સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

ગુજરી ગયેલાઓ માટે આશા—તેઓને પાછા જીવતા કરવામાં આવશે

ગુજરી ગયેલાઓ માટે આશા—તેઓને પાછા જીવતા કરવામાં આવશે

ગુજરી ગયેલાઓને પાછા જીવતા કરવામાં આવશે, બાઇબલના એ વચનમાં શું તમે માનો છો?  * ગુજરી ગયેલા સગાં-વહાલાંઓ સાથે પાછા રહી શકીશું એ ખૂબ જ આનંદની વાત છે. શું હકીકતમાં એમ થશે? એનો જવાબ મેળવવા ઈસુ ખ્રિસ્તના પ્રેરિતોનો વિચાર કરીએ.

પ્રેરિતોને પૂરી ખાતરી હતી કે ગુજરી ગયેલાઓને પાછા જીવતા કરવામાં આવશે. શા માટે? બે કારણોનાં લીધે. પહેલું, તેઓની આશા આ હકીકતને આધારે હતી: ઈસુને પોતાને પણ મરણમાંથી પાછા ઉઠાડવામાં આવ્યા હતા. પ્રેરિતો અને “પાંચસો કરતાં વધારે ભાઈઓએ” જીવતા કરવામાં આવેલા ઈસુને એક જ સમયે જોયા હતા. (૧ કોરીંથી ૧૫:૬) એ ઉપરાંત, સુવાર્તાના ચાર પુસ્તકો જણાવે છે તેમ, ઈસુને પાછા ઉઠાડવામાં આવ્યા એ હકીકત મોટા પાયે જાણીતી હતી અને સ્વીકારવામાં આવી હતી.—માથ્થી ૨૭:૬૨–૨૮:૨૦; માર્ક ૧૬:૧-૮; લુક ૨૪:૧-૫૩; યોહાન ૨૦:૧–૨૧:૨૫.

બીજું, ઈસુએ ત્રણ જણને જીવતા કર્યા હતા એ બનાવો પ્રેરિતોએ પોતાની આંખે જોયો હતો. જેમ કે, પહેલા નાઈન ગામમાં, પછી કાપરનાહુમમાં અને છેલ્લે બેથાનીઆમાં. (લુક ૭:૧૧-૧૭; ૮:૪૯-૫૬; યોહાન ૧૧:૧-૪૪) છેલ્લા બનાવ વિશે આ અંકના શરૂઆતના લેખોમાં પણ જણાવ્યું છે. એ બનાવ ઈસુના જિગરી દોસ્તના કુટુંબમાં બન્યો હતો. ચાલો એ વિશે વધારે જોઈએ.

‘મરણમાંથી પાછો ઉઠાડનાર હું છું’

ઈસુએ મારથાને કહ્યું, “તારો ભાઈ પાછો ઊઠશે.” મારથાના ભાઈ લાજરસને ગુજરી ગયે ચાર દિવસ થયા હતા. પહેલાં તો મારથાને ઈસુના એ શબ્દોનો અર્થ સમજાયો નહિ. તેમણે કહ્યું, “તે પાછો ઊઠશે, એ હું જાણું છું.” પણ, તેમને લાગ્યું કે એવું તો ભાવિમાં કોઈ સમયે બનશે. ‘મરણમાંથી પાછો ઉઠાડનાર તથા જીવન આપનાર હું છું,’ એ શબ્દો કહ્યાં પછી ઈસુએ લાજરસને જીવતો કર્યો. એ જોઈને તેમને કેટલી નવાઈ થઈ હશે એની કલ્પના કરો.—યોહાન ૧૧:૨૩-૨૫.

લાજરસ મરણ પામ્યા પછી ચાર દિવસ ક્યાં હતા? તેમણે એવું કંઈ કહ્યું નહિ જે બતાવે કે મરણ પછીના ચાર દિવસ તે બીજી કોઈ જગ્યાએ જીવતા હતા. તેમણે એવું પણ કહ્યું નહિ કે તેમનો આત્મા સ્વર્ગમાં ગયો હતો. એવું પણ ન હતું કે લાજરસ સ્વર્ગમાં ઈશ્વર પાસે સુખચેનનો આનંદ માણતા હોય અને ઈસુએ તેમને પૃથ્વી પર ઢસેડીને જીવતા કર્યા હોય. તો પછી, ચાર દિવસ લાજરસ ક્યાં હતા? હકીકતમાં, તે મરણની ઊંઘમાં હતા.—સભાશિક્ષક ૯:૫, ૧૦.

એ યાદ હશે કે ઈસુએ મરણની સરખામણી ઊંઘ સાથે કરી હતી. એટલે, વ્યક્તિને જીવતી કરવામાં આવે ત્યારે તે જાણે ઊંઘમાંથી ઉઠે છે. એના વિશે ઈસુએ જણાવ્યું: “આપણો મિત્ર લાજરસ ઊંઘી ગયો છે; પણ હું તેને ઊંઘમાંથી જગાડવા માટે જવાનો છું. ત્યારે શિષ્યોએ તેને કહ્યું, કે પ્રભુ, જો તે ઊંઘી ગયો હોય તો તે સાજો થશે. ઈસુએ તો તેના મરણ વિશે કહ્યું હતું; પણ તેઓને એવું લાગ્યું કે તેણે ઊંઘમાં વિસામો લેવા વિશે કહ્યું હતું. ત્યારે ઈસુએ તેઓને સ્પષ્ટ કહ્યું, કે લાજરસ મરી ગયો છે.” (યોહાન ૧૧:૧૧-૧૪) ઈસુએ લાજરસને જીવન પાછું આપ્યું અને તેમના કુટુંબને સોંપ્યા. ઈસુએ સાચે જ તેમના કુટુંબને કેટલી અજોડ ભેટ આપી!

ઈસુ પૃથ્વી પર હતા ત્યારે ગુજરી ગયેલાઓને જીવતા કર્યા. એ એક ઝલક હતી કે પોતે ઈશ્વરના રાજ્યના રાજા બનશે ત્યારે કેવા આશીર્વાદો લાવશે. * ઈસુ સ્વર્ગમાંથી પૃથ્વી પર રાજ કરશે ત્યારે, જેઓ મરણની ઊંઘમાં છે તેઓ સર્વને જીવતા કરશે. એટલે જ, તેમણે કહ્યું: ‘મરણમાંથી પાછો ઉઠાડનાર હું છું.’ વિચાર કરો કે સગાં-વહાલાંઓને જીવતા થયેલા તમે જોશો ત્યારે ખુશીથી કેવા ઝૂમી ઊઠશો! જીવતા થયેલાઓ જે ખુશીનો અનુભવ કરશે એનો પણ વિચાર કરો!—લુક ૮:૫૬.

વિચાર કરો કે સગાં-વહાલાંઓને જીવતા થયેલા તમે જોશો ત્યારે ખુશીથી કેવા ઝૂમી ઊઠશો!

કાયમી જીવન માટે શ્રદ્ધા

ઈસુએ મારથાને કહ્યું: “મારા પર વિશ્વાસ કરે છે તે જો કે મરી જાય તો પણ જીવતો થશે; અને જે કોઈ જીવે છે, અને મારા પર વિશ્વાસ રાખે છે, તે કદી મરશે નહિ જ.” (યોહાન ૧૧:૨૫, ૨૬) હજાર વર્ષના રાજ દરમિયાન ઈસુ જેઓને જીવતા કરશે તેઓ કાયમ જીવશે. એ પણ તેઓ જ્યાં સુધી ઈસુ પર દિલથી શ્રદ્ધા રાખશે ત્યાં સુધી જીવશે.

‘જે મારા પર વિશ્વાસ કરે છે તે મરી જાય તોપણ જીવતો થશે.’—યોહાન ૧૧:૨૫.

ગુજરી ગયેલાઓને જીવતા કરવામાં આવશે એમ કહ્યા પછી ઈસુએ મારથાને મહત્ત્વનો સવાલ પૂછ્યો: ‘શું તમને એવો વિશ્વાસ છે? તેમણે કહ્યું: હા, પ્રભુ; મેં વિશ્વાસ રાખ્યો છે કે તમે ઈશ્વરના દીકરા, ખ્રિસ્ત છો.’ (યોહાન ૧૧:૨૬, ૨૭) તમારા વિશે શું? મારથાને પૂરી શ્રદ્ધા અને આશા હતી કે ગુજરી ગયેલાઓને જીવતા કરવામાં આવશે. તેમના જેવી શ્રદ્ધા શું તમે પણ કેળવવા ચાહો છો? એમ કરવાનું પહેલું પગલું છે કે મનુષ્ય માટે ઈશ્વરનો હેતુ શું છે એના વિશે શીખીએ. (યોહાન ૧૭:૩; ૧ તીમોથી ૨:૪) એ શીખવાથી શ્રદ્ધા મજબૂત થશે. કેમ નહિ કે તમે યહોવાના સાક્ષીઓને પૂછો કે આ વિશે બાઇબલ શું શીખવે છે. ગુજરી ગયેલાઓને જીવતા કરવામાં આવશે એ આશા વિશે તેઓ તમને ખુશી ખુશી જણાવશે. (w14-E 01/01)

^ ફકરો. 2 આ અંકના પાન ૬ ઉપર “મરણ પછી શું?” લેખ જુઓ.

^ ફકરો. 9 ગુજરી ગયેલાઓને ભાવિમાં જીવતા કરવામાં આવશે. બાઇબલના એ વચન વિશે વધારે જાણવા પવિત્ર બાઇબલ શું શીખવે છે? પુસ્તકનું પ્રકરણ ૭ જુઓ, આ પુસ્તક યહોવાના સાક્ષીઓએ બહાર પાડ્યું છે. તમે આ વેબસાઈટ પરથી ડાઉનલોડ કરી શકો: www.pr418.com.