મોટી વિપત્તિ એટલે શું?
શાસ્ત્રમાંથી જવાબ
મોટી વિપત્તિ એટલે એવો સમય કે જ્યારે માણસો પર પહેલાં કરતાં વધારે મુશ્કેલીઓ આવશે. બાઇબલમાં લખેલી ભવિષ્યવાણી પ્રમાણે એ વિપત્તિ “છેલ્લા દિવસોમાં” અથવા ‘અંતના સમયમાં’ આવશે. (૨ તિમોથી ૩:૧; દાનિયેલ ૧૨:૪) “ઈશ્વરે રચેલી સૃષ્ટિની શરૂઆતથી આજ સુધી એવી વિપત્તિ થઈ નથી અને ફરી કદી થશે પણ નહિ.”—માર્ક ૧૩:૧૯; દાનિયેલ ૧૨:૧; માથ્થી ૨૪:૨૧, ૨૨.
મોટી વિપત્તિ દરમિયાન કેવા બનાવો બનશે?
જૂઠા ધર્મોનો નાશ. બહુ જલદી જ જૂઠા ધર્મોનો નાશ કરવામાં આવશે. (પ્રકટીકરણ ૧૭:૧, ૫; ૧૮:૯, ૧૦, ૨૧) ઈશ્વર તેઓનો નાશ કરવા રાજકીય સત્તાઓનો ઉપયોગ કરશે, જે સંયુક્ત રાષ્ટ્રસંઘને (યુનાઈટેડ નેશન્સ) દર્શાવે છે.—પ્રકટીકરણ ૧૭:૩, ૧૫-૧૮. a
સાચા ધર્મ પર હુમલો. હઝકિયેલના દર્શન પ્રમાણે રાષ્ટ્રોનો સમૂહ ‘માગોગ દેશનો ગોગ’ તરીકે ઓળખાય છે. તે સાચા ધર્મ પ્રમાણે ચાલનારાઓનો નાશ કરવાનો પ્રયત્ન કરશે. પણ ઈશ્વર પોતાના ભક્તોનું રક્ષણ કરશે.—હઝકિયેલ ૩૮:૧, ૨, ૯-૧૨, ૧૮-૨૩.
પૃથ્વી પરના લોકોનો ન્યાય. ઈસુ બધા માણસોનો ન્યાય કરશે અને “જેમ ઘેટાંપાળક ઘેટાંને બકરાંથી અલગ પાડે છે, તેમ તે લોકોને એકબીજાથી અલગ પાડશે.” (માથ્થી ૨૫:૩૧-૩૩) ઈસુ જોશે કે લોકો તેમના ‘ભાઈઓ’ સાથે કઈ રીતે વર્ત્યા હતા, એના આધારે તે તેઓનો ન્યાય કરશે.—માથ્થી ૨૫:૩૪-૪૬.
ઈશ્વરના રાજ્યના રાજાઓને ભેગા કરવા. ખ્રિસ્ત સાથે રાજ કરવા પસંદ કરેલા વફાદાર જનોને સ્વર્ગમાં લઈ જવામાં આવશે.—માથ્થી ૨૪:૩૧; ૧ કોરીંથીઓ ૧૫:૫૦-૫૩; ૧ થેસ્સાલોનિકીઓ ૪:૧૫-૧૭.
આર્માગેદન. આ “સર્વશક્તિમાન ઈશ્વરના મહાન દિવસની લડાઈ” છે, જેને “યહોવાનો દિવસ” પણ કહેવાય છે. (પ્રકટીકરણ ૧૬:૧૪, ૧૬; યશાયા ૧૩:૯; ૨ પિતર ૩:૧૨) ઈસુ જે લોકોને દુષ્ટ ઠરાવશે, તેઓનો નાશ થશે. (સફાન્યા ૧:૧૮; ૨ થેસ્સાલોનિકીઓ ૧:૬-૧૦) એમાં બધી રાજકીય સત્તાઓનો સમાવેશ થાય છે, જેને બાઇબલમાં સાત માથાંવાળાં જંગલી જાનવર તરીકે દર્શાવવામાં આવી છે.—પ્રકટીકરણ ૧૯:૧૯-૨૧.
મોટી વિપત્તિ પછી કેવા બનાવો બનશે?
શેતાન અને તેના દુષ્ટ દૂતોને કેદ કરવામાં આવશે. શેતાન અને તેના દુષ્ટ દૂતોને એક મહાન દૂત “અનંત ઊંડાણમાં” નાખી દેશે. ત્યાંથી તેઓ કંઈ કરી શકશે નહિ અને જાણે મરી ગયેલાની સ્થિતિમાં હશે. (પ્રકટીકરણ ૨૦:૧-૩) અનંત ઊંડાણમાં શેતાનની હાલત કેદી જેવી હશે. ત્યાંથી તે કોઈને નુકસાન કરી શકશે નહિ.—પ્રકટીકરણ ૨૦:૭.
હજાર વર્ષની શરૂઆત થશે. ઈશ્વરનું રાજ્ય ૧,૦૦૦ વર્ષના રાજની શરૂઆત કરશે, જે માણસો પર ઘણા આશીર્વાદો વરસાવશે. (પ્રકટીકરણ ૫:૯, ૧૦; ૨૦:૪, ૬) એક “મોટું ટોળું” બચી જશે અને “મોટી વિપત્તિમાંથી નીકળી” આવશે. એ ટોળાના લોકોની સંખ્યા અગણિત હશે. તેઓ પૃથ્વી પર હજાર વર્ષના રાજને શરૂ થતા જોશે.—પ્રકટીકરણ ૭:૯, ૧૪; ગીતશાસ્ત્ર ૩૭:૯-૧૧.
a પ્રકટીકરણના પુસ્તકમાં જૂઠા ધર્મોને “જાણીતી વેશ્યા” એટલે કે મહાન બાબેલોન કહેવામાં આવે છે. (પ્રકટીકરણ ૧૭:૧, ૫) લાલ રંગનું જંગલી જાનવર મહાન બાબેલોનનો નાશ કરશે. એ જાનવર એક આંતરરાષ્ટ્રીય સંગઠનને રજૂ કરે છે. એનો હેતુ દુનિયાના બધા રાષ્ટ્રોને એક કરવાનો અને તેઓના પ્રતિનિધિ તરીકે કામ કરવાનો છે. એ સંગઠન અગાઉ લીગ ઓફ નેશન્સ તરીકે ઓળખાતું હતું, પણ હવે સંયુક્ત રાષ્ટ્રસંઘ તરીકે ઓળખાય છે.