સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

નરક વિષે તમને કેવું લાગે છે?

નરક વિષે તમને કેવું લાગે છે?

નરક વિષે તમને કેવું લાગે છે?

ઈશ્વર યહોવાહ દુષ્ટ લોકોનો નાશ કરશે. (૨ થેસ્સાલોનીકી ૧:૬-૯) પણ પાપી લોકોને ભગવાન નરકમાં રિબાવે છે, એવું માનનારા તેમને બદનામ કરે છે. ઈશ્વર વિષે જૂઠાણું ફેલાવે છે.

ઈશ્વર પથ્થર દિલના નથી. તે કદી અન્યાય કરતા નથી. તે કહે છે કે “શું દુષ્ટના મોતમાં મને કંઈ આનંદ છે?” (હઝકીએલ ૧૮:૨૩) કોઈ દુષ્ટના મોતમાં પણ તેમને આનંદ નથી થતો, તો પછી ઈશ્વર કઈ રીતે કોઈને રિબાવી શકે!

યહોવાહ પ્રેમના સાગર છે. (૧ યોહાન ૪:૮) તે “સર્વ પ્રત્યે ભલા છે; તેમણે સરજેલા સર્વ સજીવો પર તે દયા દર્શાવે છે.” (ગીતશાસ્ત્ર ૧૪૫:૯, કોમન લેંગ્વેજ) તે ચાહે છે કે આપણે પણ તેમને દિલથી ચાહીએ.—માત્થી ૨૨:૩૫-૩૮.

તમે કોનો ડર રાખશો? ઈશ્વરનો કે નરકનો?

ઈશ્વર લોકોને નરકમાં રિબાવે છે, એવું માનવાને લીધે લાખો લોકો તેમનાથી ડરે છે. પણ એના વિષે સત્ય શીખનારા લોકો ડરતા નથી. ગીતશાસ્ત્ર ૧૧૧:૧૦ કહે છે: “યહોવાહનો ભય તે બુદ્ધિનો આરંભ [શરૂઆત] છે; જેઓ તેની આજ્ઞાઓ પાળે છે તે બધાની બુદ્ધિ સારી છે.” ‘યહોવાહના ભયનો’ શું અર્થ થાય? એ જ કે તેમને વિશ્વના માલિક માનીએ. ખૂબ માન આપીએ. તેમનું દિલ દુઃખે એવું કંઈ ન કરીએ.

૩૨ વર્ષની કેથલિનનો વિચાર કરો. તે હતી ડ્રગ્સની બંધાણી. જીવનમાં મોજશોખ, વ્યભિચાર અને હિંસા સિવાય બીજું કશું જ નહિ. તેણે કહ્યું: ‘મારી એક વર્ષની દીકરીને જોઈને વિચાર આવતો કે “મારા જેવી મા ચોક્કસ નરકમાં જ જવાની!”’ કેથલિને ડ્રગ્સ છોડી દેવાની કોશિશ કરી, પણ કંઈ વળ્યું નહિ. તે કહે છે: ‘મારે સુધરવું હતું. પણ હવે જીવનમાં બાકી શું હતું? અરે દુનિયા જ બૂરી હોય તો સુધરવાનો શું ફાયદો!’

એવામાં કેથલિન યહોવાહના સાક્ષીઓને મળી. અમુક સમય પછી, કેથલિને કહ્યું: ‘બાઇબલમાંથી હું શીખી કે નરક જેવું કંઈ જ નથી. મને ખૂબ દિલાસો મળ્યો. હવે મને નરકનો ડર નથી.’ તે શીખી કે ઈશ્વર પૃથ્વી પરથી બધી બૂરાઈ દૂર કરશે અને પોતાના ભક્તોને અમર જીવન આપશે. (ગીતશાસ્ત્ર ૩૭:૧૦, ૧૧, ૨૯; લુક ૨૩:૪૩) કેથલિને કહ્યું: ‘એ નવા યુગમાં જીવવાની તમન્‍ના મારામાં જાગી ઊઠી!’

શું કેથલિન ડ્રગ્સ છોડી શકી? તેણે કહ્યું: ‘ડ્રગ્સ છોડ્યા પછી પણ એની તલપ લાગતી. મને ખબર હતી કે યહોવાહને એનાથી સખત નફરત છે. હું તેમનું દિલ ન દુખાવું, એ માટે તેમને કાલાવાલા કરતી. તેમણે મારો પોકાર સાંભળ્યો!’ (૨ કોરીંથી ૭:૧) યહોવાહની ભક્તિ દિલથી કરવા કેથલિન ડ્રગ્સની જંજીરમાંથી આઝાદ થઈ.

શું આપણે નરકની સજામાંથી છટકવા માટે જ ઈશ્વરને ભજીએ છીએ? ના! આપણે ઈશ્વરને દિલોજાનથી ચાહીએ છીએ. એટલે તેમના માર્ગે ચાલીએ છીએ. બાઇબલ કહે છે: “જેઓ યહોવાહથી ડરે છે અને તેના માર્ગમાં ચાલે છે તે સર્વને ધન્ય છે.”—ગીતશાસ્ત્ર ૧૨૮:૧. (w08 11/1)

[પાન ૯ પર બોક્સ/ચિત્ર]

ગુજરી ગયેલાને ઈશ્વર જીવતા કરશે!

ગેહેન્‍ના અને હાડેસ ગ્રીક ભાષાના શબ્દો છે. અમુક બાઇબલ અનુવાદોમાં એઓનું “નરક” તરીકે ખોટું ભાષાંતર થયું છે. એટલે મોટી મૂંઝવણ થાય છે. ગેહેન્‍ના શબ્દનો અર્થ થાય, હંમેશ માટેનો વિનાશ. એની સજા પામનારા ફરીથી જીવશે નહિ. પણ જેઓ હાડેસમાં છે, તેઓને ઈશ્વર ફરીથી જીવતા કરશે.

હાડેસ ગુજરી ગયેલા લોકોની હાલતને રજૂ કરે છે. ઈશ્વરભક્ત પીતર ઈસુ વિષે કહે છે: “તેને હાડેસમાં રહેવા દેવામાં આવ્યો નહિ.” (પ્રેરિતોનાં કૃત્યો ૨:૨૭, ૩૧, ૩૨; ગીતશાસ્ત્ર ૧૬:૧૦) ઈસુને હાડેસ કે મોતની નીંદરમાંથી ઈશ્વરે ઊઠાડ્યા. એ જ રીતે ઈશ્વર ગુજરી ગયેલા લાખો લોકોને જીવતા કરશે.

જલદી જ ‘હાડેસ’ ખાલી થઈ જશે. બાઇબલ કહે છે કે ‘મરણે અને હાડેસે પોતાનામાં જેઓ મૂએલાં હતાં, તેઓને પાછાં આપ્યાં.’ (પ્રકટીકરણ ૨૦:૧૩, ૧૪) ખુદ ઈશ્વર નક્કી કરશે કે જીવનનું વરદાન કોને આપવું. (યોહાન ૫:૨૮, ૨૯; પ્રેરિતોનાં કૃત્યો ૨૪:૧૫) કલ્પના કરો કે તમે તમારા દોસ્તોને, સગાંને ફરીથી મળશો! પ્રેમના સાગર યહોવાહ એ આશીર્વાદ જલદી જ વરસાવશે.