આપણા પર મરણ કેમ આવે છે?
શાસ્ત્રમાંથી જવાબ
આપણા કોઈ પ્રિયજનનું મરણ થાય છે ત્યારે, મનમાં સવાલ થાય છે કે મરણ કેમ આવે છે. બાઇબલમાં જણાવ્યું છે: “પાપ એ ડંખ છે, જે મરણ લાવે છે.”—૧ કોરીંથીઓ ૧૫:૫૬.
બધા લોકો કેમ પાપ કરે છે અને મરણ પામે છે?
પહેલાં સ્ત્રી-પુરુષ આદમ-હવાએ ઈશ્વર વિરુદ્ધ પાપ કર્યું હતું, એટલે તેઓએ પોતાનું જીવન ગુમાવવું પડ્યું. (ઉત્પત્તિ ૩:૧૭-૧૯) ઈશ્વર “જીવનનો ઝરો” છે એટલે તેમની વિરુદ્ધ બંડ કરવાનું પરિણામ તેઓએ ભોગવવું પડ્યું. તેઓ પર મરણ આવ્યું.—ગીતશાસ્ત્ર ૩૬:૯; ઉત્પત્તિ ૨:૧૭.
હવે આદમે એ જ પાપ પોતાના વંશજોને વારસામાં આપ્યું. શાસ્ત્રમાં જણાવ્યું છે: “એક માણસથી દુનિયામાં પાપ આવ્યું અને પાપથી મરણ આવ્યું. આમ બધા માણસોએ પાપ કર્યું, એટલે બધામાં મરણ ફેલાયું.” (રોમનો ૫:૧૨) બધા લોકો પાપ કરે છે એટલે મરણ પામે છે.—રોમનો ૩:૨૩.
મરણને કઈ રીતે મિટાવી દેવામાં આવશે?
ઈશ્વરે એક એવા સમયનું વચન આપ્યું છે જ્યારે “તે કાયમ માટે મરણને મિટાવી દેશે.” (યશાયા ૨૫:૮) મરણનું મૂળ કારણ પાપને જ ઈશ્વર દૂર કરી દેશે. તે એવું ઈસુ ખ્રિસ્ત દ્વારા કરશે, જે “દુનિયાનું પાપ દૂર કરે છે!”—યોહાન ૧:૨૯; ૧ યોહાન ૧:૭.