સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

આર્માગેદનના યુદ્ધથી ઈશ્વર સુખ-શાંતિ લાવશે

આર્માગેદનના યુદ્ધથી ઈશ્વર સુખ-શાંતિ લાવશે

આર્માગેદનના યુદ્ધથી ઈશ્વર સુખ-શાંતિ લાવશે

‘ગ્રીનલેન્ડની ઈન્યૂટ જાતિના લોકો માને છે કે કોઈને મારી નાખવું એ પાપ કહેવાય. યુદ્ધોમાં લોકોને મારી નાખવા એ તો ઘોર પાપ કહેવાય. એટલે તેઓની ભાષામાં યુદ્ધ જેવો કોઈ શબ્દ નથી.’—નૉર્વેના પ્રવાસી સંશોધક, ૧૮૮૮.

યુદ્ધો ના હોય એવી દુનિયામાં રહેવાનું કોને ના ગમે! યુદ્ધો ના હોય અને યુદ્ધ જેવો શબ્દ જ ના રહે એવું બધાં જ ચાહે છે. પણ ઇતિહાસ બતાવે છે કે નેતાઓ દુનિયા પર શાંતિ લાવી શક્યા નથી અને કદાચ લાવી પણ નહિ શકે. યુદ્ધ વગરની દુનિયા તો બસ સપનું જ છે.

બાઇબલમાં પરમેશ્વર વચન આપે છે કે ‘લોકો પોતાની તરવારોને ટીપીને કોશો, અને પોતાના ભાલાઓનાં ધારિયાં બનાવશે; પ્રજાઓ એકબીજીની વિરુદ્ધ તરવાર ઉગામશે નહિ, અને તેઓ ફરીથી યુદ્ધકળા શીખશે નહિ.’—યશાયાહ ૨:૪.

પણ માણસો એવું નહિ કરી શકે, કેમ કે દુનિયા ફરતે આજે ૨૦ જેટલાં યુદ્ધો ચાલી રહ્યા છે. એમાં લગભગ ૨ કરોડ સૈનિકો લડી રહ્યા છે. એટલે પરમેશ્વર પગલાં લેશે, અને એક યુદ્ધ લડશે. બાઇબલ એને આર્માગેદનનું યુદ્ધ કહે છે.—પ્રકટીકરણ ૧૬:૧૪, ૧૬.

જોકે અમુક લોકો માને છે કે ‘આર્માગેદનમાં’ ન્યુક્લિયર વૉરથી આખી દુનિયા નાશ પામશે. પણ એક ડિક્શનરી જણાવે છે કે આર્માગેદન એટલે ‘ભલાઈ અને ભૂંડાઈ વચ્ચે થનારું આખરી યુદ્ધ.’ શું ક્યારેય ભૂંડાઈ પર ભલાઈ જીત મેળવશે?

બાઇબલ કહે છે કે ‘પૃથ્વીમાંથી પાપીઓનો નાશ થશે, અને દુષ્ટોનો અંત આવશે.’ (ગીતશાસ્ત્ર ૧૦૪:૩૫) ‘સદાચારીઓ પૃથ્વી પર વસશે, અને નમ્રજનો તેમાં જીવતા રહેશે. પણ દુષ્ટો પૃથ્વી પરથી નાબૂદ થશે, અને કપટ કરનારાઓ તેમાંથી સમૂળગા ઉખેડી નાખવામાં આવશે.’ દુષ્ટ લોકોના અંત વિષેના આ વચનો સાંભળીને આપણને ઘણી રાહત મળે છે.—નીતિવચનો ૨:૨૧, ૨૨.

બાઇબલ જણાવે છે કે દુષ્ટો સહેલાઈથી હાર નહિ માને. એટલે જ દુષ્ટતાને દૂર કરવા ઈશ્વર એક છેલ્લું યુદ્ધ કરશે. એ આર્માગેદનનું યુદ્ધ હશે. (ગીતશાસ્ત્ર ૨:૨) આ યુદ્ધ વિષે જાણવું આપણા માટે ખૂબ જરૂરી છે.

મગિદો અને આર્માગેદન વચ્ચે શું સંબંધ છે

આર્માગેદન નામ “મગિદો પર્વત” પરથી આવે છે. જૂના જમાનાના મગિદો શહેર અને યિઝ્રએલ ખીણના મેદાનોમાં ઘણી મોટી લડાઈઓ થઈ હતી. ઇતિહાસકાર એરિક એચ. ક્લાઇન ધ બેટ્ટલ્સ ઑફ આર્માગેદન પુસ્તકમાં લખે છે કે “ઇતિહાસમાં મગિદો અને યિઝ્રએલના મેદાનોમાં ઘણાં યુદ્ધો થયા. એ યુદ્ધમાં થતી હાર-જીતની અસર લોકોના જીવન પર પડી.”

ક્લાઇનના જણાવ્યા મુજબ મગિદોમાં જે લડાઈઓ થઈ એના પરિણામો હંમેશાં ચોંકાવનારા જ આવ્યા છે. ૧૩મી સદીમાં મોંગોલની સેના, એશિયાના મોટા ભાગો પર રાજ કરતી હતી. આ સેનાએ બધી જ લડાઈઓ જીતી હતી. પરંતુ મગિદોના મેદાનમાં એણે હારનો સામનો કરવો પડ્યો. પહેલા વિશ્વયુદ્ધમાં બ્રિટિશ જનરલ એડમંડ એલનબીએ તુર્કીઓને મગિદોના મેદાનમાં હરાવ્યાં હતાં. એક ઇતિહાસકારે આ જીત વિષે જણાવ્યું કે ‘ઇતિહાસની આ સૌથી ઝડપી જીત હતી. એમાં દુશ્મનોનું નામો-નિશાન મિટાવી દીધું.’

મગિદોમાં લડાયેલી અમુક લડાઈઓ વિષે બાઇબલમાં પણ જણાવવામાં આવ્યું છે. ન્યાયાધીશ બારાકે કનાનના સેનાપતિ સીસરા પર જીત મેળવી હતી. (ન્યાયાધીશો ૪:૧૪-૧૬; ૫:૧૯-૨૧) ગિદઓને ફક્ત ૩૦૦ માણસોની મદદથી એક લાખ કરતાં વધારે મિદ્યાનીઓની સેના પર જીત મેળવી હતી. (ન્યાયાધીશો ૭:૧૯-૨૨) પલિસ્તીઓએ ઈસ્રાએલીઓને હરાવ્યા એમાં રાજા શાઊલ અને તેમનો દીકરો યોનાથાન પણ મગિદોની આસપાસ માર્યા ગયા હતા.—૧ શમૂએલ ૩૧:૧-૭.

મગિદોનો વિસ્તાર સપાટ મેદાનવાળો અને પહાડોથી ઘેરાયેલો હતો. એટલે સૈનિકો એ વિસ્તારનો સારો એવો લાભ ઉઠાવી શકતા હતા. છેલ્લાં ચાર હજાર વર્ષોમાં મગિદો અને એની આસપાસના વિસ્તારોમાં ઘણી બધી લડાઈઓ થઈ છે. ઓછામાં ઓછી ૩૪ લડાઈઓ થઈ હતી, એમ એક ઇતિહાસકારે જણાવ્યું છે.

મગિદોનો ઇતિહાસ અને એના વિસ્તાર પરથી ‘આર્માગેદન’ નામ આવ્યું છે. જોકે બાઇબલમાં આ નામ ફક્ત એક જ વખત જોવા મળે છે. એ વાત સાફ છે કે આર્માગેદનનું યુદ્ધ દરેકના જીવનને અસર કરશે.

આર્માગેદન વિષે બાઇબલ શું જણાવે છે

મગિદોમાં ઘણાં મોટાં યુદ્ધ થયા પણ એકેય સુખ-શાંતિ નથી લાવ્યા. શાંતિ આવે એવું યુદ્ધ ફક્ત ઈશ્વર જ લડી શકે. એટલે જ ઈસુએ કહ્યું હતું કે ઈશ્વર “ઉત્તમ” છે. (લુક ૧૮:૧૯) બાઇબલ સાફ કહે છે કે આર્માગેદન એ ઈશ્વરનું યુદ્ધ છે. એ જ શાંતિ લાવશે.

ચાલો આપણે એ વિષે બાઇબલમાંથી વધારે જોઈએ. પ્રકટીકરણનું પુસ્તક કહે છે કે ઈશ્વર ‘મહાન દિવસની લડાઈને સારુ આખા જગતના રાજાઓને એકઠા કરશે.’ (પ્રકટીકરણ ૧૬:૧૪) ‘હેબ્રી ભાષામાં જેને હાર-માગેદોન એટલે કે આર્માગેદન કહે છે તે ઠેકાણે તેઓને એકઠા કરશે.’ * (પ્રકટીકરણ ૧૬:૧૬) “પૃથ્વીના રાજાઓ તથા તેઓનાં સૈન્યને ઘોડા પર બેઠેલાની સામે તથા તેના સૈન્યની સામે લડવાને એકઠાં” કરશે. (પ્રકટીકરણ ૧૯:૧૯) ઘોડા પર બેઠેલ એ બીજું કોઈ નહિ પણ ઈસુ ખ્રિસ્ત છે.—૧ તીમોથી ૬:૧૪, ૧૫; પ્રકટીકરણ ૧૯:૧૧, ૧૨, ૧૬.

આ કલમો પરથી આપણે શું સમજી શકીએ? એ જ કે આર્માગેદનનું યુદ્ધ લડીને ઈશ્વર દુષ્ટતાનો અંત લાવશે. “પૃથ્વીનો નાશ કરનારા છે તેઓનો નાશ કરવા” પરમેશ્વર યહોવાહ અને ઈસુ આ યુદ્ધ લડશે. (પ્રકટીકરણ ૧૧:૧૮) એ યુદ્ધ પછી તેઓ ‘વચન પ્રમાણેની નવી પૃથ્વી’ લાવશે. એટલે કે આખી પૃથ્વી પર શાંતિ લાવશે, ‘જેમાં ન્યાયી લોકો વસશે.’—૨ પીતર ૩:૧૩.

શા માટે આર્માગેદનનું યુદ્ધ જરૂરી છે

યહોવાહ “પ્રેમ તથા શાંતિ આપનાર દેવ” છે. અને ઈસુ “શાંતિનો સરદાર” છે. તો પછી તેઓ કેમ યુદ્ધ કરે છે? (૨ કોરીંથી ૧૩:૧૧; યશાયાહ ૯:૬) ઈસુ “સત્ય, નમ્રતા તથા ન્યાયીપણાને અર્થે” લડે છે, કેમ કે તે ન્યાયીપણાને ખૂબ ચાહે છે અને ભૂંડાઈને સખત નફરત કરે છે. (ગીતશાસ્ત્ર ૪૫:૪,) ઈસુ યુદ્ધ કરે છે એટલે બાઇબલ તેમને એક યોદ્ધા કહે છે.

એવી જ રીતે યહોવાહ પણ અન્યાયને નફરત કરે છે. બાઇબલ કહે છે કે ‘પ્રભુએ જોયું કે ઇન્સાફનો અભાવ છે અને એ જોઈને તે નારાજ થયા. તેમણે ન્યાયને બખ્તર તરીકે પહેર્યો અને માથા પર વિજયનો ટોપ પહેર્યો. તેમણે વેરરૂપી પોષાક પહેર્યો. અને તે પોતાના દુશ્મનોને શિક્ષા કરશે.’—યશાયા ૫૯:૧૫, ૧૭, ૧૮, કોમન લેંગ્વેજ.

જ્યાં સુધી દુષ્ટ લોકો રાજ કરશે ત્યાં સુધી નમ્ર લોકોને સુખ શાંતિ નહિ મળે. (નીતિવચનો ૨૯:૨; સભાશિક્ષક ૮:૯) જો શાંતિ લાવવી હોય તો આવા લોકોનો નાશ કરવો પડે. એટલે જ બાઇબલ જણાવે છે કે “નેકજનો પર જે વિપત્તિ લાવવાનો દુષ્ટો પ્રયત્ન કરશે, તે વિપત્તિ આખરે તેમના પર જ આવી પડશે.”—સુભાષિતસંગ્રહ [નીતિવચનો] ૨૧:૧૮, કોમન લેંગ્વેજ.

પરમેશ્વર ન્યાયાધીશ છે એટલે આપણે ખાતરી રાખી શકીએ કે તે યોગ્ય જ ન્યાય કરશે. ઈશ્વરભક્ત ઈબ્રાહીમે પૂછ્યું હતું કે “આખી પૃથ્વીનો ન્યાયાધીશ શું ન્યાય નહિ કરશે?” એના જવાબથી તેમને ખાતરી થઈ કે યહોવાહ હંમેશાં યોગ્ય જ ન્યાય કરે છે. (ઉત્પત્તિ ૧૮:૨૫) બાઇબલ આપણને સમજાવે છે કે દુષ્ટ લોકોનો નાશ કરવામાં યહોવાહને કોઈ ખુશી થતી નથી. પણ શાંતિ લાવવી હોય તો આ જ રસ્તો અપનાવવો પડે.—હઝકીએલ ૧૮:૩૨; ૨ પીતર ૩:૯.

આર્માગેદનમાંથી બચવા શું કરીએ?

આર્માગેદનના યુદ્ધમાં કોનો પક્ષ લેશો? જો યહોવાહના પક્ષમાં રહેવું હોય તો તેમના કહ્યા પ્રમાણે કરવું જોઈએ: “નેકીનો માર્ગ શોધો, નમ્રતા શોધો.” (સફાન્યાહ ૨:૩) કેમ કે ઈશ્વર ચાહે છે કે “સઘળાં માણસો તારણ પામે, ને તેમને સત્યનું સંપૂર્ણ જ્ઞાન પ્રાપ્ત થાય.”—૧ તીમોથી ૨:૪.

આર્માગેદનમાંથી બચવા આપણે ન્યાયી-નમ્ર બનવાની સાથે બીજું શું કરવું જોઈએ? આપણે યહોવાહ વિષે વધારે શીખીએ. તે દુષ્ટતાનું કઈ રીતે નામ-નિશાન મિટાવી દેશે એ વિષે શીખીએ. તો જ યહોવાહની કૃપા મેળવી શકીશું. અને આર્માગેદનમાંથી બચી શકીશું.

ચાલો આપણે આ પ્રમાણે જ જીવીએ. એમ કરીશું તો આર્માગેદનના યુદ્ધનો આપણને ડર નહિ લાગે, કેમ કે યહોવાહ દુષ્ટતાનો અંત લાવશે અને આપણને બચાવશે. એ યુદ્ધ પછી લોકો “ફરીથી યુદ્ધકળા શીખશે નહિ.” અને બધાં લોકો હળી-મળીને રહેશે.—યશાયાહ ૨:૪. (wp08 4/1)

[ફુટનોટ]

^ આર્માગેદન શું કોઈ એક જગ્યા છે? વધારે માહિતી માટે “વાચકો તરફથી પ્રશ્ન” પાન નં. ૭ જુઓ.

[પાન ૪ પર બ્લર્બ]

શાંતિ લાવવા યહોવાહ આર્માગેદનનુંયુદ્ધ લડે છે

[પાન ૬ પર ચિત્ર]

ગિદઓનના લશ્કરે મગિદોના મેદાનમાં જીત મેળવી

[પાન ૬ પર ચિત્ર]

મગિદો

[પાન ૬ પર ચિત્ર]

આર્માગેદનમાંથી બચેલા લોકો હંમેશાં હળી-મળીને રહેશે