સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

શું કાપી નાખેલું વૃક્ષ ફરીથી ઊગી શકે?

શું કાપી નાખેલું વૃક્ષ ફરીથી ઊગી શકે?

લબાનોનના એક સુંદર એરેજ (સિદાર) વૃક્ષની સામે જૈતુનનું (ઓલિવનું) વાંકુંચૂકું વૃક્ષ કદાચ આકર્ષક ન લાગે. પરંતુ, જૈતુન વૃક્ષ મોટી મોટી આફતોમાં પણ ટકી રહે છે. કેટલાક જૈતુન વૃક્ષો લગભગ ૧,૦૦૦ વર્ષો જીવે છે. એનાં મૂળિયાં જમીનમાં ઊંડાં ઊતરેલાં હોય છે. એના લીધે, ભલે એનું થડ કાપી નાંખવામાં આવે, તોપણ એ ફરીથી ઊગી શકે છે. જ્યાં સુધી એનાં મૂળ જીવતાં હોય, ત્યાં સુધી એ ફરીથી ઊગવા માટે સક્ષમ છે.

ઈશ્વરના વફાદાર ભક્ત અયૂબને પૂરો ભરોસો હતો કે તે મરી જશે તોપણ ફરીથી જીવતા થશે. (અયૂ. ૧૪:૧૩-૧૫) તેમને સજીવન કરવા ઈશ્વર સક્ષમ છે, એવો ભરોસો બતાવવા અયૂબ એક વૃક્ષનું ઉદાહરણ આપે છે. એ વૃક્ષ કદાચ જૈતુનનું હોય શકે. અયૂબે કહ્યું કે ‘જો વૃક્ષ કાપી નાખવામાં આવે, તો એ ફરી ફૂટશે એવી આશા રહે છે.’ જૈતુનનું સુકાઈ ગયેલું થડ દુકાળ પછી પડેલા વરસાદમાં ફરીથી ઊગી શકે છે. અને એને ‘છોડની જેમ નવી ડાળીઓ’ પણ ફૂટી શકે છે.—અયૂ. ૧૪:૭-૯.

એક ખેડૂત કાપી નાખેલા જૈતુન વૃક્ષને ફરીથી ફૂટતું જોવા આતુર હોય છે. એવી જ રીતે, યહોવા ઈશ્વર પણ પોતાના ભક્તો અને બીજા લોકોને ફરીથી જીવતા કરવા આતુર છે! (માથ. ૨૨:૩૧, ૩૨; યોહા. ૫:૨૮, ૨૯; પ્રે.કૃ. ૨૪:૧૫) જરા કલ્પના કરો કે મરણની ઊંઘમાંથી પાછા ઊઠેલા લોકોને આવકારવાનો અને તેઓને ફરીથી જીવતા જોવાનો આનંદ કેવો અદ્ભુત હશે!