જોઈએ? (શરૂઆતનું ચિત્ર જુઓ.)

કદાચ તમે એવી પરીક્ષા કરવાથી અચકાવ, ખાસ કરીને એવા કિસ્સામાં જ્યારે તમને નિષ્ફળ જવાની બીક હોય. તેમ છતાં, પોતાના માટે તમારા વિચારો કરતાં યહોવાના વિચારો વધારે મહત્ત્વના છે. કારણ કે, તેમના વિચારો આપણા કરતાં ઘણા ઊંચા છે. (યશા. ૫૫:૮, ૯) તે પોતાના ભક્તોની પરખ તેઓમાં ભૂલો કાઢવા નહિ, પણ સારા ગુણો શોધવા અને મદદ આપવા કરે છે. “તમારામાં વિશ્વાસ છે કે નહિ,” એની પરીક્ષા તમે બાઇબલની મદદથી કરશો ત્યારે, યહોવાની નજરે પોતાને જોઈ શકશો. એમ કરવાથી ઈશ્વરની નજરે તમે નકામા છો એવા ખોટા વિચારો સુધારવા મદદ મળશે. બાઇબલ ખાતરી આપે છે કે યહોવાની નજરમાં તમે કીમતી છો. એ જાણવું તમારા માટે જાણે, અંધારી રૂમમાં બારીના પડદા ખોલવાથી આવતા સૂર્યપ્રકાશ જેવું બનશે.

૭. બાઇબલમાં આપેલા વફાદાર ભક્તોના દાખલા આપણને કઈ રીતે મદદ કરે છે?

પોતાની પરખ કરવાની એક અસરદાર રીત છે કે બાઇબલમાં આપેલા વફાદાર ભક્તોના દાખલા પર મનન કરીએ. તેઓનાં સંજોગો અને લાગણીઓને પોતાનાં સાથે સરખાવીએ. તેમ જ, વિચારીએ કે “હું તેઓની જગ્યાએ હોત તો કઈ રીતે વર્ત્યો હોત?” પોતાની પરીક્ષા કરવામાં બાઇબલનો કઈ રીતે ઉપયોગ કરવો એ સમજાવતા ચાલો ત્રણ દાખલા જોઈએ. આમ, તમને આનંદી વલણ કેળવવા મદદ મળશે.

ગરીબ વિધવા

૮, ૯. (ક) ગરીબ વિધવાના સંજોગો કેવા હતા? (ખ) વિધવાના મનમાં કેવી ખોટી લાગણીઓ થઈ હશે?

યરૂશાલેમના મંદિરમાં ઈસુએ એક ગરીબ વિધવાને જોઈ. આપણે જે ઇચ્છીએ એ ન કરી શકીએ તોપણ આનંદી વલણ રાખવા એ વિધવાનો દાખલો મદદ કરે છે. (લુક ૨૧:૧-૪ વાંચો.) એ વિધવાના સંજોગોનો વિચાર કરો. તે પતિ ગુમાવવાના દુઃખની સાથે સાથે લોભી ધર્મગુરુઓને પણ સહેતી હતી, જેઓ મદદ કરવાને બદલે ‘વિધવાઓના ઘર ખાઈ જતા.’ (લુક ૨૦:૪૭) તે એટલી ગરીબ હતી કે દાનમાં એટલા જ પૈસા નાખી શકતી, જે એક મજૂર થોડીક મિનિટોમાં જ કમાઈ લેતો.

કલ્પના કરો કે એ વિધવા મંદિરના આંગણામાં બે નાના સિક્કા લઈને આવી ત્યારે તેને કેવું લાગ્યું હશે. શું તે એમ વિચારતી હશે કે, પતિ જીવતા હોત ત્યારે જે દાન આપ્યું હોત એના કરતાં હમણાં ઘણું ઓછું આપી રહી છે? બીજાઓને ઘણું દાન નાખતા જોઈ, શું તેને શરમ લાગી હશે અને થયું હશે કે પોતાનું દાન સાવ નજીવું છે? ભલે તેને આવી લાગણી થઈ હશે છતાં, તેણે સાચી ભક્તિને ટેકો આપવા પોતાનાથી બનતું બધું આપ્યું.

૧૦. ઈસુએ કઈ રીતે બતાવ્યું કે યહોવાની નજરમાં એ વિધવા કીમતી છે?

૧૦ ઈસુએ બતાવ્યું કે વિધવા અને તેનું દાન યહોવાની નજરમાં કીમતી છે. તેમણે કહ્યું: “વિધવાએ એ સઘળાઓ [ધનવાનો] કરતાં વધારે નાખ્યું છે.” તેનું દાન બીજાઓનાં દાન સાથે ભળી ગયું હશે. છતાં, ઈસુએ ખાસ એ વિધવાની કદર કરી. મંદિરનાં દાનની ગણતરી કરનારાઓને ખ્યાલ પણ નહિ હોય કે, યહોવાની નજરે એ બે સિક્કા અને એને દાન આપનાર વ્યક્તિ કેટલાં મૂલ્યવાન છે. લોકો વિધવા વિશે શું વિચારશે અથવા તે પોતે શું વિચારતી હતી, એના કરતાં વધુ મહત્ત્વનું હતું કે યહોવા તેના વિશે શું વિચારતા હતા. શું એ અહેવાલનો ઉપયોગ “તમારામાં વિશ્વાસ છે કે નહિ,” એની પરીક્ષા કરવા કરી શકો?

ગરીબ વિધવાના દાખલામાંથી તમને શું શીખવા મળ્યું? (ફકરા ૮-૧૦ જુઓ)

૧૧. વિધવાના દાખલામાંથી તમને શું શીખવા મળે છે?

૧૧ સંજોગોની અસર તમે યહોવાને જે કંઈ આપો એના પર પડે છે. ઉંમર કે બીમારીને લીધે અમુક લોકો પ્રચારમાં પહેલાં જેટલો સમય હવે આપી શકતા નથી. શું તેઓએ એમ વિચારવું જોઈએ કે તેઓએ પ્રચારનો રિપોર્ટ આપવાનો કોઈ અર્થ નથી? ભલે, તમે યુવાન કે તંદુરસ્ત હો તોપણ, તમને લાગી શકે કે બીજાં ભાઈ-બહેનો કરતાં તમે ઓછા કલાકો આપો છો. છતાં, ગરીબ વિધવાના દાખલામાંથી શીખવા મળે છે કે, યહોવા આપણા કામને ધ્યાનમાં લે છે. ખાસ કરીને, એવા કિસ્સામાં જ્યારે સંજોગો બહુ અઘરા હોય. ગયા વર્ષે તમે યહોવાની ભક્તિમાં જે કર્યું એના પર વિચાર કરો. એ સમયે પ્રચારના કલાકોમાંનો શું કોઈ એવો કલાક હતો, જેને માટે તમારે કોઈ ભોગ આપવો પડ્યો હતો? જો એમ હોય તો ખાતરી રાખો કે એ એક કલાક આપવા તમે જે કંઈ કર્યું એને યહોવા કીમતી ગણે છે. તમે જ્યારે એ ગરીબ વિધવાની જેમ ભક્તિમાં તમારાથી બનતું બધું કરો છો, ત્યારે “તમારામાં વિશ્વાસ છે” એવું સાબિત થાય છે.

‘મારો જીવ લઈ લો!’

૧૨-૧૪. (ક) ખોટી લાગણીઓની એલીયા પર કેવી અસર થઈ? (ખ) એલીયાને એવું શા માટે લાગ્યું હશે?

૧૨ પ્રબોધક એલીયા યહોવાને વફાદાર હતા અને તેમને ઘણી શ્રદ્ધા હતી. તેમ છતાં, એક વાર તે એટલા નિરાશ થઈ ગયા કે તેમણે યહોવા પાસે મોત માંગ્યું. તેમણે કહ્યું: ‘હવે તો બસ થયું. હવે તો, હે યહોવા, મારો જીવ લઈ લો!’ (૧ રાજા. ૧૯:૪) જેઓએ એટલી નિરાશા અનુભવી ન હોય તેઓ કદાચ કહે કે એલીયાનું “બોલવું અવિચારી હતું.” (અયૂ. ૬:૩) જોકે એલીયાની લાગણીઓ ખરી હતી. નોંધ લો કે યહોવાએ એલીયા પર ગુસ્સે થવાને બદલે તેમને મદદ પૂરી પાડી.

૧૩ એલીયાને એવી લાગણી શા માટે થઈ? એવી લાગણીઓ થઈ એના થોડા જ સમય પહેલાં તેમણે ચમત્કાર કરીને યહોવાને સાચા ઈશ્વર સાબિત કર્યા હતા. પછી, તેમણે બઆલના ૪૫૦ પ્રબોધકોને મારી નાખ્યા હતા. (૧ રાજા. ૧૮:૩૭-૪૦) એ માટે એલીયાને લાગ્યું હશે કે હવે ઈશ્વરના લોકો સાચી ભક્તિ તરફ પાછા વળશે. પરંતુ, એમ બન્યું નહિ. દુષ્ટ રાણી ઇઝેબેલે એલીયાને સંદેશો મોકલાવ્યો કે તે તેમને મારી નાખશે. તેથી, પોતાનો જીવ બચાવવા એલીયા દક્ષિણમાં આવેલા યહુદા નજીક એક વેરાન વિસ્તારમાં નાસી ગયા.૧ રાજા. ૧૯:૨-૪.

૧૪ વેરાન વિસ્તારમાં એલીયા એકલા હતા ત્યારે વિચારવા લાગ્યા કે, પ્રબોધક તરીકે તેમણે જે કંઈ કર્યું એ સાવ નકામું છે. તેમણે યહોવાને કહ્યું: ‘હું મારા પૂર્વજો કરતાં સારો નથી.’ તેમના કહેવાનો મતલબ હતો કે તે ધૂળમાં મળી ગયેલા તેમના પૂર્વજો જેવાં જ નકામા છે. આમ, તે પોતાના મત પ્રમાણે એક નિષ્ફળ વ્યક્તિ હતા, જેની બીજાઓની કે યહોવાની નજરમાં કોઈ જ કિંમત નથી.

૧૫. યહોવાએ કઈ રીતે ખાતરી કરાવી કે તેમની નજરે એલીયા હજી પણ મૂલ્યવાન છે?

૧૫ પરંતુ, એલીયાને સર્વશક્તિમાન ઈશ્વર અલગ નજરે જોતા હતા. ઈશ્વરની નજરમાં તે હજી પણ ખૂબ મૂલ્યવાન હતા. એ હકીકતની સાબિતી આપવા યહોવાએ અમુક પગલાં ભર્યાં. એલીયાને હિંમત આપવા તેમણે સ્વર્ગદૂત મોકલ્યો. હોરેબ પર્વત તરફ એલીયાની ૪૦ દિવસની મુસાફરી દરમિયાન યહોવાએ તેમને ખોરાક-પાણી પૂરાં પાડ્યાં. એલીયાને જ્યારે લાગ્યું કે ઈસ્રાએલમાં એકેય સાચો ભક્ત નથી, ત્યારે યહોવાએ નમ્ર રીતે તેમના વિચારો સુધાર્યા. ધ્યાન આપો કે યહોવાએ તેમને નવી સોંપણી પણ આપી જેનો એલીયાએ સ્વીકાર કર્યો. એલીયાને યહોવા પાસેથી મદદ મળી. પરિણામે, તેમને પ્રબોધક તરીકે કામ ફરી શરૂ કરવામાં નવી તાજગી અને તાકાત મળી.૧ રાજા. ૧૯:૫-૮, ૧૫-૧૯.

૧૬. તમને યહોવાએ કઈ અમુક રીતોથી ટકાવી રાખ્યા છે?

૧૬ તમારી શ્રદ્ધાની પરખ કરવામાં એલીયાનો અનુભવ તમને મદદ કરશે. તેમ જ, આનંદી વલણ કેળવવા ઉત્તેજન આપશે. એ માટે પ્રથમ વિચારો કે યહોવાએ તમને કઈ કઈ રીતોએ ટકાવી રાખ્યા છે. તમને જ્યારે જરૂર હતી ત્યારે તેમના કોઈ સેવકે જેમ કે, વડીલે અથવા બીજા કોઈએ શું તમને મદદ આપી છે? (ગલા. ૬:૨) ભક્તિમાં અડગ રહેવા શું તમને બાઇબલ, સાહિત્ય અને સભાઓ દ્વારાં મદદ મળી છે? હવે પછી, એમાંની કોઈ પણ રીતથી તમને મદદ મળે ત્યારે, વિચારજો કે એ ખરેખર કોણ આપે છે અને પ્રાર્થનામાં તેમનો આભાર માનજો.ગીત. ૧૨૧:૧, ૨.

૧૭. યહોવા પોતાના ભક્તોની કઈ બાબતની કદર કરે છે?

૧૭ બીજું, યાદ રાખો કે ખોટું વલણ આપણને ખોટા માર્ગે દોરે છે. જ્યારે કે, પ્રભુ યહોવા આપણા માટે જે વિચારે એ જ સૌથી મહત્ત્વનું છે. (રોમનો ૧૪:૪ વાંચો.) આપણે યહોવાને સમર્પણ કરીને જે રીતે વિશ્વાસુ રહીએ છીએ એની તે કદર કરે છે. આપણે યહોવા માટે કેટલું કરીએ છીએ એના આધારે તે આપણી કિંમત કરતા નથી. કદાચ, તમે પણ યહોવા માટે એલીયાની જેમ ધાર્યા કરતાં વધારે કર્યું હશે. તમને જાણ પણ નહિ હોય કે મંડળમાં તમારાથી કોઈકને મદદ મળી છે. અને પ્રચારમાં તમારી મહેનતને લીધે લોકોને સત્ય સાંભળવા મળ્યું હશે.

૧૮. યહોવા તરફથી મળતી સોંપણી શું સાબિત કરે છે?

૧૮ છેલ્લું કે, યહોવા તરફથી મળતી દરેક સોંપણીને એ રીતે ગણો કે તે તમારાથી ખુશ છે. (યિર્મે. ૨૦:૧૧) તમને યહોવાની ભક્તિમાં જ્યારે મહેનતનું ફળ ન મળે કે પછી કોઈ ધ્યેય પૂરો ન કરી શકો, ત્યારે એલીયાની જેમ નિરાશા આવી શકે. છતાં, તમારી પાસે પણ બધાની જેમ એક ખાસ લહાવો છે. કયો? ખુશખબર જાહેર કરવાનો અને ઈશ્વરના નામથી ઓળખાવવાનો. તેથી, યહોવાને વફાદાર રહો. એમ કરવાથી તમે પણ ઈસુના કહ્યા પ્રમાણે ‘તમારા પ્રભુના આનંદમાં પેસશો.’માથ. ૨૫:૨૩.

‘દુઃખી વ્યક્તિની પ્રાર્થના’

૧૯. ગીતશાસ્ત્ર અધ્યાય ૧૦૨ના લેખકના સંજોગો કેવા હતા?

૧૯ ગીતશાસ્ત્ર અધ્યાય ૧૦૨ના લેખક ઘણા વ્યાકુળ હતા. તે શારીરિક અને માનસિક રીતે ઘણા “દુઃખી” હતા. પોતાની મુશ્કેલીઓનો સામનો કરવાની પણ તેમનામાં હિંમત ન હતી. (ગીત. ૧૦૨, ઉપરનું લખાણ) તેમના શબ્દો બતાવે છે કે તે દુઃખ, એકલાપણું અને બીજી લાગણીઓમાં ડૂબી ગયા હતા. (ગીત. ૧૦૨:૩, ૪, ૬, ૧૧) લેખકને લાગતું હતું કે યહોવા તેમને ફેંકી દેવા માંગે છે.ગીત. ૧૦૨:૧૦.

૨૦. પ્રાર્થના કરવાથી કઈ રીતે ખોટા વિચારો પર જીત મેળવવા મદદ મળે છે?

૨૦ છતાં, લેખક પોતાના જીવનનો ઉપયોગ યહોવાની સ્તુતિ માટે કરી શક્યા. (ગીતશાસ્ત્ર ૧૦૨:૧૯-૨૧ વાંચો.) ગીતશાસ્ત્ર ૧૦૨માં જોવા મળે છે કે જેઓમાં વિશ્વાસ છે, તેઓ પણ દુઃખી થઈ શકે અને પછી તેમનાથી બીજા કશા પર ધ્યાન ન આપી શકાય. લેખકને પણ લાગ્યું કે પોતે, ‘અગાસી પર એકલી પડેલી ચકલી જેવા થઈ ગયા છે.’ અને જાણે કે મુશ્કેલીઓએ તેમને ઘેરી લીધા છે. (ગીત. ૧૦૨:૭) કોઈ વાર જો તમને પણ એવું લાગે, તો લેખકની જેમ યહોવાની આગળ તમારું દિલ ઠાલવો. પ્રાર્થના કરવાથી તમને ખોટા વિચારો પર જીત મેળવવા મદદ મળશે. યહોવાએ વચન આપ્યું છે કે ‘તેમણે લાચારની પ્રાર્થના પર લક્ષ લગાડ્યું છે અને તેઓની પ્રાર્થનાની અવગણના કરી નથી.’ (ગીત. ૧૦૨:૧૭) તેમના એ વચન પર ભરોસો રાખો.

૨૧. ખોટા વિચારો સામે લડતી વ્યક્તિ કઈ રીતે આનંદી વલણમાં વધારો કરી શકે?

૨૧ ગીતશાસ્ત્ર ૧૦૨માં, આનંદી વલણમાં વધારો કરવા વિશે પણ બતાવ્યું છે. લેખકે પોતાનું ધ્યાન યહોવા સાથેના સંબંધ પર લગાડ્યું. (ગીત. ૧૦૨:૧૨, ૨૭) તેમને જાણીને ઘણો દિલાસો મળ્યો કે યહોવા પોતાના લોકોને મુશ્કેલીઓનો સામનો કરવા હંમેશાં મદદ કરે છે. તેથી, જો ખોટા વિચારોને કારણે તમે ઈશ્વરની ભક્તિમાં પહેલાં જેટલું ન કરી શકો, તો એ વિશે પ્રાર્થના કરો. ઈશ્વરની પાસે માંગો કે તે તમારી પ્રાર્થના સાંભળે, જેથી મુશ્કેલીઓમાંથી રાહત મળવાની સાથે સાથે ‘યહોવાનું નામ પ્રસિદ્ધ થાય.’ગીત. ૧૦૨:૨૦, ૨૧.

૨૨. આપણે દરેક જણ યહોવાને કઈ રીતે ખુશ કરી શકીએ છીએ?

૨૨ બાઇબલનો ઉપયોગ કરીને સાબિત કરી શકીએ છીએ કે આપણામાં વિશ્વાસ છે અને યહોવાની નજરે આપણે મૂલ્યવાન છીએ. ખરું કે, શેતાનની આ દુષ્ટ દુનિયામાંના બધા જ ખોટા વિચારોને કે નિરાશાને આપણે દૂર કરી શકતા નથી. તેમ છતાં, આપણે દરેક જણ યહોવાને ખુશ કરી શકીએ છીએ. તેમ જ, અંત સુધી તેમની ભક્તિમાં વફાદાર રહીને તારણ મેળવી શકીએ છીએ.માથ. ૨૪:૧૩.